મિત્રો, નમસ્કાર.
શ્રી યશવંતભાઇ ઠક્કરે નરસિંહ મહેતાની જન્મજયંતિ પ્રસંગે, કટાક્ષથી ભરપૂર, પણ મનને ઓતરડી જનાર, ’જાગને જાદવા’ એવો પોકાર પાડતા હોય તેવા !! બે‘ક લેખ આપ્યા (નરસિંહ મહેતા ઇડિઅટ હતા! ) જેણે અમને પણ પ્રેરણા આપી આ લખવાની. લોકોએ નરસિંહને અને નરસિંહની કૃતિઓને જેટલા જાણ્યા-માણ્યા છે જેટલા વખાણ્યા અને વખોડ્યા પણ છે! એટલું ભાગ્યે જ અન્ય કોઇ વિશે થયું હશે. અને છતાં આજે છસો વર્ષ પછી પણ એમ જ લાગે છે કે આ માણસ હજુ તો જરા પણ સમજાયો નથી ! કોઇક કોઇકે, માત્ર લોકવાતોને ધ્યાને લઇને નરસિંહ વિશે ઘણી ઘણી ટીકાઓ પણ કરી છે. જો કે નરસિંહ તો વિધ્યમાન હતો ત્યારે પણ બેપરવા હતો તો હવે તો તેને પરવા કરવાનું કોઇ કારણ જ નથી ! નરસિંહ માત્ર ભગત હતા કે કવિ હતા કે સમાજ સુધારક હતા કે મૂર્ખ હતા કે પાગલ હતા એવું વિવિધ દૃષ્ટિકોણથી જોનારને જરૂર લાગશે ! કારણ એ આ બધું હતા !! સાથે એ પોતાના સમયથી પણ ઘણા આગળ એવા મહાન તત્વચિંતક પણ હતા. માનવામાં ન આવે તો નરસિંહની કૃતિઓનો પ્રથમ પેટભરીને અભ્યાસ કરવો. પણ આપણે ક્યાં વાંચીએ કે સાંભળીએ કે વિચારીએ છીએ ? બસ એક ગાડરીયા પ્રવાહમાં તણાયે માત્ર છીએ !
લગભગ છ વર્ષ પહેલાં (૨૦૦૫ માં) જુનાગઢ ખાતે યોજાયેલ એક સુંદર કાર્યક્રમમાં, શ્રી જવાહર બક્ષીજીએ નરસિંહ વિશે થોડી વાતો માંડેલી. ખાંખાખોળા કરી તે વાતોની નોંધ શોધી (આમાં મદદરૂપ થવા બદલ ભાઇ ભાવેશ જાદવનો આભાર) તથા તેને આધારે વક્તાશ્રીની નજરે નરસિંહનું અને તેના કાર્યોનું થોડું મુલ્યાંકન અહીં સૌ મિત્રોને વિચારવાની દિશા મળે તે હેતુએ રજુ કરૂં છું. અહીં જે લખું છું તે શ્રી જવાહર બક્ષીજી (જેઓ સ્વયં ગદાધર પંડ્યાનાં ૨૦મી પેઢીએ વારસદાર છે)ના શબ્દો જ છે, અવલોકનો છે, જ્ઞાન છે, હું તો માત્ર આપસુધી પહોંચાડનાર આંગડીયો જ છું. આ લેખમાં આપણે માત્ર નરસિંહ મહેતા વિશે થોડી માહિતીઓ જોઇશું. પછીના લેખમાં વક્તાશ્રીએ નરસિંહની એકાદ બે કૃતિઓનો જે આસ્વાદ કરાવ્યો છે તે પણ જોઇશું. અને ત્યારે નરસિંહને જોવાનો કોઇ અન્ય દૃષ્ટિકોણ પણ હોઇ શકે તે થોડું સમજમાં આવશે. બસ આ મહેનત આટલા માટે જ છે.
શરૂઆતમાં આપણે નરસિંહના સમયગાળા વાતાવરણથી થોડા પરિચિત થઇએ તો, સંવંત ૧૩૬૦ એટલે ઈ.સ. ૧૩૦૪માં અલ્લાઉદ્દિન ખીલજી દ્વારા પાટણનું પતન થાય છે, મલિક કાફૂર પાટણનો સુબો નીમાય છે, તેનું પણ ખુન થાય છે, આવી ભયાનક રાજકિય આંધાધૂંધીનો આ સમય છે. આ સમયમાં પાટણમાં વસવાટ કરતા નાગરો પોતાની અસ્મિતા બચાવવા અર્થે, નાગરશ્રેષ્ઠી ભાણજી પંડ્યાની આગેવાની હેઠળ પોતાના મુળવતન એવા સુરાષ્ટ્ર કે સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરે છે. ભાવનગર, જામનગર, જુનાગઢ, ઊના જેવા વિસ્તારોમાં સ્થાઇ થાય છે. આમાંના ગદાધર પંડ્યા ભાવનગર પાસેના તળાજામાં પહોંચે છે. જ્યાં તેનો ત્યારનો રાજા નાગાર્જૂન આ શાણા અને શિક્ષિત લોકોના પોતાના રાજ્યમાં વસવાટથી ઘણો ખુશ થાય છે, સ્વાગત કરે છે અને ગદાધર પંડ્યાને ત્યારની રાજ્યના વહિવટદાર (એક્ઝિક્યુટિવ) જેવી “મહતર”ની પદવી પર નિમણૂક કરે છે. આ મહતરનું કાળક્રમે “મહેતા” થાય છે. આ ગદાધરનાં પૂત્ર પુરૂષોત્તમદાસ, તેના કૃષ્ણદાસ અને તેના પુત્ર તે આપણા આ નરસિંહ મહેતા. આ અધિકૃત વંશાવળી વિદ્વાન ઈતિહાસવિદ્દ શ્રી શંભૂપ્રસાદભાઇ દેસાઈએ નોંધેલ છે. (શ્રી શંભૂપ્રસાદભાઇ દેસાઈનું સંશોધન પૂસ્તક “સૌરાષ્ટ્રનો ઈતિહાસ” સૌરાષ્ટ્ર વિશે સંદર્ભગ્રંથની ગરજ સારે છે, આ ગ્રંથ મારી પાસે છે, આગળ ક્યારેક તેમાંથી પણ થોડું વાંચન-મનન કરીશું) નરસિંહ મહેતાનો જન્મસમય ઈ.સ. ૧૪૦૪ થી ૧૪૧૪ વચ્ચેનો ગણાય છે, જન્મનો ચોક્કસ સમય મળતો નથી. પરંતુ જીવનઘટનાઓને ઉંમર સાથે સાંકળતો સમયગાળો નિશ્ચિત છે. જેમ કે તેમના લગ્ન ૧૬માં વર્ષે માણેકબાઇ સાથે થયા છે. ૧૮માં વર્ષે પૂત્ર શામળશાનો અને ૨૦માં વર્ષે પૂત્રી કુંવરબાઇનો જન્મ થાય છે. નરસિંહ તળાજાથી જુનાગઢ આવે છે અને જુનાગઢ આવ્યા પછી જ તેની સાહિત્યયાત્રા શરૂ થાય છે.
નરસિંહ મહેતાનાં કુલ ૧૦૨ આત્મચરિત્રનાં પદો મળે છે, જેમાં મુખ્યત્વે ચાર પ્રસંગોની વાત છે.
(૧) શામળશાનો વિવાહ
(૨) કુંવરબાઇનું મામેરૂં
(૩) હારનો પ્રસંગ અને
(૪) હુંડીનો પ્રસંગ.
અન્ય ઘણા પ્રસંગોનો પણ લોકસાહિત્યમાં ઉલ્લેખ મળે છે જે બધા કલ્પનાઘટીત હોવાનું જણાય છે. નરસિંહના સાહિત્યનો વિચાર કરીએ તો હાલમાં નરસિંહના સાહિત્યની ગણાતી ૧૬૧૨ હસ્તપ્રતો મળેલી છે. જેમાંથી અધિકૃત રીતે નરસિંહના સ્થાપિત થયેલા ૮૦૭ પદો મળે છે. આ કુલ ૮૦૭ પદોમાં;
* ૬૫ જ્ઞાનનાં પદો, (જેવા કે; અખીલ બ્રહ્માંડમાં…નિરખને ગગનમાં…જ્યાં લગી આત્મતત્વ…ભૂતળ ભક્તિ પદારથ..વગેરે)
* ૪ ઝારીનાં પદો, (આ જોને કોઇ ઉભી આળસ મરડે…) * ૯ સુદામાચરિત્રના પદો (જે ગુજરાતીનું સૌ પ્રથમ આટલું મોટું આખ્યાનકાવ્ય છે),
* ૧૦૨ આત્મચરિત્રનાં પદો (જેના ચાર વિભાગ ઉપર વર્ણવ્યા છે) તથા બાકીનાં ૬૨૭ પદો કૃષ્ણલીલાનાં પદો છે. આ ૬૨૭ પદોમાં રાસનાં, રતિસુખનાં, ઉપાલંભના, વિરહનાં, વાંસળીનાં, હિંડોળાનાં, ચાંદલાનાં, શૃંગારનાં વગેરે અદ્ભુત પદો છે.
મુળે તો નરસિંહ એ આનંદનો, ઉલ્લાસનો કવિ છે, સામાન્ય ધારણા કરાય છે તેવો તે કોઇ ગમાર, અભણ કે દંતકથાઓમાં આવે છે તેમ મૂંગો કે ગરીબ ભગતડો વગેરે ન હતો. પાઠશાળામાં અભ્યાસ પૂર્ણ કરેલો અને સંસ્કૃતનો પ્રકાંડ પંડિત હતો. તેનાં શૃંગારપદોમાં તેનાથી ૨૦૦ વર્ષ પહેલાં થયેલા જયદેવના ઝૂલણાઓને ક્વૉટ કરેલા જોવા મળે છે. તેના તત્વજ્ઞાનના પદો જોતા સમજાશે કે વેદ અને ઊપનિષદના ગહન અભ્યાસ વિના કે ભણ્યા વિના આ લખવું શક્ય જ નથી. નરસિંહના સમયગાળામાં જ કેટલાયે અન્ય ભક્તકવિઓ થયા છે, જેની રચનાઓની ભાષા અને રજૂઆત તથા નરસિંહની રચનાઓને સરખાવતા આ ભેદ સ્પષ્ટપણે નજરે ચઢશે. થોડી નરસિંહના સમયગાળાની માહિતી જોઇએ તો; શૂકદેવે ભાગવત લખ્યું તે પછી જયદેવ થયો (ગીતગોવિંદનો રચેતા અને જેણે પ્રથમ વખત રાધાનું પાત્ર રચ્યાનું કહેવાય છે. ઘણાં આ રાધા-કૃષ્ણ બાબતે બહુ વિવાદમાં પડે રાખે છે ! પણ એક વાત એ સમજી લેવાય કે રાધાએ જયદેવની રચના છે, એક કવિની સુંદર કલ્પના છે, જે કરવાનો કોઇપણ કવિનો અબાધિત હક્ક છે !! પછી ગમે તો તેનો માત્ર રસાસ્વાદ કરવાનો કે સાહિત્યની દૃષ્ટિએ તેને મુલવવાનું જ યોગ્ય રહે પણ તેને ઈતિહાસ સાથે જોડવાની ચેષ્ટા અયોગ્ય અને માત્ર કોરીકથા જ બની રહે) આ જયદેવ પછી વિદ્યાપતિ ચંડીદાસ અને નરસિંહ થયા. નરસિંહ પછી તુરંત જ વલ્લભાચાર્ય આવે છે. અહીં એ વાત સમજવાની છે કે નરસિંહના અવસાન સમયે વલ્લભાચાર્યજી માંડ છએક માસની ઉંમરના હશે. આમ ઘણી વખત કહેવાય છે કે નરસિંહ પર વલ્લભાચાર્યની ઘણી અસર હતી તો તે અસ્થાને છે, હા વલ્લભાચાર્ય પર નરસિંહ અને તેના પદોની અસર પડી હોઇ શકે. આ સમયગાળામાં જ કબિર, સૂરદાસ, મીરાં, તૂલસીદાસ જેવા કવિઓ અને સાહિત્યકારો થયા છે. કબિર અને નરસિંહ સમકાલિન હતા. નરસિંહ કબિરથી બારેક વર્ષ નાના હોવાનું જણાય છે. જો કે નરસિંહ અને કબિર કદી એકબીજાને રૂબરૂ મળ્યા હોય તેવો કોઇ પ્રમાણીત દાખલો નથી. હા, હારમાળાના કેટલાક પદોમાં એક રામાનંદ સાધુનો ઉલ્લેખ આવે છે પરંતુ તે કબિર હતા તેવું અધિકૃત રીતે સાબિત થતું નથી.
નરસિંહની છાપ માત્ર ભક્તકવિ તરીકે એટલી રૂઢ થયેલી છે કે આપણે તેના દૃષ્ટિકોણને સ્પષ્ટરીતે સમજી જ શકતા નથી. તે ભક્તકવિ હતા જ તેમાં શંકા નથી પરંતુ તે સાથે તેઓ ઘણું ઘણું હતા ! હું એમ કહું કે તેઓ એક બળવાખોર સમાજસુધારક પણ હતા, નિડર અને બહાદુર યોદ્ધા પણ હતા. એ સીવાય કંઇ આજથી ૬૦૦ વર્ષ પહેલાનાં એ સમયમાં સમાજની, નાત-જાતની, અરે રાજ્યસત્તાની પણ પરવા કર્યા વિના પોતાને યોગ્ય જણાતી વાત કે વર્તન તેઓ કરી શક્યા હશે ? સાંપ્રત સમયે તો તેઓ ધર્માંધોને ધર્મની વિરૂદ્ધ પણ લાગ્યા હતા. (અમસ્તા કંઇ કેદમાં પુરાવ્યા હશે !) આજે ૬૦૦ વર્ષ પછી ધર્મ કે ઈશ્વરની વિરૂદ્ધ બે શબ્દો બોલી આપણે આપણી જાતને બહુ સુધરેલ માનીએ છીએ ! (એ પણ પોલિસ દ્વારા પકડાવાના, નાત બહાર મુકાવાના કે દંડીત થવાના કોઇ ભય વગર જ !!) તો એ જમાનામાં ઈશ્વરની સામે પણ શિંગડા ભરાવનાર નરસિંહ શું આપણે સમજીએ છીએ તેવો વેદિયો હશે ? નહીં, આપણે નરસિંહને પુરો વાંચ્યો નથી કે પુરો સમજ્યો પણ નથી ! જુઓ માત્ર ઉદાહરણાર્થે આ એક જ પદની કડીઓ :
” હું ખરે, તું ખરો, હું વિના તું નહીં,
હું હઇશ ત્હાં લગી તું રે હઇશે. |
હું જતે તું ગયો, અનિર્વાચી રહ્યો,
અરે હું વિના તું તને કોણ કહેશે? ||”
અને આ એક ઉદાહરણ મારા તરફથી પણ જુઓ:
” ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી,
જેહને જે ગમે તેને તે પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે,
સત્ય છે એ જ મન એમ સૂઝે. “ અને “જ્યાં લગી આત્મા તત્વ..” તો આખું વાંચી જજો ! આ છે વિવેકબુદ્ધિ !!
તો આગળ કહ્યું તેમ, નરસિંહ મુળે આનંદનો કવિ છે. જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ ભાગવાનો નહીં ભોગવવાનો છે. નરસિંહને વાંચતા સમજાશે કે નરસિંહ કહે છે જીવનને જીવવું જ હોય તો ભરપૂર જીવો, ૨૦૦ % જીવો ! ૧૦૦ % ભૌતિક જીવન અને ૧૦૦% આધ્યાત્મિક જીવન જીવો !! આ જીવન એક અનંત ઉત્સવ છે તેમ નરસિંહ સમજાવે છે. નિરખને ગગન…ની એક પંક્તિ જુઓ જેમાં નરસિંહ આ વાત કરે છે;
“શ્યામ શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી. અનંતોચ્છવમાં પંથ ભૂલી…”
અધ્યાત્મ તો અહીં પણ છે, પરંતુ એ અધ્યાત્મ કેવું છે ? અંતે શ્રી જવાહર બક્ષીજીનો જ એક શેર આપી પૂર્ણાહૂતિ કરીશ.
” મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો. “ …નરસિંહ આ ગુલાબી મસ્તીનો કવિ છે.
નરસિંહ મહેતાની એકાદ રચનાનો શ્રી જવાહર બક્ષીજીએ કરાવેલો રસાસ્વાદ પણ માણવા જેવો હોય છે, જોઇશું આગળ ક્યાંક. આ મારી નોંધ અને સમજના આધારે થોડું લખ્યું છે, આશય માત્ર આપણા પ્રાચિન સાહિત્ય અને સાહિત્યકારથી સ્વના પરિચયનો છે, કશી ત્રુટિ હોય તો તે મારી સમજની હશે. માન. બક્ષીજી સાથે કોઇ અંગત પરિચય નથી તેથી આટલું જ્ઞાન પીરસવા બદલ અહીં જાહેર આભાર માનું છું. આભાર.
** નરસિંહ મહેતાની કેટલીક કૃતિઓ – (ગુજ. વિકિસ્ત્રોત પર)
શ્રી અશોકભાઈ
આ કવિ હજુ બીજા ૬૦૦ વર્ષ તો ભુલાય તેમ લાગતું નથી. બ્લોગ જગતમાં પણ નરસૈયા વિશે થોડા લેખ લખાયા છે અને તે નોંધ પાત્ર છે.
આમ તો મને નરસિંહના બધા પદો ગમે છે પણ જો તેમાં પહેલો નંબર જો કોઈને આપવાનું કહે તો હું આ પદને આપું.
http://wikisource.org/wiki/%E0%AA%9C%E0%AB%87_%E0%AA%97%E0%AA%AE%E0%AB%87_%E0%AA%9C%E0%AA%97%E0%AA%A4_%E0%AA%97%E0%AB%81%E0%AA%B0%E0%AB%81
LikeLike
આભાર, અતુલભાઇ. સાચું કહ્યુ, સાહિત્ય હોય છે જ સંવાદ માટે, ભુલવું ન પરવડે.
LikeLike
વાઉ!! ભગતડા બધા બહાદુર યોદ્ધા બન્યા હોત તો દેશ કૈક જુદો જ હોત,હજાર વર્ષ ગુલામ ના રહ્યો હોત.એમની હિંમત ખરી કે હરિજનવાસમાં ભજન ગાયાં.હાઈલી ફિલોસોફીકલ ભજનો બનાવ્યા.એક ઐતિહાસિક મહાપુરુષ પાછળ ગાંડા થવું.જયદેવે શું ખાક ઉતમ સાહિત્ય આપ્યું?ઉત્તમ સાહિત્ય આપવા માટે રાધા જ મળી?બીજું કોઈ ના મળ્યું?બાળક કૃષ્ણ અને પરણેલી પુખ્ત રાધા વચ્ચેના બનાવટી પ્રેમ અને શ્રુંગાર?બીજા કોઈ પાત્રો નહોતા?કૃષ્ણ અને રુકમણી વચ્ચેના પ્રેમની કવિતાઓ કરી હોત તો?એક ઉંચો આદર્શ સમાજમાં ફેલાઈ જાત.જયદેવ એક પીડોફીલીયાથી પીડાતો કવિ.રાધાને ચાઈલ્ડ એબ્યુજર બનાવી કાઢી એને તમે ઉત્તમ સાહિત્ય કહો છો.આખો દેશ આજે એક વિકૃત મનોદશામાં રાધાપ્રેમના ગાણાં ગાય છે.વલ્લભાચાર્ય એમની પેઢીઓને મફતમાં મહેનત વગર ખાવાની વ્યવસ્થા કરતા ગયા.એક નાની પિત્તળની મૂર્તિને રમાડ્યા કરો,ખવડાવો,નવડાવો,ઉપર પંખા કરો,એસી કરો,સુવાડો,જગાડો, શું છે આ પાગલપન?એમના વારસો આજે કૃષ્ણ બની ગુજરાતમાં એક ડરપોક વૈશ્ય પ્રજાને પકડીને બેસી ગયા છે,આ ડરપોકો એમની સ્ત્રીઓ,દીકરીઓ સુદ્ધા ધરાવી આવે છે મહાન આચાર્ય એમના વારસો માટે રોટલા,ઓટલા અને ગાદલાની પરમેનેન્ટ વ્યવસ્થા કરી ગયા છે.એમના જેટલો બુદ્ધિશાળી કોઈ ના હોય,પેઢીઓ સુધી વ્યવસ્થા થઇ જાય છે.દેશને જરૂર હતી,ઉચ્ચ ઓલાદના ઘોડાઓના ડાબલાઓ વડે ધરતી ધ્રુજાવતા કાબુલ,કંદહાર,ઈરાન,ઈરાક સુધીની ધરતી ધમરોળતા યોદ્ધાઓની.આ ભગતોએ આમ પ્રજાને કાયમ ભગવાન પાસે ભીખ માંગતી કરી દીધી.
LikeLike
આભાર, ભુપેન્દ્રસિંહજી. એક દૃષ્ટિકોણથી આપની વાત પણ બરાબર છે. આપના પ્રતિભાવને કારણે મને વળી એક નવો વિચાર આવ્યો ! (હવે પછીના લેખની પ્રેરણા આપની પાસેથી મળી લ્યો !! એટલે તો મારૂં અંગત માનવું છે કે કશું જ જાણવા ન મળે તેવું જગતમાં કશું હોતું જ નથી !) તો લોચો ક્યાં લાગ્યો હોય અને લાગી શકે, તે બાબતે થોડું મંથન આવતા લેખમાં કરીશું. અત્યારે તો આપને મિત્રાચારીના હક્કે ટઈડકાવવાનો પણ મને હક્ક છે તેમ ધારી, આ લેખ પુરતી એક ’કથા’ (વ્યથા ?) રજૂ કરૂં છું ! બહુ ગંભીરતાથી ન લેવી !!
કોઇને ત્યાં લગ્નપ્રસંગ ઈત્યાદી હોય ત્યારે ભોજનસમારંભ તો અવશ્ય હોય જ, ભોજનનું મેનૂ નક્કિ થતું હોય ત્યારે ઘણા જાણકાર વડિલ જણાવે કે ભ‘ઇ બહુ બધો ખર્ચ કરીને બહુ સારૂં સારૂં બનાવવા મહેનત ન લેશો ! કારણ; અનુભવ, જનમાનસનો અનુભવ, કહે છે કે ખાનારાઓ બદામપાક, કાજૂકતરી, મેસુબના લાડુ, ડ્રાયફ્રૂટ શ્રીખંડ આવું આવું ખાઇને પણ હાથ ધોતા ધોતા કહેશે એટલું જ કે: ઠીક છે મિઠાઇ-બિઠાઇ તો બરાબર પણ છેલ્લે છાસ સાવ પાણીના પેટની અને તેમાં નમક પણ નાંખ્યું નહતું ! સાવ કંજૂસના પેટનાં કહેવાય, આના કરતા તો જમણવાર ન કરતા હોય તો કોણ મારી નાંખતુ તું 🙂
આપને મારી તઇણ દહાડા (ને રાત પણ ખરી !)ની મહેનત, નરસિંહના ઉદાહરણાર્થે મુકેલા બે-ચાર પદ કે તેના સાહિત્ય ખેડાણની આધારભુત માહિતીઓ, એ કશું ન દેખાયું ને માત્ર પાણી જેવી છાસ જ દેખાઇ ?! 🙂 જે ’ગીતગોવિંદમ્’ની વિશ્વભરના વિદ્વાનોએ ઉત્તમ સાહિત્ય રચનામાં ગણતરી કરી છે તેની પણ સાવ અમથી અમથી જ આવી અવદશા ? 🙂 અહીં વાત આપણે પંથ કે સંપ્રદાયની નથી કરતા, તે બાબતે આપનું કહેવું એકદમ યોગ્ય જ છે. પણ વાત સાહિત્યકૃતિની છે ત્યારે આવો નિરાધાર નકાર ખૂંચે છે. અને જો આકલન એમ પેટ ભરવાના બંદોબસ્ત બાબતેથી જ કરવાનું હોય તો નરસિંહ અને મીરાં એ બે બહુ ઊંચા સ્થાને બિરાજમાન ગણાય ! કેમ કે એ બંન્નેએ ન તો કોઇ પંથ-સંપ્રદાય રચ્યો કે ન અન્ય દ્વારા તેમનો કોઇ સંપ્રદાય રચાયો. આજે પણ એમના વારસદારો નોકરા કરીને પેટ ભરે છે. હું જાતે એજ તો સમજવાની કોશિશમાં છું કે નરસિંહ કોઇ આંધળો ભગતડો ન હતો (આવું જ અખા માટે પણ કહી શકાય, જો કે એ તેના ગણ્યા ગાંઠ્યા પ્રસિદ્ધ છપ્પાઓથી જ જાણીતો છે, તેની કૃતિઓ વિશે પણ આગળ ક્યાંક થોડું જાણીશું જરૂર) આધાર માટે તેના બે‘ક પદાંશો પણ મેં ટાંક્યા. અને છતાં ગઇ ભેંશ પાનીમેં 🙂 (હમ ભી યાદ રખેંગે ઠાકુર !!!) જો કે આપે કરેલી આ ’સળી’ બદલ પણ ખુબ ખુબ આભાર. કારણ એ મૂજ જેવા આલસીને વધુ વિચારવા માટે પ્રેરવાના શુભ આશયથી જ હોય એટલો તો મને આપ પર ભરોસો છે. આભાર.
LikeLike
અશોકભાઈ .. નરસિંહ મહેતા તરફ આદર દર્શાવતા એક સામાન્ય ગમ્મત લેખથી મેં તમને પ્રેરણા આપી એમ તો ન કહેવાય! હા.. એક બહાનું જરૂર આપ્યું હશે. નરસિંહ મહેતા બાબત મારો ખાસ અભ્યાસ નથી. પરંતુ એમના વિષે જે જાણવા મળ્યું છે તેના લીધે તેમના તરફ આદર છે.
ડૉ. મંજુલાલ ર્ મજમુદાર દ્વારા રચિત પુસ્તકમાં નરસિંહ મહેતા બાબત આવી વાતો જણાવી છે કે… નરસિંહમાં પ્રભુના વિરહ કરતાં મિલનનો આનંદ વધુ ગવાયો છે. નરસિંહમાં પ્રભુમિલનનો આનંદ મુક્તપણે શબ્દનો આકાર પામે છે. નરસિંહ મહેતાએ મધ્યકાલિન કૃષ્ણભક્તિને પ્રજ્જ્વલિત રાખી છે. અને આજસુધી તેમનાં પદોની નિખાલસતા અને સચ્ચાઈનો રણકો તેમને સૈકે સૈકે લોકપ્રિય બનાવતાં રહ્યાં છે. નરસિંહમાં પ્રભુભક્તિ સાથે સાથે તત્ત્વજ્ઞાનનો નીચોડ પણ પદોમાં ઉતર્યો છે. કવિતા સાથેના જ્ઞાનના સુમેળમાંથી તેમનાં … અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ … જ્યાં લગી આતમા-તત્ત્વ ચિન્ત્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી … જેવાં અજ્ઞાનપ્રભંજક પદોમાં આચાર કરતાં હૃદયની સાચી ભક્તિનો ઉપદેશ વ્યક્ત થયો છે.
અશોકભાઈ.. નરસિંહ મહેતા એક કવિ તરીકે આ કારણથી મને આનંદ આપે છે. એમને જે વિષય પર કાવ્યો લખ્યા તે એમની આંતરિક જરૂરિયાત હશે. ઉપરાંત બાહ્ય જરૂરિયાત પણ હશે જ! આપણે એ સમયનું વાતાવરણ ધ્યાનમાં લેવું જોઈએ. ચોખ્ખું કહું તો હું કોઈ કૃષ્ણભક્તિના રંગે રંગાયેલો નથી કે નથી મને આજના ગોકુળ્-મથુરા-વૃંદાવન તરફ ખાસ લગાવ. વળી સમાજમાં કે દેશમાં શ્રદ્ધાના નામે ઘણું ખોટું પણ થતું હશે . પણ એ બધી બાબતો નરસિંહના કાવ્યોને માણવામાં આડે આવતી નથી. મને એમની રચાનાઓની રજૂઆત દમદાર લાગી એટલે મેં મારી લાગણી વ્યક્ત કરી.
LikeLike
અશોકભાઈ… ચમત્કારની વાતો ઘણી વખત સંતો અને ભક્તોના સંઘર્ષનુ મહત્વ ઓછું કરી નાંખતા હોય છે.
નરસિંહ, મીરા, તુકારામ, એકનાથ, કબીર, નાનક, રહીમ, તુલસી ,સુરદાસ વગેરે એમના જમાનામાં ખાસ સુવિધા નહોતી તો પણ કેવું કેવું સર્જન કરીને ગયાં છે! સત્તા સમાજ અને સ્થાપિતો સામે ટક્કર લઈને એમણે જે આપ્યું એની કદર કરવામાં આપણે તો વામણા જ રહેવાના!
એ બધાં લલ્લુપંજુ ભગતો નહોતા.
LikeLike
આભાર, યશવંતભાઇ. (આપની અને દિપકભાઇની ક્ષમા માંગી લઉં, બપોરે મારો પેરલ ટાઇમ પુરો થઇ ગયો ! અને આપની સાથે ચર્ચામાં થોડો વિલંબ થયો) આપ બહાનું કહો કે પ્રેરણા પરંતુ જે મિત્રએ વિચારવા મજબૂર કર્યો હોય તેનો આભાર તો માનવો જ રહ્યો ને ? સાચી વાત છે કે આપણે આ સમર્થ સર્જકોની સાથે ઉટપટાંગ કથાઓ અને ચમત્કારો જોડી તેના કંચન જેવા કાર્યો પર ધૂળ ચઢાવી દીધી છે. આ ધૂળ ક્યાં અને કેટલી હશે તે શોધવા માટે યથાશક્તિ સૌએ પ્રયત્ન કરવા જ રહ્યા. સ્વયં નરસિંહના સમયે પણ આ સમસ્યા તો હશે જ. આથી તો તેણે લખ્યું ને કે : ’ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી,’ મારી તો કંઇ લાયકાત ન ગણાય પણ પેલા સેતુબંધની ખીસકોલીની માફક થોડીઘણી ધૂળ સાફ થાય તોય ઘણું ! કોઇપણ રચનાકારની રચના માણવી એ હૃદયનું કામ છે અને રચનાને જાણવી એ તર્ક અને બુદ્ધિનું કામ છે. આપણે જાણવા અને માણવાનું સાથે સાથે કેમ ન કરી શકીએ ? સૌ મિત્રો આ પ્રકારે ગુણદોષનો ખુલ્લા મને વિચાર કરે, ચર્ચા કરે, તો સત્યની થોડુંક નજીક પહોંચી પણ શકાય. આપ સૌના સહકારની અપેક્ષાસહઃ આભાર
LikeLike
અશોકભાઈ,
એક લેખથી નહીં ચાલે, આખી સીરીઝ લખો.
યશવંતભાઇની વાત સાચી છે કે “ચમત્કારની વાતો ઘણી વખત સંતો અને ભક્તોના સંઘર્ષનુ મહત્વ ઓછું કરી નાંખતા (/તી) હોય છે.” ખરેખર તો ચમત્કારોની વાતો તો પાછળથી જોડાય છે. એમના પ્રત્યક્ષ જીવનમાં કૈં ચમત્કારો થયા નથી હોતા.
શિવભક્ત રાજા કૃષ્ણભક્ત નરસિંહને જેલમાં નાખે એ વાત મહત્વની અને વિચાર માગી લે એવી છે પણ, ગિરવે મૂકેલો કેદારો છોડાવતાંની સાથે હાર નરસૈંયાના ગળામાં આવી ગયો એ કથાએ મૂળ સંઘર્ષ પર ઢાંકપિછોડો કરી દીધો છે. આમ ચમત્કારોની વાતોનો કઈંક ઉદ્દેશ પણ હોય છે.
નરસિંહના જીવનના ચમત્કારો પણ ખરેખર તો નરસિંહ કરતાં ભગવાનની ભક્તોને મદદ કરવાની તત્પરતાનો જ પ્રચાર છે.
LikeLike
આભાર, દિપકભાઇ.
જો કે આગળ બાપુ અને યશવંતભાઇ સાથે થોડા મનોભાવોની ચર્ચા કરી તેથી તેનું પુનરાવર્તન નથી કરતો, પણ સીરીઝ લખવા પ્રેરણા આપવા બદલ આભાર. જો કે એટલું બધું જ્ઞાન તો મારૂં ક્યાંથી હોય, પણ આપ સમા મિત્રોના માર્ગદર્શનથી આપણે શક્ય તેટલો વિષયને ચર્ચવાનો પ્રયત્ન કરતા રહીશું ખરા.
આપની એ વાત ખરે જ દરેકે વિચારવા જેવી છે કે આ બધા પ્રાચિન સાહિત્યકારો, સર્જકો (જેઓ તે સમયની કોઇ પરંપરા અનુસાર “ભગત” કહેવાયા હશે) પણ હશે તો આપણા સૌ જેવા જ. ચમત્કારો અને કથાઓ વગેરે તો પછીથી તેઓ સાથે જોડાયા હશે. આપણે ખુલ્લા મને, ન ભક્તિભાવે કે ન વેરભાવે, માત્ર તર્કશક્તિને આધારે ચમત્કારોના એક એક પડળને ઉતારતા જઇએ તો જ ખબર પડે કે તેઓનું સાચું સ્વરૂપ શું હશે અને તેઓની રચના શું કહેવા માંગે છે. આ બધા સાહિત્યમાં ભેળસેળ પણ ૧૦૦% થયેલી હોય તેનો એકાદ તાજા દાખલા સહિતનો તર્ક તો મારા મનમાં છે જે પણ પછીના લેખમાં ચર્ચીશું.
આ ગીતગોવિંદના કેટલાક પ્રશ્નો પર પણ આપનું માર્ગદર્શન મળે તેવી પ્રાર્થના છે, તે વિષયે પણ આગળ ચર્ચીશું. મુળ તો ક્યાં સાહિત્ય પુરું થાય છે, ઈતિહાસ ક્યાં પુરો થાય છે, અને ક્યાંથી મિથક શરૂ થાય છે તેનાં સર્વે સીમાંકનો જ ભુંસાયેલા છે. અને આવું થવું સ્વાભાવિક પણ છે. છતાં એ વિષયે પણ કંઇક જાણવાની ઈચ્છા જાગૃત થાય તો ઘણી ધૂળ સાફ થાય ખરી. અને તો આવા ઉત્તમ સર્જકો અને સર્જનની સાચી મહત્તા પણ સમજાય. આભાર.
LikeLike
મેં બન્ને કૉમેન્ટ વાંચી. સાહિત્ય સામાજિક ગતિવિધિઓનું પ્રતિબિંબ છે. એટલે સાહિત્ય પણ આપણને એ સમયની સમાજ વ્યવસ્થાનો અણસાર તો આપે જ. આમાં ચમત્કારો વિશેની ધારણાઓ પણ આવી જાય.
તર્કથી જાણવું અને હૃદયથી માણવું એ પ્રક્રિયા ઉપયોગી જ નથી< માર્ગદર્શક પણ છે. શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંતમાં ન માનો. કે એની નકારાત્મક અસરો આલેખો એ ઐતિહાસિક દૃષ્ટિએ સાચું છે પણ એમનાં સ્તોત્રો? ગજબની લય. નાના ટુકડા…સહેલાઈથી સમજી શકાય અને મસ્ત થઈ જાઓ. એપણ શંકરાચાર્ય જ ને! સાંભળો કે તરત ઓળખી શકો કે આ તો એમનું જ હોઈ શકે અને ૯૯ ટકા તો ખોટું ન પડે. આમાં તર્ક ક્યાં આવે? સમાજની કઈ સ્થિતિ હતી કે એક અદ્વૈતીએ બધા આરાધ્યો માટે સ્તોત્ર રચ્યાં?
એ જ રીતે ગીતામાં પણ સળંગ એક ચિંતન નથી અને બધાં ચિંતનોનું સંકલન છે એ વાત તર્કથી સમજાઈ તે પછી પણ ગીતાના દરેક શ્લોક્ના ચાર ટુકડા કરો તો તમે નાટકના સંવાદ જેમ ઉતારચડાવ સાથે બોલી શકો! આ સિદ્ધહસ્ત કવિનું જ કામ હોઈ શકે. આમ છતાં યુદ્ધના મેદાન વચ્ચે બે માણસો ઊભા રહીને ગાંડા જેમ બે-અઢી કલાક અર્થહીન લવારો કરતા રહે એ તર્કની બહાર જાય છે.
LikeLike
આમ છતાં યુદ્ધના મેદાન વચ્ચે બે માણસો ઊભા રહીને ગાંડા જેમ બે-અઢી કલાક અર્થહીન લવારો કરતા રહે એ તર્કની બહાર જાય છે.
————————————————–
મહાભારત અને રામાયણ બંને મહાકાવ્યો છે. સામાન્ય રીતે વાતચીતની ભાષા પદ્ય નથી હોતી ગદ્ય હોય છે. આખુંયે મહાભારત પદ્યમાં રચાયેલું છે. શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ અક્ષરશ: મહાભારતમાં વર્ણવેલો છે તેમ થયો હોવાની કોઈ શક્યતા નથી.
યુદ્ધના મેદાનમાં જ્યારે મુખ્ય યોદ્ધો લડવાની ના પાડી બેસે ત્યારે તેને યુદ્ધ કરવા માટે સમજાવવું તે અર્થહિન બકવાસ નહિં પણ સહુથી વધારે અર્થસભર કાર્ય ગણાય. વળી બે – અઢી કલાક લાગ્યાં હશે આ સંવાદને તેવું ક્યાંય લખવામાં નથી આવ્યું.
એક સહુથી મહત્વની વાત ધ્યાનમાં લેવી જોઈએ તે છે – જે તે સમયની પરિસ્થિતિ. અત્યારે આપણે ઈન્ટરનેટના યુગમાં આખાએ વિશ્વમાંથી ઘણાં બધા લોકો એક સાથે ચર્ચા કરી શકીએ છીએ. ધારોકે વિશ્વયુદ્ધ થાય અને ફરી પાછા પાષાણયુગમાં આવી જઈએ અને આપણાંમાંથી કોઈક રડ્યું ખડ્યું પોતાના પૌત્રને વાત કહે કે અમે તો આખાએ વિશ્વના બધાં લોકો સાથે એક સાથે વાત ચીત કરવાની ક્ષમતા ધરાવતા હતા તો તેમના પૌત્રો આ વાત ન જ માને.
પૌરાણીક અને ઐતહાસિક બાબતોમાં ઘણી ગરબડ હોય છે તેથી તે વાતોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ નહિં કે તેને અક્ષરશ: વળગી રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ ગીતા માનવ જીવનને સીધી સ્પર્શે છે વળી દરેક લોકો તેનો જાત અનુભવ કરી શકે છે. તેથી તેના સિદ્ધાંતો પોતાની જાત પર ચકાસી જોવા અને વિવાદાસ્પદ ભાગ જેવા કે ચાતુર્વણ્યા વગેરેને છોડી દેવા.
LikeLike
અતુલભાઈ,
મારો કહેવાનો અર્થ એ છે કે આવી ચર્ચા યુદ્ધ પહેલાંની સાંજે કે એમ થઈ હશે. યુદ્ધના મેદાનની વચ્ચે કોઈ આવું કરે એમ માનવા માટે તર્કની નહીં, શ્રદ્ધાની જરૂર પડે. આ બાબતમાં તમે પણ તર્કનો આધાર લો છો એ ધ્યાનમાં આવ્યું.
શ્રદ્ધા હોય તો માની શકાય કે ગીતા આપણી સમક્ષ જે રીતે પ્રસ્તુત થઈ છે તે જ રીતે પદ્ય સ્વરૂપે યુદ્ધના મેદાનમાં ગવાઈ હશે.
મેં બે-અઢી કલાક એટલા મા્ટે કહ્યું કે મેં પોતે આખી ગીતાનો સસ્વર પાઠ એક બેઠકે એકલે અને સમૂહમાં કરેલો છે અને એમાં બે-અઢી કલાક લાગે છે. તમે પણ કરી જોશો તો ખ્યાલ આવશે.
ગીતાની ભાષા બહુ સરળ છે એટલે બે-ચાર વાર પાઠ કર્યા પછી જીભે ચડી જાય છે.
એમાં સંવાદ તત્વ એટલું છે કે પ્રૅક્ટિસ થઈ ગયા પછી તમને એ પાઠ નાટકના સંવાદની જેમ યોગ્ય સ્વરભાર અને વિરામ સાથે બોલવાનું મન થશે. આમાં પાંચેક કલાક લાગી જશે.
હવે તર્કની વાત. ગીતા જો ખરેખર ભગવાનના સ્વમુખેથી વહી હોય તો ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટ્વા… વગેરેને છોડવાનો સવાલ જ કેમ આવી શકે?
LikeLike
શ્રી અતુલભાઇ,
પ્રશ્ન ઉઠે તો પ્રશ્નના ઉત્તર શોધવાની મથામણ પણ થાય, આ પાણીને વહેતું રાખવાની પ્રક્રિયા છે. નહીં તો બંધિયાર ખાબોચીયું બને અને ગંધાઇ ઉઠે. આપણે સૌ ત્રિકમ-પાવડા સજાવી પાણી વહેતું રાખવા વાળા શ્રમિકો બનીએ (બન્યા જ છે !) એટલે વહેણ વહેતું રહે, આગળ ને આગળ.
કોઇ ઘટનાનું વિશ્લેષણ કરતા પહેલાં (ખરેખર ઘટી હોય કે જે સમયે વર્ણન લખાયું, કહેવાયું હોય કે કલ્પના કરાઇ હોય) ત્યારનાં સ્થળકાળ અને મનોશ્થિતિ બાબતે પણ સમજવું પડે. ઈતિહાસને સમજતા પહેલાં એ પણ જાણી લેવું જરૂરી કે ઈતિહાસ પણ ઈતિહાસકારના અંગત ગમા-અણગમા કે મનોસ્થિતિ દ્વારા દુષિત હોઇ શકે (માત્ર મારા મતે). સારાસારનો વિવેક કેળવવાની આપની વાત શ્રેષ્ઠ છે. ગમી. આભાર.
LikeLike
શ્રી દિપકભાઈ
ચાતુર્વણ્યા મયા સૃષ્ટવા – એ તો ઉદાહર રુપે કહ્યું – કારણ કે સહુથી વધુ વિખવાદ તે વાત પર થાય છે. મારો કહેવાનો અર્થ એટલો છે કે જે બાબત ગળે ન ઉતરે તેને છોડી દેવી. મનુષ્યમાં પણ પ્રકૃતિભેદે સહુની જુદી જુદી પસંદ ના પસંદ હોય છે અને એટલે તો પોતાના સ્વરૂપ તરફ જવા માટે આટલા બધા માર્ગો વર્ણવ્યા – જેવા કે સમતા, નિષ્કામ કર્મ, યોગ, ભક્તિ, જ્ઞાન, શરણાગતી, સ્થિતપ્રજ્ઞતા વગેર વગેરે. જેની જેવી પ્રકૃતિ તે મુજબની સાધના કરી શકે.
તેથી જેને જે વાત પોતાને માટે હિતકર અને પોતાની પ્રકૃતિને અનુકુળ લાગે તેનો સ્વીકાર અને આચરણ કરતા કરતાં છેવટે સહુ એક જ ગંતવ્ય સ્થાને પહોંચશે.
વળી વિખવાદ અને વાદ તો અણસમજણની અવસ્થામાં હોય છે, સાધક જેમ આગળ જાય તેમ તેમ વિખવાદ અટકી જાય અને સંવાદ શરું થાય અને છેવટે દ્વૈત પણ ન રહે. કોઈ બીજો હોય તો વિવાદ કે સંવાદ કરે ને?
એવી પરિસ્થિતિને ભગવાને બ્રાહ્મી સ્થિતિ કહી અને ત્યાં સુધી પહોંચવાનું અધ્યાત્મનું લક્ષ્ય હોય છે.
નરસિંહ મહેતા પણ પહેલા સાધક અવસ્થામાં હતા ત્યારબાદ ભક્ત બને છે અને છેવટે જ્ઞાની.
જ્ઞાનીઓ પોતાનો પંથ શરું કરે છે તે વાત પણ મારા માન્યામાં નથી આવતી. શંકરાચાર્યજી તો આવ્યા હતા જ વેદનું સંરક્ષણ કરવા માટે અને તેને માટે એક વ્યવસ્થા / પરંપરા ઉભી કરવી જરૂરી હતી. જેવી રીતે આજની યુનિવર્સીટીઓ અધ્યાપકોની પરંપરાથી શિક્ષણ કાર્ય આગળ ધપાવે છે તે રીતે. શ્રી રમણ મહર્ષિએ કોઈ પંથ સ્થાપ્યો નહોતો – હા તે વાત અલગ છે કે તેમના ભક્તો તેમના નામે આશ્રમ વગેર ચલાવે છે.
ભક્તિમાર્ગના પંથ વધારે જોવા મળે છે અને એમાંથી મોટાભાગના મહાપુરુષોને તેમના ભક્તો ભગવાન બનાવી દે છે. જેમ કે સાઈબાબા, સહજાનંદ સ્વામી, શ્રી રામકૃષ્ણ પરમહંસ વગેરે વગેરે.
તેમાંથી કોઈ કોઈને વળી જાતે પણ ભગવાન થવાનો શોખ હોય છે – જેમ કે ઓશો. આવું બધું સંસારમાં ચાલ્યા કરવાનું. મારા મતે તો આ સહુના ગુણ – દોષ જોયા કરવા કરતાં તેમણે જે કાઈ કહ્યું હોય અને તે આપણાં જીવનમાં ઉપયોગી હોય તો લઈ લેવાનું અને આચરવાનું નહિં તો છોડી દેવાનું.
LikeLike
બહેન, તમારી વાત સાચી છે. વ્યક્તિગત જીવનમાં તો કોઈ દખલ દેવા ન ઇચ્છે, એટલે ધર્મ અને આપણા અંતિમ સ્વરૂપ વિશેની સૌની માન્યતાઓ જુદી હોઈ શકે. અહીં માત્ર આપણે ચર્ચા કરીએ છીએ અને સૌ પોતપોતાનાં દૃષ્ટિબિન્દુ રજુ કરે છે.
ચર્ચાઓ તો પહેલાં પણ થતી. ‘શંકર વિજય’ એટલે આવા શાસ્ત્રાર્થોમાં શંકરાચાર્યનો વિજય.
શંકરાચાર્ય પછી પણ આચાર્યો આવ્યા જે એમના મતથી જુદા હતા. દરેકે વેદને જ આધાર બનાવીને પોતાના પક્ષની સ્થાપના કરી. એટલે શંકરાચાર્યે વેદોને બચાવ્યા એમ કહેવું માત્ર શ્રદ્ધાના ક્ષેત્રમાં આવી શકે.
હકીકત એ છે કે સમાજનો વિકાસ શંકરાચાર્યથી ૮૦૦- ૧૦૦૦ વર્ષ પહેલાં થઈ ચૂક્યો હતો અને વેદોનું સ્થાન વેદાંતના ચિંતને લઈ લીધું હતું. શંકરાચાર્ય વેદાંત પરંપરામાં ગણાય.
સમગ્ર સમય દરમિયાન વેદોનું આદરભર્યું સ્થાન તો રહ્યું જ; પરંતુ વેદ સાથે સીધો સંબંધ ફરી સ્થાપવાનો પ્રયાસ છેક ૧૯મી સદીમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ કર્યો.
સંપ્રદાય શરૂ થવાનો આધાર એક વિચાર હોય. એટલે એની શરૂઆતનો યશ અથવા અપયશ જ્ઞાનીઓને જ ફાળે જઈ શકે.
તમે બ્રાહ્મી સ્થિતિ, સ્થિતપ્રજ્ઞતા વગેરે વિષયોને સ્પર્શ કર્યો છે પરંતુ અહીં એના પર ચર્ચા કરીશ તો વિષયાંતર ૧૮૦ ડિગ્રી જેટલું થઈ જશે. બીજા કોઇ પ્રસંગે ચર્ચા કરીશું
LikeLike
હા! એ વાત લખવાની રહી ગઈ કે નરસિંહે અને મીરાએ પંથ નહોતો રચ્યો,એ બાબતે વલ્લભ કરતા ઘણા ઉત્તમ કહેવાય.મનમાં તો હતી પણ વલ્લભ વિષે લખવામાં જરા શું કહેવાય?ગુસ્સો આવી ગયેલો.એમાં આ વાત રહી ગયેલી.ભાઈ ઉત્તમ સાહિત્ય રચવા માટે કૃષ્ણ સાથે રુકમણી હતી,સત્યભામા હતી,અરે બીજી ભેગી કરીને ટોટલ આઠ તો હતી.ટઈડકાવો ભાઈ અમે ક્યા ના પડીએ છીએ?પણ મને છાશ ફાવતી નથી તે પણ જાણી લેશો,ભવિષ્યમાં કામ લાગે.નરસિંહના ભજનો તે પણ ફિલોસોફીકલ મને પણ પ્રિય છે.
LikeLike
અને એ ફિલોસોફીકલ ભજનો ગણીને કુલ ૬૫ છે ! દરેક કૃતિના સારાસારની ચર્ચા કરીએ તો ૬૫ લેખ તો એ જ થાય. કોપિસમ્રાટોએ જ્યાં ત્યાંથી કોઇકનું ચરવા મોઢાં મારવા કરતાં આવા રેડીમેઇડ સબ્જેક્ટસ ઉપાડી લેવા જોઇએ તેમ નથી લાગતું ?આપણને સૌને પણ ત્યાં જઇ વાંચવા-ચર્ચવાનો આનંદ પ્રાપ્ત થશે અને બ્લોગરોને ટ્રાફિકની કે શું લખવું તેની કોઇ ચિંતા નહીં રહે 🙂
અરે બાપુ આ ટઇડકાવવાની વાત તો મીઠોખાર છે ! ભ‘ઇ કોઇ મારા વખાણ જ ન કરે તો પછી મારેય રોદણાં તો રોવા જોઇએ કે નહીં ?! આ કૃષ્ણ સાથે રાધા કે રુકમણી ? તે બાબતે કંઇક વિચાર તો કરવો પડશે ! આપનો મુદ્દો ખોટો નથી. પણ જરા થોભો, ગીતગોવિંદમ્ ફરી એક વખત વાંચી, વિદ્વાન મિત્રોની પણ સલાહ મેળવીએ, પછી કંઇક સમજૂતી કરીએ. આભાર.
LikeLike
કૃષ્ણ સાથે રાધા કે રુક્મિણી? કૂતરો માણસને કરડૅ એને સમાચાર ન કહેવાય. માણસ કૂતરાને કરડૅ એ સમાચાર છે! પત્નીને પ્રેમ કરવો એ તો ફરજમાં પણ આવી જાય. એમાં કવિતા ન બને. એમાં સમાચાર પણ નથી. ક્યારેક કોઈ કહે કે પતિપત્ની વચ્ચે બહુ પ્રેમ હતો – ત્યારે વિચાર આવે કે પ્રેમ ન હોય તો શું હોય,જે ખાસ કહેવા જેવી વાત લાગી!? ભૂપેન્દ્રસિંહભાઈ તો પુરુષના પોલિગૅમસ સ્વભાવ અને સ્ત્રીની પ્રૉમિસ્ક્યૂઈટી વિશે લખી ચૂક્યા છે. એટલે મારો મત – કૃષ્ણ સાથે રાધા!
LikeLike
દીપકભાઈ…આજે પણ એવું જ થયું… મને જે વિચાર આવ્યો એ જ તમે રજૂ કરી દીધો છે!
રામ -સીતા તેમ જ શિવ-પાર્વતીના પ્રેમ વિષે ઘણું લખાયું હતું.
રાધા -કૃષ્ણથી એક એવો સંબધ શોધાયો કે હજી એનો પ્રભાવ છે!
કૃષ્ણ અને રુક્મિણી વિષે જેને લખવું હોય તેને માટે દરવાજા ખૂલ્લા છે!
નાનપણમાં ભાગવત કથા સાંભળવાના મોકા મળ્યા હતા. ગામડા ગામમાં એ વખતે એક કથાકારે એવું કહ્યું હતું કે- દુનિયામાં સહુથી પહેલો પ્રેમપત્ર-વ્યવહાર કૃષણ અને રુક્મિણી વચ્ચે થયો હતો!
વળી રુક્મિણીના અપહરણની એ કથા… આહાહા!!! ફિલ્મી-ડ્રામા તો એની સામે કંઈ નહીં.
ને ત્યાર પછી રુક્મિણીજીને ચાર દીવાલોમાં ગોઠવાઈ જવું પડ્યું હતું કે તેઓ વ્યથિત હતાં કે એમને અન્યાય થયો હતો એવું કોઈને લાગતું હોય તો તેને વિષય બનાવીને ન્યાય અપાવી શકે છે. એવી રચાનઓ થઈ પણ છે.
સર્જકોએ રામની સામે રાવણને … અર્જુનની સામે એકલવ્ય અને કર્ણને… ભીમ ની સામે દુર્યોધનને … ગાંધીની સામે ગોડસેને… ન્યાય અપાવવા માટે સર્જન કર્યું છે.
રાધાજી હતાં કે નહીં… હતાં તો કોણ હતાં ને કેવાં હતાં ને કેવડાં હતાં એ વિષે સંશોધનો થયાં કરે અને બીજી તરફ રોજ રોજ રાધા-કૃષ્ણના ગીતો ઉમેરાયા કરે છે. ફિલ્મી ગીતકારોએ ફિલ્મની નાયિકામાં રાધાજીને ઘુસાડી દીધાં હોય એવું પણ લાગે. કાન-રાધાના ગરીબરથમાં કવિઓને ચડી જવું ફાવે છે.
આ તો દરિયો છે! કિનારો લાંબો છે! આમાં તટ-રક્ષકો કેટલે પહોંચી વળે ?
LikeLike
એક પણ ભક્તે પંથ શરૂ નથી કર્યો. પંથ જ્ઞાનીઓએ શરૂ કર્યા. દક્ષિણ ભારતમાં પણ નહીં.
જો કે આ લખતાં મને કબીર પંથ યાદ આવે છે, પણ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી કબીરે જીવતાંજીવત તો એ પંથ શરૂ નહોતો કર્યો. ભક્તોએ સમાજના ભાગલા નથી કર્યા, જ્ઞાનીઓએ કર્યા છે. અને આ દરમિયાન રાજકીય અને આર્થિક શોષણ તો ચાલુ જ રહ્યું.
LikeLike
અશોકભાઈ,
નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ ‘આધુનિક કવિ’ હતા, અને જ્ઞાની પણ ખરા. બળવાખોર અને નિર્ભય સમાજસુધારક તરીકે એમને ગાંધીજીના ‘આધ્યાત્મિક પિતા (Spiritual Father)’ કહી શકાય.
તમારો લેખ વાચન, સંશોધન, મૌલિક પૃથક્કરણ (Analysis), ભાષા અને શૈલીની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાનો છે. અભિનંદન.
ઘનશ્યામ ઠક્કર
http://www.ghanshyamthakkar.com
LikeLike
સ્વાગત અને આભાર, શ્રી ઘનશ્યામભાઇ.
LikeLike
I second Ghanshaymbhai. Very interesting article and discussion.
LikeLike
આભાર, શ્રી પંચમભાઇ.
LikeLike
વાત નરસિંહ મહેતાને વટાવી પાછી રાધા કૃષ્ણ ઉપર ચડી ગઈ.ચાલો રાધાને અને તે પણ પરણેલીને ઈવોલ્યુશનરી ફોર્સે મજબુર કરી અને બીજા પુરુષ પ્રત્યે આકર્ષાઈ પણ અહીં તો કૃષ્ણ બાળક છે.બાળકમાં testosterone નીચું હોય.એટલે રાધા કાંતો ચાઈલ્ડ અબ્યુજર હોય કાંતો તે બાળક કૃષ્ણને માતાની જેમ પ્રેમ કરતી હોય.બીજું બાળક કૃષ્ણ ફરી યુવાન થયા હોવા છતાં ગોકુલ ગયા નથી તેવું ખૂદ અશોકભાઈ કહે છે.એટલે મને રાધાકૃષ્ણ પ્રેમની વાતો વિકૃત મનના કવિઓની કલ્પના માત્ર લાગે છે.
આ ભક્તો એકદમ સબ્મીસીવ પ્રકારના સ્ત્રૈણ દિમાગ ધરાવતા હોય છે,કાયમ ભગવાન મદદ કરે તેવાજ પોકારો પાડતા હોય છે,અને પછી એમના ફોલોઅર્સ પણ એમના જેવા બની જતા હોય છે.એમ એક આખી ચેનલ, એક દુષ્ચક્ર ચાલુ થાય છે અને લાંબા ગાળે આખી પ્રજા આખો સમાજ આવો કમજોર બની જતો હોય છે.ભગવાન આવશે અને મદદ કરશે.કોઈ આવતું હોતું નથી,અને સમાજ જુઓ કેવો થઇ ગયો છે?છે કોઈ જોમ જુસ્સો?બીજું આ ભક્તો સ્કીજોફ્રેનીક હોય છે એમને ભગવાન હાજર દેખાય છે,રાસલીલા રમતો,દૂધ પીવા આવતો અને એમની સાથે રમતો.એટલે એમના ફોલોઅર્સ પણ માને કે ખરેખર ભગવાન છે જ અને આવશેજ.માળું હાળું નરસિંહ મહેતાના ઘેર મામેરું ભરવા અને વિવાહ કરવા કે હુંડી સ્વીકારવા આવે છે પણ મુસલમાનો ચડી આવે ત્યારે કેમ નથી આવતો?સુરદાસ જોડે રમવા આવે અને જન્મસ્થાન તોડીને મસ્જીદ બનાવાય ત્યારે નથી આવતો,કેમ?ભલે ભક્તોએપોતાનો પંથ ના સ્થાપ્યો હોય પણ આખું હિન્દુસ્તાન એમનું ફોલોઅર્સ છે.
શંકરાચાર્યે મહાન ફિલોસોફી આપી કે ગ્રંથો રચ્યા,પણ નાની ઉંમરમાં સન્યાસ આપવાનું દુષણ હિંદુ ધર્મમાં હતું જ નહિ તે બૌદ્ધ અને જૈન ધર્મના વાદે ચડી હિંદુ ધર્મમાં દાખલ કરી દીધું,એના પ્રતાપે ૫૦ લાખ સાધુઓની ઉધઈ દેશને ,સમાજને ખોતરી રહી છે.હવે છે કોઈ એનો ઉપાય?
LikeLike
બાપુ,
’ચાલો રાધાને અને તે પણ પરણેલીને’ — પ્રથમ તો ’રાધા’ કવિની કલ્પના છે તો પરણેલી ન પરણેલી એ બધું પણ કલ્પના જ છે. અને બીજું, પરણેલી સ્ત્રી સાથે પ્રેમ ન થાય તેવું કદાચ કોઇ રૂઢિચૂસ્તો માની શકે પણ પ્રેમનો મહિમા ગાનારા કવિઓને આવા બંધન ન પાલવે !!
’ગીતગોવિંદ’ના નાયક ’કૃષ્ણ’ બાળક હતા તેવું તેમાં જણાતું નથી, આપ પણ બે (કે પછી બાર કે હજાર !!) કૃષ્ણની વચ્ચે ભેળસેળમાં ફસાયા લાગો છો 🙂 (આ વિષયે આગળ થોડું લખાશે જ તેથી વધુ ચર્ચા ત્યાં પણ કરીશું.) છતાં શોધનો વિષય છે, જોઇએ કંઇ મળશે કે નહીં તે. હું તો નરસિંહ કે જયદેવ વગેરેના સમયની સ્થિતિઓ પર વિચારૂં છું. શું હશે એ સમયગાળો ? એ જમાનો ? કેવા હશે એ લોકો ? કઇ પ્રકારની પરિસ્થિતિઓ રહી હશે ? જેમાં તેમણે (અને અન્ય ઘણા સર્જકોએ) આ સાહિત્યનું સર્જન કર્યું. અને આ સર્જનમાં પણ એ પછી કેટકેટલા સરવાળા-બાદબાકીઓ થઇ હશે ? ટુંકસમયમાં આપણે એ યુગનો અધિકૃત પ્રવાસ કરીશું. પછી નિર્ણય ક્ષમતામાં વધારો થાય. સથવારો કરાવજો. આભાર.
LikeLike
ભૂપેન્દ્રસિંહભાઈએ અશોકભાઈને ટાંકીને એક વિધાન કર્યું છે કે કૃષ્ણ યુવાન થયા પછી ગોકુળ ગયા જ નહીં.
કંસનો વધ કર્યા પછી એ મથુરામાં જ રહી ગયા અને જરાસંધના હુમલાના ડરથી દ્વાઅરકા ભણી ઉચાળા ભર્યા.
તે પછી કૃષ્ણ મહાભારતમાં પાંડવોના વનવાસ વખતે આવે છે. એ કૃષ્ણનું વ્યક્તિત્વ જ જુદું છે. મેં ઊંડો અભ્યાસ નથી કર્યો પણ મને હંમેશાં લાગ્યું છે કે બે કૃષ્ણો હોવા જોઇએ અને બન્ને ભળીને એક થઈ ગયા છે. ક્યાંક તો ભૂતકાળનો અંશ દેખાય!
નરસૈંયાએ જેની રાસલીલા જોઈ તે ભાગવતનો કૃષ્ણ. એ તો છે જ પ્રેમલક્ષણા ભક્તિનો ગ્રંથ. એનો ઉદ્દેશ તો સામાન્ય જનના મન પર કબજો કરી લે એવો આરાધ્ય દેવ પ્રસ્તુત કરવાનો રહ્યો જ. નરસિંહ, મીરા, ચૈતન્ય, માત્ર આ સમયની પ્રોડક્ટ જેવા હતા. એમણે એ યુગનો સૂત્રપાત ન કર્યો. બીજી બાજુ, કૃષ્ણ ગોસ્વામી વૃંદાવનના મોટા મહંત અને આ પરંપરાના સુત્રધાર રહ્યા. આ સમય દરમિયાન મુસલમાનોને તો અહીં પાંચસો વર્ષ થઈ ગયાં હતાં.
LikeLike
શ્રી દિપકભાઇ, આપની એ વાત કે કૃષ્ણ બે હોવા જોઇએ, એ વાતે બહુ બધા વિદ્વાનો સંમત છે. એક કૃષ્ણ તો એ જે ઈતિહાસમાં છે, અને બીજા એ જે સર્જકોની કલ્પનામાં છે ! કૃતિઓમાં છે, રચનાઓમાં છે !
હવે આપનું માર્ગદર્શન માંગું, બાપુ અને ઘણાં ભક્તજનો વખતો વખત એક જ વાત પકડે કે કૃષ્ણ બાળક હતો, રાધા પરણેલી અને વયમાં મોટી હતી, છતાં રાધા-કૃષ્ણ પ્રેમમાં પડ્યાં આ મનોવિકૃતિ છે વગેરે વગેરે. પછી લોકો વળી ક્યાંક કહે કે તે પ્રેમ માતા-પુત્રનો હોઇ શકે વગેરે વગેરે. વાત ગીતગોવિંદની હોય ત્યારે, ગીતગોવિંદનો નાયક બાળક છે અને ગીતગોવિંદની નાયિકા પરણેલી છે અને છતાં પ્રેમમાં પણ છે (અહીં પ્રેમ એટલે માત્ર ’લવ’ નથી ’લસ્ટ’ પણ છે. આથી માતા-પુત્ર જેવા ભાવ અસ્થાને છે) તેવું માત્ર ગીતગોવિંદના વાંચનથી સમજવું પડે. નહીં કે ગીતા કે મહાભારત કે ભાગવત્. (કારણ તેમાં ક્યાંય રાધા-કૃષ્ણ નથી એવું જાણકારો કહે છે) મારી આ વાત યોગ્ય ગણાય કે નહીં ? કે અન્ય કોઇ રીતે પણ વિચારી શકાય ? જે આપને યોગ્ય જણાય તે જ, વિના પ્રેમભાવે !, જણાવવા વિનંતી. આભાર.
LikeLike
અશોકભાઈ,
તમે ખરેખર વિમાસણમાં નાખી દે એવા સવાલનો જવાબ માગ્યો છે. પ્રામાણિકતાથી કહું તો મારી પાસે આનો જવાબ નથી પરંતુ સાથે મળીને સૌ મિત્રોના સહકારથી શોધી શકાય. એટલે જવાબ નહીં પણ પ્રતિભાવ જ વ્યક્ત કરૂં છું, જેથી વિચાર આગળ વધે.
રાધા અને કૃષ્ણ કવિની કલ્પના માત્ર છે. ગીત ગોવિંદને માત્ર કૃષ્ણને કારણે ભક્તિકાવ્યમાં ન ગણી શકાય. એમાં માતા ને બાળક વચ્ચેનો પ્રેમ નથી. એ શૃંગાર કાવ્ય છે. કામરસથી તરબોળ. જયદેવે આ વિષયને માટે બાળક કૃષ્ણ અને વયસ્ક રાધાને શા માટે પસંદ કર્યાં એ રહસ્ય જયદેવ પોતાની સાથે જ લઈ ગયા. આપણે માત્ર એના વિશે અટકળો કરવાની અહીં છૂટ લઈએ.
જયદેવની પરંપરામાં હેમુ ગઢવીએ ગાયેલું “ખમ્મા મારા નંદજીના લાલ…” પણ ભક્તિકાવ્ય નથી. કૃષ્ણ વિશેનાં હરીન્દ્ર દવેનાં કાવ્યો પણ આ જ શ્રેણીમાં આવે.
આમાં પ્રેમભાવનો મહિમા જ છે. પ્રેમભાવ સાથે કૃષ્ણનું પાત્ર એટલું એકાકાર થઈ ગયું છે કે જ્યારે આ ભાવ વ્યક્ત કરવો હોય ત્યારે અમૂર્તને મૂર્ત બનાવવા માટે કૃષ્ણનું નામ અનાયાસ આવી જાય છે. આજે પણ એવું જ બને છે. અહીં કેટલાંક ઉદાહરણ આપું છું.
ઝીરૉક્સ, ગોદરેજ, ડાલ્ડા, સર્ફ વગેરે આ પ્રકારની બધીપ્રોડક્ટો સાથે એકાકાર થઈ ગયેલાં નામો નથી? મૂળ તો એ કંપનીઓનાં જ નામો છે! મને લાગે છે કે કૃ્ષ્ણનું પણ એવું જ છે. જ્યાં સ્ત્રી અને પુરુષનો પ્રેમ ત્યાં કૃષ્ણ હોય છે. પ્રેમભાવ મુખ્ય છે અને કૃષ્ણ માત્ર એનું બીજું નામ છે, એટલે.ઉંમરનો બાધ અહીં નડતો નથી. જયદેવના કાવ્યનું રહસ્ય આ જ છે.
હિન્દીના સમર્થ વિવેચક રામ વિલાસ શર્મા તદ્દન નવો અર્થ આપે છે. (રેફરન્સ આપી શકું એમ નથી પરંતુ, મોટા ભાગે ‘ભારતીય ભાષા પરિવેશ ઔર હિન્દી’માં છે. એમણે માત્ર શબ્દોનાં મૂળ શોધ્યાં છે). એમનું અર્થઘટન આ પ્રમાણે છે –
કૃશ એટલે ખેંચવું. આકર્ષણ, કૃષિ વગેરેના મૂળમાં આ ધાતુ છે. કૃષ્ણ શબ્દ પણ એમાંથી જ બનેલો છે એટલે એ ખેતીને લગતો શબ્દ છે. રાધ એટલે કણસલું (ગુજરાતીમાં રાડૂં, રાડાં વગેરે શબ્દો છે જ). રાધા શબ્દ આનો વિકાસ છે. આ શબ્દ આરાધનામાં પણ છે. આમ કૄષ્ણ અને રાધાની અભિન્નતા ખેતીની બે અલગ પ્રક્રિયાઓની અભિન્નતા છે. (આ બાબતમાં વધારે રેફરન્સ મળશે તે પછી વિસ્તાર કરી શકાશે. હમણાં માત્ર યાદશક્તિ પરથી લખું છું).
વિલિયમ મોનિયરની ડિક્શનરીમાં રાધાનો અર્થ સમૃદ્ધિ પણ આપેલો છે. (વેબસાઇટ પર મળે છે).
આ સિવાય બિજો મુદ્દોઃ બે કૃષ્ણ હોવા વિશેના મારા અભિપ્રાય વિશે તમે સંમતિ દર્શાવો છો. સાહિત્યનો કૃષ્ણ તો જુદો છે જ. સાહિત્યમાં, દંતકથાઓમાં અકબર, બીરબલ ,અનારકલી છે તે ઇતિહાસમાં નથી. હું તો માનું છું કે એક સમયે (જુદા જુદા સમયે) બે ઐતિહાસિક કૃષ્ણો હશે અને પછી એમને ભેળવી દેવાયા છે. એનો સાંધો જરાસંધના ભયથી ભાગવાના પ્રસંગમાં છે. યાદવોમાં રાજા નહોતો. ઉગ્રસેન સમાજના મુખી તરીકે રાજા હતો. કંસે આવ્યવસ્થાને તોડી પાડી અને બળજબરીથી સત્તા હાથમાં લઈ લીધી. તે પછી એને લોકોને દબડાવવામાંડ્યા. પોતાનો ખજાનો ભરવા માટે એણે પશુપાલકો પર પણ ટૅક્સ નાખ્યો. આ લોકો ગ્રામીણ અર્થતંત્રના અંગરૂપ હતા. અને મથુરા નગરીમાં દુધ દહીં વેચીને ગુજરાન ચલાવતા. હવે ટેક્સ આવતાં એમને વિરોધ કર્યો અને એમણે કહી દીધું – ” મહીડાંનાં દાણ અમે નહીં દઈએ રે…” એવખતે કિશોર કૄષ્ણ એમનો નેતા બન્યો અને કંસને માર્યો. ટૅક્સને કારણે શહેરી લોકોને પણ ડેરી પ્રોડક્ટો મોંઘી મળવા લાગી હતી. એટલે એમને પણ રોષ હતો જ. આમ કૃષ્ણ સમગ્ર યાદવ સમાજનો નેતા બન્યો. આ કથા અહીં પૂરી થાય છે. તે પછી મહાભારતનો કૃષ્ણ દ્વારકાનો છે પરંતુ આપણે એના પ્રવેશ સાથે કશા સંદર્ભ વિના જાણીએ છીએ કે એ યાદવોનો (વૄષ્ણિઓનો નેતા છે). આ બે અલગ કૃષ્ણો એવા એકમેકમાં ગુંથાઈ ગયા જણાય છે કે અલગ પાડવા મુશ્કેલ છે.
LikeLike
અશોકભાઈ, હું પણ દીપકભાઈ અને અન્ય વિદ્વાનો સાતેહ્ સહમત થઉં છું કે આ બે કે વધુ કૃષ્ણ હોવા જોઈએ. એનું કારણ મારો જાત અનુભવ છે. હું નાનો હતો ત્યારે બહુ તોફાની હતો, મારા આખા શરીરે પડીને વાગ્યાના ઘાના ડાઘા હજુ છે, પણ અત્યારે ૩૮ની ઉંમરે હું કોઈપણ જોખમ લેતાં, અરે એસ્સેલ વર્લ્ડની અમુક રાઈડ્સમાં બેસતાં પણ ડરું છું. અમે ખાડિયામાં પોળના એક છેડેથી શરૂ કરી બીજા છેડે છાપરાં કુદીને જતાં હતાં, અને અમુક જગ્યાએ ચાર માળની ઉંચાઈએ, ઢાળ વાળા છાપરા પર ૩-૫ ફિટનો ગેપ પણ કુદી જતાં, પણ આજે એ હિંમત ના કરી શકું. કોલેજમાં ખુબ રમુજી હતોઝવે ગંભીર થઈ ગયો છું. મારા કોલેજના મિત્રો મળે છે તો ઘણી વખત કહે છે, કે તું એ ધવલ નથી. હું ઘણો ગુસ્સાવાળો પણ હતો, પણ શેફાલી મારા કરતા વધુ ગુસ્સાવાળી છે, એટલે કદાચ મારો ગુસ્સાવાળો સ્વભાવ પણ હવે ટક્યો નથી. જેણે મારો ગુસ્સો જોયો છે તે હંમેશા કહે છે કે આવો શાંત ધવલ તો હોઈ જ ના શકે. મારા મમ્મી હંમેશા કહે છે કે તું લગન પછી બદલાઈ ગયો છું. તો જો, મારી જ વાત કરું તો, નાનપણનો ખાડિયાનો તોફાની ધવલ, કોલેજનો ઉચ્છંખલ ધવલ, કોલેજ પછીનો અને લગન પહેલાનો મમ્મી પર ગુસ્સો કરનારો ધવલ, અને આજનો શાંત, જોખમ નહી ખેડનારો, ઠરેલ ધવલ. આ વચ્ચેના અનેક બીજા ધવલો હશે. માટે જો હું એક હોવા છતાં ચાર જણાતો હોઉં તો, કૃષ્ણ કેમ નહી? મારો કોલેજનો એક મિત્ર, ખુબ છેલબટાઉ, ૧૫ છોકરીઓ જોડે લફરા હશે. પડોશની ભાભીઓએ સાથે પણ તે રાસલીલા કરતો. પણ લગન થયાં, એક છોકરી થઈ, આજે તેના જેવો ચારિત્ર્યવાન કોઈ મને નથી દેખાતો. તો જે કૃષ્ણ લગ્ન પહેલા ગોપીઓ સાથે લીલાઓ કરતો હોય (રાધાને તો હજુ આપણે વચ્ચે લાવતાં જ નથી) તે રુક્મિણિ સાથે લગ્ન કરીને કેમ ઠરીયલ ના થઈ જાય? જેણે લગ્ન પહેલા નિષ્ફળ પ્રેમો કર્યા હશે તેને ખબર જ હશે કે લગ્નજીવનમાં હોળી ચાંપવી હોય તો જ પહેલાના લફરાઓને તાજા રખાય, શું કૃષ્ણને આપણે એટલો મુર્ખ માની લઈએ છીએ કે એની પાસેથી લગ્ન કર્યા પછી, દ્વારકાના રાજા બન્યા પછી પણ પોતાની ગોપીઓ સાથે રાસ રમવા જવાની અપેક્ષા રાખીએ? એ ઉપરાંત તે રાજા બન્યો હતો, રાજા અને ગોવાળના છોકરા વચ્ચે તો ભેદરેખા રાખવી જ જોઈએ ને? તે જ તેને કર્યું. બાળપણમાં બળીયા રાક્ષસોને મારતી વખતે કે કાળીનાગને નાથતી વખતે તેને પોતાના સિવાય અન્યોનો ખ્યાલ નહોતો, પણ મથુરાની ગાદી પર બેઠા પછી, જરાસંધના આક્રમણો સામે લડતી વખતે તેણે સમગ્ર મથુરાની પ્રજાનો વિચાર કરવાનો હતો, માટે જ તેણે એક સમયે લડત મુકીને દ્વારકા વસાવવાનું વધુ પસંદ કર્યું, કે જેથી હવે જેની જવાબદારી તેના શિરે હતી, તે પ્રજાનું ક્ષેમકુશળ સચવી શકે. કોઈપણ વ્યક્તિ જીવનમાં ઉંમર વધતાં બદલાતી જાય છે, એ રીતે તે પણ બદલાયો, અને માટે તેને એક કરતા વધુ ગણાવી શકીએ.
સાથે સાથે, એ વાત સાથે પણ સહમત છું કે સાહિત્યનો કૃષ્ણ, લીલાઓ કરતો કૃષ્ણ અને દ્વારકાનો કૃષ્ણ તદ્દન જૂદું વ્યક્તિત્વ ધરાવે છે, તેનું કારણ એ પણ હોઈ શકે કે તેને રજૂકર્તાએ પોતાને ગમ્યાં તે ભાવો જ વધુ પ્રગટ કર્યાં હોય, પણ એનો અર્થ એવો પણ ના કરી શકીએ કે તે ફક્ત કલ્પનાઓ હતી. મારા પપ્પાના મિત્રો તેમને રે રીતે જાણતા હોય તેના કરતાં તદ્દન વિપરિત રીતે મારા કુટુંબના લોકો જાણતા હોય, અને તેમના કરતાં પણ જુરી રીતે અમે તેમના બાળકો અને તેમની પત્નિ તેમને જાણતી હોય. હવે તેમના મિત્રો તેમનું જીવનચરિત્ર લખે તો અલગ પાસાઓ પ્રમાને વર્ણન કરે, હું અલગ વર્ણન કરું અને મારા કાકા, મામા, ફોઈ માસા કાંઈક અલગ જ વર્ણન કરે. એવું છે આ બિચારા કૃષ્ણનું. એનું સદભાગ્ય એટલું કે હજુ કોઈએ તેની ઉપર પણ કાંઈ કામ નહી કરવાનો અને ગામને મારતા રહેવાનો આરોપ નથી મુક્યો. પણ તેથી મોટો આરોપ ઘમંડી હોવાનો તો મુકાઈ જ ગયો છે તેની ઉપર. ખેર, જેવી જેની માન્યતા.
હવે રાધા વિષે જોઈએ તો, રાધા ફક્ત જયદેવની કલ્પના હતી તેવું કદાપિ ના કહી શકીએ. કેમકે રાધાનો ઉલ્લેખ બ્રહ્મ વિવર્ત પુરાણ કે જે અઢાર મુખ્ય પુરાણો પૈકિનું એક છે તેમાં પણ છે અને ગર્ગ સંહિતા કે જેનો રચનાકાળ ૯૦૦થી ૫૦૦ ઇસ.પૂર્વેનો માનવામાં આવે છે તેમાં પણ છે (આવું અંગ્રેજી વિકિપીડિયા પરથી જાણવા મળ્યું). જયદેવનું ગીતગોવિંદ ૧૨મી સદીમાં રચવામાં આવ્યું છે, તેથી તેમના પ્રેરણાસ્ત્રોત તરિકે આપણે બ્રહ્મ વિવર્ત પુરાન અને ગર્ગ સંહિતાને ગણાવી શકીએ. હા, એવું કહી શકાય કે રાધાને કૃષ્ણ કરતાં ઉંમરમાં એટલી મોટી, પરણેલી વગેરે ચિતરવી તે તેમની કલ્પના હોઈ શકે, પણ રાધા એક પાત્ર તરિકે તદ્દન બનાવટી કલ્પના નથી, પણ વાસ્તવિકતા છે. કનૈયાલાલ મુનશીએ કૃષ્ણાવતાર નામે ૭ ભાગમાં કૃતિ રચી છે, તેમાં બધાંજ સાચા પાત્રો છે, પન ઘટનાઓ ઘણી કાલ્પનિક છે. એટલે તેમણે કૃષ્ણને સ્વાર્થી અને કપટી બતાવ્યા છે, કે તે સત્યભામાને ફક્ત સ્યામંતક મણી માટે પરણ્યા, એ ઘટના ક્યાંય ના જોવા મળતી હોય એનો અર્થ એવો તો ના કરી શકીએ કે સત્યભામા એ પાત્ર જ કાલ્પનિક અને ક.મા.મુનશીએ બનાવેલું છે. એવું જ રાધાનું પણ છે.
ભુપેન્દ્રભાઈ ઘણી વખત વધુપડતા કલ્પનાઓમાં વહી જાય છે અને તે કારને અતિશયોક્તિ કરી બેસે છે. ગીતગોવિંદ જેવી સુંદર રચનાને અને તેના ઉમદા કવિને પિડોફાઈલ કેવી રીતે ગણાવી શકીએ? તેમને ક્યાંય કૃષ્ણના જનનાંગોનું વર્ણન કર્યું છે? ક્યાંય કૃષ્ણ અને રાધાને સંભોગરત દર્શાવ્યા છે? જો એવું હોય તો કદાચ તેમને પિડોફાઈલ કહેવા વિશે વિચાર કરી શકીએ. તેથી વધુ, એટલા વર્ષો પહેલા યુવાવસ્થા અને કૌમાર્યવસ્થાની શું ઉંમર હતી તે આપણને ખ્યાલ છે? જો કોઈક બાળક ૧૦ વર્ષે કે ૧૪ વર્ષે કંસ જેવા રાજાને મારીને તેની ગાદીએ બેસી શકે તો તેને બાળક કહેવો કે પુખ્ત? તો તે ૧૪ વર્ષે મથુરાનું રાજ્ય સંભાળવા માટે પુખ્ત ગણાય તો જયદેવની રચનાઓમાં ૧૦-૧૨ વર્ષની ઉંમરના બાળકને તેનાથી એકાદ વર્ષ મોટી ઉંમરની કન્યા સાથે પ્રણય ખેલતો દર્શાવવામાં ક્યાંથી પિડોફાઈલ બની જવાયું? આપણા દાદાઓ પણ ૧૩-૧૪ વર્ષની ઉંમરે પરણતા હતાં, અંગ્રેજોના પ્રભાવથી આપણે ૧૮-૨૧ વર્ષની પુખ્ત વય મર્યાદા નક્કી કરી. પણ આજે પણ યુ.કે. જેવા દેશમાં ૧૨ વર્ષનો છોકરો ૧૪ વર્ષની છોકરીના બાળકનો પિતા હોવાનો દાવો કરે છે. છાપાઓ આ સમાચાર છાપે તો તેમની ઉપર પિડોફાઈલ હોવાનો આરોપ મુકી શકાય? કે પછી પેલી ૧૪ વર્ષની છોકરી પર પિડોફાઈલ હોવાનો આરોપ મુકવો? સમય, સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થાની પાકી જાણકારી મેળવ્યા વગર આવા અશિષ્ટ વિશેષણો કોઈના પણ માટે વાપરવા શોભનિય નથી એવું મારું માનવું છે. હું હંમેશા કહું છું તેમ જરૂરી નથી કે હું કાયમ સાચો હોઉં, અહિં પણ હું ખોટો હોઉં એવું શક્ય છે.
LikeLike
અશોકભાઇ ખૂબ ખૂબ સરસ માહિતી લેખ. પ્રતિભાવો દ્વારા ચર્ચાઓ વાંચવાનો આનંદ આવ્યો અને ઘણી બધી જાણકારી પ્રાપ્ત થઇ. ચર્ચાઓ વાંચવામાં ત્રણ દિવસ પસાર થઇ ગયા અને એમાં આપની મહેનત માટે ધન્યવાદ આપવાનું જ રહી ગયું તે બદલ ક્ષમા. આગળ આપના નવા લેખો અને ચર્ચાઓ માટે રાહ જોવાની રહી.
LikeLike
આભાર, મિતાબહેન.
ધન્યવાદ કરવા ન કરવા બાબતે ક્ષમા માંગવાની ન હોય. આપ સમા મિત્રો આટલી મગજમારી વાળા લેખ (અને પ્રતિભાવો પણ !) વાંચો છો તે જ મારે અને પ્રતિભાવ આપવામાં મગજનું દહીં કરતા આપણા સૌ મિત્રો માટે ઉત્સાહવર્ધક છે. આ પ્રકારના લેખ પર મિત્રોમાં જ્ઞાનસભર વાદ-પ્રતિવાદ થયે જ રાખે, સરવાળે સૌમાંથી અને સૌને કશુંક ઉપયોગી જણાતું સાંપડે તો ખરૂં જ. મને હતું આ જમાનામાં આવી મગજમારીમાં ગણ્યાગાંઠ્યા પાંચ-દશ મિત્રો સીવાય કોને રસ પડે ! પણ મને આનંદ છે કે આ લેખ અને તેનાં પ્રતિભાવો (અને તેના પણ પ્રતિભાવો !) પર, નેટ પર ચર્ચા ફાવતી હોય તે તો ખરા જ, ઉપરાંત રૂબરૂ કે ફોન દ્વારા પણ મળીને, લગભગ ૨૦૦ ઉપરાંત મિત્રોએ ભારે રસ લીધો. (એક દિવસ તો રાત્રે ૧૨ વાગ્યે ફોન કરીને એક મિત્રે ’નાગર નંદજીના લાલ..’ ના ખરા અર્થ પર એવું ભાષણ કર્યું કે સવાર સુધી જાગતો જ રહ્યો 🙂 ) પણ આ પ્રેમ ઉત્સાહ વધારે છે. આભાર.
LikeLike
આદરણીય શ્રી અશોકભાઈ,
ભક્ત નરસૈયાના પેગડામાં પગ મૂકી ભજન પદ કે પ્રભાતીયાં રચી શકે
તેવો કોઈ કવિ પેદા થયો નથી અને આવતી સદીઓમાં થશે પણ નહિ
જેના પ્રભાતિયા વહેલી સવારે સાંભળવા ગમે.જેના રાસ આજે પણ ગમે તે કવિ
અને ગાયક નવરાત્રી કે કોઈ પ્રસંગે ગાઈ શકે છે. ગુજરાતનો આદિ કવિ એટલે
નરસિંહ મહેતા …વાહ ખુબ સરસ લેખ……..અભિનંદન.
“તળેટી વિષે એવું લાગ્યા કરે છે હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે”……..અશોકભાઈ
LikeLike
શ્રી ગોવિંદભાઇ, આભાર આપના અમુલ્ય પ્રતિભાવ બદલ.
જુનાગઢનાં જ શ્રી મનોજભાઇ ખંડેરીયાની આ રચના;
’તળેટી જતાં એવું લાગ્યા કરે છે
હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’ ટાંકીને આપે મુગટ પર મોરપિચ્છ ચઢાવી દીધું !
આ અનુભવ લેવા જેવો છે, અમે તો ચોક્કસ કહીશું કે હા, હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. સાંભળવા માટે થોડું પાગલપન જોઇએ !!!
LikeLike
જુનાગઢનાં જ શ્રી મનોજભાઇ ખંડેરીયાની આ રચના વાંચીને તો મારા મનનો ભાર સાવ ઉતરી ગયો. આજે મનોજ મુની ની પણ એક રચના વાંચી અને સાવ હળવો થઈ ગયો.
બાપુજી (સ્વામી ભજન પ્રકાશાનંદજી) અમને એક કડી વારંવાર ગવરાવતા:
’તેરા તુજકો અર્પણ – ક્યાં લાગે મેરા’ અને કહેતા કે જેનું જે હશે તે સંભાળી લેશે.
તમે ભગવાનના થઈ જાવ તો ભગવાન તમારી સંભાળ લેશે અને આ સંસાર ભગવાનનો છે તો તેને અર્પણ કરી દ્યો – આ બધી ઉપાધી તો મારું મારું કરવાને લીધે છે.
આ જિંદગીરુપી એક ખેલ ખેલવા આવ્યા છીએ તે ખેલી લીધો – હવે તો સાવ હળવો થઈ ગયો છું અને રહ્યો છે માત્ર આનંદ આનંદ અને આનંદ 😛
LikeLike
@ શ્રી દિપકભાઇ, શ્રી ધવલભાઇ.
(હવે અહીં આપની આગળ વિદ્વાન કે જ્ઞાનિ એવા એવા વિશેષણો લખવા પડે તે પણ આપનું અપમાન ગણાશે માટે નથી લખ્યું !)
દિપકભાઇએ બે કૃષ્ણ અને ધવલભાઇએ બે કૃષ્ણ બાબતે જે અદ્ભૂત વિશ્લેષણ આપ્યું તે એક શાથે વાંચવા અન્યથા કદાચ અડધી દુનિયાનું ચક્કર લગાવવું પડે ! રાધા વિશે ધવલભાઇએ વળી નવીન જાણકારી આપીને આપણને નવું વાંચવાના ધંધે લગાડ્યા છે ! એ બદલ એમનો આભાર. અન્ય વિષયે હજુ કશી ધારણા બાંધવી વહેલી ગણાય, પરંતુ મને અને રસ ધરાવતા મિત્રોને આપ બંન્નેએ આપેલી જાણકારી આગળ અભ્યાસ માટે બહુ ઉપયોગી જણાશે.
હાલ નરસિંહ મહેતાના સ્થળકાળની પરિસ્થિતિઓ બાબતે શક્ય તેટલી અધિકૃત, ઐતિહાસિક માહિતીઓ એકત્ર કરવાની કોશિશ કરૂં છું. એકાદ દિવસમાં આ થોડીઘણી માહિતીઓ આપની સમક્ષ રજુ કરીશ, જે કદાચ નરસિંહનાં સમયને અને ત્યારના સમાજને સમજવામાં થોડું મદદરૂપ થશે. આપ મિત્રોનું માર્ગદર્શન મળતું રહે તેવી અભ્યર્થના સહઃ આભાર.
LikeLike
૧) નરસિંહની પહેલાંની મહત્ત્વની ઘણીબધી કૃતિઓ મળતાં હવે તેઓ આપણા ‘આદ્યકવિ રહ્યા નથી, છતાં એમનું પ્રદાન અને એમની ઉત્તમ સાહિત્યિકતાએ કરીને તેઓ આજે પણ આદરણીય કવિ જ રહ્યા છે.
૨) નરસિંહ વધુ સાહિત્યકાર હતા કે ભક્ત ? એનો જવાબ અઘરો હોવા છતાં તેમને સાહિત્યકાર તરીકે બીજો ક્રમ મળે. મારા નમ્ર મતે તેઓમાં ભક્તિ, જ્ઞાન અને કર્મ એમ ત્રણેય યોગનું સંયોજન થયેલું છે. મોટે ભાગે નરસિંહનાં કાવ્યોને લીધે અને તેમના કહેવાતા ચમત્કારોને લીધે ઉપરાંત સુદામાચરિત્ર–શામળશાનો વિવાહ–કુંવરબાઈનું મામેરું વગેરે જેવી કૃતિઓએ કરીને તેમને ભક્ત તરીકે જ સ્થાપી દેવાયા છે, બાકી તેમનાં કાવ્યોમાં નર્યું જ્ઞાન અને તે પણ અદ્વૈતને સમજાવનારું જ્ઞાન મળે છે એ વાત ઘણા ભુલી જાય છે. કદાચ એમને કોઈ ભાગેડુ કે પત્નીને અન્યાય કરનાર કે સ્ત્રીના પત્નીત્વની હાંસી ઉડાડનાર કહે પણ એ તો જેવી જેની કક્ષા. હકીકતે જે માણસ કહેવાતા નીચલા સ્તરના મનુષ્યોનેય પાંખમાં લેતો હોય તે પોતાનાં માણસોને અન્યાય શી રીતે કરે ?! ‘ભલું થયું ભાંગી ઝંઝાળ’ એવું કહેવાની તાકાતને સમજવાની તાકાત આપણામાં કેટલી ?
નરસિંહને કોઈ આળસુ પણ કહે પણ મારો દાવો તો છે કે તેઓ કર્મઠ હતા. નહીંતર આખા સમાજની સામે પડવા શું કામ જાય ? કરતાલ લઈને ભજનો ગાયા ન કરે ? રાજાની સામે થઈને એનેય કોઠું ન આપનાર નરસિંહ પૌરુષથી ભરપૂર ભડ હતા. અર્થાત્ ભક્તિયોગ–જ્ઞાનયોગ–કર્મયોગનું તેઓ અદ્ભુત સંયોજન હતા.
૩) ચમત્કારોની પાછળ પડી જનારાઓ ભુલી જાય છે કે એમણે કોઈએ ભાગ્યે જ પોતે ચમત્કારી હોવાનો દાવો કર્યો છે ! આજના સાધુબાવાગુરુબાપુઓની જેમ આ બધા પૌરાણિક પવીત્ર માણસોનેય એ જ લાકડીએ હાંકવાનું પાપ કરવા જેવું નથી. એ લોકો સાવ સાદાસીધા સર્જકો હતા. આપણા કુંઠિત માપદંડથી તેમની ભક્તિ કે સાહિત્યને માપવાની ભૂલ કરવા જેવી નથી. એમની તો મજાક પણ કરાય નહીં !! એમની તો વંદના જ હોય.
૪) ગીતાનું જ્ઞાન–ગાન અઢી કલાકનું નહોતું. ૭૦૦ શ્લોકો ‘મધ્યેમહાભારતમ્’ શક્ય જ નથી. મહાભારતની વાર્તામાં આવતો એ અદ્ભુત જ્ઞાનખંડ છે. એને મૂલવવામાં ભલભલા થાપ ખાઈ જાય છે. આવી મહાન કૃતિઓને પણ આપણી આજની વિચારધારાઓના માપદંડે દંડી નાખવાની ન હોય.
૫) કોઈ પણ વ્યક્તિ ક્યારેય પૂર્ણ ન હોઈ શકે. નરસિંહ મહેતાનું જીવન, એમનું કવન એટલું સદ્ધર છે કે એમના અવગુણો શોધવામાં તકલીફ થઈ જાય. પાણીમાં બરફ નવમાં ભાગનો જ દેખાય એટલે બરફને ઓછો આંકવાની ભૂલ થાય તે સહજ છે પરંતુ જેની સર્જકતાનો આખો પર્વત આપણી આંખ સામે હોય છતાં એના કોઈ એકાદ બે અંશોને પકડીને આવી વ્યક્તિને ચર્ચવી એ કેટલું યોગ્ય ? નરસિંહના અગાધ જળરાશિમાંથી ચાંગળુક પાણી લઈને એમાંની કોઈ – જો હોય તો પણ – નબળાઈઓને ચર્ચવી તે કેટલું વૈજ્ઞાનિક, આધારભૂત કે નૈતિક ગણાય ?
૬) રાધાના પાત્ર વિષે પણ તે જ્યારે કાલ્પનિક જ છે ત્યારે તેને લઈને કેટલીક બાબતો ચર્ચા માટે યોગ્ય ન ગણાય. ઉત્તમ કૃતિ એની સાહિત્યિકતાને આધારે માપવાની હોય. સાહિત્યના માપદંડોથી માપવાની હોય, દરેક વખતે આપણા સામાજિક મૂલ્યો અને નૈતિકતાના માપદંડો કદાચ ત્યાં લાગૂ ન પણ પડે. આવા સમયે ચર્ચાઓ થાય પણ આત્યંતિકતાને દૂર રાખવામાં આવે તે જ વધુ તંદુરસ્ત ગણાય.
૭) આ પણ મારા ફક્ત વિચારો જ છે. એનેય હું નમ્રતાપૂર્વક મૂકી રહ્યો છું. ચર્ચાનું મૂલ્ય ઓછું આંકવાનો કોઈ ઈરાદો નથી. સૌને ધન્યવાદ અને આભાર સાથે.
LikeLike
શ્રી જુગલભાઈ,
તમારા મુદ્દા નંબર ૪ના અનુસંધાનમાં મારા જ એક પ્રતિભાવમાંથી એક વાક્ય અહીં ટાંકું છું
“શ્રદ્ધા હોય તો માની શકાય કે ગીતા આપણી સમક્ષ જે રીતે પ્રસ્તુત થઈ છે તે જ રીતે પદ્ય સ્વરૂપે યુદ્ધના મેદાનમાં ગવાઈ હશે.” યુદ્ધ માત્ર રૂપક છે.
આ બાબતમાં મેં બે કૉમેન્ટ્સમાં વધારે સ્પષ્ટતા કરી છે. ગીતાના જ્ઞાન વિશે ચર્ચા કરવાનું આ સ્થાન પણ નથી. ભક્તસાહિત્યને હું આપણો અણમોલ વારસો માનું છું.અહીં તો ભક્તો્ને અને ચર્ચાના સંદર્ભમાં ખાસ પુછાયેલા પ્રશ્નના ઉત્તરમાં રાધાના રચયિતાને સમજવાના પ્રયાસ દરમિયાન કૃષ્ણને પ્રેમભાવનો પર્યાય માનીને મારા વિચારો વ્યક્ત કર્યા છે.
LikeLike
શ્રી જુગલકિશોર ભાઇ, સૌ પ્રથમ હું ક્ષમાપ્રાર્થું છું. કોઇ કારણે આપનો આ પ્રતિભાવ મોડરેશનમાં પડેલો હતો (અહીં મોડરેશન રાખ્યું જ નથી છતાં આવું થયું !) અને અંગત કારણે એક દહાડો કોમ્પ્યુટરથી દુર રહ્યો તેથી જરા વારે અહીં જાહેરમાં મુકાયો. આશા છે આ ક્ષતિ ક્ષમ્ય ગણશો. આપના માર્ગદર્શન બદલ આભાર. મિત્રોએ કશી કડવાહટ મનમાં આણ્યા વિના બહુ સાલસતાપૂર્ણ ચર્ચા અને માહિતીઓનું આદાન-પ્રદાન ચલાવ્યું છે તે બધા ધન્યવાદને પાત્ર છે. આપના દ્વારા જે કહેવાયું તેના અમુક અંશને અનુરૂપ નવો લેખ હમણાં જ અહીં પ્રકાશિત થવા જાય છે. આશા છે આપનું અમુલ્ય માર્ગદર્શન પણ મળતું જ રહેશે.
આભાર.
LikeLike
મારા વાલીડા બધા એક બાજુ થઇ ગાયા છે,કોઈ તો મારા પક્ષે બોલો?હવે કૃષ્ણ બે થઇ ગાયા,નરસિંહ બે,હવે ગાંધીજી પણ બે થઇ જવાના.મને લાગે છે જયદેવ પીડોફીલીયાથી પીડાતા નહિ હોય પોતે વિક્ટીમ હોવા જોઈએ.એનો આનંદભૂલી શક્યા નહિ.એક ઉત્તર ભારતીય સ્ત્રી અહીં ટીચર હતી.એના નાનાકોઈ કૃષ્ણ જેવડા વિદ્યાર્થી સાથે એને ઉત્તેજિત કરીને સેક્સ માણતી હતી.કોઈને ખબર નહિ હોય.હવે પેલો બાળક મોટો થઇ ગયો અને પોલીસમાં જોઈન થઇ ગયો.હવે એને લાગ્યું કે પેલી ટીચર એનો ગલત ઉપયોગ કરતી હતી.આણે વર્ષો પછી કોર્ટમાં કેસ મૂકી દીધો ચાઈલ્ડ અબ્યુજીંગનો.પેલી ભારતીય શિક્ષિકાને જેલમાં જવું પડેલું.ધવલભાઈના મતે આપણા દાદાઓ ૧૩ કે ૧૪ વર્ષે એમની સરખી ઉંમરની સ્ત્રીઓ જોડે પરણતા હતા.ગાંધીજી ૧૩ વર્ષે એક વર્ષ મોટા ૧૪ વર્ષના કસ્તુરબા જોડે પરણેલા.કોઈ ૨૫ વર્ષની સ્ત્રી ૧૨ વર્ષના બાળક જોડે પરણી હોય એવું હોય તો જણાવશો.મતલબ બાળકો સાથે સેક્સ ખરાબ ના ગણાય???જરા સવાલ જ પૂછ્યો છે.ખોટું ના લગાડતા ભાઈલા.હા પણ તમારી વાત સાચી છે મને જયદેવ સસ્પેક્ટ નહિ વિક્ટીમ લાગે છે.
બાકી બીજું બધું વિશ્લેષણ બહુ સારું છે.આપણાં વ્યક્તિત્વના બે શું ઘણા બધા પાસા હોય છે,પણ વ્યક્તિ તો એક જ હોઈએ છીએ.કૃષ્ણ વળી અનેક કોણી આયામ ધરાવતા હતા.મલ્ટી ડાયમેન્શનલ.એટલે તો અમારા નંબર વન પ્રિય છે.
LikeLike
આપનું આ “મારા વાલીડા”…. કોને આપનાથી દુર જવા દે એમ છે ?!!!!!
આપણે ભક્તિભાવે એકબીજાની મિત્રતા ક્યાં કરવી છે ? (તો તો વળી નવો પંથ થશે !) આપણી પણ ’પ્રેમલક્ષણા મિત્રતા’ છે ! અને પ્રેમ હોય ત્યાં પ્રશ્નો તો પહેલાં હોય !! (કયા પ્રેમીઓ એવા હશે જેણે એકબીજાના કહેવા પર શંકા નહી આણી હોય !!) મારા મતે આપણે ભક્તો નથી શોધકો છીએ ! બધા નવું નવું શોધે છે, અને આ મહેનત પાછળ માત્ર પ્રેમ છે. ભાષા, સંસ્કૃતિ, માનવતા, કલા, જ્ઞાનવિજ્ઞાન, ઈતિહાસ વગેરે વગેરે પ્રત્યેનો પ્રેમ. (બાકી અહીં ક્યાં કોઇને કંઇ પગાર-વળતર મળવાનું છે !!)
નવો લેખ ચઢવામાં જ છે, જે હવે થોડો ઈતિહાસ જણાવી માથું પકવશે ! માર્ગદર્શન જરૂરી. આભાર.
LikeLike
બાપુ, ચોક્કસ ૨૫ વર્ષની સ્ત્રીએ ૧૨ વર્ષના બાળક જોડે માણેલું રતિસુખ આજના સમાજ પ્રમાણે ખોટું ગણાય. પણ, અહિં સવાલ બે પેદા થાય છે,
૧) આપણને ખબર છે કે તે સમયે સમાજ શું વિચારતો હતો? ભારતમાં પુખ્તવય મર્યાદા પુરુષ માટે ૨૧ વર્ષ અને સ્ત્રી માટે ૧૮ વર્ષ છે, પણ અહિં યુ.કે.માં સ્ત્રી-પુરુષ બંને માટે ૧૭ વર્ષની છે. ભારતમાં ૧૮ વર્ષથી નાની ઉંમરની સ્ત્રી/યુવતિ સાથે કરેલા લગ્ન બાળલગ્ન ગણાય, ગેરકાયદેસર અને સજાને પાત્ર છે, જ્યારે યુ.કે.માં ૧૬ વર્ષ પછી કરવામાં આવતા લગ્ન કાયદેસર છે. આજના ભારતમાં લગ્ન સંબંધે જોડાયેલા યુગલમાં પુરુષ સ્ત્રી કરતા ૧૦-૧૫ વર્ષ મોટો હોય તે સ્વિકાર્ય છે, પણ સ્ત્રી પુરુષ કરતાં આટલી મોટી હોય તે કલ્પી શકાય તેવું પણ નથી. પરંતુ વિદેશમાં આવું નથી. ત્યાં તમને અનેક ઉદાહરણો મળશે જ્યાં ૫૭ વર્ષની સ્ત્રી ૨૭ વર્ષના પુરુષ સાથે લગ્ન કરે. તો ૩૭ વર્ષની સ્ત્રી ૧૬ વર્ષના યુવક સાથે લગ્ન કરે તે પણ શક્ય, સ્વિકાર્ય અને કાયદેસર જ હોય. માટે, તે સમયના ભારતીય સમાજમાં ૧૨ વર્ષના કિશોરના ૨૫ વર્ષની સ્ત્રી સાથેના પ્રણય સંબંધ માન્ય નહી જ હોય તેવું આપણે આજના ફક્ત ભારતના વિદેશી સંસ્કૃતિથી પ્રભાવિત થયેલા સામાજીક વિચારો પરથી કેવી રીતે કહી શકીએ?
૨) આથી પણ મોટો સવાલ એ ઉદ્ભવે છે કે શું ખરેખર જયદેવે કહ્યું છે કે કૃષ્ણ ૧૨ વર્ષનો અને રાધા ૨૫ વર્ષની હતી? (મને ખ્યાલ નથી, કેમકે મેં જયદેવ અને તમના ગીતગોવિંદનો અભ્યાસ નથી કર્યો, માટે આ એક સહજ પ્રશ્ન છે, કોઈ દોષારોપણ નથી.) જો તેમણે આ બંનેની આવી ચોક્કસ ઉંમર કહી હોય તો આગળ વિચારી શકીએ, અને જો આગળ વધીએ તો ફરી પાછો ઉપરનો પ્રશ્ન નં ૧ પુછવો પડે.
અમે બધાં તમારા જ છીએ, દક્ષિતભાઈ તો હંમેશા તમારે પક્ષે હોય છે જ, એટલે બધા એક બાજુ થઈ ગયા તેવું તમે ના કહી શકો. પણ હા, જો તમે આ પિડોફાઇલ શબ્દ પાછો ખેંચી લો તો હું પણ તમે ઉપર કરેલી અન્ય કબુલાતોને પગલે તમારા પક્ષે આવી જવા તૈયાર છું? બોલો યુદ્ધ સંધિ માટે આ ક્ષત્રિય તૈયાર છે?????
LikeLike
મેં લખ્યું જ છે કે જયદેવ પીડોફેલીયાથી પીડાતા નહિ હોય પણ વિક્ટીમ હશે,બીજું કે એક વાર પુરુશ કે સ્ત્રી પુખ્ત થઇ જાય છોને દરેક દેશમાં એનું ધોરણ જુદું હોય,પછી ઉંમરનો કોઈ બાધ ના રહે. પણ કોઈ નાના બાળક સાથે આવું કરે તેવું તો ના ચલાવી લેવાય ને?ચાલો ૧૮ કે ૨૦ વર્ષે કોઈ છોકરો ૭૦ વર્ષની કાકી જોડે ફરે તો આપણે શું?પંડિત રવિશંકરના પત્ની એમનાથી ૩૦ વર્ષ નાના છે.પણ એ પોતે જયારે રવિશંકર જોડે પરણ્યા ત્યારે કોઈ ટીન એજર પણ નહોતા,ઉલટાના મેરીડ હતા અને રવિશંકરના પ્રેમમાં હતા તો ડિવોર્સ લઈને રવીદાદા જોડે પરણ્યા.પેલો હલ્ક હોગન યાદ છે?રેસલર?હવે તો ઘરડો થઇ ગયો છે એની ઘરડી પત્નીએ નવો બોય ફ્રેન્ડ શોધ્યો છે એના છોકરાનું ઉંમરનો.એટલે ઉમ્મરનો બાધ ના હોય પણ બાળકને પુખ્ત તો થાવા દો??ભાઈ ક્ષત્રિય કહી કહી મને છાપરે ના ચડાવો.પૃથ્વીરાજ ચૌહાણ ભાગી ગયો હોત તો આજે ઇતિહાસ જુદો હોત.અને કૃષ્ણ ના ભાગ્યા હોત તો આજે ભગવાન ના બન્યા હોત.
LikeLike
આ બધી વાતની હા, પણ મેં પુછેલા બંનેમાંથી એકેય સવાલનો જવાબ આમાં નથી. ૧૪ વર્ષનો માણસ લગ્ન કરીને છોકરા જનવા માટે સક્ષમ હોય તો, તો તેને બાબો કે બાળક ના કહેવાય.
LikeLike
શ્રી ધવલભાઇ, જરા એક સેકન્ડ આપની અને બાપુની વચ્ચે આવું છું !
નવો લેખ આવે છે જે ઈતિહાસ બાબતે હોઇ આપના બે માંના પ્રથમ સવાલનો ઉત્તર સમજવામાં કદાચ થોડી સહાય કરે, બીજા પ્રશ્નનો ઉત્તર માટે આગળ એક અલાયદો લેખ બને તેવી કોશિશ કરૂં છું. ગીતગોવિંદ વાંચુ છું. આભાર.
LikeLike
છોડો બધી વાત,એક વિદ્વાન બ્લોગર મિત્ર શિરીષ દવે એવું શોધી લાવેલા કે કોઈ પુરાણમાં મને યાદ નથી રહ્યું પુરાણનું નામ ,પણ એમાં લખેલું કે રાધા કૃષ્ણના મામી હતા,બાળક કૃષ્ણને જોઈ એમણે કામવાસના પીડવા લાગી તો રાધાએ કૃષ્ણને બાળકમાંથી પુખ્ત બનાવી દીધા અને સંતોષાઈ પછી બાળક બનાવી દીધા.આને શું કહીશું??ચાઈલ્ડ અબયુંજીંગ કે બીજું કઈ??
LikeLike
પુરાણોમાં એવું પણ લખ્યું હોઇ શકે ! લખવાની ક્યાં કોઇને ના પડાય !! એટલે તો કહેવું પડે કે ’હરિ તારા રૂપ છે હજાર..!!’ પરંતુ આપણે ’ગીતગોવિંદ’ના રાધાકૃષ્ણની વાત માંડીશું. બાકી લખવામાં તો શું છે કે હું પણ લખી નાંખું કે ’બાપુ ભારત પધારેલા, જુનાગઢ આવેલા, પણ પાકિટ અમેરિકા ભુલી ગયેલા તે મારી કનેથી રૂ.૧૦૦૦|- ઉછીના લઇ કામ ચલાવ્યું !! 🙂 હવે આવા ગપગોળા કોણ માની શકે ?
માટે જ કોઇપણ કૃતિનો, રચનાનો, શાસ્ત્રનો, ઈતિહાસનો અભ્યાસ વિવેકબુદ્ધિથી કરવો જરૂરી ગણાય. હું જ્યારે ને ત્યારે સસંદર્ભ લખવા વિશે આગ્રહ કરી આંખે થયે રાખું છું ! તે કોઇ પ્રત્યે દુર્ભાવ હોવાને કારણે નહીં પરંતુ આપણું લખેલું કાલે કોઇક અન્ય પણ અનુસરવાનું, તેમને શક્ય તેટલી સાચી માહિતી મળે તે માટે. આપનો ખુબ જ આભાર, કારણ હું સમજું છું કે આપ પણ પ્રશ્નો ઉભા કરી કામ તો પ્રેરણાદાયક, ’વિચારે ગુજરાત’ને આગળ ધપાવવાનું જ કરો છો.
LikeLike
હું પણ આજ કેહવા માંગું છું કે પુરાણોમાં ગપગોળા હાંકેલા છે,મનફાવે તેમ વાર્તાઓ ઘડી કાઢી છે.મારો ‘રાધા મેનીયા’લેખ એકવાર ફરી વાંચી લેશો મેં શીરીશ્ભાઈની વાત માટે શું લખ્યું છે?શીરીશભાઈએ પુરાણનું નામ લખેલું.પણ એ કોમેન્ટ મને જડી નહિ.
મેં તમને ના પાડેલી કે ૧૦૦૦ રૂપિયા વાળી વાત કોઈને કહેશો નહિ,પણ આખરે પેટમાં ના રહી,જુદા બહાને કહી જ દીધી.ઓશોની મુલ્લા નાસીરુદ્દીન્વાળી વાર્તા યાદ આવે છે?પાકીટ અમેરિકા નહિ વડોદરે ભૂલી ગયેલો.
LikeLike
Sorry ! આ તો મને થયું ૧૦૦૦ ક્યાંક ભુલાઇ ન જાય 🙂
માઠું ન લગાવશો !
LikeLike
બહુ સરસ શોધી લાવ્યા તમે તો બાપુ! પણ મેં પણ કોઈક પુરાણમાં વાંચ્યું હતું (યાદ નથી આવતું કયા પુરાણમાં) કે રાધા કૃષ્ણ કરતાં નાની હતી, અને તેમની વચ્ચે કોઈ જાતિય સંબંધ નહોતો. હવે આને શું કહેશો? મારી વાત માનશો કે શિરીષભાઈ દવેની? હું મારા વિધાનોમાં મોટે ભાગે સંદર્ભ ટાંકું છું અને તેનો જ આગ્રહ રાખું છું. અશોકભાઈ પણ તેમના સંદેશામાં આ જ વાત કહે છે. અને તેમની સંદર્ભા આપવાની ટેવને કારણે જ હું તેમનો ચાહક છું. એટલે કે તેમના લેખનનો…
LikeLike
મતલબ એ થાય કે હું જુઠું બોલું છું.અને કોઈ શિરીષભાઈએ આવું લખ્યું નથી અને હું ગપગોળા ચલાવું છું.આપ હંમેશા સંદર્ભ માંગો છો મતલબ કોઈની વાત સાચી લાગતી નથી,અને સંદર્ભ ગ્રંથોમાં પણ ગપગોળા હોય તો ચાલી જાય.જેમ કે પુરાણોમાં ગપગોળા હાંકેલા જ છે.માટે અશોકભાઈ મને માહિતી સ્ત્રોત પૂછતા હતા કે હું ઈવોલ્યુશનરી સાયકોલોજી વિશેના લેખો લખું છું તે ગપગોળા હશે.હવે સમજ પડી.આપે સવાલ પણ પૂછેલો કે હું મનોવૈજ્ઞાનિક છું?ના ભાઈ હું કોઈ ડીગ્રીધારી મનોવૈજ્ઞાનિક નથી,મારા કોઈ પણ લેખ આપે વાંચવા જ ના જોઈએ.
હવે આપણું ભારતીયોનું ડબલ સ્ટાન્ડર્ડ જુઓ,અશોકભાઈ જ શોધી લાવેલા કે કૃષ્ણ ૧૧ વર્ષે ગોકુલ છોડ્યા પછી પાછા કદી ત્યાં ગયા નથી.હવે જયદેવે કાવ્યના બહાને ગપગોળા હાંક્યા તો સાચા.આપણે દમ્ભીડા કેવા?કોઈ સ્ત્રીએ આજે કોઈ દસ કે અગિયાર વર્ષના બાળક સાથે વાસનામય પ્રેમ કર્યો હોત તો આજ આપણે એને ગાળો દેતા હોત.અહીં એક ભારતીય શિક્ષિકાને જેલમાં પૂરેલી જ છે,પણ અહીં કૃષ્ણ અને રાધા અને જયદેવ આવી ગયા તો બધા મૂલ્યો બાજુ ઉપર હડસેલાઈ ગયા.જાત જાતની અને ભાત ભાતની દલીલો શોધી કઢાઈ.ઉત્તમ સાહિત્યની દલીલો કરાઈ.ચાઈલ્ડ સેક્સ સુધ્ધાને મંજૂરી અપાઈ ગઈ.ભવિષ્યમાં કોઈ ૧૫ વર્ષની છોકરી ૭ વર્ષના બાળકનો દુરુપયોગ કરશે તો પણ ચાલે એજ ઇજ જસ્ટ નંબર યાર.
મારા અભણ માતુશ્રી,એક કાંદા ભરેલી લારીવાળો છોકરો,એક પ્લંબર,એક અભણ ખેતમજુર આ બધાએ મને ઘણીવાર મનોવૈજ્ઞાનિક તથ્યો વાતવાતમાં કહ્યા છે જે આજે પણ મેં યાદ રાખ્યા છે.મારે સંદર્ભ માંગવા જોઈતા હતા.ખેર ખોટું લાગે તો માફ કરશો,પણ હું માનતો હોઉં કે એક બાળક સાથે સેક્સની વાતો અયોગ્ય છે પછી તે રાધા હોય,કૃષ્ણ હોય કે જયદેવ હું એને વિકૃત્તિ જ કહીશ.ખરેખર રાધા કૃષ્ણે આવું કશું કર્યું હશે તે હું માનવા તૈયાર નથી માટે હું આપણાં ઉત્તમ સાહિત્ય રચનારા કવિઓને દોષ આપું તે વાજબી છે.
LikeLike
ચાલો ત્યારે, આજે તમે બધી વાતોનો મેળ બેસાડીજ દીધો. તમે જે માન્યું તે બધું જ સાચું, મારાથી કેમ ના પડાય? મારો સંદર્ભ માંગવાનો આગ્રહ કોઈની ઉપર અવિશ્વાસ મુકવાનો કે તેને જુઠા કહેવાનો નથી, એમ જોવા જઈએ તો હું પણ એવું કહી શકુંને કે તમે મને જુઠો કહ્યો? કેમકે હું કહું છું કે કોઈક પુરાણમાં મેં કાંઈક જુદું જ વાંચ્યું છે? માટે જ સંદર્ભ આપવો જરૂરી છે, કે સાચી વાત (સાચો માણસ નહી) જાણી શકાય. સંદર્ભ અને વાતનું પરિપ્રેક્ષ્ય જાણ્યા વગર કરવામાં આવેલી કોઈ પણ ટીકા-ટિપ્પણ કેવું વરવું રૂપ ધરી શકે છે તેના ઉદાહરાણ તરિકે મારી પોસ્ટ નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતા (http://wp.me/pi8Dw-2O) વાંચી જોજો. અને છેલ્લે તમે આપેલા આદેશ પ્રમાણે આજથી તમારા લેખ વાંચવાનું બંધ, ખુશને હવે તો? નારાજ ના થશો, તમને મુરબ્બી માન્યા છે માટે વડીલની આજ્ઞાને માથે ચઢાવી તમને રાજી રાખવા આ નિર્ણય લીધો છે. પણ હા, જો તમને યોગ્ય લાગે તો તમને મારી બ્લોગપોસ્ટ્સ વાંચવાનું ખુલ્લું આમંત્રણ છે, હું તમને કદી મનાઈ નહી ફરમાવું. અને હા, અહીં અશોકભાઈના બ્લોગ પર કે અન્ય જગ્યાએ તો મળતા જ રહીશું.
LikeLike
હું એજ કહેવા માન્ગુ છું કે વિશ્વાસ ના હોય તો વાંચવાનો અર્થ નથી.મેં કોઈ આજ્ઞા નથી કરી,એક સજેશન કર્યું છે કે વિશ્વાસ આવતો ના હોય તો શું કામ વાંચવા?મેં વાંચશો નહિ તેવું લખ્યું નથી,વાંચવા ના જોઈએ તેવું લખ્યું છે.એક સજેશન છે,કોઈ આજ્ઞા નથી.હું કોણ આજ્ઞા કરનારો?
LikeLike
માફ કરજો, તમારા સજેશનને આજ્ઞા માનવા બદલ. અને આભાર સ્પષ્ટતા કરવા માટે. તમારા સજેશન ઉપર જરૂર વિચાર કરવામાં આવશે.
LikeLike
કોઈના બ્લૉગની મુલાકાત લઈએ ત્યારે એ આપણને સ્પૅમાવતાર ઘોષિત ન કરે ત્યાં સુધી આપણે જાતે શા માટે સ્પૅમ બની જવું ? કે આભડછેટમાં માનવું?
તણખા ભલે ઝરે. અરણીની ડાળીઓ ઘસાઈ ત્યારે જ અગ્નિ પ્રગટ્યો. દ્વન્દ્વ જીવનને આગળ લઈ જાય છે; મગજને ખોલે છે.
વાંચવાનું ચાલુ રાખવું, મતભેદો ચાલુ રાખવા. અને રોજ દ્વન્દ્વ માટે લલકાર કરવો. આ જાનહાનિ કે માનહાનિ વિનાનું દ્વન્દ્વ છે, એટલે ચિંતા ન કરવી. બસ,આટલું જ કહીશ.
LikeLike
દીપકભાઈ, તમારી સાથે સંપૂર્ણપણે સહમત!!!
LikeLike
આભાર, દિપકભાઇ. વાંચવાનું, મતભેદો અને દ્વંદ્વ (વૈચારીક) ચાલુ રાખવા. વહેતા પાણીને વહેતું રાખવું જરૂરી.
બાપુ અને ધવલભાઇએ માંડેલો “સોની કજીયો”, બે દહાડા બહારગામ હતો તેથી, આજે આવીને પેટભરીને માણ્યો !!
બંન્ને શબ્દોના અઠંગ ખેલાડી છે ! આપણે તો એમાંથીએ કંઇક કામનું શોધી કાઢીશું !! (આ બંન્ને નકામું નકામું તો બાધે તેવાય નથી !)
હવે વધુ શું કહું ! આભાર.
LikeLike
શિરીષ દવેનું નામ લખીને મેં લખ્યું હતું.હું મુરખ તો નથી કે એમનું નામ બનાવટી વાતમાં જોડું?કે શિરીષ દવે કોઈ કાલ્પનિક પાત્ર છે નહિ.એટલે મારી વાત બનાવટી હશે તેવું સમજી પોતે વાર્તા બનાવી કાઢી કે રાધા નાની હતી તેવું કોઈ પુરાણમાં વાંચેલું અને નામ યાદ નથી આવતું.શિરીષ દવેનો ત્રીનેત્રમ બ્લોગ છે,અને મારા બ્લોગમાં કોમેન્ટ્સ પણ આપતા હોય છે.એમનો જવાબ આવ્યો છે,એમના બ્લોગમાં વાંચી શકાય.લીંક છે http://treenetram.wordpress.com/about/ એમણે પણ ક્યાંક વાચ્યું હશે.આતો આપણે એકલા સાચા અને બીજા બધા ખોટા.
LikeLike
પિંગબેક: ભણે નરસૈંયો – મારા સ્થળકાળને જાણો ! | વાંચનયાત્રા
શ્રી વિનયભાઇ, રજનીભાઇ, રાજેશભાઇ, ભરતભાઇ સહિત સૌ વાંચકમિત્રો અને પ્રતિભાવરૂપે માર્ગદર્શન કરનાર મિત્રોનો હૃદયપૂર્વક આભાર. જો કે, અભી મહેફિલ ખતમ નહીં હુઇ હૈ ! ધન્યવાદ.
LikeLike
પિંગબેક: ઘોડાં તલવાર્યું બીડીયું ને પ્રભાતિયાં « અસર
ચલોએ બહાને ગીતગોવિંદ વાચતાં તો થયાને?બાકી વાંચત ખરા?મારે એની કોપી ભારતથી મંગાવવી પડશે.એનો અભ્યાસ કર્યા વગર કહેવું,જયદેવને અન્યાય થશે.
LikeLike
આપનો એ ઘણો ઉપકાર થયો, એ વાતે હું આપનો ઋણી છું. આજે જ ’ગીતગોવિંદ’ પર વાંચનયાત્રા આગળ ધપાવું છું. એક લેખ મુકું છું. આશા છે આપને પણ ગમશે.
LikeLike
શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,
તમે શિરીષભાઈનો ઉલ્લેખ કરીને જે પુરાણની વાત કરો છો તે પદ્મ પુરાણ તો નહીં? મેં શોધ્યું પણ આવો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય ન મળ્યો.
LikeLike
શિરીષ ભાઈએ ગુજરાત સમાચારમાં વાંચેલું અને હાલ તેઓ કેનેડામાં છે.ભાઈ હું મુરખ તો ના હોઉં કે શિરીષ દવેનું નામ કોઈ બનાવટી વાર્તામાં જોડું?એમનો ત્રીનેત્રમ બ્લોગ છે.મારી વાત બનાવટી છે.મેં જાતે ઉપજાવી કાઢી હોય તેવું દર્શાવવામાં આવ્યું.મેં એમના બ્લોગમાં પુચ્છ્યું પણ ખરું.આ રહી લીંક એમની જવાબ વાંચો,http://treenetram.wordpress.com/about/ હવે પુરાણકારે વાર્તા ઉપજાવી કાઢી હશે.મેં મારા ‘રાધા મેનીયા’લેખમાં લખ્યું જ છે કે બધી વાર્તાઓ હમ્બગ હોવી જોઈએ.જયદેવે પણ ઉત્તમ સાહિત્ય રચવા એક બાળક અને પુખ્ત રાધાનો સહારો કેમ લેવો પડ્યો?ઉત્તમ સાહિત્યના બહાને બધા ગુના માફ.
LikeLike
ભાઈ, મેં ક્યારેય એવો દાવો કર્યો નથી કે અમે સાચા અને બીજા બધા જુઠા. હા, હું જ્યાં સાચો હોઉં ત્યાં તે વાતનું પ્રમાણ ચોક્કસ આપું છું. અને જ્યાં મને પોતાને ખાતરી ના હોય ત્યાં સ્પષ્ટ પણે જણાવું પણ છું. મેં ક્યારેય એવું કશું જ કહ્યું નહોતું જેમાંથી તમને એવું લાગવું જોઈએ કે મેં તમારા પર શિરીષ દવે કાલ્પનિક પાત્ર હોવાનો આરોપ મુક્યો. સવાલ એક જ હતો કે કોઈ કશું પણ કહે, તે વાત સાચી કે ખોટી તેની ખરાઇ કર્યા વગર આપણે કોઈના પર આરોપ ના મુકવા. અશોકભાઈએ સંશોધન કરીને એ વાત સાબિત તો કરીજ છે ને કે જયદેવે ક્યાંય કૃષ્ણ અને રાધાની ઉંમર વર્ણવી નથી? અશોકભાઈની ગીતગોવિંદ વાળી પોસ્ટ જરા ધ્યાનથી વાંચી જુઓ, તેમણે સ્પષ્ટ પણે સમજાવ્યું પણ છે કે ગીતગોવિંદનો નાયક કૃષ્ણ એ ‘બાળક’ નથી જ, અને રાધા પરણેલી હતી તેવું પણ ગીતગોવિંદમાં લખ્યાનું ક્યાંય તેમના ધ્યાને નથી ચઢ્યું. તો આ બધાનો અર્થ શું થાય છે? એ જ કે આપણે ક્યાંક સાંભળેલી વાતો હંમેશા સાચી હોતી નથી, અને માટે જ સંદર્ભ જાણવાની અને કોઈપણ ગંભિર વિધાન કરતા પહેલા તેની પુરેપુરી જાણકારી મેળવી લેવી હિતાવહ છે. વ્યવહારૂ જ્ઞાન (જે તમે તમારા માતુશ્રી, ડુંગળીવાળા, દૂધવાળા, વિગેરે પાસેથી મેળવ્યું તે) સંદર્ભ વિના સ્વિકારીએ, પણ હું કોઈને કહું કે સોનિયા ગાંધી દેશ છોડીને જતી રહી, અને લોકો તે વાત સાચી છે કે નહી તે જાણવા ટીવી ચલાવે કે મને તેનો સંદર્ભ પુછે તેમાં તેઓ કશું ખોટું નથી કરતા તે પણ આપણે સ્વિકારવું જ રહ્યું. મને અશોકભાઈએ ફોનમાં એવું કહ્યું હોય અને મેં તેમનામાં વિશ્વાસ હોવાને કારણે માનીને તે વાત બજારમાં ફેલાવવા માંડી, અને કોઈકે ફક્ત તે વાતની ખાતરિ કરવા માટે પ્રયત્ન કર્યો, તો તેમાં ખોટું શું છે?
LikeLike
બરાબર છે. મેં શિરીષભાઈના બ્લૉગ પર જઈને જોઈ લીધું. એમણે બ્રહ્મવૈવર્ત પુરાણ હોવાનું ‘કદાચ’ સાથે કહ્યું છે. મેં માત્ર પદ્મ પુરાણનું અનુમાન કર્યું છે. કારણ કે ગૂગલમાં આવા એક-બે સંકેતો મળ્યા. પરંતુ પુરાણો તો કથા માત્ર છે. બધા સાચા અને બધા ખોટા. વાર્તા સાચી કે ખોટી ન હોય, કાં સારી હોય, કાં ખરાબ હોય.
LikeLike
પિંગબેક: ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ) | વાંચનયાત્રા