(૨૫) – પી. કે. દાવડા


p-k-davda

મારો જન્મ ૧૦મી માર્ચ, ૧૯૩૬ ના મુંબઈમાં થયો હતો. પિતાનો અનાજના જથ્થાબંઘ વેપારનો વિશાળ પાયા ઉપર ધંધો હતો. પિતા માત્ર ચાર ધોરણ સુધી જ ભણેલા હતા. બાને માત્ર થોડું લખતા વાંચતા આવડતું. ૧૯૪૧ માં પાંચ વર્ષની વયે મને નજીકની અંગ્રેજી શાળામાં દાખલ કર્યો હતો.

અમારૂં ઘર, મુંબઈના વિક્ટોરિયા ડોકથી માત્ર ૨૦૦ મીટર દૂર હતું. ૧૪મી એપ્રીલ, ૧૯૪૪ ના વિકટોરિયા ડોકમાં થયેલા બોંબના ધડાકામાં અમારી જીંદગી બદલાઈ ગઈ. પ્રભુ કૃપાએ અમારૂં આખું કુટુંબ હેમ-ખેમ બચી ગયું, બીજા અનેક કુટુંબોએ સ્વજનો ગુમાવેલા. બસ શરીર ઉપર પહેરેલા કપડા સિવાય બીજું બધું આગમાં સ્વાહ થઈ ગયું, મકાનની જગ્યાએ કાટમાળનો ઢગલો હતો. તે સમયની અંગ્રેજ સરકારે થોડા દિવસમાં જ દરેક કુટુંબની ચોકસી કરી તેમને વાજબી વળતર આપ્યું. અમે મુલુંડ નામના દૂરના પરામાં રહેવા ગયા. આ એક નાનકડું ગામડું હતું અને એમા અંગ્રેજી કે ગુજરાતી શાળા ન હતી, એટલે મને ઘાટકોપર નામના બીજા એક પરાની ગુજરાતી શાળામાં દાખલ કર્યો. ટ્રેનમાં મુલુંડથી ઘાટકોપર વીસ મીનિટ લાગતી. મને શાળામાં લઈ જવા અને ઘરે લાવવા એક નોકરનો બંદોબસ્ત કરેલો. મેં ત્રણ વર્ષ અંગ્રેજી શાળામાં અભ્યાસ કરેલો, એટલે મને ગુજરાતી શાળાને અનુકૂળ બનાવવા પ્રાઈવેટ ટ્યુશનની પણ વ્યવસ્થા કરેલી. ચોથા ધોરણમાં આવ્યા પછી બધું વ્યવસ્થિત થઈ ગયુ.

આઠમા ધોરણથી મેં શાળાની પ્રવૃતિઓમાં વધારે ઉત્સાહથી ભાગ લેવાનું શરૂ કર્યું. દશમા ધોરણમાં હું Captain of the School ચૂંટાયો અને શાળામાં પહેલીવાર ઊનાળાની રજાઓમાં બાળકોને રજડપાટમાંથી બચાવવા વિવિધલક્ષી “ગ્રીષ્મ પ્રવૃતિ”નું આયોજન કર્યું. આ પ્રવૃતિને લીધે મને સારી પ્રસિધ્ધી મળી. આ દરમ્યાન જ મને માઈક હાથમાં લઈ લોકોને સંબોધવાની પ્રેક્ટીસ થઈ.

૧૯૫૩ માં S.S.C. પરિક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી અને મુંબઈની ખાલસા કોલેજમાં Science Branch માં દાખલ થયો. ઈંટર સાયન્સમાં પુરતા માર્કસ ન મળવાથી મને મુંબઈ કે મહારાષ્ટ્રની બાકીની ત્રણ એંજીનીઅરીંગ કોલેજોમાં એડમીશન ન મળ્યું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં Faculty of Technology & Engineering માં સિવીલ એંજીનીઅરીંગમાં એડમીશન લીધું. પ્રથમ ત્રણ વર્ષ ફર્સ્ટ ક્લાસ અને છેલ્લા વર્ષમાં ડીસ્ટીંક્શન સાથે, યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે આવી, ૧૯૬૧માં B.E.(Civil) ની ડીગ્રી મેળવી, ભણતર પૂરૂં કર્યું.

૧૯૫૩ થી ૧૯૬૧ નો સમય ગાળો મારા માટે ખૂબ જ પ્રતિકૂળ હતો. ૧૯૫૩ માં મારા બાપુજીને ધંધામાં ન પૂરી શકાય એટલું મોટું નુકશાન થયું (આજના હિસાબે ત્રીસ કરોડ રૂપિયા), એમની પેઢીએ દેવાળું કાઢ્યું. જાહોજલાલીવાળું અમારૂં કુટુંબ રાતોરાત ગરીબ થઇ ગયું. જાહોજલાલીના સમયમાં મારી બાએ સારા એવા ઘરેણાં કરાવેલા. આ ઘરેણાં વેંચીને આઠ વર્ષ સુધી કુટુંબનું ભરણપોષણ ચાલ્યું. મારૂં મેટ્રીક પછીનું શિક્ષણ અતિ ગરીબીમાં થયું. છેલ્લા વર્ષની છેલ્લી ટર્મની ફી ભરવા મારે મિત્રની મદદ લેવી પડેલી. ૧૯૫૩ પહેલા અને ૧૯૬૧ પછી મને આવી આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી.

૧૯૬૧ થી ૧૯૭૧ સુધી મુંબઈની ખૂબ જ જાણીતી કંપની Larsen & Toubro Ltd. ના Construction વિભાગ Engineering Construction Corporation માં નોકરી કરી. અહીં મને વિશાળ કદના ઓદ્યોગિક પ્રોજેકટસનાં બાંધકામનો અનુભવ મળ્યો. બાંધકામમાં આંતર-રાષ્ટ્રીય કક્ષાની ટેકનિક્સ શિખવાના મોકા સાથે આ કંપનીના આંતર-રાષ્ટ્રીય ભાગીદારો, જાપાની, ઈટાલીઅન, જર્મન, સ્વીસ અને અમેરિકન એંજીનીઅરો સાથે કામ કરવાનો મોકો મળ્યો. ૧૯૬૪ માં જ્યારે ભારતમાં પહેલીવાર જ PERT/CPM વિષય દાખલ કરવા PERT ના શોધક ચાર્લસ જોન્સ અને CPM ના શોધક ડો. સ્ટીવ ડીંબીકી ભારત આવેલા ત્યારે National Institute of Industrial Engineering (NITIE) એ આખા દેશમાંથી માત્ર ૧૮ જણને વિવિધ ક્ષેત્ર(રેલ્વે, એરલાઇન્સ, સ્ટીલ ઉદ્યોગ, માઈન્સ, કનસ્ટ્રક્શન વગેરે) માંથી ટ્રેનિંગ માટે પસંદ કરેલા, તેમાં મારી પસંદગી થઈ હતી.

pkdavda_1 ૧૯૭૦ માં મારા લગ્ન એક હોમિયોપેથી ડોકટર ચંદ્ર્લેખા સાથે થયા. નોકરીમાં અનેક શહેરોમાં બદલી થતી, એમાંથી બચવા અને એક જ શહેરમા સ્થાયી થવા મેં ૧૯૭૨માં Larsen & Toubro Ltd. માંથી રાજીનામું આપ્યું અને P.K.DAVDA, Consulting Structural Engineer નામ રાખી, સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શરૂઆતના ત્રણ ચાર વર્ષ કઠણાઈઓ ભોગવી પણ પછી ખૂબ જ સફળતા મળી. ૧૯૭૭ માં Govt. of India ની Ministry of Finance તરફથી મને પ્રોપર્ટીના વેલ્યુઅર તરીકેનું લાઈસેંસ મળ્યું. ૧૯૮૫ સુધી Structural Engineer  અને Valuer બન્ને વિભાગોમાં કામ સંભાળ્યું. ૧૯૮૫ માં Structural Engineer તરીકેની પ્રેકટીસ બંધ કરી. ૧૯૯૪ માં મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો, ૧૯૯૮માં મારી દિકરી પણ વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ. ૨૦૦૦ માં મેં વેલ્યુઅર તરીકેની પ્રક્ટીસ પણ બંધ કરી, નિવૃતિ લીધી.

મારી પ્રોફેશનલ પ્રેકટીસ દરમ્યાન મેં Hospitals, Schools, Religious Places વગેરેને વિના વળતરે સેવાઓ આપેલી જેને લીધે મારા Social Contacts નો વ્યાપ વધ્યો હતો.

દિકરો M.S.(Computer Science) અને દિકરી Ph.D.(Pharmacy-PK/PD) કરી અમેરિકામાં જ સ્થાયી થઈ ગયા. ચારેક વાર હું અને મારી પત્ની બાળકોને મળવા અમેરિકા ફરી ગયા. બાળકો પણ દર વર્ષે ભારત આવી અમને મળી જતા. આખરે ૭૬ વર્ષની વયે આ ફેરા હવે નહિં ફાવે સમજી ૨૦૧૨ ના જાન્યુઆરીમાં કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા.

 ૧૯૫૩મા શાળા છોડ્યા પછી, ગુજરાતીમાં એકપણ નિબંધ, લેખ, વાર્તા કે કવિતા લખેલા નહિં. જાન્યુઆરી ૨૦૧૦ મા કોમપ્યુટરમા ગુજરાતી ફોન્ટની પ્રેક્ટીસ કરવા રમત રમતમા “ઘર બેઠે ગિરધારી” નામે એક કવિતા લખી. લગભગ એ જ ગાળામા, મને બ્લોગ એટલે શું એની  જાણ થઈ હતી, એટલે મેં શરૂઆત કરવા, આ કવિતા “રીડ ગુજરાતી”ના શ્રી મૃગેશ શાહને મોકલી આપી. એમણે એ ૨૯ જાન્યુઆરી ૨૦૧૦ના “રીડ ગુજરાતી”મા મુકી. સરસ કોમેંટ્સ મળ્યા. બસ થઈ ગઈ યાત્રાની શરૂઆત.

 આ સમયગાળા દરમ્યાન, સર્ફીંગ કરતાં કરતાં મને શ્રી ભરત સૂચકના “ગુજરાતિ”, “બ્લોગની જાણ થઈ.  હું જેમ જેમ લખતો ગયો તેમ તેમ  લેખ અને કવિતા આ બ્લોગમાં મૂકવાનું શરૂ કર્યું. જાતે જ પોસ્ટ મૂકવાની સગવડ હોવાથી મને આ બ્લોગ વધારે માફક આવ્યો. મોટા ભાગના લખાણોને સારા પ્રતિભાવ મળવા લાવ્યા. આ બ્લોગને લીધે મારી બ્લોગ મૈત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ (સ્વપ્ન જેસાવરકર), શ્રી રમેશ પટેલ (આકાશદીપ), ડો. કિશોરભાઈ મોહનભાઇ પટેલ, બહેન પારૂ કૃષ્ણકાન્ત અને બહેન સીમા દવે સાથે થઈ. જોત જોતાંમા ૧૫૦ પોસ્ટ થઈ ગઈ. કેટલાક લેખ અને કાવ્યો અન્ય લોકએ પોતાના બ્લોગમાં રીબ્લોગ કર્યા.  જાન્યુઆરી ૨૦૧૦થી જાન્યારી ૨૦૧૨ સુધી મુંબઈથી લેખ અને કવિતા ગુજરાતી બ્લોગમા મૂકતો રહ્યો. મારા બ્લોગના કોઈપણ બે લખાણ ના વિષયમા ક્યાંયે દૂર દૂરનો પણ સંબંધ ન હતો. મનમા આવે એ વિષય પર, મનમા આવે તે લખતો. કંઈ પણ પ્લાનીંગ નહિં, કંઈ પણ એડીટીંગ નહિં. લોકોના પ્રતિભાવ પરથી સમજાઈ  જતું કે મેં કેવું લખ્યું છે. મારા બધા જ લખાણ મારા જીવનમાં જોયેલી, અનુભવેલી, સાંભળેલી અને સમજેલી ઘટનાઓ પર આધારિત હતા. કોઈની લાગણીને ઠેસ ન પહોંચે એ વાતનું હું ખાસ ધ્યાન રાખતો.

કેટલાક મિત્રો મારૂં નામ પૂછે છે. મારૂં નામ પુરૂષોત્તમ છે, પણ શાળાના સમયથી જ મારા શિક્ષકો અને મિત્રો “પીકે” કહીને બોલાવતા. આજે મને પુરૂષોત્તમ નામે ભાગ્યે જ કોઈ ઓળખે છે એટલે મેં મારી ઓળખ જાળવવા “પીકે દાવડા” ચાલુ રાખ્યું. ૧૯૬૧ પછી, હું એંજીનીઅર હોવાથી, મારી બીજી ઓળખ “દાવડા સાહેબ” તરીકે બની, જે પહેલી ઓળખ કરતાં પણ વધારે પ્રચલિત છે. હવે તો મારી આ ઓળખ મેં પણ સહજપણે સ્વીકારી લીધી છે.

૨૦૧૨ના જન્યુઆરીમા હું કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યો. અહીંથી પણ મેં બ્લોગ્સ માટે લખાવાનું ચાલુ રાખ્યું. અહીં આવ્યા બાદ મારા બ્લોગ મિત્રોમા થોડી વ્યક્તિઓનો ઉમેરો થયો. આમાના લગભગ બધા જ બ્લોગ જગતમા ખૂબ જાણીતા છે. “અક્ષરનાદ” ના શ્રી જીગ્નેશ અધ્યારૂ, “ગદ્યસૂર” અને બીજા અનેક બ્લોગ્સના સંચાલક શ્રી સુરેશ જાની, “વિલિયમ્સ ટેલ્સ” ના શ્રી વલીભાઈ મુશા, “આકાશ દીપ” ના શ્રી રમેશ પટેલ, “ચંદ્ર પુકાર”ના ડો. ચંદ્રવદન મિસ્ત્રી, “વિનોદ વિહાર” ના શ્રી વિનોદભાઈ પટેલ, “હાસ્ય દરબાર” ના ડો.રાજેન્દ્ર ત્રિવેદી, “વિજય નું ચિંતન જગત” ના શ્રી વિજય શાહ, “શબ્દોનું સર્જન” ના બહેન પ્રજ્ઞા દાદભાવાલા, “Net-ગુર્જરી”ના શ્રી જુગલકિશોર વ્યાસ, અને “નિરવ રવે”ના બહેન પ્રજ્ઞા વ્યાસ. આ બધા મહાનુભવોએ મને ખૂબ ઉત્સાહ આપી લખવાનું ચાલુ રાખવા પ્રેર્યો છે, નહિં તો કદાચ થાકી જઈ ને મેં બ્લોગ્સમા લખવાનું બંધ કર્યું હોત.

બ્લોગ્સે મને નિવૃત્તિમા પ્રવૃતિ પૂરી પાડી છે. અમેરિકામા મારી એકલતા દૂર કરવાનું માધ્યમ આપ્યું છે. ભારત, અમેરિકા, યુ.કે., કેનેડા, ઓસ્ટ્રેલીઆ, આફ્રીકા અને મિડલ ઈસ્ટના લોકો સાથે સંપર્ક કરાવ્યો છે. અનેક લોકો મને માનથી  દાવડા સાહેબ કહી સંબોધે છે. જીવનના ૭૯ મા વર્ષમા આનાથી વિશેષ જોઈએ પણ શું?

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)