(૦૭) – હરિકૃષ્ણ મજમુદાર


હરિકૃષ્ણનો જન્મ વડોદરામાં ૧૯૧૯મા થયો હતો. શાળાનો અભ્યાસા વડોદરામાં જ કર્યો. ત્યારબાદ વડોદરાની કોલેજમાંથી બી.એ. કરી, કાયદાનો અભ્યાસ કરવા અમદાવાદ ગયા અને ૧૯૪૧ માં એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી.

૧૯૪૧ માં એક ટેક્ષટાઈલ મિલમાં નોકરી શરૂ કરી. ૧૯૪૩ માં એમને મુંબઈમાં એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં નોકરી મળી. નોકરી કરતાં કરતાં જ, ૧૯૪૮ માં એમણે બી. કોમ. ની ડીગ્રી પણ મેળવી લીધી. એકાઉન્ટન્ટ જનરલની ઓફીસમાં કામ કરતા હતા ત્યારે ૧૯૬૦ માં તેમને ભાભા એટોમિક સેંટરમાં મોકલવામાં આવ્યા, અને ત્યાં કાયમ થયા. ૧૯૭૭ સુધી ત્યાં કામ કરીને નિવૃત્ત થયા.

નિવૃતિબાદ આઠ વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટ્યુશન આપવાના અને બીજા નાના મોટા કામ કર્યા. ૧૯૮૫ માં દિકરીએ એમને અમેરિકા તેડાવ્યા. તેમના કહેવા પ્રમાણે અમેરિકા આવવા પાછળ એમના મનમાં કોઈ યોજના ન હતી, એ માત્ર એમના સંજોગોનો તકાદો હતો. એમના શબ્દોમાં કહું તો, “ભારતમાં મારા નિવૃતિબાદના વર્ષો ઉપર મારૂં કોઈ નિયંત્રણ ન હતું, સંજોગોને આધિન સમય વ્યતિત થતો હતો.”

૧૯૮૫ માં તેઓ અમેરિકા આવ્યા. અમેરિકામાં આવીને એમણે કોમ્યુનીટી કોલેજમાં કેલ્ક્યુલસ અને શેક્સપિયરનો ઊંડો અભ્યાસ કર્યો. કેલક્યુલસ વિષયમાં તો તેમણે “ફેકટરાઈકઝેસન” નામનું પુસ્તક પણ લખ્યું. ત્રણ વર્ષ સુધી ઈન્ડિયા પોસ્ટ નામના છાપા માટે કોલમ લખી.

અમેરિકામાં મોટી ઉંમરના ભારતીયોની વિટંબણાઓથી જેમ જેમ પરિચિત થતા ગયા તેમ તેમ તેનો ઉકેલ લાવવા સિનિયરોને લગતા કાયદાઓ અને સિનિયરોની અપાતી છૂટછાટનો અભ્યાસ કરતા ગયા. ભારતથી આવતા લોકોની સોશ્યલ સીક્યુરીટી, ઇમિગ્રેશન અને અન્ય વિષયની ગુંચો ઉકેલવાની મદદમાં લાગી ગયા. વડિલોની મુંઝવણો સમજી લઈને એનો સમાધાન પૂર્વક ઉકેલ લાવવામાં મદદરૂપ થવા લાગ્યા. ૨૦૦૨માં અમેરિકાની વેલ્ફેર યોજનાની માર્ગદર્શિકા “ભુલભુલામણીનો ભોમિયો” (Mapping of the Maze) પુસ્તક લખીને સિનિયરોને માર્ગદર્શન આપ્યું. અનેક સ્થળૉએ સિનિયરોને માર્ગદર્શન આપવા વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. અમેરિકાના સેનેટરોને, અદાલતોને, પત્રકારોને અને નેતાઓને પત્રો અને પીટિશન્સ લખી લોકોને ન્યાય અપાવવા લાગ્યા. બસ લોકો તેમને દાદાના હુલામણા નામથી ઓળખતા થયા.

એમણે સિનિયરોને સલાહ આપી કે સ્વાલંબી બનો, પરિવારમાં મદદરૂપ બનો, જીવન માત્ર જીવો જ નહિં પણ એને માણો. પોતે પોતાની પુત્રીના બેકયાર્ડમાં પોતાનો ઓરડો બાંધી સ્વાલંબી જીવન જીવીને ઉદાહરણ પૂરૂં પાડે છે.

તેમની સેવા ની પ્રવુતિ માટે તેમનેઘણા એવોર્ડ મળ્યા છે ,Santa Clara County ના Human Resources Commission તરફથી “Toni Sykes Memorial Award ” દાદાને મળ્યો છે. દાદા પોતે કાયમી વસવાટ માટે પરદેશથી આવેલ વસાહતી છે. 2011માં તેમણે”સાઉથ એશિયન સિનયર સર્વિસ એસોસીએશન” રચ્યું છે. આજની તારીખે દાદા છેલ્લાં માં છેલ્લાં કાયદા અને નિયમો વિષે પોતાને માહિતગાર રાખે છે અને ઝીણવટ, સમજ અને અનુભવી કોઠાસુજથી લોકોના વણઉકેલ્યા કોયડાને ઉકેલે છે. દાદાજીની વાત સીનિયરોને અને ભવિષ્યની પેઢીને વિચારતા કરી મૂકે તેવી મૌલિક છે. દાદા કહે છે”અમેરિકામાં રહેનાર ભારતીય સીનિયરો પોતાના સાંકડા વર્તુળમાં પોતાનું જીવન જીવી નાખે, તેના કરતાં બહાર આવી અહીંનાં સમાજની વિશેષતા માણે તો આનંદપુર્ણ જીવન જીવી શકે. “સ્વ” પરથી નજર હટાવી “અમારા” પર નજર કરવાની જરૂર છે. હકારાત્મક જીવનમાં સુખી થવાનો આ ગુરૂમંત્ર છે. દાદાની વડિલોને સલાહ છે કે બાળકો ઉપર તમારા સિધ્ધાન્તો અને તમારા અનુભવો ન થોપતા. શક્ય છે કે બદલાયલા સંજોગ અને બદલાયલા સમયમાં એ એમને ઉપયોગી ન પણ થાય.

દાદા કહે છે, “ અહીં અમેરિકામાં હું મારા જીવનનું નિયંત્રણ કરી શકું છું, કારણ કે અહીં લોકો નૈસર્ગિક જીવન જીવે છે. લોકો અહીં માન અને પ્રેમના ભૂખ્યા છે, અને અન્યોને પણ તેઓ માન અને પ્રેમ આપે છે. મને મારા કાર્યના બદલામાં પૈસાની ભૂખ નથી, લોકો મને જાણે, મારા કાર્યની નોંધ લે, મારા માટે એ જ પુરતું છે. અહીં તમે કંઈપણ ન કરો તો જ તમારૂં કાર્ય વણનોંધ્યું રહે.”

-પી. કે. દાવડા

* “મળવા જેવા માણસો” (મુખ્ય પાનું)