સોરઠ સરકાર


પ્રિય મિત્રો, નમસ્કાર.
આજે શાસન, સુશાસન, પ્રશાસન જેવા સંદર્ભોમાં વાત કરીશું ઇતિહાસની. સોરઠ ધરાના છેલ્લા નવાબ મહાબતખાનજી અને તેના શાસનની. મિત્ર રાજુભાઈ ઓડેદરાએ સપ્રેમ ભેટ આપેલું, પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ ડૉ. પ્રદ્યુમ્નજી ભ. ખાચર દ્વારા લખાયેલું, પુસ્તક “સોરઠ સરકાર – નવાબ મહાબતખાનજી”, બહુધા ખોટી રીતે યાદ કરાતા, સોરઠના છેલ્લા નવાબને ઇતિહાસના અધિકૃત પુરાવાઓ દ્વારા ન્યાય આપવા પ્રયત્ન કરે છે. તો પુસ્તકને આધારે સાભાર. લેખકશ્રીએ પ્રસ્તાવનામાં લખેલા શબ્દો જ જોઇએ તો;

પ્રકાશક: પ્રદ્યુમ્ન ભ. ખાચરપ્રથમ આવૃત્તિ, ૨૦૧૨ કિં. રૂ. ૨૦૦/- સંપર્ક: pkhachar@gmail.com

પ્રકાશક: પ્રદ્યુમ્ન ભ. ખાચર
પ્રથમ આવૃત્તિ, ૨૦૧૨
કિં. રૂ. ૨૦૦/-
સંપર્ક: pkhachar@gmail.com

’ઇતિહાસકારોનું કાર્ય સમાજને સાચી હકીકતોથી માહિતગાર કરીને સમાજ ઘડતર કરવાનું અને આપણા વારસા વૈભવ અને સંસ્કૃતિ, વ્યવસ્થાને જ્ઞાનની જાળવણી રાખવાનું હોય છે.

આવા જ કંઈક આયોજન અને પ્રયોજનથી આ પુસ્તકનું સર્જન થયું છે. નવાબે જરૂર જૂનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે જોડીને ભૂલ કરી હતી, પરંતુ તે પછી તે ભૂલ સુધારી લેવા પણ તૈયાર હતા. પણ તે સ્વતંત્રતાની હવામાં ન થઈ શક્યું અને લેખકોએ વિજેતાઓને વ્હાલા થવા જૂનાગઢ રાજ્ય વિશે ઘણુ બધુ સાચુ ખોટું કહ્યુ અને લખ્યુ…..જૂનાગઢ રાજ્યની સાચી હકીકતો અને પ્રજા વત્સલતા, કેટલાક સુધારા, કાયદા વગેરે જાણી જોઈ જૂનાગઢ રાજ્યના દફતરોમાં તપાસીને નવાબ મહાબતખાનજી ત્રીજાના રાજ્ય અમલ ઉપર આ પ્રકાશ પાડતુ આ પુસ્તકનુ સર્જન થયુ છે. જૂનાગઢના ગુજરાત સરકારના અભિલેખાગારમાં સંગ્રહાયેલી ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૪૮ સુધીની હજારો ફાઈલો અને અનેક પોટકાઓ તપાસી આ નવાબનું અને જૂનાગઢ રાજ્યનું મૂલ્યાંકન કરી સાચી અને તટસ્થ નક્કર હકીકતોને જ આપની સમક્ષ મૂકવામાં આવી છે.’

આ ઉપરાંત લેખકશ્રીએ જણાવ્યાનૂસાર, નવાબના અંગત જીવન તથા રાજમહેલની કેટલીક અંતરંગ વાતો માંગનાથ પીપળીના મહંતશ્રીની અંગત ડાયરીઓમાંથી જાણવા મળી છે. (મહંતશ્રી શાંતિગિરીજી શાહપુર (શાપુર)ના વહીવટદાર પણ હતા અને ૧૯૪૪/૪૫માં નવાબની બેગમના કારભારી હતા)

ઇતિહાસમાં રસ ધરાવતા દરેક માણસે તો પોતાનાં પુસ્તકસંગ્રહમાં રાખવા જેવું આ પુસ્તક સામાન્યજનને પણ એ સમયની રાજ્ય વ્યવસ્થા, શાસક અને પ્રજા વર્ગની જીવનશૈલી, કાયદાઓ, સંસ્કૃતિ, સભ્યતા, એક નવાબના ઉદાહરણે ત્યારના શાસકોનું વ્યક્તિત્વ, જેવા પાસાઓ પર રસપ્રદ જાણકારી આપશે. નિર્ભેળ ઇતિહાસનું પુસ્તક પણ લેખકશ્રીની સિદ્ધહસ્ત લેખનકળાથી એટલું રસપ્રદ બન્યું છે કે એકી બેઠકે પૂર્ણ કર્યા વગર હાથમાંથી મેલવાનું મન નહિ થાય ! આપણે તો અહીં માત્ર પુસ્તકના કેટલાંક અંશો અને વિગતો દ્વારા એ સમયગાળામાં એક નાનકડી ડૂબકી લગાવીશું. (બાકી તળીયાનો તાગ લેવા માગતા મરજીવાઓએ તો આ આખું પુસ્તક જ વાંચવું રહ્યું)

આઝાદી સમયના ૫૬૨ દેશી રજવાડાઓમાંથી ૨૨૨ રજવાડાઓ તો માત્ર સૌરાષ્ટ્રમાં આવેલા હતા, જેમાં સૌથી મોટું અને પ્રથમ વર્ગનું રાજ્ય જૂનાગઢ હતું. ભારતના માત્ર ચાર રજવાડા એવા હતા જેના માટે ’સરકાર’ શબ્દ વપરાતો. (૧) બ્રિટિશ સરકાર (૨) નિઝામ સરકાર (૩) ગાયકવાડ સરકાર અને (૪) સોરઠ સરકાર. જૂનાગઢ રાજ્ય ’છોટી મુગલાઈ’ તરીકે ઓળખાતું તેના રાજ્ય ચિહ્નમાં ’સૌરાષ્ટ્ર’ શબ્દ અંકિત થયેલો હતો. વિસ્તાર ૮૬૪૩ ચો.કિ.મી. અને વસતી ૧૯૪૧માં ૬,૭૦,૭૧૯ની નોંધાયેલી છે. (પુસ્તકમાં છેક ૧૮૮૧થી દર દસ વર્ષની વસતીના અધિકૃત આંકડાઓ પ્રાપ્ત છે.) રાજ્યની સરહદો પોરબંદર, બાંટવા, માણાવદર, સરદારગઢ, ગોંડલ, બીલખા, જેતપુર, મેંદરડા (માનપુર), ભાવનગર, બગસરા અને ગાયકવાડ રાજ્યોને અડકતી હતી. જૂનાગઢ રાજ્ય વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીની દેખરેખ હેઠળ આવતુ હતું.

જૂનાગઢ સલામી સ્ટેટ હતું અને બહારના પ્રસંગોમાં ૧૩ તોપની અને ખાનગી પ્રસંગોમાં ૧૫ તોપની સલામીનું બહુમાન પ્રાપ્ત હતું. જૂનાગઢનાં અંતિમ મુસ્લિમ બાબી શાસકો નવાબનો અને દીવાનનો ખિતાબ ધરાવતા હતા. આખા ભારતમાં કુલ ૧૮ મુસ્લિમ રાજ્યો હતા તેમાં જૂનાગઢ રાજ્યનો નંબર પાંચમા ક્રમે હતો. લેખકશ્રીએ પુસ્તકમાં રાજ્ય વિશે વિસ્તૃત આંકડાકીય માહિતીઓ આપેલી છે. નવાબ જે વંશના હતા તે બાબીવંશનો પરિચય, નવાબનાં બાળપણ, શિક્ષણ, શોખ, દિનચર્યા, ખાનગી જીવન વગેરે વિશે સસંદર્ભ પરિચય કરાવ્યો છે. ૧૫૦ ઉપરાંત લખાણના પાનાઓ અને કેટલાંક દૂર્લભ ચિત્રોનો પણ પુસ્તકમાં સમાવેશ છે. પંદર પાના ભરીને તો માત્ર સંદર્ભસૂચિ છે એ દર્શાવે છે કે માત્ર ૧૫૦ પાનાં લખવા માટે લેખકશ્રીએ કેટલો ઉદ્યમ કર્યો હશે. આવો નવાબ સાહેબનાં, સામાન્ય માન્યતાથી અલગ એવા, હાલ કંઈક અંશે રસપ્રદ જણાય તેવા, વ્યક્તીત્વની આછેરી ઝલક પણ મેળવીએ.

આજે નાનકડા હોદેદારોના પણ પ્રજાના પૈસે ઠાઠથી દેશ-પરદેશના પ્રવાસો યોજાતા જોઈએ છીએ એ સમયે એ જાણીને આશ્ચર્ય થાય કે, સોરઠનો ધણી ’ફરવા જવાનો’ શોખીન ન હતો ! વિદેશ ગણો તો એક માત્ર ઇંગ્લેંડ સિવાય કોઈપણ દેશનો પ્રવાસ કર્યો નહતો. દેશમાં પણ સાત-આઠ શહેરો છે જેનો પ્રવાસ તેમણે કર્યો હોય (કે કરવો પડ્યો હોય !) આ માણસે ઈંગ્લેંડમાં શિક્ષણ મેળવેલું પણ સૌપ્રથમ વિમાનમાં તો તેમણે જ્યારે માતૃભૂમિ છોડી ત્યારે જ બેઠા ! તેઓને ઘોડેસવારી, શિકાર, પોલોની રમત અને નાટક જોવા ભજવવાનો શોખ હતો. સરદાર બાગના રાજમહેલમાં નાટ્યશાળા બંધાવી હતી. જો કે અધિકૃત પણે નોંધાયેલું છે કે તેઓને નાચ મુજરાઓનો જરા પણ શોખ ન હતો અને રાજમહેલ સુધી આ દુષણ પહોંચવા પણ દીધેલું નહિ. હા, લગ્ન કે એવા પ્રસંગોએ કવિઓ અને ગવૈયાઓ દ્વારા ઇતિહાસ અને સંસ્કૃતિ સભર ગીતો, કાવ્યો રજૂ થતા.

સૌને રસ પડશે એવી એક નોંધ તેમની દિનચર્યામાંથી મળે છે. તેઓ રાત્રે સુવા જાય ત્યારે સુવાના રૂમમાં આડા કપડાંની કનાત (પડદો) રાખી ત્યાં ચાર વાર્તા કરવા વાળા બેસાડવામાં આવતા. નવાબ સુવે ત્યાંથી ઉઠે ત્યાં સુધી એક જણ વાર્તા કરે અને બીજા હોંકારો આપે. આ ક્રમ સતત ચાલ્યો રહે. વાર્તામાં કંઈ જ ધડો હોય નહીં. (નાઇધર ઢંગ, નોર ધડા !) બસ ગમે તે વાતો, ચાલતી રહેવી જોઈએ. અને આ વાર્તાકારોને એનો પગાર અપાતો. (કાશ ! હાલ પણ કોઈ એવો પગાર આપનાર મળે ! અમ જેવા બ્લોગરો તેમાં ચાલીએ !!) ખાસ તો આનો ઉદ્દેશ સલામતી માટે હતો. (કાઠિયાવાડીમાં એને કહેવાય ’જાગતું પડ’) નવાબનાં આવા રહનસહન અને ખાનપાનની અજાણી પણ અધિકૃત ઘણી વાતો આ પુસ્તકમાં જાણવા મળશે.  

નવાબ ચુસ્ત મુસલમાન હતા. ધાર્મિક હતા. નિયમિત નમાજ પઢતા પરંતુ શરમાળ પણ બહુ હતા અને એ કારણે શુક્રવાર કે ઈદની જાહેર નમાજમાં જતા નહીં. જો કે ચુસ્ત મુસલમાન કહેતાં, હાલના સંદર્ભે, જે ચિત્ર નજરે થાય તેવું ત્યારે ખરેખર ન હોવાનું કેટલાય દસ્તાવેજી આધારોને આધારે જાણી શકાય છે. એ ’ચુસ્ત મુસલમાન’નું રહનસહન જુઓ તો એ જમાનાની સહિષ્ણુતા કંઈક અંશે સમજમાં આવશે. જેમ કે, નવાબનાં મોટાભાગનાં બેગમો (નવાબ સાહેબે કુલ નવ શાદી કરેલી, જો કે એક સાથે ચારથી વધુ બેગમો સાથે રહ્યાની નોંધ નથી) ધાર્મિક અને લાગણીશીલ હતા, એક દાખલો નોંધાયેલો મળે છે. વિજય ભટ્ટ, પ્રકાશ પિક્ચર્સનું “રામ રાજ્ય” (હું ન ભૂલતો હોઉં તો ગાંધીજીએ તેના જીવનમાં જોયેલું એક માત્ર ચલચિત્ર) જૂનાગઢમાં આવેલું તે સતત એક વર્ષ સુધી ચાલેલું. અને એ દરમિયાન બેગમોએ મહેલમાં એ ચલચિત્ર જોવા માટે છ વખત મંગાવેલું ! (ત્યારે CD, DVD તો ન હોય. પ્રોજેક્ટર, પડદો વગેરે ગોઠવણ કરી ટુરિંગ ટોકિઝ જેવું બનાવાતું હશે.) આ ચિત્ર મહેલમાં દર્શાવવા લઈ જતા ઓપરેટર મગનભાઈ દવે (પ્રસિદ્ધ ઇતિહાસવિદ્દ નૌતમભાઈ દવેના કાકા) નોંધે છે કે આ ફિલ્મના અમુક દ્શ્યો જોઈ બેગમોની આંખમાં આંસુઓ આવી જતા. નવાબના બંગલાઓની પણ વિસ્તૃત વિગતો અપાઈ છે. બંગલાઓના સ્થાપત્યમાં પણ એ સમયની ધાર્મિક સહિષ્ણુતાનાં દર્શન થાય છે. અરે નવાબનાં ચોરવાડ ખાતેના બંગલાનું તો નામ પણ ’વિષ્ણુ વિલાસ’ હતું. (અને સ્વતંત્રતા પછી, આપણી ’સહિષ્ણુ’ સરકારે નવાબનાં તમામ બંગલાઓના નામ સુદ્ધાં બદલી કાઢ્યાનું લેખકશ્રી નોંધે છે !) એમ તો નવાબની દાનવીરતાની, પુસ્તકપ્રેમની, શિક્ષણપ્રેમની, સમાજ સુધારાની વાતો પણ ભાગ્યે જ ક્યાંય સાંભળવા મળી છે. અહીં આધારભૂત નોંધ, વર્ષવાર દાનના માધ્યમે, મળશે. પોતે મુસ્લિમ હતા તેથી મુસ્લિમ સંસ્થાઓને દાન આપે એ તો સમજાય કિંતુ સહિષ્ણુતા તો આ યાદીમાં પણ ઝલકે છે. બે-ચાર વિગત જોઈએ તો;
* તાલુકદારી ગરાસિયા સ્કૂલ, વઢવાણ = રૂ.૫૦૦૦
* ધર્મશાળા, માળિયા = રૂ.૫,૦૦૦
* ઉના પુસ્તકાલય = રૂ.૭,૫૦૦
* તુલશીશ્યામ કુંડ રીપેરીંગ માટે = રૂ.૫૦૦
* કાઠિયાવાડ દુષ્કાળ રિલીફફંડ = રૂ. ૭૫,૦૦૦
* રાજકુમાર કોલેજ = રૂ.૧૦૦,૦૦૦
* વાઘેશ્વરી મંદિર રીપેરીંગ = રૂ.૫૦૦
* જલારામ જગ્યા, વીરપુર = રૂ.૨૦૦
* ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી = રૂ.૧,૫૦,૦૦૦
* પ્રો.રામમૂર્તિ ફિઝીકલ ઈન્સ્ટીટ્યુટ = રૂ.૧,૦૦૦ વગેરે…
આ માત્ર નાનક્ડી યાદી આપી. વિસ્તૃત યાદી પુસ્તકમાં છે. અને લગભગ દરેક સંસ્થાઓને વર્ષોવર્ષ આ પ્રકારે દાન અપાતું હોવાનું જણાય છે. વાર તહેવાર, અંગત પ્રસંગો, ખેરાત વગેરેનો હિસાબ ન ગણતા, માત્ર સરકારી દફતરે નોંધાયેલાં દાનનો કુલ આંકડો સાડા ચાર કરોડ રૂપિયાથી વધુનો છે. (આ આંકડો આશરે ૩૦ વર્ષના હિસાબનો છે, અને યાદ રહે ત્યારે રાજ્યની વાર્ષિક આવક રૂ. ૨ કરોડથી પણ ઓછી હતી. એમ કહી શકાય કે રાજ્યની કુલ આવકનાં લગભગ ૮ % દાન પાછળ વપરાતા હતા. અંગત વ્યક્તિગત દાન અલગ.)

મહેલમાં હિંદુ, મુસલમાન અને જનરલ એમ ત્રણ રસોડાં રહેતા. રસોડાખર્ચના મહિને ૭૦૦૦ રૂ. તથા કંટ્રોલના ભાવે માલ મંજૂર થતો. રસોડાખર્ચનો હિસાબ બેગમે રાખવો પડતો. (બોલો ! અને છતાં તે ’બેગમ’ કહેવાતાં ! હાલ માંગી જો જો રસોડેથી હિસાબ ! ’બેઘર’ ન થઈ જાઓ તો નસીબદાર !!) રાજમહેલના અધિકારીઓ કે નોકરોને તેનું કોઈ સગુંસંબંધી મળવા આવે તો તેની આગતા સ્વાગતા માટે અલગ ઓરડો હતો. ત્યાં તેમને ચા પાણી, ઠંડુ વગેરે પિરસાતું અને તેનો ખર્ચ જે તે અધિકારી, નોકરનાં પગારમાંથી કાપી લેવાતો ! આવી તો કંઈ કેટલી વાતો પુસ્તકમાં જાણવા મળશે.

નવાબ દારૂ, સિગરેટ અને તમાકુથી છેટા જ રહેતા. સંપૂર્ણપણે નિર્વ્યસની, પ્રમાણિક અને સાદુ જીવન જીવતા. બસ એકમાત્ર પાન (એ પણ તમાકુ વગરનું) ખાવાના શોખીન હતા. એ જમાનામાં તેમનું રૂ. ૧ ની કિંમતનું એક પાન બનતું. રોજના ૨૦૦ પાન બનતા અને તેમાંથી બેગમો અને અધિકારીઓને, દરજ્જા પ્રમાણેની સંખ્યાના, પાન અપાતા, બાકીના નવાબ સાહેબ ખાતા. જૂનાગઢ રાજ્યની વાર્ષિક આવક ૧૯૦ લાખ ઉપર નોંધાયેલી છે. તેમાંથી નવાબને પગાર પેટે દસમો ભાગ અને અન્ય સઘળાં કુટુંબીજનોના ખર્ચ પેટે માસિક ૨૫,૦૦૦ મળતા. એકંદરે માસિક દોઢ લાખ રૂપિયા રાજ્યમાંથી ખર્ચ પેટે અને દોઢ લાખ અન્ય ખાતાઓમાંથી એમ ત્રણ લાખની નવાબની આવક અને ખર્ચ હતા. આ રકમનો હિસાબ પુસ્તકમાં જણાવ્યો છે. જે જોતાં ઉપર જણાવ્યું તે રસોડાખર્ચ, બેગમને અંગતખર્ચ, કૂતરાંઓ, શિકારશોખ, શાહજાદા શાહજાદીઓનું વાપરણું, અંગત નોકરોનો પગાર, નવાબનો હાથખર્ચ વગેરે કાઢતા છતાં દર માસે લગભગ ૪૦,૦૦૦ની બેંકમાં બચત પણ થતી એમ જણાવાયું છે !

નવાબ વહેમી પણ બહુ હોવાનું નોંધાયું છે. નાગથી ખૂબ ડરતા. રોગમાં સૌથી વધુ ભય શીતળાનો લાગતો. જંતરમંતર, ભૂતપ્રેત વગેરેમાં બહુ માનતા. નવાબનાં પ્રથમ લગ્ન ભોપાલ થયેલા (એ બેગમ ભોપાલી બેગમ કહેવાતા). આ પ્રસંગે રાજ્યની તમામ જ્ઞાતિઓના લોકો માટે અલગ અલગ જમણવાર કર્યાની નોંધ છે. દરેક જ્ઞાતિને તેમનાં જણાવ્યા પ્રમાણેનું મનપસંદ ભોજન કરાવવામાં આવ્યું હતું. (૩૫ જેટલી જ્ઞાતિઓનું જમણ થયાની નોંધ છે.) સૌથી વધુ સંખ્યામાં સાધુ બ્રાહ્મણો, ૧૨૦૦૦, જમ્યા હોવાનું જણાવાયું છે. (ગાદી દફતર ફાઈલ નં:૩૧, નોંધ પ્રમાણે) આ લગ્નપ્રસંગે કવિઓને રૂ.૨૮૫૦૦નું દાન અને ૨૦૦ સોનાનાં કડાં તથા ૨૦૦ સોનાની વીંટીઓ અપાયાની નોંધ છે.

એક રૂઢિચુસ્તતાની નોંધ પણ છે. નવાબની બેગમોની તસવીરો કદી જાહેરમાં પ્રદર્શિત કરાતી નહિ. ભટ્ટ સ્ટુડિયો વાળા રતિભાઈ ભટ્ટને, એક માત્રને જ, રાણીવાસ કે રાજમહેલમાં જઈ તસવીરો લેવાની છૂટ હતી ! જેમાં બેગમ હોય તેવી તસવીર ક્યારેય જાહેર કરવી જ પડે તેમ હોય તો તસવીરમાંના બેગમના ચહેરા પર કાળા કલરનો પીછો ફેરવી દેવામાં આવતો. (આ પુસ્તકના લેખકશ્રીએ આવી કેટલીયે તસવીરો જાતે જ જોયાનું નોંધ્યું છે.) પુસ્તકમાં નવાબના પરિવારની સંપૂર્ણ યાદી અપાયેલી છે.

જૂનાગઢના નવાબોની ધર્મસહિષ્ણુતા વિષયે તો આપણે આગળ પણ જોઈ ગયા. થોડું વધારે. નવાબોના રાજ્યારોહણ પ્રસંગે મૂહુર્ત રાજ જ્યોતિષ જોતા. એ જમાનાને અનુરૂપ કંકોત્રી લાલ રંગે છપાતી. નવાબ મહાબતખાનજીનો રાજ્યારોહણ સમારંભ તા.૩૧/૩/૧૯૨૦ના થયેલો. આ સમયે કરાયેલી કેટલીક નવાજેશો; તા.૧ સપ્ટે.૧૯૨૦થી મફત પ્રાથમિક શિક્ષણ અને અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ પણ મફત. ગિરનાર અને દામોદર કુંડેથી લેવાતો યાત્રાવેરો રદ. કન્યાચોરીની લેત્રી માફ. તા.૩૧/૮/૧૯૧૮ સુધીનું ખેડૂતોનું લેણું માફ. જૂના કર્મચારીઓને એક માસનો પગાર ઈનામ. વગેરે. મહાશિવરાત્રીના મેળા પ્રસંગે બોરદેવી અને ભવનાથ એમ બે જગ્યાએ રાજ્યના ખર્ચે અન્નક્ષેત્ર ચલાવાતું.

રાજ્યના લશ્કર વિશે જાણતા થોડું આશ્ચર્ય થશે. એ સમયનું ઘણું જ મોટું રજવાડું હોવા છતાં લશ્કરના નામે, તોપખાનું, ઘોડેસવાર, પાયદળ અને સીબંદી મળી કુલ કર્મચારીઓ માત્ર ૧૧૨૧ હતા ! એમાંયે નિયમિત કર્મચારી તો માત્ર ૩૮૫. અન્ય અનિયમિત (હંગામી !) કર્મચારી હતા. (સને: ૧૯૦૮/૦૯નાં આંકડા). લશ્કર પાછળ વાર્ષિક ખર્ચ રૂ. ૧,૯૧,૯૬૨ દર્શાવાયો છે. જૂનાગઢનાં પોલીસદળમાં ૭૯૩ કર્મચારીઓ હતા. આ ઉપરાંત ગામડાંઓ માટે ૨૦૬૯ વિલેજ પોલીસ હતા.

અભિલેખાગારની ફાઇલમાં પડેલો ગાંધીજીનો આભારપત્ર (તા:૨૭/૧૦/૧૯૩૮) પુસ્તકમાં વાંચવા મળે છે. જે પરથી જાણવા મળે છે કે નવાબે ગાંધીજીની ફાળાની વિનંતી સામે રૂ. ૩૦૦૦નો ફાળો ખાદીકામ અને હરિજન ઉદ્ધારની તેમની પ્રવૃત્તિમાં મોકલ્યો હતો. ૧૯૩૦માં નવાબ ગાંધીજીને સાબરમતી આશ્રમ ખાતે મળેલા. અને ત્યારે નવાબનાં એક રસપ્રદ પ્રશ્નના જવાબમાં ગાંધીજીએ પોતાના ચશ્મા તેઓને ભેટ રૂપે આપી દીધેલા ! આ ચશ્મા નવાબે તો ખરા જ, છેક હમણાં સુધી તેમના વારસદારોએ પણ જતનપૂર્વક સાચવેલા. પુસ્તક જણાવે છે કે આ ચશ્મા માર્ચ, ૨૦૦૯માં નવાબના પૌત્ર તલદશાહીદ દ્વારા ન્યુયોર્ક શહેરમાં હરરાજીમાં મુકાયેલા અને તેની અપસેટ પ્રાઈસ રૂ. ૨૦,૦૦,૦૦૦ આંકવામાં આવેલી. (જો કે આગળ શું કાર્યવાહી થઈ તેનાથી લેખકશ્રી અજાણ છે. આપણાંમાંથી કોઈ જાણકાર એ વિશે જાણી શકશે ? તો કૃપયા અહીં કે લેખકશ્રીને જરૂર જણાવે.)

લખવાનું તો ઘણું છે, પણ હાલ રસ પડે એવી ’મોંઘવારી’ની એકાદ વાત લઈએ તો; નવાબ મહાબતખાનજીના સમયમાં જૂનાગઢમાં ૧૯૨૧ થી ૧૯૪૦ સુધીની, પ્રતિનિધિરૂપ ચીજવસ્તુઓની, ભાવની યાદી પુસ્તકમાં આપી છે. કેટલાક ભાવ જોઈએ. અહીં માત્ર પ્રથમ અને છેલ્લા વર્ષના ભાવ જ લખું છું. મોંઘવારીમાં વધારો ઘટાડો ધ્યાને લેશો !
* બાજરો (૧ ખાંડી) = સને:૧૯૨૧ – રૂ. ૫૮-૧૨ (પોણા ઓગણસાંઈઠ રૂ.) અને સને:૧૯૩૯ –  રૂ. ૪૦
* ઘી (ડબો) = સને:૧૯૨૧ – રૂ. ૩૧ અને સને:૧૯૩૯ – રૂ. ૨૩-૮ (સાડા ત્રેવીસ રૂ.) (જો કે ૧૯૪૦માં ૩૭-૮)
* ગોળ (૧ મણ) = સને:૧૯૨૧ – રૂ. ૯ અને સને:૧૯૪૦ – રૂ. ૪
* તેલ (ડબો) = સને:૧૯૨૧ – રૂ. ૧૪-૮ (સાડા ચૌદ રૂ.) અને સને:૧૯૪૦ – રૂ.૭-૮ (સાડા સાત રૂ.)
* ઘઉં (૧ ખાંડી) = સને:૧૯૨૧ – રૂ. ૫૮-૧૨ (પોણા ઓગણસાંઈઠ રૂ.) અને સને:૧૯૪૦ – રૂ. ૪૨-૬ (બેતાલીસ રૂ. છ આના)

આટલું લખ્યા છતાં મને લાગે છે કે આ ઇતિહાસ પુસ્તકનો પરિચય કરાવવો એ મારા ગજા બહારની વાત છે ! આ તો વાંચ્યું તેમાંથી કેટલુંક આપને કહ્યું. બાકી તો પ્રસંગોની વિવિધતા, માહિતીઓ, સંદર્ભો, એ જમાનાની રસપ્રદ વાતો વગેરે વાંચતા એમ જ કહેવાય કે ’ગાગરમાં સાગર’ ભરીને લેખકશ્રીએ આપણી સમક્ષ ઠાલવ્યો છે. અંતે માત્ર અનુક્રમણિકામાંથી કેટલાંક પ્રકરણની યાદી, વિવિધતા અને રસપ્રદતાની જાણકારી અર્થે, આપી રજા લઉં. આભાર.

* પુસ્તકનાં વિવિધ પ્રકરણો : રાજ્યનો ટૂંક પરિચય, બાબીઓનો ટૂંક ઇતિહાસ, નવાબનું બાળપણ, અભ્યાસ, શોખ, દિનચર્યા, ખાનગી જીવન, અંગત માન્યતાઓ, મહોત્સવો, પરિવાર, રાજ્યારોહણ, ઈલ્કાબો, લશ્કર, લોકોપયોગીકાર્યો, ચીજવસ્તુઓના ભાવ, કોમવાદ, રમતગમત, પશુપાલન, વિશ્વ યુદ્ધોમાં મદદ, રેલ્વે લાઈનો, ભાગલા સમયની પરિસ્થિતિ, પાકિસ્તાનથી નવાબનો તાર, નવાબ અને ગાંધીજી, નવાબ અને હરિજનો, નવાબ વિશે આલેખાયેલી સાચી ખોટી વાતો, રાજમહેલો, શાહી શ્વાનપ્રેમ, દાનો, હાલના વારસદારો તસવીરો, સંદર્ભો.

17 responses to “સોરઠ સરકાર

  1. તમે જુનાગઢનું ઋણ ચુકવ્યું છે. પ્રજામાં જે સામાન્ય છાપ છે તેમાં આ પુસ્તક બહુ સારી મદદ કરે છે. ‘હુ હુ’ નામક નવલકથા મારી કને છે તેમાં પણ બહુ મજાની વિગતો છે જે આપણે જાણી ન હોય…ભારતભરમાં જુનાગઢ જેટલી હિન્દુમુસ્લીમ એકતા ક્યાંય ન હોય તેવો ભાઈચારો ત્યાં નોંધાયો છે !! રોટી વહેવાર જ નહીં પણ બેટી વહેવાર પણ બન્ને કોમો વચ્ચે હોવાની વાત પણ ત્યાં હતી ! આ નવલકથા અંગે મેં થોડું લખ્યું તેના કરતાં આ તમારું લખાણ બહુ જ ઉપયોગી છે.

    લેખકને તો વંદન પણ તમનેય ધન્યવાદ આપવાના થાય છે, આવી સરસ માહિતી માટે. ખૂબ આભાર.

    Like

    • શ્રી.જુ.ભાઈ, પ્રોત્સાહક પ્રતિભાવ બદલ હાર્દિક ધન્યવાદ. આ તો આપની વડાઈ છે. બાકી કહાં રાજા ભોજ કહાં….! શ્રી.પ્રદ્યુમ્નજીએ પણ આ લેખ વાંચી ફોન દ્વારા રાજીપો વ્યક્ત કર્યો અને સમય મળ્યે રૂબરૂ મળવા નિમંત્ર્યો. (પ્રદ્યુમ્નજી પણ જૂનાણાનાં જ હોં કે ! જો કે અંગત રીતે મળવાનું ક્યારેય બન્યું નથી. જાહેર કાર્યક્રમો અને વધુ તો પુસ્તકો દ્વારા વાચક-લેખકનો સંબંધ ખરો.) આગળ ક્યારેક તેઓનાં દ્વારા લખાયેલા અન્ય ઇતિહાસ ગ્રંથોનો પરિચય કરાવવાનું પણ સદ્‌ભાગ્ય પ્રાપ્ત થાય તેવી આશા કરું છું.

      આપે ભાઈચારાનીં નોંધ લીધી તે એકદમ વાજબી જ છે. મને સાંભરે છે ત્યાં સુધી, અગાઉ ક્યારેક સંજોગો બન્યા છતાં, નોંધપાત્ર રીતે અહીં ભાગ્યે જ ખાસ તણાવની સ્થિતિ ઊભી થઈ હશે. જો કે સારી બાબતોમાં સનસનાટીનું તત્વ ઓછું હોય કે શું પણ સારી બાબતોની ભાગ્યે જ પ્રસિદ્ધિ થાય છે. આપે યાદ અપાવ્યું, આગળ ઉપર આવી ઘટનાઓ, પ્રસંગોનું પણ અક્ષરાંકન કરવા પ્રયત્ન કરીશ. ધન્યવાદ.

      Like

  2. આખી પોસ્ટ બરોબર વાંચી.

    …..બહુધા ખોટી રીતે યાદ કરાતા, સોરઠના છેલ્લા નવાબને ઇતિહાસના અધિકૃત પુરાવાઓ દ્વારા ન્યાય આપવા પ્રયત્ન કરે છે. તો પુસ્તકને આધારે સાભાર…..

    * તેલ (ડબો) = સને:૧૯૨૧ – રૂ. ૧૪-૮ (સાડા ચૌદ રૂ.) અને સને:૧૯૪૦ – રૂ.૭-૮ (સાડા સાત રૂ.)

    એટલે કે સીંગ તેલના પંદર કીલોના રુપીયા ૭.૫૦… એ વખતે ખેતરોમાં એક દીવસની મજુરીના ભાવ હોય તો જરુર જણાવજો…..

    Like

    • આભાર, વોરાસાહેબ.
      ભાવનાં પ્રમાણમાં આવક પણ ઓછી જ હશે. હોવી પણ જોઈએ ! સરખામણી એ વાતની છે કે, સતત ૨૦ વર્ષનાં આંકડાઓ એકંદરે ભાવમાં ઘટાડો (સોંઘવારીમાં વધારો !) દર્શાવે છે. આ નોંધાયેલા, અધિકૃત આંકડાઓ છે તેથી વિશ્વાસ કરવા લાયક છે. આપણે વિચારવી એ ન નોંધાયેલી બાબત રહે કે સોંઘવારી વધવાનું કારણ શું હશે ?!

      એક દહાડાની મજુરી શું મળતી હશે તેનો પુસ્તકમાં તો ઉલ્લેખ નથી, કિંતુ મેં અંગતપણે જાણ્યું છે કે મારા દાદાજીને, લગભગ આ સમયગાળામાં જ, દરરોજનો રૂ. ૧ (અંકે રૂપિયો એક પુરો !) મજુરી પેટે મળતો ! અને વળી લગભગ ગામ આખાના મજુરોમાં, મજુરી કરીને, મેળવાતી એ ભારે રકમ ગણાતી ! જો કે એમાં સાથે ભોજન પ્રબંધ ન હતો. (સામાન્ય રીતે એક દહાડાની મજુરી પેટે ભરપેટ ભોજન ઉપરાંત ચાર આના રોકડા ચૂકવાતા. આ સાંભળી વાત છે, સ્થળ-કાળ પ્રમાણે કદાચ ફેરફાર હોઈ શકે.) હવે વાત હિસાબની;

      આજે સરેરાશ દનૈયું ૧૦૦ રૂ. તો સુઝે છે. (જો કે આ વ્યવહારુ અંક છે, અધિકૃત નહિ અને વળી ભોજન પ્રબંધ એમાં આવતો નથી) સાદી ત્રિરાશીઓ માંડતા જણાશે કે તેલનો ડબો રૂ.૭૫૦ હોય તો ’સોંઘવારી’ ગણાય ! આપ સમા વડીલોને તો એ કાળ વિશે વધારે, આધારભૂત, માહિતીઓ હોય. અમ જેવાઓ વચ્ચે પણ થોડી વહેંચો તેવી વિનંતી. આભાર.

      Like

  3. ગુજરાત સમાચારની રવિવારની પૂર્તિમાં , જોરાવરસિંહજી એ પણ નવાબ મહાબતખાનજી વિષે ખુબ સુંદર માહિતી પૂરી પાડી હતી .

    Like

  4. ભાઇ શ્રી.અશોક”જી” વાહ…. “સોરઠ સરકાર – નવાબ મહાબતખાનજી”, સ_રસ પુસ્તક વિષે સુંદર જાણકારી [પરિચય]. લેખક શ્રી.ડૉ.પ્રદ્યુમ્નજી ભ.ખાચરની મહેનત અને લગન માટે ’સલામ’,
    ખરી વાત છે, જૂનાણાના નવાબ વિષે “જેટલા મોઢા તેટલી વાતો” થઈ છે, સંદર્ભ સાથેની માહિતી વાંચવા પુસ્તક વાંચવું જ રહ્યું.

    Like

  5. વાહ અશોકભાઈ, પુસ્તકની સરસ ઝાંખી કરાવી. તમે પુસ્તક વિતરણનો કમિશન પર ધંધો તો કરતા નથી ને? જે જે પુસ્તક વિષે તમે લખો છો તે પુસ્તક વસાવી લેવાનું મન થાય છે. જો કે વિદેશમાં રહેવાને કારણે મારી કંજુસાઈને છુપાવવાનું બહાનું મળી રહે છે એ અલગ વાત છે.

    તે સમયે મોંઘવારી વધવાને બદલે સાલી સોંઘવારી વધતી હતી જે વાંચીને નવાઈ લાગી. એના ઉપરથી એક અલગ જ દિશામાં સંશોધન કરવાનું મન થાય છે. શું ૧૯૨૦-૨૧માં એવું કાંઈ ખાસ થયું હતું (જેમકે દુષ્કાળ કે આકરો કરવેરો) જેને કારણે ભાવ આટલા વધુ હતા? કે પછી ૧૯૩૯માં કશું એવું થયું હતું કે જેને કારણે ભાવો લગભગ અડધોઅડધ ઘટી ગયા? શું ઘટાડો સતત હતો કે આકસ્મિક? કેમકે ફરી પાછા ૧૯૪૦માં તમે એકાદ જગ્યાએ જણાવ્યું તેમ ભાવ વધ્યા હતા. વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવા છતા વાણિજ્ય સંસ્થામાં વતું કરતો હોવાથી આવા વિષયોમાં આજકાલ વધુ રસ પડે છે.

    Like

    • ’પુસ્તક વિતરણનો કમિશન પર ધંધો’ — આ આક્ષેપ છે કે પ્રસ્તાવ ?! આક્ષેપને હું નકારી કાઢું છું અને પ્રસ્તાવ હોય તો સ્વીકાર્ય છે ! 🙂 આપણે કહેવત છે ને, ગોરા ભેગો કાળો જાય, વાન ન આવે પણ સાન તો આવે ને ! અમ જેવા કંજુસની દોસ્તી કરવાનું આ પરિણામ હોઈ શકે !!

      આપને જે વિચાર આવ્યો તે મને પણ આવ્યો ! અને રોજ ખાંખાખોળા કરું છું. કંઈક મગજમાં આવશે એટલે ચોક્કસ લખીશ. આપને પણ કંઈક ધ્યાને ચઢે તો જરૂર જણાવશો. આપને માટે (આપને “ઘી”માં વધુ રસ પડશે, કદાચ ’લાડવા’ !!!) ઘી ના દર વર્ષના ભાવ (પુસ્તકમાં ઉલ્લેખાયેલા) અહીં લખું: (ઘી-૧ મણ, ૧૯૨૧ થી ૧૯૪૦)
      ૧૯૨૧ = રૂ. ૩૧, ૪૭, ૪૫, ૫૦, ૪૭, ૩૮, ૪૬, ૩૪, ૩૫, ૩૪, ૩૧, ૨૮, ૨૫, ૨૮, ૨૬.૪, ૨૫, ૨૭, ૨૩, ૨૩.૮ અને ૧૯૪૦માં ૩૭.૮ (આ દશાંશ ચિહ્ન પછીનો અંક ’આના’ બતાવે છે. ૧૬ આના = ૧ રૂપિયો)

      અને લાડવા બનાવવા ઘઉંનો લોટ પણ જોશે, ગોળ પણ જોશે. તો એ બંન્નેના પણ લખી નાખું ! (ઘઉં – ૧ ખાંડી)
      ૧૯૨૧ = રૂ. ૫૮.૧૨, ૬૦, ૫૩.૧૨, ૬૦, ૭૦, ૮૨.૮, ૫૫, ૫૦, ૬૭.૮, ૫૭.૮, ૩૬.૪, ૪૩.૧૨, ૪૩.૧૨, ૪૧.૪, ૩૮.૧૨, ૩૮.૧૨, ૪૫, ૪૧.૪, ૪૧.૪ અને ૧૯૪૦માં ૪૨.૬
      (ગોળ – ૧ મણ)
      ૧૯૨૧ = રૂ. ૯, ૭, ૬, ૫.૧૨, ૭, ૬.૮, ૫.૮, ૪, ૪.૮, ૫, ૫, ૪.૮, ૩.૮, ૩.૮, ૫, ૩, ૩, ૫.૮, ૪.૮ અને ૧૯૪૦માં ૪.

      ધવલભાઈ, ચાલો મગજમારી ચાલુ કરો અને અંતે આ ઘી, ગોળ, ઘઉં આપના ! લાડવા બનાવવા માટે ! ધન્યવાદ.

      Like

  6. શ્રી અશોકજી તેમજ ઇતિહાસવિદ્દ ડૉ. પ્રદ્યુમ્નજી ભ. ખાચર. નો અહીંથી આભાર માનું છું. ખુબજ દુર્લભ અને સચ્ચોટ માહિતીઓ તમારા બન્ને દ્વારા (ઈન્ટરનેટ અને પુસ્તક દ્વારા) આપવામાં આવી છે તે ઘણા લોકોને ઉપયોગી થશે અને નવાબ વિષેની અમુક ગેરસમજ દુર થશે. તમારા મહેર સમાજનું જે પુસ્તક મે તમારી પાસે મંગાવેલ તે મને મળી ગયુ છે. તે કષ્ટ લેવા બદલ આભાર… સમાજ ઉપયોગી કાર્ય કરવા બદલ ધન્યવાદ..આભાર જય માતાજી…

    Like

  7. પ્રિય અશોક
    નવાબના રાજ્યમાં ધાર્મિક સ્થળો ઉપર કોઈ કર નોતો એ પ્રદ્યુમન આપાએ લખ્યું હશે.
    बाबी कुलका ऐसा स्वभाव खास , इन्दर बरसे चार मास बाबी बारा मास. મોંઘવારી બાબત કહું તો આઠ આના શેરનો ઘીનો ભાવ હતો. પછી દસ આના થઇ ગયો. એક દિવસ હું વાઘા બાપાના બિડ માં ભેંસો ચરાવતો હતો. જોડે પાલા બાપા ભેંસો ચરાવતા હતા .મને વાત કેતા હતા, કે હિમતરામ મુંઘવારી તાં જો ફાટી નીહરી, દસ આનાનું શેર ઘી કીમ ખવાય.
    અને આ ભાયડો સવા રૂપિયો ખટારા (બસ)ભાડું બચાવવા દેશીંગા થી પોરબંદર હાલીને ગયો. અને બશેર ઘીની સુખડી મારી માએ બનાવી અને ઘર આખાને ખવડાવી .
    નવાબના દિવાન મહમદભાઈના વખતમાં વેરાવળમાં હિંદુ મુસલમાન વચ્ચે હુલ્લડ થએલું, પણ એ એક અપવાદ હતો. બાકી હિંદુ મુસલમાન વચ્ચે માનવામાં ન આવે એવો ભાઈ ચારો હતો અને હજી પણ છે.

    Like

  8. ગીરમાં સિંહ બચ્યા હોય તો આ નવાબના કારણે.. શિકાર કરવાની મનાઈ ફરમાવી દીધેલી..

    Like

  9. પ્રિય અશોક

    તારા તરફથી બહુ સુંદર રસપ્રદ માહિતી જુનાગઢના નવાબ વિષે મળી . સાથે સાથે વસ્તુઓના ભાવતાલની પણ રસપ્રદ માહિતી જાણી ઘણું જાણવા મળ્યું . પ્રદ્યુમન આપા એ તો હદ કરી નાખી આટલી સરસ અને સચોટ માહિતી મેળવવા માટે કેટલો ભગીરથ પ્રયાસ કર્યો ?.તેઓનેતો ધન્યવાદ પણ સવા ધન્યવાદ આપવા જેવું કામ તે પણ કર્યું છે .શાહ્બાશ આવું લખતો રહેજે મારા જેવાને ઘણું ગમશે .

    Like

Leave a comment