(૨૪) – શ્રીમતિ મેઘલતાબહેન મહેતા


MMમેઘલતા બહેનનો જન્મ ૧૯૨૭માં વીસનગરમાં થયો હતો. પિતા વકીલ તરીકે પ્રેકટીસ કરતા. મેઘલતા બહેને નવમા ધોરણ સુધીનો અભ્યાસ વડોદરાની મહારાણી કન્યાશાળામાં કરેલો. આ સમય દરમ્યાન એમણે શાળાના પ્રત્યેક ઉત્સવમાં, નૃત્ય અને નાટકમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલો. કેટલીયેવાર એમને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાદના હસ્તે ઈનામ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું. દસમા તથા અગિયારમા ધોરણનો અભ્યાસ તેમણે પાટણમા રહીને કરેલો. એ દરમ્યાનમાં એમના પિતાની ઈલોલમાં જજ તરીકે નિયુક્તિ થતાં, થોડો સમય એમને ફૈઈબાને ઘરે રહી મેટ્રીક સુધીનો અભ્યાસ પુરો કરવો પડેલો.

૧૯૪૦ અને ૧૯૪૭ વચ્ચેનો સમયગાળામાં આઝાદીની ચળવળ એની પરાકાષ્ટાએ હતી. આ સમયમાં ઉછરેલા બાળકોએ વત્તેઓછે અંશે આ ચળવળમાં ભાગ લીધેલો.મેઘલતા બહેન જ્યારે ૧૦ મા ધોરણમાં હતા ત્યારે, ૧૯૪૨ ની ભારત છોડોના આંદોલનમાં સક્રીય ભાગ લેવા તેમણે એક આખો દિવસ અપવાસ કરી રેંટિયો કાંતેલો, અને ત્યારબાદ અનેક દિવસ સુધી એકટાણા કરેલા. પિતાની સરકારી નોકરી હોવા છતાં, કુટુંબમાં, સગાસંબધીઓમાં અને અડોસ-પડોસમાં આઝાદીની લડતના રંગમાં રંગાયલા લોકો વચ્ચે એમનો ઉછેર થયો હતો.

૧૯૪૪ માં મેટ્રીકની પરીક્ષા પાસ કર્યા બાદ, પાટણમાં કોલેજ ન હોવાથી, બે વર્ષ ભાવનગરમાં માસીને ત્યાં રહી, ફર્સ્ટ ઈયર અને ઈંટર આર્ટસનો અભ્યાસ કર્યો. અહીં એમના માસાના ભત્રીજા રશ્મિકાન્ત સાથે એમનો પરિચય થયો. ૧૯૪૪ માં રશ્મિકાન્ત સાથે એમનું સગપણ નક્કી થયું અને ૧૯૪૯ માં ખૂબ જ સાદી વિધીથી લગ્ન થયા. આ દરમ્યાન કોલેજમાં ઈતર પ્રવૃતિઓ, નૃત્ય, નાટક, સાહિત્ય સભાઓ વગેરેમાં મેઘલતા બહેને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને આને લઈને અભ્યાસ માટે પુરતો સમય ન ફાળવતા તેઓ ઈંટર આર્ટસની પરીક્ષામાં નાપાસ થયા.

ઈંટર આર્ટસમાં પાસ ન થવાથી, ફરી પરીક્ષા આપતા પહેલાના એક વર્ષના સમયને પસાર કરવા તેઓ માતા-પિતા પાસે ઈલોલ આવી ગયા. ઈલોલમાં એક નાની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હતી, એમને એ નોકરી મળી ગઈ. આ ઉપરાંત ત્યાંના દરબારગઢથી રજવાડાએ એમની ઠકરાણીને ભણાવવાનું કામ પણ સોંપ્યું. આમ એક વરસ જોતજોતાંમાં પસાર થઈ ગયું. ફરી પાછી કોલેજ જોઈન કરી, બાકીના બે વર્ષ પૂરા કરી, ૧૯૪૮ માં B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ બે વર્ષ દરમ્યાન પણ એમણે નાટ્ય પ્રવૃતિમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો એટલું જ નહિં પણ એ જમાનાના અતિ પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું. એક સ્પર્ધામાં તો તેમણે જયંતિ પટેલ (રંગલો)ને હરાવીને પ્રથમ ઈનામ મેળવ્યું.

દેશભક્તિના રંગે રંગાયલા મેઘલતાબહેને, ૧૫મી ઓગસ્ટ,૧૯૪૭ માં મળેલી આઝાદી ઉજવવા આગલી આખી રાત જાગીને અનાજના દાણાની ત્રિરંગાની રંગોળી બનાવી. એજ રીતે ૩૦ મી જાન્યુવારીએ ગાંધીજીની હત્યાથી આહત થઈ, ઉપવાસ કરી, વૈષ્ણવજન તો તેને રે કહીએ…. ગાંતાં ગાતાં દૂધેશ્વર સુધી ચાલિને ગયા. આવા આવા પ્રસંગો મેઘલતા બહેનના ઊર્મીશીલ સ્વભાવનો પરિચય કરાવે છે.

B.A. ની ડીગ્રી મેળવી મેઘલતાબહેને મહેસાણામાં માબાપ સાથે રહેવા પાછા ગયા અને ત્યાંની શાળામાં શિક્ષીકાની નોકરીમાં જોડાયા. ૧૯૪૯ માં રશ્મિકાન્તભાઇ સાથે લગ્ન થયા બાદ અમદાવાદ રહેવા ગયા, અને ત્યાં પણ શાળામાં શિક્ષીકાની નોકરી શરૂ કરી. આ ગાળા દરમ્યાન અમદાવાદ રેડિયો સ્ટેશન ઉપરથી રજૂ થતા નાટકોમાં કામ કરી ખૂબ નામના મેળવી. નાટકો સિવાય પણ રેડિયો સ્ટેશન ઉપરથી પ્રસારિત થતા અન્ય કાર્યક્રમો, જેવા કે હિન્દી શિક્ષણ, તાણા વાણા, સ્ત્રીઓ માટેના કાર્યક્રમો અને બાળકો માટે પ્રસારિત થતા કાર્યક્ર્મોમાં ભાગ લઈ ખૂબ જ જાણીતા થયા. એમની કાબેલિયતથી ખુશ થઈ, રેડિયો સ્ટેશનના ડાયારેકટરે એમને સ્ત્રીઓ માટેના કાર્યક્રમોના નિયામક તરીકે મહિને ૭૦૦ રૂપિયાના પગારવાળી નોકરીની ઓફર કરી, પણ એમની ઈચ્છા પતિ સાથે વડોદરા શીફટ થવાની હતી, એટલે એમણે રેડિયોની નોકરીનો અસ્વીકાર કર્યો.

વડોદરામાં એમણે શિક્ષીકા તરીકે બે-ત્રણ શાળાઓમાં નોકરી કરી, અને તે દરમ્યાન એમણે આગળ ભણવાનું ચાલુ રાખ્યું અને ૧૯૬૮ માં B.Ed., ૧૯૬૯ માં M.Ed.; ૧૯૭૩ માં M.A. ઉપરાંત નાટ્યશાસ્ત્રની અને સંગીતશાસ્ત્રની ડીગ્રીઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી મેળવી. ત્યારબાદ એમના પતિ રશ્મિકાન્તભાઈને અમેરિકાની Full Bright Scholarship મળી એટલે ૧૯૬૧માં પતિ સાથે અમેરિકા પ્રયાણ કર્યું. અમેરિકામાં માત્ર પતિની સ્કોલરશીપના પૈસાથી પૂરૂં થાય એમ ન હોવાથી મેઘલતા બહેને બેબી સીટીંગ, સિતાર વાદન, અને સ્ટોર્સમાં કામ કરી ગુજરાન ચલાવ્યું. અહીં અમેરિકામાં કેટલાક વિચીત્ર બનાવોએ એમને થોડી આર્થિક મદદ કરી આપી. Life મેગેજીને એમના ફોટા પાડી એમને ૫૦ ડોલર આપ્યા તો NBC એ પોતાના To-day Show માં સિતાર વગાડવા ૩૦૦ ડોલર આપ્યા. અમેરિકામાં રહીને તેમણે વધારે અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું અને એકટીંગ વિષય લઈ કોલંનિયા યુનિવર્સીટીમાંથી બે કોર્સ કર્યા. એક વર્ષ અમેરિકામાં ગાળી, ૧૯૬૨ માં બન્ને ભારત પાછા ફર્યા.

દેશભક્તિ અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ આ બે મેઘલતાબહેનના જીવનના અગત્યના પાસાં છે. છેક ૧૯૪૬ થી એમણે લખવાનું શરૂ કર્યું હતું. એમની રચનાઓ અખંડ આનંદ, સ્ત્રી જીવન, બાલ આનંદ વગેરે લોકપ્રિય સામયિકોમાં પ્રસિધ્ધ થતી. એમના પુસ્તકો “જ્યોત”, “પંચામૃત”, “ગટુની ગિલ્લી”, વગેરેને સારો આવકાર મળેલો. ટી.વી. માં ભવાઈના કાર્યક્રમોમાં પણ તેમણે ભાગ લીધેલો. એમણે પોતાની કવિતામાં હ્દયની સાચકલી લાગણી ઓં ,ભાવનાઓ, સંવેદનો અને કેટલેક અંશે અનુભવો ઉતાર્યા છે. તેઓ કહે છે કે,

“કાવ્ય માણવાની સાચી મઝા તો ત્યારે જ આવે જયારે વાચનાર ને લાગે કે આતો મારી જ વાત છે”.

વધુમાં મેઘલતા બહેન કહે છે કે,

“જિંદગીને નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ, લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ.”

એમની બન્ને દિકરીઓ અમેરિકામાં સ્થાયી થઈ હોવાથી, વચ્ચે વચ્ચે અમેરિકા આવવા જવાનું થતું રહેતું. આખરે નિવૃતિ બાદ અમેરિકામાં કાયમી વસવાટ માટે આવી ગયા, અને સમય જતાં અમેરિકન નાગરિકતા સ્વીકારી. કેલિફોર્નિયાના Bay Area માં મેઘલતા બહેનનું નામ ખૂબ જાણીતું છે. એમની ગુજરાતી ભાષાની સેવાને લક્ષમાં લઈ થોડા સમય અગાઉ બેય એરિયા ગુજરાતિ સમાજ તરફથી એમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આજે ૮૭ વર્ષની વયે મેઘલતાબહેન કહે છે,

“જુવાનીના જોમમાં જીવવાની ટેવ પડી ગઈ છે, આ ઘડપણ તો અતિથી જેવું લાગે છે.”

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)