(૦૧) – વિનોદ ગણાત્રા


ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહુ લાઈમલાઈટમાં નહીં આવેલી એક પ્રતિભા છે વિનોદ ગણાત્રા. કદાચ ભારતમાં તેમને, તેમની ફિલ્મોને ઓળખનારા હશે તેના કરતાં વિદેશોમાં વધારે હશે. તેમની ફિલ્મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સ ગજાવે છે. તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં જયુરીના સભ્ય તરીકે પણ આમંત્રણ મળે છે.

‘હેડા હૂડા’, ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’. આવી ફિલ્મોનાં નામ સાંભળ્યાં છે? નથી સાંભળ્યાં ને? તો જાણી લો કે ‘હેડા હૂડા’ પંચાવન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ ચૂકી છે, તો ‘લુક્કા છુપ્પી’ બાવીસ અને ‘હારુન-અરુણ’ બે ડઝન ફેસ્ટિવલની શોભા બની ચૂકી છે. આ ત્રણેય ફિલ્મોના દિગ્દર્શક છે આપણા ગુજરાતી વિનોદ ગણાત્રા. ‘હારુન-અરુણ’ તો ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં શૂટ થયેલી ફિલ્મ છે, જેને શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સુપ્રતિષ્ઠિત ‘લીવ ઉલમાન પીસ પ્રાઈઝ’ મળેલ છે.

કેતન મહેતાની ફિલ્મ ‘ભવની ભવાઈ’ (૧૯૮૦) પછી આટલું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન કોઈ ગુજરાતી ફિલ્મને મળ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

વિનોદ ગણાત્રા એ. દિગ્દર્શક તરીકે ફિલ્મો તો તેમણે ત્રણ જ બનાવી છે ‘હેડા હૂડા’, ‘લુક્કા છુપ્પી’ અને ‘હારુન-અરુણ’, (ત્રણેય ફિલ્મોનું નિર્માણ ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા’એ કરેલું છે) પરંતુ આ ત્રણ ફિલ્મો બનાવતા અગાઉ તેઓ ૪૦૦ જેટલી ડોકયુમેન્ટરી અને ન્યૂઝરીલનું દિગ્દર્શન-એડિટિંગ કરી ચૂક્યા છે તથા ૨૫ જેટલા જુદા-જુદા ટીવી કાર્યક્રમો પણ બનાવી ચૂક્યા છે.

ચાલો જાણીએ કે કેવી રીતે શરૂ થઈ તેમની આ દિગ્દર્શક તરીકેની યાત્રા તેમના જ શબ્દોમાં.

‘હું તો ભાઈ, મુંબઈના ઘાટકોપરમાં આવેલી ઝુનઝુનવાલા કોલેજમાં કલર્ક હતો, પણ એક રોંગ નંબરે મારી જિંદગી જ બદલી નાખી અને એ રોંગ નંબરને લીધે જ હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ચઢ્યો. બાકી અમારા કચ્છી પરિવારમાંથી ફિલ્મમાં કોઈ નહીં. વળી, કચ્છી લોકોમાં તો ફિલ્મલાઈન ખરાબ લાઈન તરીકે જ ઓળખાય, પણ મને રસ ખરો. બીજું કે હું લોઅર મિડલ કલાસનું બાળક. મારા પિતાજી ડોક પર ક્લિયરિંગ એજન્ટનું કામ કરતા. મને ગમે તેટલો રસ હોય તો પણ ફિલ્મોનાં સપનાં જોવાં આપણું ગજું નહીં કારણ કે સારો સ્ટીલ ફોટોગ્રાફીનો કેમેરા પણ ખરીદવાના વેંત નહોતા.

આર્થિક કારણોસર જ કોમર્શિયલ આર્ટનો અભ્યાસ અધૂરો મૂકીને નોકરી પર લાગી જવું પડ્યું હતું. ઝુનઝુનવાલા કોલેજમાં કલર્ક તરીકે કામ કરતો. સાંજની કોલેજમાં મારી ડ્યૂટી હતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડતો હતો. કોલેજમાં હું એકલો જ હતો ત્યારે એક ભાઈનો ફોન આવ્યો, એ ભાઈએ કહ્યું કે તમારી કોલેજની સામે જ હું રહું છું. ત્યાં મારી વાઈફ પ્રેગ્નન્ટ છે અને એકલી છે. પ્લીઝ તમે મારી વાઈફને મેસેજ આપો કે હું સલામત છું અને મારી ચિંતા ના કરે. હું કાલે જ ઘરે આવી શકીશ. મને એ ભાઈની વાતમાં સચ્ચાઈ લાગી એટલે મેં સામે ઝૂંપડપટ્ટીમાં તેનું ઘર શોધીને તેની પત્નીને મેસેજ આપ્યો કે તારો પતિ કાલે આવી જશે, તું ચિંતા ના કરીશ. એ પછી પેલા ભાઈ મારો આભાર માનવા માટે મળવા આવ્યા અને કહ્યું કે, તમારે શુટિંગ જોવું હોય તો કહેજો. મને શોખ તો હતો જ, પણ પહેલા ક્યારેય મોકો નહીં મળેલો, એટલે મેં તો એ ભાઈનું તરણું પકડી લીધું. એક દિવસ તેણે કહેલા મોડર્ન સ્ટુડિયો પર ગયો. ત્યાં ખબર પડી કે તે ભાઈ ઓફિસમાં પ્યૂન હતા. એમની ઓળખાણથી હું સ્ટુડિયોના ચક્કર કાપવા લાગ્યો. એક દિવસ મીનાકુમારીની ફિલ્મ ‘અભિલાષા’માં પ્રોડક્શન યુનિટમાં કોઈ વ્યક્તિની જરૂર હતી, એટલે મને એ જોબ ઓફર મળી. હું તો નોકરી છોડી પ્રોડક્શનના કામમાં લાગી ગયો.

દિગ્દર્શક કાંતિલાલ દવેએ મને એડિટિંગ શીખવા કહ્યું, એટલે હું એડિટિંગ શીખવા લાગ્યો. પછી સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું અને પછી દિગ્દર્શક-એડિટર તરીકે ડોકયુમેન્ટરી કરવા લાગ્યો. અમદાવાદ દૂરદર્શન માટે ધીરુબહેનની વાર્તા પરથી ‘નાગરદાસની હવેલી’ સિરિયલ બનાવી હતી. દિલ્હી દૂરદર્શન માટે ‘બેંગનદાદા’ બનાવી. મરાઠીમાં પણ ચાર સિરિયલો બનાવી. જીવનના બાવનમા વર્ષે મેં ફિલ્મમાં ઝંપલાવ્યું અને ‘હેડાહૂડા’થી શરૂઆત કરી.’

વિનોદભાઈની ફિલ્મોમાં બાળકો કેન્દ્રિય સ્થાને હોય છે. તેમની ત્રણમાંથી બે ફિલ્મોનું બેક ડ્રોપ કચ્છ છે. તેઓ કહે છે કે,

‘મને બાળકોના પ્રોગ્રામો અને તેમની વાતો વધારે ગમે છે. બે દાયકા કરતાં વધુ સમયથી હું બાળકોની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું, મારી ‘બેંગનદાદા’ સિરિયલ દૂરદર્શન પર ૧૭ વાર પ્રસારિત થઈ છે. ત્યારથી છોકરાઓ સાથે કામ કરવાની મજા પડે છે. વળી છેલ્લાં વીસ વર્ષથી હું આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ સાથે સંકળાયેલો છું. બીજી વાત કે કચ્છ એ મારું મૂળ વતન છે. બાળપણથી કચ્છ સાથેનો મારો ગાઢ નાતો રહ્યો છે. એટલે જ મારી ફિલ્મોમાં પણ કચ્છ જોવા મળે છે.’

તેમની ‘હેડા હૂડા’ ફિલ્મ દુનિયાના ૫૮ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી. તેઓ કહે છે કે,

‘જીવનભર મારે તો બાળકો માટે સારી સારી ફિલ્મો બનાવતા રહેવું છે, એ જ મારો ધ્યેય છે, પરંતુ બાળકોના વાલીઓને હું એક વાત ખાસ કહેવા માગું છું કે, મા-બાપ બાળકોને સારી ફિલ્મો બતાવવા માટે જાગૃત થાય તે બહુ જરૂરી છે. બાળકને સારું જમવાનું આપવા માટે, સારાં કપડાં આપવા કટિબદ્ધ હો તો બાળકને સારું મનોરંજન આપવા પ્રત્યે પણ કટિબદ્ધ બનો.’

–પી.કે.દાવડા

આ લેખ અહીં પણ વાંચો : “ગુજરાતી પ્રતિભા પરિચય – (વિનોદ ગણાત્રા)”

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)