(૧૮) – કૃષ્ણકાંત ઉનડકટ


K.Unadkatકૃષ્ણકાંત ઉનડકટનો જન્મ ૧૯૬૩માં જુનાગઢ જીલ્લાના એક નાનકડાં ગામ શાપુરમાં થયો હતો. એમના પિતા રસિકલાલ ઉનડકટ વેપારી હતા અને માતા જશુબહેન શિક્ષિકા હતા. આર્થિક રીતે એ એક સુખી પરિવાર હતું.

કૃષ્ણકાંતભાઈએ ધોરણ ૧ થી ૪ સુધી ગામની શાળામાં જ અભ્યાસ કર્યો પણ પાંચમા ધોરણથી નવમા ધોરણ સુધીનો અભ્યાસ કરવા એમને પોરબંદર જવું પડ્યું. પોરબંદરમાં એમની જ્ઞાતિ દ્વારા ચલાવાતા લોહાણા બાલાશ્રમમાં રહીને આ અભ્યાસ કર્યો. ત્યાર બાદ કુટુંબે શાપુરથી જુનાગઢ સ્થળાંતર કર્યું, એટલે કૃષ્ણકાંતનો ૧૦મા થી ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ જુનાગઢમાં થયો અને ત્યારબાદ જુનાગઢની જ કોમર્સ કોલેજમાંથી B.Com. અને ત્યાંની જ લો કોલેજમાંથી LLB કર્યું. પિતા “શરૂઆત” નામના સાપ્તાહિકના માલિક હતા, એટલે કૃષ્ણકાંતને જર્નલિઝમમાં પહેલેથી રુચી હતી. એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એ. ડી. શેઠ પત્રકારિત્વ ભવનમાં જર્નલિઝમ ડીપ્લોમા અને ત્યારબાદ માસ્ટર ઇન જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશનની ડિગ્રીઓ પ્રાપ્ત કરી. આ સિવાય એમણે IIM ઈંદોરમાં પત્રકારિતા અંગેનો ખાસ કોર્સ પણ કર્યો છે.

શિક્ષણ પૂરૂં કરી જૂનાગઢ ખાતે પહેલા જનસત્તા દૈનિક અને એ બાદ ગુજરાત સમાચાર દૈનિકના બ્યુરોચીફ તરીકે કામ કર્યું. ત્યારબાદ ગુજરાતના ખૂબ જ લોકપ્રિય સાપ્તાહિક ચિત્રલેખાના સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને છેલ્લે દિલ્હીના બ્યુરોચીફ તરીકે પાંચ વર્ષ માટે કામ કર્યું. ચિત્રલેખા છોડ્યા બાદ ગુજરાત સમાચારના નિવાસી તંત્રી તરીકે ચાર મહિના માટે ભાવનગર શહેરમાં કામ કર્યું, ભાવનગર બાદ ગુજરાત સમાચારની જ વડોદરા આવૃત્તિમાં લગભગ એક દસકા સુધી નિવાસી તંત્રી તરીકે પત્રકાત્વ ખેડ્યું. પત્રકારત્વની દુનિયામાં વધુ પ્રગતિ સર કરી તેઓ ગુજરાત સમાચાર બાદ દિવ્ય ભાસ્કરના તંત્રી બન્યા. દોઢ વર્ષ સુધી દિવ્ય ભાસ્કરની સુરત આવૃત્તિ અને એક વર્ષ માટે વડોદરા આવત્તિના નિવાસી તંત્રી તરીકે કામ કર્યું. દિવ્ય ભાસ્કર સમૂહના માસિક અહા જિંદગીમાં પણ તેમના લેખો અને કોલમ નિયમિત રીતે પ્રકાશિત થતા હતા.
કૃષ્ણકાંત ઉનડકટ છેલ્લાં ચાર વર્ષથી પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા છે. 2010-11ના આઠેક મહિના સમભાવ ગ્રુપના અભિયાન સાપ્તાહિકના તંત્રી તરીકે ફરજ બજાવી. છેલ્લાં ત્રણેક વર્ષથી તેઓ સંદેશ દૈનિકના તંત્રી છે.

કૃષ્ણકાંત ઉનડકટના જીવનસાથી જ્યોતિબહેન પણ પત્રકાર છે. મુંબઈ સમાચાર દૈનિકની ગુરુવારે પ્રસિદ્ધ થતી લાડકી પૂર્તિમાં તેઓ “તારે મન મારે મન” નામની કોલમ લખે છે. એમણે ૧૫ વર્ષ સુધી ચિત્રલેખા સાપ્તાહિકમાં સિનિયર રિપોર્ટર અને કોલમિસ્ટ તરીકે ફરજ બજાવી. છ મહિના માટે અભિયાન સાપ્તાહિકના ફીચર્સ એડિટર તરીકે કામ કર્યું છે. એ બાદ છ મહિના તેમણે સ્પાર્ક્ બ્રોડકાસ્ટિંગ પ્રાઈવેટ લિમિટેડના મોનિટર પખવાડિકમાં ફીચર્સ એડિટર તરીકે ફરજ બજાવી છે. પત્રકારત્વની દુનિયામાં આ યુગલ માનભર્યું સ્થાન ધરાવે છે.

પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવતાં કૃષ્ણકાંત ઉનડકટ વાચકોના મનને સ્પર્શી જાય એવાં લેખો લખવામાં માહેર છે. જિંદગીની ઘટમાળને ફિલોસોફી સાથે સાંકળી અને લોકોને કંઈક શીખવા મળે એ રીતે તેમના શબ્દો વાચકના હ્રદય સુધી પહોંચે છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખોમાં તેમની હથોટી અને બહોળો અનુભવ રીફ્લેક્ટ થયાં વગર નથી રહેતો.

દર રવિવારે સંદેશ દૈનિકની સંસ્કાર પૂર્તિમાં કૃષ્ણકાંત ઉનડકટની ચિંતનની પળે કોલમ છેલ્લાં દસ વર્ષમાં એક મુકામ કાયમ કરી શકી છે. અનેક વાચકોને પોતાની જિદંગી વિશેની સમજ અને સહજતા આ લેખોમાંથી મળે છે એવું લખીએ તો યોગ્ય કહેવાશે. એમના લેખોમાં વિષયની સમજ, ઊંડાણ, પ્રવાહિતા સાથે સાથે સરળતા જોવા મળે છે. કોઈપણ વિષયને દાખલા-દલીલો સાથે સમજાવવાની એમની શક્તિ અદભૂત છે. સાંપ્રત પ્રવાહો અને રાજકારણને લગતાં લેખો પણ સંદેશ દૈનિકમાં પ્રકાશિત થાય છે. દેશ અને દુનિયાનાં વિષયો આવરી લેતી દૂરબીન કોલમ દર સંદેશ દૈનિકમાં બુધવારની અર્ધ સાપ્તાહિક પૂર્તિમાં પ્રકાશિત થાય છે. આ ઉપરાંત દેશ અને દુનિયા રાજકારણને સ્પર્શતી તેમની એકસ્ટ્રા કોમેન્ટ કોલમ દરરોજ નિયમિત રીતે સંદેશના એડિટ પેઈજ ઉપર પ્રકાશિત થાય છે. આ તમામ લેખો તેમનાં પોતાના બ્લોગ  http://krishnkantunadkat.blogspot.com/ , સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પણ તેમજ બીજા અનેક બ્લોગ્સમાં જોવા મળે છે.

ચિંતનના વિષય ઉપર એમના પાંચ પુસ્તકો ચિંતનની પળે, ચિંતનને ચમકારે, ચિંતનને અજવાળે, ચિંતન @ ૨૪ X ૭ અને આમને-સામને પ્રગટ થયા છે.
કૃષ્ણકાંતભાઈ એક સારા લેખક ઉપરાંત એક સારા વક્તા છે. એમણે ઘણી જાણીતી સંસ્થાઓમાં પત્રકારિતા અને અન્ય વિષય ઉપર પ્રવચનો આપ્યા છે. આ અંગે એમણે સિંગાપોર, લંડન, સ્વીટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશનો પ્રવાસ પણ કર્યો છે. પોતાનું પત્રકારિતાનું જ્ઞાન અન્ય લોકોને મળે એટલા માટે પત્રકારિતાની કોલેજોમાં પાર્ટ ટાઈમ લેકચરર તરીકે પણ સેવા આપે છે.

કૃષ્ણકાંતભાઈને જાણવા માટે પહેલા એમના લેખ વાંચવાની હું ભલામણ કરૂં છું, એ લેખ વાંચ્યાબાદ તમને લાગશે કે મેં એમનો પરિચય અધૂરો જ આપ્યો છે.

–પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)