નીતિશતક (૧) – મૂર્ખતા


નમસ્કાર, આપણે ભર્તૃહરિ કૃત શૃંગારશતક માંથી કેટલાક રસપ્રદ મુક્તકો માણ્યા. અહીં તેમનાં બીજા એક પ્રસિધ્ધ પુસ્તક ’નીતિશતક’ માંથી થોડા મુક્તકોનો આસ્વાદ લેશું.  અહીં પણ શ્રી મનસુખલાલ સાવલિયા કૃત ’નીતિશતક’ અને પ્રા.સુરેશચંદ્ર દવે કૃત ’નીતિશતકમ્‌’ પુસ્તકના આધારે અમુક શ્ર્લોકની સમજુતી આપેલ છે. અહીં બંન્ને પુસ્તકનાં અમુક શ્ર્લોકમાં થોડો ભેદ છે. ખાસ તો ક્રમાંક ભિન્ન છે, તેથી શ્ર્લોક ક્રમાંક સંસ્કૃત વિકિસોર્સ મુજબ આપેલ છે.

આમ તો શતક એટલે સો મુક્તકો થવા જોઇએ, પરંતુ નીતિશતકનાં ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ૧૦૧ થી ૧૧૦ સુધીનાં મુક્તકોની સંખ્યા મળે છે.  જો કે આ બધું વિદ્વાનોનો વિષય છે. આપણે તો પસંદગીનાં મુક્તકોનો રસાસ્વાદ માણવાનો અને તેમાંથી જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જ રાખેલો હોય ચાલો તે કામ જ કરીએ.

નીતિશતકમાં પણ શતકકારે રોજબરોજનાં જીવનમાં ખુબજ ઉપયોગી તેમજ સમાજલક્ષી વિવિધ વિષયોની ચર્ચાને આવરી લેતા મુક્તકો આપેલા છે. તેમાં અત્યારે આપણે મૂર્ખતા પરનાં કેટલાક રસપ્રદ મુક્તકો પર વિચાર કરીશું.  ભાષાંતરની શાથે શાથે ક્યાંક ક્યાંક મારા નમ્ર વિચારો પણ રજુ કરેલ છે. આપ પણ આપના વિચારો રજુ કરી ઉપકૃત કરશો.

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्त्तये।

स्वानुभूत्येकमानाय नम: शान्ताय तेजसे।।१।।

“દિશાઓ, કાળ વગેરેથી જે માપી શકાતું નથી, જે અનંત અને આનંદમય છે અને એકમાત્ર સ્વાનુભવથી જ જેને જાણી શકાય છે તે પરમ તત્વનાં શાંત તેજ ને હું નમસ્કાર કરું છું”.

     અહીં પરમાત્માની વ્યાખ્યા કરવામાં આવી હોય તેવું નથી લાગતું ? જે અનંત અને આનંદમય છે, અને જેને ’एकमान-એકમાત્ર’ સ્વાનુભવથી જ જાણી શકાય છે. તેવા (चिन्मात्र)  કેવળ જ્ઞાનસ્વરૂપ,

     તૈત્તિરીય ઉપનિષદ્‌માં બ્રહ્મને માટે લખ્યું છે, “सत्यं ज्ञानमनन्तं ब्रह्म ।”  આથી કહી શકાય કે ભર્તૃહરિ વેદાંતી વલણ ધરાવતા હશે, જો કે વિદ્વાનોનાં મતે આ મંગલાચરણનાં શ્ર્લોકનો નીતિશતક શાથે સીધો સંબંધ છે. જેમ પરબ્રહ્મ પરમાત્મા દેશકાળનાં બંધનોથી પર, અને અત્ર,તત્ર,સર્વત્ર વ્યાપક છે, તેમ નીતિ અથવા નૈતિકતા પણ સર્વવ્યાપી છે. સંસારમાં તેનું સર્વોચ્ચ શ્થાન છે. નૈતિકતાનું પતન અજ્ઞાનરૂપી અંધકારથી થાય છે, અને આ અંધકારનો નાશ જ્ઞાનરૂપી પ્રકાશથી થાય છે. આ રીતે અહીં પ્રથમ શ્ર્લોકમાં ’तेज’ તેજ શબ્દ સાર્થક છે.

अज्ञ: सुखमाराध्य: सुखतरमाराध्यते विशेषज्ञ:।

ज्ञानलवदुर्विदग्धं ब्रह्माऽपि तं नरं न रञ्जयति।।३।।

“અજ્ઞાનીને સહેલાઇથી સમજાવી શકાય, વિશેષ જાણકારને વધારે સહેલાઇથી સમજાવી શકાય. પરંતુ અલ્પજ્ઞાનને કારણે દોઢડાહ્યાને તો બ્રહ્મા પણ સમજાવી શકતા નથી”.

प्रसह्यमणिमुद्धरेन्मकरवक्त्रदंष्ट्रान्तरा-

त्समुद्रमपिसन्तरेत्प्रचलदूर्मिमालाकुलम्।

भुजङ्गमपि कोपितं शिरसि पुष्पवद्धारये-

न्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्।।४।।

” કોઇ માણસ જોર કરીને, મગરનાં મુખમાંથી (દાઢમાંથી) મણિ ખેંચીને લાવી શકે, તો કોઇક, ઉછળતા મોજાંઓથી ખળભળેલા મહાસાગરને પણ તરી શકે, કોઇ વળી છંછેડાયેલા સાપને ફુલમાળા પેઠે પોતાના માથે ધારણ કરી શકે; પરંતુ, રીઢા થયેલા મૂર્ખ માણસનાં મનને મનાવી શકાય નહિ. “

लभेत सिकतासुतैलमपि यत्नत: पीडयन्-

पिबेच्चमृगतृष्णिकासु सलिलं पिपासार्दित:।

कदाचिदपि पर्यटञ्छशविषाणमासादये-

न्न तु प्रतिनिविष्टमूर्खजनचित्तमाराधयेत्।।५।।

” પ્રયત્નપૂર્વક પીસીને કોઇ રેતીમાંથી તેલ મેળવી શકે, તો કોઇ તરસ્યો મૃગજળ (ઝાંઝવાનાં જળ) માંથી પાણી પી શકે, ક્યારેક વળી, કોઇ વ્યક્તિ ફરતા ફરતા સસલાનું શિંગડું પણ મેળવી શકે, પરંતુ રીઢા થયેલા મૂર્ખ માનવીના મનને મનાવી શકાય નહિ.”

      અહીં કવિએ વિવિધ ઉદાહરણો દ્વારા એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે, કોઇ પણ રીતે મૂર્ખને મનાવી શકાતો નથી. લગભગ અશક્ય એવા કાર્યો પણ કદાચ થઇ શકે. પરંતુ મુર્ખને સમજાવવો એ શક્ય જ નથી.  તે ઉપરાંત ઉપરનાં એક સુભાષિતમાં મગર અને સાપનાં ઉદાહરણ દ્વારા એ પણ સમજાવાયું છે કે મૂર્ખ વ્યક્તિ હિંસકમાં હિંસક પ્રાણી કરતા પણ વધુ ખતરનાક છે.  જો કે અહીં અજ્ઞાની એટલે મૂર્ખ તેવો અર્થ નથી કરાયો (વાંચો अज्ञ: सुखमाराध्य:), તેમને તો થોડા પ્રયત્નપૂર્વક સમજાવી શકાય છે. અહીં મૂર્ખ એટલે અલ્પજ્ઞાન છતાં પોતાને મહાજ્ઞાનિ સમજતા લોકોની વાત છે. આપણે એક કહેવત પણ છે ને કે, “અધુરો ઘડો છલકે વધુ” કે “ખાલી ચણો વાગે ઘણો”. તો મિત્રો વ્યવહારમાં આવા મૂર્ખ શાથે પનારો પડે ત્યારે આ સુભાષિતો યાદ કરી અને તેમને સમજાવવાનો દુરાગ્રહ રાખવા કરતાં દુરથી જ નમસ્કાર કરી દેવા સારા.  ચાલો થોડા વધુ સુભાષિતો પણ જોઇએ.

व्यालं बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृम्भते

छेत्तुं वज्रमणिञ्छिरीषकुसुमप्रान्तेन संनह्यते।

माधुर्यंमधुबिन्दुनारचयितुं क्षाराम्बुधेरीहते

नेतुं वाञ्छति य: खलान्पथिसतांसूक्तै: सुधास्यन्दिभि:।।६।।

” જે લોકો અમૃત ઝરતા સુભાષિતો વડે, મૂર્ખાઓને બળપૂર્વક સન્માર્ગે વાળવા માગે છે, તેઓ તો ખરેખર કમલનાં તંતુઓથી મદોન્મત્ત હાથીને રોકવા ઇચ્છે છે, શિરિષફૂલની અણીથી હીરાને વિંધવા માગે છે અથવા ખારા સાગરને મધનાં એક બિંદુથી (ટીપાંથી) મધુર બનાવવાની ઇચ્છા રાખે છે.”

     અહીં તો સુભાષિતકારે સ્વિકારી જ લીધું કે આ સુભાષિતો પણ મૂર્ખાઓને સુધારી શકવાનાં નથી !! કદાચ અન્યોને મૂર્ખાઓથી બચાવવા માટે આ ઉપયોગી થશે તેવી તેમની ભાવના હશે !

स्वायत्तमेकान्तगुणं विधात्रा विनिर्मितं छादनमज्ञताया:।

विशेषत: सर्वविदां समाजे विभूषणं मौनमपण्डितानाम्।।७।।

” (મનુષ્યને) પોતાને જ અધીન એવા માત્ર ગુણયુક્ત મૌનને વિધાતાએ અજ્ઞાનતાનું ઢાંકણ બનાવ્યું છે. અને ખાસ કરીને સર્વજ્ઞ વિદ્વાનોના સમાજમાં (મંડળમાં, સભામાં)  આ મૌન, મુર્ખાઓનું આભુષણ બને છે.”

     અહીં એક કહેવત યાદ આવે છે, “ન બોલ્યામાં નવ ગુણ” . કવિએ અજ્ઞાનીઓને પણ એક માર્ગ દેખાડ્યો છે ! જ્ઞાનીજનોની સભામાં, મુર્ખ ન દેખાવું હોય તો, મુંગા રહેવું !!  જો કે વ્યવહારમાં તો એથી ઉલ્ટું જોવા મળે છે ! સૌથી વધુ બોલબોલ મુર્ખાઓ જ કરતા હોય તેવું દેખાય છે, અથવા તો બહુ બોલબોલ કરવાને કારણે જ તેઓ મુર્ખ તરીકે છતા થાય છે !!

(અહીં મારા એક મિત્રએ રૂબરૂ અભિપ્રાય આપ્યો છે ! “તારી જેમ” !! 🙂  હશે ભાઇ ! કોઇનું ભલું ઇચ્છવાનો તો જમાનો જ નથી !!)

यदा किञ्चिज्ज्ञोऽहं द्विप इव मदान्ध: समभवं

तदा सर्वज्ञोऽस्मीत्यभवदवलिप्तं मम मन:।

यदा किञ्चित्किञ्चिद्बुधजनसकाशादवगतं

तदा मूर्खोऽस्मीति ज्वर इव मदो मे व्यपगत:।।८।।

” જ્યારે હું થોડું જાણતો હતો, ત્યારે હું હાથીની જેમ મદાન્ધ બન્યો હતો. તે વખતે ’હું જ બધું જાણું છું’ એમ માની મારું મન અભિમાની થઇ જતું. પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસેથી થોડું થોડું જાણતા શીખ્યો ત્યારે ’હું મૂર્ખ છું’ એવા વિચારે, મારો ગર્વ તાવની જેમ ઊતરી ગયો.”

     !!!!! મૌન !!!!!

शिर: शार्वं स्वर्गात्पशुपतिशिरस्त: क्षितिधरं

महीध्रादुत्तुङ्गादवनिमवनेश्चापि जलधिम्।

अधोऽधो गङ्गेयं पदमुपगता स्तोकमथवा

विवेकभ्रष्टानां भवति विनिपात: शतमुख:।।१०।।

“ગંગા નદી સ્વર્ગમાંથી શંકરના મસ્તક પર ઊતરી, પછી શિવનાં મસ્તક પરથી પર્વત પર ઊતરી. ઊંચા ગિરિશિખર પરથી પછી પૃથ્વી પર આવી અને પૃથ્વી ઉપરથી સાગરમાં મળી ગઇ. આમ આ ગંગા થોડુંક નીચું ઊતરી તો પછી નીચે ને નીચે ઊતરતી ચાલી. એક વખત પણ કોઇ વિવેકથી ભ્રષ્ટ થાય તો તેનો સેંકડો માર્ગે વિનિપાત થાય છે.

       ઉચ્ચકોટીનો જીવ પણ જ્યારે બુદ્ધિભ્રષ્ટ થાય છે ત્યારે તેનું મહાપતન થાય છે. આ વાત અહીં સમજાવી છે. મનુષ્ય જેટલો ઊંચા શ્થાને હોય તેટલું તેણે વધુ સાવધ રહેવું જોઇએ એમ નીતિકારનું કહેવું છે. એક સામાન્ય માણસનાં ભ્રષ્ટ આચાર-વિચારોથી કદાચ તેને કે તેનાં સ્વજનોને ફરક પડતો હશે, પરંતુ એક લેખક કે નેતા કે સમાજમાં મહત્તા ધરાવતા કોઇ પણનાં આચાર- વિચારોની અસર સમગ્ર સમાજ પર થાય છે.  આથી જ આ બધા વર્ગ પાસેથી ઊચ્ચ આચાર-વિચારનો આગ્રહ હોવો જોઇએ. જો કે જોવામાં તો આથી વિરૂદ્ધ આવે છે. અહીં તો આગેવાનો (પછી તે રાજકીય હોય કે અધ્યાત્મિક હોય કે લેખકો હોય) સામાન્ય જનને નીતિનાં પાઠ પઢાવે છે, પ્રવચનો આપે છે, પરંતુ પોતાના આચાર-વિચારમાં કશો જ અમલ કરવા તૈયાર નથી. પાછું ખબર નહીં કયા શાસ્ત્ર !!! માંથી લઇને સીધું વચન ફટકારી દે છે કે: “મોટાઓ કરે તેમ નહીં પરંતુ કહે તેમ કરો” !! અર્થાત, હે ભોળા ભક્તજનો અમે બત્રીસ પકવાન આરોગીએ તે સામું ન જુઓ, તમે તો ઊપવાસ અને એકટાણા જ કરો !!!  અહીં અત્યારે ઘણૂં લખવાનું મન થાય છે પરંતુ વળી મુળ વિષયથી ભટકાય જવાશે ના ભયે એ કામ મારા સુજ્ઞ અને સમજદાર મિત્રોને શીરે નાંખી આગળ વધું.

शक्यो वारयितुं जलेन हुतभुक्छत्रेण सूर्यातपो

नागेन्द्रो निशिताङ्कुशेन समदो दण्डेन गोगर्दभौ।

व्याधिर्भेषजसङ्ग्रहैश्च विविधैर्मन्त्रप्रयोगैर्विषं

सर्वस्यौषधमस्ति शास्त्रविहितं मूर्खस्य नास्त्यौषधम्।।११।।

” પાણીથી આગ બુઝાવી શકાય, છત્રીથી સૂર્યનો તડકો નિવારી શકાય, મદોન્મત્ત ગજરાજને અણીદાર અંકુશથી અને આખલા તથા ગધેડાંને લાકડી વડે કાબૂમાં લઇ શકાય, રોગને વિવિધ ઔષધોથી અને ઝેરને વિવિધ મંત્રોથી (આ એ સમયની માન્યતા મૂજબ ગણવું) દુર કરી શકાય. શાસ્ત્રમાં આ બધાનું ઔષધ કહેલું છે પણ મૂર્ખનો કોઇ ઇલાજ નથી.”

આ (મૂર્ખ વર્ણનનાં) છેલ્લા મુક્તકમાં શતકકારે શાસ્ત્રના હવાલેથી પણ સાવ હાથ ધોઇ નાખ્યા છે !  એમ પણ કહેવા માંગે છે કે, રોગ વગરની, અન્ય બાબતો તો એક યા બીજી રીતે સમાજને જરૂરી પણ છે. (આગ, તાપ, પ્રાણીઓ વગેરે) આથી લોકો સાવધાનીપૂર્વક તેનો મહત્તમ લાભ ઉઠાવે છે. પરંતુ મુર્ખતા તો મહારોગ છે. તેનાથી તો ફક્ત ને ફક્ત નૂકશાન જ થાય છે. અરે અન્ય મહારોગથી પણ માણસ ઔષધો દ્વારા બચી શકે છે પરંતુ મૂર્ખતાથી તો મરે જ છે.

સૌ કોઇ આવા મૂર્ખ અને મૂર્ખતાથી બચે તેવી અભ્યર્થના સહ: આભાર.

આ પછી નીતિશતકમાં વર્ણવાયેલ દુર્જનતાનાં લક્ષણો અને ઉપાયો પર થોડો વિચાર કરીશું.

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

11 responses to “નીતિશતક (૧) – મૂર્ખતા

  1. ભાઇ અશોક મુનિ તમારા લેખ વાચવાં માં ખુબ મજા પડે છે. ખુબ જ સ ર સ લેખ – શકિલ

    Like

  2. આજે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતાં અસંખ્ય બ્લોગ વચ્ચે કેટલાક શાસ્ત્રીય ,શુધ્ધ વિચારધારાને અનુસરવાના દ્રષ્ટાંત સાથે પ્રસ્તુત
    બ્લોગમાંનો આ એક બ્લોગ જણાયો.
    મસાલા ભરીને નહીં પણ કુદરતી રીતે મનને સ્વસ્થતા નો કુદરતી સ્વાદ કેવો હોય એ ચખાડવાની તમારી શ્લોક્પરંપરા અને સંહિતાના “અવતરણો” બહુ ગમ્યાં
    -અભિનંદન.

    Like

    • આભાર, રાવલસાહેબ. ’મારા વિશે’માં લખ્યું છે એ મુજબ હું તો ફક્ત જ્ઞાન, વિશુધ્ધ જ્ઞાન મેળવવા માંગતો એક નિત્ય વિદ્યાર્થી છું. વાંચન મારો શોખ છે અને તેમાં જે કંઇ સારૂં-ઉપયોગી, લાગે તે અહીં, તટસ્થભાવે, નોંધવાનો પ્રયાસ કરૂં છું. આ કાર્યમાં સૌ મિત્રોનું માર્ગદર્શન સદૈવ આવકાર્ય રહેશે. પ્રોત્સાહન બદલ ખુબ આભાર.

      Like

  3. શ્રી અશોકભાઈ,
    બહુ સુંદર વાત કરી અહીં નિતિશતકમાં – આપના મંતવ્યો પણ મનનીય છે. મૂર્ખના તો ઘણા ખરા લક્ષણઓ મને લાગુ પડતા હોય તેમ લાગ્યું. હવે મૌન રહેવામાં જ સાર છે તેવું લાગે છે.

    Like

    • અતુલભાઇ, આપ જ્ઞાની છો, એક બોધકથા યાદ આવે છે. ટુંકમાં કહી દઉં. એક નાની બાળકી તેને મળતા વાપરવાના પૈસા (પોકેટમની !) રામાયણના પાનાઓ વચ્ચે સંતાડી રાખતી. એક દિવસ તેના પપ્પાએ આ જોઇ અને કહ્યું: ’અરે બેટા, પૈસા આ પુસ્તકમાં કેમ રાખે છે? કોઇ ચોરી જશે’
      બાળકી: ’પપ્પા, મારા શિક્ષકે સમજાવેલું કે ચોર લોકો આવા રામાયણ જેવા પુસ્તકોના પાના ન ખોલે, અને જે રામાયણનાં પાના ખોલે તે કદી ચોરી ન કરે’
      સમાન કથા !! મૂર્ખાઓ આવા શતકો-ફતકો સુધી ન પહોંચે ! અને અહીં સુધી પહોંચનાર કદી મૂર્ખ ન હોય !!! 🙂 (આને સ્વપ્રસંશા ન સમજતા, નમ્ર નિવેદન જ સમજવું !) આભાર.

      Like

  4. પિંગબેક: નીતિશતક (૨) – દુર્જનનિંદા « વાંચનયાત્રા

  5. ઘણાં વખતથી ભર્તુહરિ,નીતિશતક વિશે વાંચવાની ઇચ્છા હતી. જે તમારા ઉમદા પ્રયાસથી પૂરી થાય છે આમ તો થોડાંક સમયથી વાંચું છું. પણ આ વિષયો ખૂબ ગહન છે. વાંચીએ તેને સમજવું અને તેમાંથી થોડુંક પણ જીવનમાં ઉતારી શકીએ તો ઘણું છે.

    ” જ્યારે હું થોડું જાણતો હતો, ત્યારે હું હાથીની જેમ મદાન્ધ બન્યો હતો. તે વખતે ’હું જ બધું જાણું છું’ એમ માની મારું મન અભિમાની થઇ જતું. પરંતુ જ્યારે ડાહ્યા માણસો પાસેથી થોડું થોડું જાણતા શીખ્યો ત્યારે ’હું મૂર્ખ છું’ એવા વિચારે, મારો ગર્વ તાવની જેમ ઊતરી ગયો.”

    Like

  6. એટલે જ તો હુ પોતાને મુરખોનો સરદાર માનુ છુ, અને પરમેશ્વરીય જ્ઞાન પામવા આપ સહુની અંદરથી પરમેશ્વરની પરબે પીવા આવ્યો છુ, અતિ ઉત્તમ શતક……..પણ કદાચ આ વચનો બાઈબલના નીતીવચનોને સંસ્ક્રુતમાં ઉતારી લેવાયા છે એવુ બાઈબલ વાંચ્યા પછી લાગે છે.

    બાઈબલમાં પણ યહુદિ રાજા સોલોમોન (સુલેમાન) ના ૮૦૦૦ કે ૮૦,૦૦૦ નીતીવચનો જે આજથી ૩૦૦૦ વરસ પહેલા એની માતાએ એને શીખવ્યા હતા જે પરમેશ્વરે લોકોને શીખવ્યા હતા, એ પણ મુકવાની કોશિશ કરીશ, જોઈએ એમાંથી આપણા શાસ્ત્રોમાં કેટલા ઉડીને આવી ગયા એ ખબર પડશે…..

    Like

  7. પિંગબેક: નીતિશતક (૪) – વિદ્યા « વાંચનયાત્રા

  8. મને પણ સુભાષિત નો નાનપણ થી શોખ. આ પર ૨૦૦ થી વધારે પુસ્તક ખરીદ્યા. તેને સાચવી રાખવા pdf બનાવી..
    harshad30.wordpress.com

    Like

Leave a comment