Tag Archives: પ્રસ્તાવના

આરણ્યક – પ્રસ્તાવના અને પરિચય

મિત્રો, નમસ્કાર.
હમણાં આંગળાને બદલે આંખો (અને મગજ !)ને મહેનત પડે તેવા કારભારમાં પડ્યો હતો. અર્થાત, લખવા કરતાં વાંચવામાં વધારે રસ (કેરીમાં તો ખરો જ, આ એ ઉપરાંતની વાત છે !) પડ્યો. આમે હમણાં બે-ચાર દહાડા પહેલાં જય વસાવડાએ ઉલ્લેખ્યું એક અવતરણ, રે બ્રેડબરીનું, વાંચવામાં આવ્યું કે, ’દુનિયાના ભલા માટે નહિ, મજા પડે એ માટે લખો.’ તો લો હવે મજા પડી !!

આરણ્યક – બિભૂતિભૂષણ બંદોપાધ્યાય
અનુવાદક: ડૉ.ચંદ્રકાન્ત મહેતા
સાહિત્ય અકાદેમી દ્વારા પ્રકાશન. પ્રથમ આવૃત્તિ : ૧૯૬૧

મિત્ર ભાવેશભાઈ (ગાર્ડન કાફે વાળા) મને સુખેથી કેરીના રસનો આસ્વાદ માણી નિરાંતવા જંપતા જોઈ ન શક્યા ! (મિત્ર ખરાને ? મિત્રનું સુખ શેં જોઈ શકે ?!) તે પોતાનાં મોંઘેરા પુસ્તકસંગ્રહને ફંફોળી તેમાંથી અર્ધજીર્ણ થયેલું પણ અનમોલ રતન સમાન એક પુસ્તક ખોળી કાઢી મને વાંચવા (માત્ર વાંચવા જ હોં, રાખવા નહિ !) પધરાવી ગયા. હવે લેખકશ્રીની સિદ્ધહસ્તતા હોય કે પછી અમારા મનનો વહેમ ! (આપણાં ભુપેન્દ્રસિંહજી માનવમનનાં અને તેની ગતિવિધિઓનાં પારખું છે તે આ વિષયે થોડો શ્રમ લઈ શકે છે !) પણ કાળે ઉનાળે, ’પથેર પાંચાલી’નાં લેખક, બંગાળી ભાષાનાં અમર નવલકથાકાર શ્રી બિભૂતિભૂષણ બંદોપાધ્યાયનું પુસ્તક, “આરણ્યક” માંહ્યલાં અરણ્યનું વર્ણન વાંચતા અમને જાણે શીતલ અને સુગંધિત વાયરાઓ વીંટળાઈ વળ્યા હોય એવો ભીનોભીનો ભાસ થયો. (આ ભીનાશ એટલે અરણ્ય માંહ્યલાં ભોળાં મનેખોની અને નગદ નારાયણની પૂજા અર્ચના અર્થે માનવી (?) દ્વારા પોતાનાં બાલુડાં સમા વૃક્ષ, વેલા અને પશુપંખીઓનો કચ્ચરઘાણ નિહાળતી મૂંગીમંતર પ્રકૃતિની વ્યથા જાણી આંખોની પાંપણે ચોંટેલી ઝાકળ જેવી ભીનાશ માત્ર !) તો આવો પ્રથમ આપણે પ્રસ્તાવના દ્વારા આ પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય કેળવીએ. (વચ્ચે વચ્ચે કૌંસમાંનાં વાક્યો મારાં લખેલાં સમજવા)      

લેખકની પ્રસ્તાવના
’આ ભ્રમરવૃતાંત કે ડાયરી નથી. આ છે નવલકથા. શબ્દકોષમાં નવલકથા વિષે લખ્યું છે, કે નવલકથા એટલે કલ્પિત કથા. શબ્દકોષના પંડિતની વ્યાખ્યા મને મંજૂર છે. પરન્તુ ’આરણ્યક’ની પટભૂમિ તદ્દન કપોલ કલ્પિત નથી. કોશી નદીની પેલી પાર આ પ્રકારનાં દિગન્તવિસ્તીર્ણ આરણ્યપ્રોતર પૂર્વે પણ હતાં. આજે પણ છે. …’

’કલકત્તા શહેરની ધાંધલધમાલમાં ને કામકાજમાં રોજ હું ગળાંબૂડ ડૂબેલો રહેલો એવો હું જ્યારે લવટૂલિયા બઈહાર કે આઝમાબાદનો એ અરણ્ય-ભૂભાગ; એ જ્યોત્સ્ના, એ તિમિરમય સ્તબ્ધ રાત્રી; ઘૂ ઘૂ કરતાં કાશ ને ઝાઉનાં જંગલો; મોડી રાત્રે નીલ ગાયોનાં દલનો દ્રુતપદધ્વનિ, ધખધખતા બપોરે સરસ્વતીકૂંડના પાણીની ધારે તરસી જંગલી ભેંસ, એ અપૂર્વ ને અનન્ય એવા શિલાખંડવાળા મેદાનમાં રંગબેરંગી વનફૂલોની શોભા, ને ખીલતાં રક્તપલાશનાં ઘીચ જંગલોની વાત વિચારું છું, ત્યારે મનમાં થાય છે. કે કોઈ રજાના દિવસની સાંજે તંદ્રાભર્યો હું એક સૌંદર્યસભર જગતના સ્વપ્નને જોતો હતો. એવું જગત કે જે આ દુનિયામાં ક્યાંય છે જ નહિ.

કેવળ વન ને મેદાનો જ નહિ; કેટકેટલા પ્રકારનાં માણસો મેં જોયાં હતાં ! …’ (અને અહીં લેખક પોતાનાં કેટલાંક પાત્રોનું સ્મરણ કરે છે)

’આ બધા લોકોની વાતો મારે કહેવી છે. આ દુનિયામાં જે માર્ગે સભ્ય માણસોની અવરજવર બહુ ઓછી છે. એ માર્ગમાં કોણ જાણે કેટલીયે અદ્‌ભુત જીવનધારાઓ અજાણ્યા મેદાનને અરણ્ય પ્રદેશમાંથી વહે છે. શાંતિથી કશાય શોરબકોર કર્યા સિવાય તેમનાં સ્મરણોને પણ હું ભૂલી શક્યો નથી.

પણ મારાં આ સ્મરણો આનંદદાયી નથી; દુઃખદાયી છે. સ્વચ્છંદ પ્રકૃતિની એ લીલા ભૂમિ – મારો વનદેવતા – મને કદીયે માફ નહિ કરે, પણ મેં સાંભળ્યું છે, કે પોતાનો ગુનો પોતે જ કબૂલ કરવાથી ગુનાનો ભાર થોડો હળવો બને છે.

એથી જ આ વાર્તા જન્મી છે.’

આ પુસ્તકની પ્રસ્તાવના સુનીતિકુમાર ચેટરજીએ લખી છે. તેઓ લખે છે;

’આરણ્યક એ બંગાળી તેમ જ ભારતીય સાહિત્યની એક મહાન કૃતિ છે. એ અરણ્યની ગદ્યકવિતા છે. … કર્તાએ અરણ્યની અને આદિવાસી ગામડાંની ભૂમિકામાં સહાનુભૂતિપૂર્વક, અને પ્રતીતિકર રીતે માનવનું અને એની આસપાસના વાતાવરણનું મનોરમ ચિત્ર આલેખ્યું છે. આ રીતે પ્રત્યક્ષ અનુભવ અને સહાનુભૂતિને રંગે રંગાયેલું માનવ અને પ્રકૃતિનું અત્યંત આકર્ષક ચિત્ર આલેખતું આ કાવ્ય છે. …’

કૃતિનો સંક્ષેપ પરિચય આપતાં તેઓ જણાવે છે;

’આ પુસ્તકમાં વાર્તાતત્ત્વ અથવા કથન બહુ થોડું છે. એક ઉચ્ચ સંસ્કારી બંગાળી ’ગ્રૅજ્યુએટ’ કે જે શાળામાં શિક્ષક હતો, પછી નોકરી જતાં કલકત્તામાં એક પછી એક કડવા અનુભવો મેળવતો હતો, તેના અરણ્યના અનુભવોની કહાની છે. સારે નસીબે એને એનો કોલેજનો મિત્ર અકસ્માત મળી જાય છે. એ મિત્રને એની સાહિત્યિક શક્તિ માટે આદર હતો. એ મિત્રનાં મોટા જંગલો હતાં, અને એ જંગલો કાપીને ત્યાં ખેડૂતોને વસાવવાનો યા તો ઢોરોને ચરાવવાનો એનો ઈજારો હતો. એના પ્રતિનિધિ તરીકે એ જંગલોમાં જાય છે. આ કથાનો નાયક જે પોતાના અનુભવો આ કથામાં નિરૂપે છે, તે બંગાળાની સરહદ પરના ઉત્તર બિહારના ગાઢાં જંગલવિસ્તારમાં જઈ પહોંચે છે. ત્યાં, ગણોતિયાને વસાવીને, જંગલને બાળીને કે તેનો વિનાશ કરીને, જમીનને ખેડવાયોગ્ય બનાવે છે, અને ડુંગરની તળેટીની જમીનને ચરાણ માટે આપે છે, અને જંગલના ઉત્પાદનની દૂર-દૂરનાં શહેરોમાં નિકાસ કરે છે. આ રીતે જે જંગલો તરફ એને અનહદ પ્રેમ ઉત્પન્ન થાય છે, તે જ જંગલના વિનાશ માટે એ કારણભૂત બને છે. …’ (આગળ લેખકની પ્રસ્તાવનામાં ’પોતાનો ગુનો પોતે જ કબૂલ કરવાથી ગુનાનો ભાર થોડો હળવો બને છે’ વાચ્યું તેનો મર્મ હવે સમજાયો ?)

’આ કૃતિમાં ક્રમેક્રમે આપણી સમક્ષ જે જે પાત્ર આવતું જાય છે, તે પ્રત્યેક પાત્ર જીવંત વ્યક્તિ છે. વળી એ પાત્રો શહેરથી ખૂબ દૂર હોવાને લીધે એમનામાં આદિકાળના માનવીની પ્રામાણિકતા અને સરળતા છે. ગામડામાં અને અરણ્યની મધ્યમાં અથવા અરણ્યની સરહદ પર રહેતાં માનવીઓનાં એ સાચાં પ્રતિનિધિ છે. તુલસીદાસનું રામાયણ વાંચવામાં જ જેના જીવનનો સર્વ આનંદ સમાયેલો છે એવો સરળ વૃદ્ધ બ્રાહ્મણ રાજુ પાંડે; નૃત્યકળામાં પ્રવીણ એવો સાચો કલાકાર બાળક ધત્તુરિયા; અત્યંત કરુણ અને દુઃખદ પરિસ્થિતિમાં અસાધારણ હિંમત દર્શાવનાર અને સાચી સેવાવૃત્તિ રાખનાર વિધવા કુન્તા; સાચો વનસ્પતિશાસ્ત્રી અને સુંદર પુષ્પો તથા અવનવા છોડવાનો રસિયો જુગલપ્રસાદ (અહીં કદાચ ઉચ્ચારભેદ છે, કથામાં પાત્રનું નામ યુગલપ્રસાદ છે. જો કે પાત્રની ઓળખ થતાં મને અહીં વનસ્પતિને સ્થાને “ભાષા” અને પુષ્પ તથા છોડવાને સ્થાને “શબ્દ” મેલો તો આપણાં જુગલ (કીશોર) યાદ આવ્યા !); પરિસ્થિતિને લીધે ખેડૂતની છોકરી જેવી બની ગયેલી ને ગરીબીને લીધે જીવનનો ઢસરડો ઢસડતી, અને ઉજ્જવળ ભાવિની બધી આશા જેની નાશ પામી છે એવી બંગાળી ડૉક્ટરની અનાથ બાલિકા; પ્રાથમિક શાળા ખોલવાની આશાથી પ્રત્યેક નવા વસવાતમાં એક સ્થાનેથી બીજે સ્થાને ભમતો શિક્ષક ગનોરી તિવારી; વ્યાકરણશુદ્ધ અને આકર્ષક હિંદી લખવા માટે સ્થાનિક હિંદી અખબારે જેને પ્રમાણપત્ર આપ્યું હતું એવો બિહારનો ગામડાનો કવિ (વ્યંકટેશ્વરપ્રસાદ), એની સરળતા, અને એની સુન્દર તેમ જ સરળ પત્ની (રૂકમા); લોકો જેનાથી હંમેશ બીતા અને જેની આસપાસ કશું આકર્ષણ નહોતું એવો વ્યાજનો ધંધો કરતો ત્યાંનો જુલમગાર સિપાઈ મુનાવરસિંહ (અહીં પણ ક્ષતિ છે, ખરેખર રાસબિહારીસિંગ નામ છે); સંસ્કૃત પાઠશાળા ખોલીને થોડા વિદ્યાર્થીઓને શીખવવા માટે ઉત્સાહી એવા મુક્તનાથ પંડિત (અહીં પણ સાચું નામ છે મટુકનાથ પાંડે); જેનામાં સાચું રાજાશાહી ગૌરવ હતું એવો આદિવાસી રાજા દોબરૂ પાન્ના; એની પ્રપૌત્રી યૌવના ભાનુમતી (ભાનુમતિ)કે જેનું ચિત્રણ લેખકે એટલી સહાનુભૂતિથી અને કુમાશથી કર્યું છે, અને જેની આસપાસ મધુર રોમાંચક વાતાવરણ ઊભું કરીને એનો વિચાર કરતાંની સાથે વાચકના હૃદયમાં એક જાતની દુઃખદ સંવેદના ઊભી કરે છે – એ સર્વે પાત્રો એ જીવંત ચિત્રોની હારમાળા, ને જે વાતાવરણમાં એ સર્વે છે તે વૃક્ષો, પાંદડાં, પુષ્પો અને ઝરણાં, તરણાં અને નીલ આકાશ જેટલી જ વાસ્તવિક અને સત્યમય છે. …’

’માનવના અનિવાર્ય આક્રમણને પરિણામે પ્રકૃતિને શી રીતે પીછેહઠ કરવી પડે છે તેના નિરૂપણ તરીકે આ કૃતિ અનન્ય રહેશે. … હિંદની જુદી જુદી ભાષા બોલનારાઓ આ મહાન કૃતિનો રસાસ્વાદ માણી શકશે (તેનાં ભાષાંતરો દ્વારા), અને મારી જેમ એક વાર વાંચ્યા પછી સ્વસ્થ બેસી નહિ રહે એવી અપેક્ષા છે.’

શ્રી.ચેટરજીનું ઉપરોક્ત વાક્ય વાંચતા મને ટોલ્સ્ટોય કૃત ’ત્યારે કરીશું શું?’ની યાદ આવી. જે માટે કહેવાયું હતું કે, આ કૃતિ વાંચ્યા પછી ભાગ્યે જ કોઈ એવો (મનુષ્ય) હશે જે થોડા દિવસ નિરાંતે બેસીને ખાઈ શકે !

તો આપણે આજે પ્રસ્તાવનાઓ મારફત આ સ_રસ કૃતિનો ટૂંક પરિચય મેળવ્યો. હવે પછીનાં લેખમાં આપણે આ કૃતિમાંથી સવામણ સવામણ સોને જોખાય તેવા અવતરણોનો રસાસ્વાદ માણીશું. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.

વધારે માહિતી:

* રીડ ગુજરાતી પર પરિચય અને પ્રથમ પ્રકરણ.

* લેખકશ્રીનો પરિચય – વિકિપીડિયા અંગ્રેજી પર.

* આરણ્યક (પરિચય) – અંગ્રેજી વિકિપીડિયા પર.

* રે બ્રેડબરીની લેખન વિષયક સલાહ.

* કથા વિસ્તાર આસપાસનો નકશો: