એ રામ રામ ડાયરાને,
ઘણા દહાડે મળ્યા, હમણાં કેમના ખોવાયા હતા ? સરાદીયા ચાલતા હતા તે ખીર-પૂરીની ઝપટુ લેવામાં પડ્યા હશે કે ! ભાદરવાના તપતા દહાડાઓમાં ખીર ખાવાનું ઘણું મહત્વ છે. સૌએ પોતપોતાની મરજી-માન્યતા મુજબ ખાવી, પણ ખાવી જરૂર (અને બને તો અન્યને પણ ખવડાવવી). આ સરાદીયા આવે એટલે અમને લોકડાયરાના કલાકારોની કેટલીક વાર્તાઓ જરૂર યાદ આવે. એક આડવાત; આ કલાકારો ખરે જ ’કલાકાર’ કહેવડાવવાને લાયક ગણાય ! તેઓ એ દાક્તર છે જે વાઢ્યા વિના પરુ ખેંચી કાઢે છે, અને દર્દી ’ઓઈ…..માં’ ને બદલે ’અ..હા..હા..હા..’ એમ હસતો હસતો ઘરે જાય છે !! તો પ્રથમ એકાદ બે વાતુ આ શ્રાદ્ધ વિશે.
છોકરાઓ કલાકેકથી ખીર-પૂરી લઈને અગાશીએ ઊભા હતા, કાગડાઓ આસપાસ તો ઊડાઊડ કરતા હતા પણ આવડા આની અગાશીએ ફરકતા નહોતા ! અંતે કારણ સમજમાં આવતા મોટાભાઈએ નાનાને કહ્યું: ’બકા, ઝાઝીવાર તડકે ઊભી બા ની તબિયત બગડશે, એને હવે નીચે જઈ આરામ કરવા કહે’ 🙂
એક અગાશીએ વળી ડોશીમાં, દીકરાઓ બધા બાપાની પાછળ કાગવાસ નાંખવા ચઢેલા, એક કાગડો કા…કા… કરતો અગાશીની પાળીએ બેસે પણ ખીર-પુરી સામે નજર કરી વળી ઊડે અને બાજુની અગાશીએ ધરેલી ખીર-પૂરી ઝાપટે ! બહુ વાર આવું થયું એટલે ડોશીએ દીકરાઓને કહ્યું : ’ મને ખબર જ હતી, આવડા આ મર્યા પછીએ સુધરવાનાં નથી ! જીવતાં કદી ઘરમાં ધ્યાન નહોતું દીધું, આડોશ પાડોશમાં જ નજર રાખતા !’ 🙂
મારે પિતૃઓને ઝાઝા કનડવા નથી ! કાગડાઓને ખીર-પૂરી ખવરાવવામાંએ કશો વાંધો નથી, સાથે હાજરાહજૂર પિતૃઓને પણ પ્રેમભાવે ખવડાવવા ! શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ તો રોજે રોજ કરી શકે, જીવતા જાગતા પિતૃઓને પ્રેમે ધરવવા એ પણ શ્રાદ્ધ જ છે. અને આ સરાદીયાના પંદર દહાડા એ વાતને વર્ષો વર્ષ યાદ કરાવવા અર્થે જ પ્રયોજવામાં આવ્યા છે એવું મારું નમ્ર મંતવ્ય છે.
આગળ આપણે હસતાં હસતાં રસ્તે ચઢાવવા વિશે જોયું તો ધ્યાને આવ્યું કે હમણાં હમણાંનું ઘણા મિત્રોને આ ઠીક માફક આવ્યું છે ! લોકોને પણ ઉગ્રપણે ધોકો પછાડનાર કરતાં હળવાશથી સમજાવનાર વધુ ગમે છે. અમે ભણતા (તમે પણ ભણતા કે ?) ત્યારે કયા માસ્તરો અમારા ફેવરિટ હતા તે યાદ કરીએ તો સમજાય છે કે જેઓ ગમ્મત સાથે જ્ઞાન આપી જાણતા તે વધુ પૉપ્યુલર હતા, દાંત કાઢનાર (થપ્પડ ઝીંકીને !) કરતાં દાંત કઢાવનારનાં વર્ગમાં હોંશે હોંશે જતા ! કયો વિષય એવો છે જે હળવેથી ના સમજાવી શકાય ? પણ આજકાલનાં જ્ઞાની ગુરુજનો આ વાત સમજતા લાગતા નથી ! અરે જ્ઞાનીજનોએ તો મૃત્યુને પણ બહુ મજાથી સમજાવ્યું છે પણ આજકાલનાં આ જ્ઞાનીજનોએ તો તેને સાવ મજાક બનાવી દીધું છે ! હવે એક ગંભીર વાત પણ ડાયરાને વિચારાધિન કરું.
ભાર વિનાના ભણતરના આ દોરમાં માત્ર પંદર દહાડાના સમયગાળામાં જ રાજકોટમાં સાત સહિત સૌરાષ્ટ્રનાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો. એકાદ બેને કોઈ અંગત કારણ હોઈ શકે પણ મહદંશે તો ભણતરનો ભાર જ કારણરૂપ નિવડ્યાનું સમજાય છે. સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદ્દો (રાજકારણીઓનું તો નામ લેવું પણ નકામું છે ! તેઓને તો પોતાના રોટલા શેકવામાંથી કે પોતાની ભાટાઈઓ કરાવવામાંથી જ ક્યાં નવરાશ મળે છે !!) કેમ કંઈ વિચારતા નથી ? બોલતા નથી ? આ વિદ્યાર્થીઓના, વિકરાળ સમયમાંથી પસાર થઈ રહેલા સૌ સ્નેહીજનોના, દુઃખમાં અમે પણ ભાગીદાર છીએ. પાકી ગયેલા પર્ણનું ખરવું એ તો પ્રકૃતિનો નિયમ છે પણ કૂણી કૂંપળ અકાળે કરમાઈને ડાળીએથી વિખુટી પડી જાય છે તેનું દુઃખ અમે અંગતપણે પણ અનુભવ્યું છે, તેની સાંત્વના કેમ અપાય તે સમજાતું નથી. કોઈ યુવામિત્રને, કોઈ નબળી ક્ષણે, આવો નબળો વિચાર આવે તો એક શેર યાદ કર્યા જેવો છે;
અબ તો ઘબરાકે યે કહતે હૈ કી મર જાયેંગે,
મરકે ભી ચૈન ન પાયા તો કીધર જાયેંગે. — (ઈબ્રાહિમ ઝૌક)
એક અમેરિકન જનરલ હતો જેના નામે પેટન ટૅન્ક બનાવવામાં આવેલી. આ જનરલ પેટન તેના સૈનિકોને યુદ્ધમોરચે મોકલતા કહેતો કે, ’જવાનો, શહીદીનો લાભ દુઃશ્મનોને લેવા દેજો, તમે તો જીવતા જ પરત આવજો !’ આપણે તો ’જય રણછોડ’નો નારો લગાવીએ છીએ પણ તેનું હાર્દ સમજતા નથી. આજે જીવતો રહેનાર કાલે ફરી લડી અને જીત મેળવશે, મૃત્યુ આવે ત્યારે હસતાં હસતાં ગળે વળગાડવું એ વીરતા છે પણ સામેથી દોડીને મૃત્યુને ગળે વળગવું એ કાયરતા છે ! યુવાઓને અન્યાય સામે લડવા માટે સૌ પ્રથમ ટેકો ઘરેથી મળવો જોઈએ, અમુક વાતો સાંભળવામાં સારી લાગે અને સજ્જનતાનાં ધોરણ તરીકે બહુ રૂઢ પણ થઈ ચૂકી છે છતાં જરૂરી સમયે તેને અતિક્રમી જવી એ જીવનવ્યાપન માટે ઘણું જરૂરી છે. શરમ, લોકલાજ, સજ્જનતા, શાંત હોવું, ડાહ્યાં હોવું, વગેરે વગેરેની વ્યાખ્યા કરવામાં સમાજે ચૂક કરી છે. વિદ્વાનો માનશે નહીં પરંતુ આ હકીકત છે. અહીં મૂંગે મોંએ અન્યાય સહન કરનારી દીકરી ડાહી ગણાય છે અને અન્યાય સામે માથું ઊંચકનાર બેશર્મ કે મોંફાટ ગણાય છે. મને યાદ છે, ભણતો ત્યારે મારા બા કહેતા કે ક્યાંય પણ અન્યાય જણાય તો મારીને આવજે, માર ખાઈને આવતો નહીં ! યુવાઓ કે વિદ્યાર્થીઓ પોતાની નાનીમોટી, સારીનરસી, સમસ્યાઓ કાં તો સગાં મા-બાપને જણાવતા ડરશે અથવા તો તેને મા-બાપની સમજદારી, પ્રૉબ્લેમ સોલ્વ કરવાની શક્તિ, પર વિશ્વાસ રહ્યો નથી. કોઈક કોઈક ભાગ્યશાળીઓને વળી સારા સલાહકારની ગરજ સારે તેવા મિત્રો મળી રહે છે અને ખડી પડેલી ગાડી ફરી પાટે ચઢી જાય છે પણ બધા આવા ભાગ્યશાળી નથી હોતા. ક્યાંક ખાટલે જ મોટી ખોટ રહી છે.
મરવું તો કોને ગમતું હોય ? અને છતાં કોઈક એવી સ્થિતિ આવતી હશે ને જ્યાં માણસને મૃત્યુ વધુ વહાલું લાગતું હશે. આત્મહત્યાનાં પક્ષ-પ્રતિપક્ષમાં ઘણી દલીલ આપી શકાશે, પણ અફસોસ કે ટાણે એકે કામ આવતી નથી. અને એ જ દર્શાવે છે કે હજુ આપણે કંઈક ભૂલીએ છીએ, ચૂકી ગયા છીએ. વાંક કોઈ એકનો નથી, બહુ બધાના વાંકે આ સ્થિતિ આવી ઊભી છે. હવે મારે એકલાએ જ વધુ વાંકદેખુ નથી થવું, ડાયરો પણ થોડો સાથ પુરાવશે એવી આશા.
આગળ આમ તો હસતાં હસતાં રસ્તે ચઢાવનારાઓ વિશે લખવું હતું પણ હવે આજે એ શક્ય નથી, પછીના લેખમાં લેશું. આજે તો આટલું જ.
આજે માતાપિતા માને છે કે તેઓ બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી કરે છે, પણ હકીકત એ છે કે બાળકો પર માતાપિતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાની જબ્બર જવાબદારી છે! બાળકને ખબર હોય કે એના પર માતાપિતાની આકાંક્ષાઓ પૂરી કરવાની જવાબદારી નથી, તો આત્મહત્યાઓ ઓછી થાય. પણ પરિણામ આવે તે જ દિવસે માતાપિતાના ચહેરા જે રીતે ઊતરી જતા હોય છે, એથી એને લાગે છે કે પરીક્ષામાં પાસ થવું એ તો એક માત્ર નાનું ડગલું હતું, ખરૂં કામ તો બાકી જ રહી ગયું અને કદાચ કદીયે પૂરૂં નહીં કરી શકાય.
માતાપિતા બાળક મટીને માતાપિતા બને તો સ્થિતિ સુધરે.
LikeLike
“માતાપિતા બાળક મટીને માતાપિતા બને તો સ્થિતિ સુધરે.”
સાવ સાચી વાત, આભાર દીપકભાઈ.
LikeLike
સરસ વાત, માતા-પિતા જ ભગવાન છે …..
LikeLike
સ્વાગત અને આભાર, વંદનાબહેન.
LikeLike
આદરણીયશ્રી. અશોકભાઈ
” માતા-પિતા બનવું સહેલુ છે,
પરંતુ સારા માતા-પિતા બનવાનું કામ અઘરૂ છે.”
આજકાલ માતા-પિતાની બાળક્ની ક્ષમતા અપેક્ષા
વધુ છે.
LikeLike
શ્રી.કિશોરભાઈ, આભાર.
સાચું કહ્યું, માતા-પિતાએ પોતાની અપેક્ષા કરતાં બાળકની ક્ષમતા ધ્યાને લેવી જોઈએ.
આજે દોઢ બે વર્ષનાં બાળકોને વિવિધ, રુપાળા નામો હેઠળ ભણતરનાં ભારે કચડાતા આપણે જોઈએ જ છીએ.
LikeLike
ભાદરવાના સરાદીયા પુરા થયા અને આ આસોના ધડીંગ ધોમ ચાલુ થઈ ગયા છે. તમારી જેવા ખેલૈયાને તો જરૂર શેર લોહી ચડ્યું હશે. અમે તો માતાજીના નૈવેદ્ય, આરતી, આનંદનો ગરબો વગેરે દ્વારા માતાને રીઝવવાનો પ્રયાસ કરશું – તમ તમારે ઉપડો મેદાને જંગમાં
LikeLike
આભાર અતુલભાઈ,
કોઈને કહો નહીં તો એક ખાનગી વાત જણાવું !! મને ડાંડીયા રમતાં આવડતું જ નથી ! અમારો દેશી મણિયારો રમતા પણ નહીં. થોડુંઘણું લાઠી અને તલવાર ફેરવતા આવડે છે બસ. ગરબીઓ જોવા તો જતો જ નથી, ક્યાંયથી ફોટોગ્રાફી માટે કહેણ હોય તો એકાદ દહાડો જઉં એટલું જ. બાકી નિરાંતે બેઠા T.V.માં ગામેગામનાં ડાંડીયારાસ, ગરબા જોવા મળે છે તે બહુ મજાનું લાગે છે.
LikeLike
– “આ કલાકારો ખરે જ ’કલાકાર’ કહેવડાવવાને લાયક ગણાય ! તેઓ એ દાક્તર છે જે વાઢ્યા વિના પરુ ખેંચી કાઢે છે, અને દર્દી ’ઓઈ…..માં’ ને બદલે ’અ..હા..હા..હા..’ એમ હસતો હસતો ઘરે જાય છે !! ”
– “લોકોને પણ ઉગ્રપણે ધોકો પછાડનાર કરતાં હળવાશથી સમજાવનાર વધુ ગમે છે. અમે ભણતા (તમે પણ ભણતા કે ?) ત્યારે કયા માસ્તરો અમારા ફેવરિટ હતા તે યાદ કરીએ તો સમજાય છે કે જેઓ ગમ્મત સાથે જ્ઞાન આપી જાણતા તે વધુ પૉપ્યુલર હતા, દાંત કાઢનાર (થપ્પડ ઝીંકીને !) કરતાં દાંત કઢાવનારનાં વર્ગમાં હોંશે હોંશે જતા ! કયો વિષય એવો છે જે હળવેથી ના સમજાવી શકાય ? પણ આજકાલનાં જ્ઞાની ગુરુજનો આ વાત સમજતા લાગતા નથી !”
– “અરે જ્ઞાનીજનોએ તો મૃત્યુને પણ બહુ મજાથી સમજાવ્યું છે પણ આજકાલનાં આ જ્ઞાનીજનોએ તો તેને સાવ મજાક બનાવી દીધું છે !”
– “અબ તો ઘબરાકે યે કહતે હૈ કી મર જાયેંગે,
મરકે ભી ચૈન ન પાયા તો કીધર જાયેંગે.”
– મરવું તો કોને ગમતું હોય ? અને છતાં કોઈક એવી સ્થિતિ આવતી હશે ને જ્યાં માણસને મૃત્યુ વધુ વહાલું લાગતું હશે. આત્મહત્યાનાં પક્ષ-પ્રતિપક્ષમાં ઘણી દલીલ આપી શકાશે, પણ અફસોસ કે ટાણે એકે કામ આવતી નથી. અને એ જ દર્શાવે છે કે હજુ આપણે કંઈક ભૂલીએ છીએ, ચૂકી ગયા છીએ. વાંક કોઈ એકનો નથી,”
અશોક”જી”, તારા શબ્દો કરતા સારા શબ્દો ન મળ્યા માટે copy pest કરી છે,
એક ગઝ્લ નો શેર યાદ આવે છે.
શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી
– હિમાંશુ ભટ્ટ
LikeLike
’મોટા’ ! મારા કરતા સારા શબ્દો ન મળ્યા એથી કૉપી-પેસ્ટ કર્યું એ કરતાં એકાદો ચેક કે DD મોકલી આલવો તો ને 🙂 ચેકનાં રકમના ખાનામાં લખાયેલા આંકડા કરતા સારો શબ્દ વિશ્વમાં બીજો કોઈ નથી !!!
LikeLike
અલે… ચેક !!!! અશોક”જી” !? આજે જ મોકલી આપુ રકમ પણ આપને ભરવાની છુટ ! બ્લેંક ચેક ! આપને આવડે તેટલા આંકડા લખી નાખજો !!! lozzzzz 😉
[તારા બ્લોગ પર પ્રતિભાવ આપવો પણ મોંઘો પડે ભાઇ ! 😦
LikeLike
આદરણીય શ્રી અશોકભાઈ,
શ્રાદ્ધમાં ખીર પૂરી ખ્ધી પિતૃઓને તૃપ્ત કાર્ય પણ હવે ખીર માટે
દૂધ અને પૂરી માટે તેલ મોઘું થયું છે. આ રાજનેતા રૂપી કાગડા
તહેવારો આવતા મોઘવારી વધારે કોટા અદ્રશ્ય કરાવે મારા વા’લા
એજ ખીર પૂરી ઝાપટી જાય છે આજ કાલ ટેલીફોન ,આમજ ક્રિકેટ
બાધકામ શસ્ત્રો બ્ધાનાથી ખીર કહ્યા છે
ને ખાસ તો લખવું છે મૃત્યુ માટે કે………. ખુમારીથી જીવનાર માટે..
“જિસકે જીનેકા અંદાઝ નિરાલા હોતા હે
ઉસકે મોંતમેં ભી તાલિયા બજતી હે.”…….
LikeLike
શરમ, લોકલાજ, સજ્જનતા, શાંત હોવું, ડાહ્યાં હોવું, વગેરે વગેરેની વ્યાખ્યા કરવામાં સમાજે ચૂક કરી છે.
I agree with you. No words about those who have committed suicide.
Just gave comment on one article on ‘પરમ સમીપે’.
You may like to read an article and my comment there.
LikeLike
NICE…
LikeLike