જુગલકિશોરભાઈનો જન્મ ૧૯૪૪માં ભાવનગર જિલ્લાના ઉમરાળા ગામમાંથયો હતો. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને રંધોળા ગામોમાં થયું. આ Formative વર્ષોમાં ધર્મમૂર્તિ માતા અને જ્ઞાનમાર્ગી પિતાજી,અને ઉમરાળા પંથકના ગાંધીકહેવાયેલા એમના ફૈબાના દીકરા વનમાળીભાઈ વ્યાસ જે ‘મોટાભાઈ’ના નામે જાણીતા હતા, તેમની એમના ઉછેરમાં બહુ મોટી અસર થઈ.
જુગલકિશોરભાઈ માધ્યમિક શાળાના શિક્ષણ માટે જૂનાગઢ જીલ્લાના શાપુર ગામે ગયા. અહીં ૧૯૫૫થી ૧૯૬૦ સુધી સર્વોદય આશ્રમ લોકશાળામાં રહી, S.S.C. સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ સમય દરમ્યાન એમણે ૧૯૫૬થી ૧૯૫૯ દરમ્યાન ગુજરાતના પ્રખર હવેલી સંગીતકાર શ્રી વિઠ્ઠલદાસ બાપોદરાજી પાસેથી શાસ્ત્રીય સંગીતમાં તાલીમ મેળવી. આ સમયગાળાનેયાદ કરી જુગલકિશોરભાઈકહે છે, “શાપુર સર્વોદય આશ્રમ લોકશાળામાં ૧૧-૧૨વરસની ઉંમરે(૧૯૫૫)દાખલથઈને ત્યાં છ વરસ ગાળ્યાં, તે મારા જીવનનો પાયો નાખનારાં બન્યાં. શાપુરનું વાતાવરણ કાચી ઉંમરને કારણે આકરું લાગતું. વતનથી દૂર, કુટુંબની ઓછી આવક,અને લોકશાળાના નિયમોને લઈને શાપુર કસોટી કરનારું બનેલું.પણ એ જ લોકશાળા મને કસનારી બની. શરીર અને મન કસાયાં. ત્યાંનું મુક્ત વાતાવરણ અને બુનિયાદી તાલીમનાં બહુ ગમતા અભ્યાસક્રમો અને પદ્ધતિઓએ મને તૈયાર કર્યો.” શાળાનો અભ્યાસ પૂરો કરી, જુગલકિશોરભાઈ વધુ અભ્યાસ માટે ભાવનગર જિલ્લામાં આવેલી, ગુજરાતના પ્રથમ કક્ષાના કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠમાં કૃષિ વિજ્ઞાન વિષય લઈ જોડાયા. અહીં ૧૯૬૨થી ૧૯૬૬ દરમ્યાન અભ્યાસ કરી, કૃષિ વિજ્ઞાનમાં પ્રથમ વર્ગમાં સ્નાતકનીપદવી મેળવી. આ સમયગાળા વિષે જુગલકિશોરભાઈ કહે છે કે, “લોકભારતીમાં આવવાનું મોડું થતાં લોકશિક્ષણ (આર્ટસ)માં જગ્યા ન મળી. કૃષિ ગમતો વિષય ન હતો.”
પરંતુ આર. આઈ.ના બે વરસના કોર્સમાં દિલ્હીની શિષ્યવૃત્તી (રૂ.૨૫૦/–વાર્ષિક)મળવાની શક્યતા હોઈ કૃષિમાં જ દાખલ થયેલો. એમ એક બાજુઅણગમતા વિષય સાથે પનારો પડ્યો અને બીજી બાજુ સમગ્ર જીવને પલટાવી નાખનારો લોકભારતીનો ખોળો મળી ગયો…. “ત્યાર પછીનાં સાડા ત્રણ વરસ મારાં આવનારાં જીવન માટે ખાતર–પાણીને હવામાન–શાં બની રહ્યાં. પછીનો જે કાંઈ સારો પછીનો જે કાંઈ સારો પાક મારે જીવન–ખેતરે પાક્યો તે બધો જ લોકભારતી–માડીના પ્રતાપે.”
સ્નાતક થયા બાદ તરત જ એમણે બાવળા હાઈસ્કૂલમાં કૃષિ વિષય શીખવવાશિક્ષક તરીકે નોકરી શરૂ કરી પણ થોડા સમય બાદ જીવન જરૂરિયાતોને પહોંચીવળવા એક કાપડની મિલમાં રોજના રૂપિયા પાંચનાપગારવાળી નોકરી સ્વીકારી. આ નોકરી કરતાં કરતાં જ એમણે ગુજરાતી વિષય લઈ, અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં M.A.ની ડિગ્રી પ્રથમ વર્ગ સાથે મેળવી. આસમયગાળા અને ત્યાર બાદના વ્યાવસાયિક જીવન અંગે એમના જ શબ્દોમાં કહું તો, “ગુજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતક થવા માટે મારે નોકરી કરવી પડે તેવીઘરની સ્થિતિ હતી. તેથી ત્રણ વરસ મેં મીલમાં પટાવાળાની કક્ષાની સેમી ક્લાર્ક તરીકેની – નોકરી કરેલી. અનુસ્નાતક થયા બાદ ઈડર કૉલેજમાં એક વરસ ગુજરાતી વિષયના લેકચરરની નોકરી કરી. સમોડાગ્રામ વિદ્યાપીઠમાં ત્રણ વરસ ગુજરાતી ભાષામાં લેક્ચરર ઉપરાંત છાત્રાલયનું તથા સંસ્થા–સંચાલનમાં પણ મદદરૂપ કાર્ય કર્યું.” ગાંધીજીએ સ્થાપેલા મજૂર મહાજનમાં ચારેક વરસ વર્કર્સ એજ્યુકેશન વિભાગમાં ઇન્ચાર્જ તરીકે અને ત્યાંના મુખપત્ર ‘મજૂર સંદેશ’ના સંપાદનમાંમદદનીશ તરીકે પણ કામ કર્યું. “છેલ્લે ૨૪ વરસ ભારત સરકારના પ્રૌઢ શિક્ષણ વિભાગના શ્રમિકવિદ્યાપીઠ,અમદાવાદમાં ગુજરાત યુનિવર્સીટીના નેજા નીચે ૧૨ વરસ કાર્યક્રમ અધીકારી રૂપે અને પછી નિવૃત્તી સુધીનાં ૧૨ વરસ નિયામક તરીકે કામગીરી કરી.” ચાર વર્ષની મજૂર મહાજનની કામગીરી વિષે જુગલકિશોરભાઈ કહે છે, “મજૂર મહાજનમાં પગારને નામે મશ્કરી જ હતી, છતાં ઝુંપડપટ્ટીમાં કામકરવામાં જે સંતોષ મળ્યો એણે આર્થિક વેદનાને શીતળ લેપ કરી આપ્યો. દિવસરાત જોયા વિના મજૂરોસાથે કામ કરવા મળ્યું. આંગણવાડી માટે આધાર સાહિત્ય અને અભ્યાસક્રમ તૈયાર કરીને સંચાલન કર્યું.ઉપરાંત,મજૂરોનાં બાળકો માટેની સાવ સસ્તી એવી એક સાથે ૧૫૦ જગ્યાએ ચાલી શકે તેવી ટ્યુશન–યોજના તથા કેટલીય જાતના વ્યાવસાયિક તાલીમ વર્ગોનું આયોજન અને તેનું સંચાલન કર્યું. આ કામનો બદલો ભારત સરકારમાંના શ્રમિક–શિક્ષણક્ષેત્રનું કામ સોંપાતાં મળી ગયો. અહીં મારા જીવનમાંના લોકભારતી અને મજૂર મહાજન બન્નેના વારસાનું સુંદર સંકલન હું કરી શક્યો.” યુનેસ્કોના સહકારથી ભારતમાં સૌથી પહેલી શ્રમિક વિદ્યાપીઠ મુંબઈમાં ૧૯૬૭માં સ્થપાઈ હતી. બીજી વિદ્યાપીઠ અમદાવાદમાં ૧૯૭૬માં સ્થપાઈ જેમાં એમને સૌથી સીનિયર અધિકારી તરીકે નિમવામાં આવ્યા. અહીં એમનેનવો ઢાંચો અને નવી પ્રણાલીઓ પાડવાની તક મળી. અહીં એમનું કાર્ય,એમના શબ્દોમાં, “સાવ ઓછું ભણેલાં અનેક બહેનો–ભાઈઓને, સારા અનેસફળ શિક્ષકો તરીકે તૈયાર કર્યા; આ જ શિક્ષકોએ, પછી તો ચાર્ટવગેરેજેવાં શિક્ષણસાધનો તૈયાર કર્યાં; કેટલીક સાવ ઓછું ભણેલી બહેનોએબચતમંડળો બનાવીને હજારો રૂપિયાનો વહીવટ કર્યો; કેટલાય લોકોનાં વ્યસનો છોડાવી શકાયાં; અનેક લોકો પોતાના સ્વતંત્ર વ્યવસાયો કરીનેપગભર થયાં….”
૧૯૯૮માં જુગલકિશોરભાઈએ લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનાં ૧૩૦ જેટલાં કુટુંબોને એકત્ર કરી ‘નૉળવેલ’ નામથી એક મંડળ ઊભું કર્યું. બધાં કામો વચ્ચે પણ તેમનામાં રહેલી લેખન શક્તિ અને સંપાદન ક્ષમતા ખીલતી રહી જે આજે પણ લોકભારતીના મુખપત્ર “કોડિયું”ના સહતંત્રી તેમજગુજરાતી ભાષા પરિષદના જોડણી વિષયક પ્રચાર–પ્રસાર કાર્ય સુધી સક્રીય રહેવા પામી છે. “શ્રમિક શિક્ષણની દિશામા”, “એક ચણીબોરની ખટમીઠી”, “ઔષધીય ગાન ભાગ ૧–૨”,“સ્વ. શોભન સ્મૄતિ ગ્રંથ” અને “મારા વિષે હું અને એક વી.આઈ.પી. ની આત્મકથા” જેવા પુસ્તકોનું લેખન–સંપાદન તેઓએ કર્યું છે.એટલું જ નહિ, “શ્રમિક શિક્ષણ”,“નૉળવેલ”, “આયુક્રાંતિ” જેવાં સામયિકોનું સંપાદન પણ તેમણે કર્યું છે.
બ્લૉગ–જગતમાં જુગલકિશોર વ્યાસ નામ ન જાણતા હોય એવા બહુ ઓછા લોકો હશે. શરૂઆતમાં “ગાંધીદર્શન” અને “મારા ગુરુવર્યો” નામના બ્લૉગ્સનું સંચાલન કર્યા બાદ આજે પોતાનું આગવું “નેટ ગુર્જરી” અને સહિયારી સાઇટ “વેબ–ગુર્જરી” નામના બે ખૂબ જાણીતા બ્લૉગમાં તેઓ સક્રિય છે.
વિશ્વભરમાંના ગુજરાતી બ્લૉગમાંથી પોતાની પસંદગીના બ્લૉગ અંગેનો સર્વે થયો ત્યારે સેંકડો ગુજરાતી બ્લૉગમાં પ્રથમ ૧૦ બ્લૉગમાં તેમનો બ્લૉગ ‘નેટગુર્જરી’ પસંદગી પામ્યો હતો જ્યારે ઇન્ડિયન બ્લૉગર દ્વારા થયેલી પસંદગીમાં ગુજરાતી બ્લૉગ્સમાં તેમનો ઉપરોક્ત બ્લૉગ પ્રથમ આવ્યો હતો.
જુગલકિશોરભાઈના જીવનનાં અનેક પાસાં આ નાનકડા લેખમાં આવરી લેવાનું શક્ય નથી.સાહિત્ય ક્ષેત્રમાં એમનું યોગદાન, ગુજરાતી ભાષાની જોડણી, વ્યાકરણ અનેકવિતાઓના બંધારણ શીખવતું પિંગળશાસ્ત્ર વગેરેનો ઉલ્લેખ કરવા બેસું તો બીજાં બે પાનાં ઉમેરવા પડે. એમના વધારે પરિચય માટે તો તમારે માત્ર ગુગલની મદદ જ લેવી રહી.
– પી. કે. દાવડા