ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)


મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.

તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !

પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

“જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે”

From Wiki

આ ’જળકમળ’ કયું છે ? અહીં શરૂઆત થાય છે આપણી બહુજાણીતી યૌગીકપ્રક્રિયાની, શરીરના નાભિપ્રદેશને ’નાભિકમળ’ કહે છે. કુંડલિની યોગની ભાષામાં શરીરમાં રહેલાં સાત ચક્રોને કમળ સાથે સરખાવ્યા છે. અને કુંડલીની શક્તિને સાડાત્રણ આંટા વાળીને બેઠેલા સર્પના રૂપે સમજાવાય છે. અહીં જાગૃત કરાતી કુંડલિનીના સંદર્ભમાં નાગણો દ્વારા આ કહેવાય છે કે ’જાગશે તને મારશે’, ટુંકમાં “ભય”નો ભય દેખાડાય છે. સામાન્ય માણસ તો અહીંથી જ અટકી જશે ! જાગરણના સંદર્ભે પ્રથમ અડચણ છે આ ભય. ભય પર કાબુ મેળવ્યા પછી જ આગળનું પગલું ભરી શકાશે તે વાત અહીં સમજાવવાનો પ્રયાસ છે. (યાદ કરો ઉપનિષદોમાંનુ ’અભી’ – અભય !)

જેઠાભાઇએ ચર્ચા દરમિયાન એક બહુ સરસ વિચાર આપ્યો કે, આ નાગણીઓ કેટલી છે તે દર્શાવ્યું નથી પણ તે ખરેખર આઠ હોવી જોઇએ ! આ આઠ નાગણીઓ તે ’અષ્ટ સિદ્ધિ’નું પ્રતિક હોઇ શકે. (’નાગણ સૌ વિલાપ કરે’ લખ્યું છે તેથી એક કરતા તો વધુ જ હશે !) સાધનાના માર્ગમાં સૌ પ્રથમ આ સિદ્ધિઓ અડચણ કરવા આવે છે. સાદી ભાષામાં પણ જોઇએ તો આ નાગણીઓ એટલે મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. માણસને સત્યની નજીક જતા, માનવમાંથી મહામાનવ બનતા, વચ્ચે આ અડચણો રોકી પાડે છે. અને આ અડચણોને એક પછી એક વટાવી અને પોતાના માર્ગે આગળ વધવાની વાત અહીં નરસિંહ સમજાવે છે. અહીં પ્રથમ છે મુલાધાર ચક્ર’ અને પછી ’સ્વાધિષ્ઠાન ચક્ર’, જે નાભિપ્રદેશ પાછળ સ્થિત છે. યોગમાં એમ કહેવાય છે કે કુંડલિની શક્તિ ત્યાં કુંડલી મારી અને સુષુપ્તાવસ્થામાં પડેલી છે.  આ પ્રથમ ચક્ર પર થતો પ્રહાર મૃત્યુનો ભય ઉત્પન્ન કરે છે, સામાન્ય અનુભવ પણ છે કે અચાનક કોઇ ભારે ભય ઉત્પન્ન થાય છે ત્યારે નાભીની નીચેના ભાગમાં સ્પંદન ઉત્પન્ન થાય છે જેને ’પેટમાં ફૈડકો પડવો’થી ઓળખવામાં આવે છે.  આ શક્તિ જાગૃત થયા પછી તેનો મુળ સ્વભાવ નીચેની તરફ વહેવાનો છે જે કામઉર્જારૂપે વર્ણવાય છે. તેના નિમ્નગમનના સંદર્ભમાં જ પ્રથમ તો નાગણો કહે છે, ’કહે રે બાળક તું મારગ ભૂલ્યો’ એટલે કે નિમ્નગમન એ સ્વાભાવિક છે તેને બદલે તું આ ઊધર્વગમનને મારગે ક્યાં ચઢીયો !! (આમે નીચે પડવામાં કશી મહેનત નથી પડતી, ઊંચે ચઢવા માટે જ મહેનત કરવી પડે છે !)
“કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો”

અને કૃષ્ણ આ “ભય”ને પાર કરતા કહે છે;

“નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો”  

કૃષ્ણ અહીં દેખીતું બ્લફ કરે છે ! એ તો માસ્ટર છે, પછી બ્લફમાસ્ટર કેમ ના હોઇ શકે ?! આખરે ભયને જીતવાનો છે, ભયાનક લડાઇની તૈયારી કરવાની છે, અને શઠં પ્રતિ શાઠ્યંનું જ્ઞાન તે કંઇ કૃષ્ણને થોડું સમજાવવું પડે ! (આ લખનાર તો નરસિંહ છે, અને છતાં લોકો માને છે કે નરસિંહ ભોળો ભગત હતો !) યોગમાર્ગમાં ભયનું અતિક્રમણ કરી જનારો આપો આપ ત્યાર પછીના ચક્રના દ્વારે પહોંચે છે. અને તે છે ’મણીપૂર ચક્ર’ આ પણ કામનો પ્રદેશ છે. ભયના સકંજામાંથી છટકનારો માણસ મોટેભાગે અહીં ભરાઇ પડે છે ! જુઓ નાગણીઓ અહીં લાલચ પણ કેવી આપે છે !

“રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,” આજની ભાષામાં કહીએ તો ’કૃષ્ણ, યુ આર વેરી સેક્સી !’ પણ કૃષ્ણ ત્યાં ફસાતો નથી ! કહો કે સાધક પણ ત્યાં ફસાતો નથી, અને સત્યને માર્ગે ચઢેલો આપણો સામાન્ય માણસ પણ ત્યાં ફસાતો નથી ! (જો કે બહુ અઘરૂં છે, કંઇક કહેવાતા સાધુ-સ્વામીઓ પણ અહીં ફસાયા છે !) તો પછી તે પહોંચે છે ’ અનાહત ચક્ર ’ માં, આ હૃદય પાસે આવેલું ચક્ર તે મોહનો પ્રદેશ છે. અહીંથી આગળ વધતા અટકાવવા માટે નાગણો મોહનો આશરો લે છે. સગાવ્હાલાંની યાદ અપાવે છે. કહે છે;

“તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો”  માતા અને ભાઇભાંડુઓને યાદ કરાવે છે. કહે છે શું તું તેમને અળખામણો છે કે તેમને ભુલી અને આ માર્ગે ચઢ્યો છે ?  જા ને ભ‘ઇ, જીવતો નર ભદ્રા પામે ! સુંદર, દેખાવડો છે, રંગરાગ કર, સગા સ્નેહીઓ સાથે બેસીને મોજ કર ! આ જ્ઞાનના માર્ગે, ભક્તિના માર્ગે, સત્યના માર્ગે, યોગના માર્ગે, વળી ક્યાં ચઢ્યો ?  પણ કૃષ્ણ માનતો નથી ! (એટલે જ તો યોગેશ્વર કહેવાયો) મોહનાં બંધનમાં બંધાતો નથી અને પોતાના અડગ નિશ્ચયની જાહેરાત કરતા કહે છે;

“મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો”

સાધક મોહના બંધનમાંથી મુક્ત બને છે. આગળ વધે છે અને પહોંચે છે કંઠની પાસે આવેલા ’વિશુદ્ધ ચક્ર’ના દ્વારે. આ પ્રદેશ લોભનો, લાલચનો, પ્રદેશ છે. કાવ્યમાં નરસિંહ વિશુદ્ધ ચક્ર દર્શાવવા માટે નાગણો દ્વારા અપાતી લાલચમાં અન્ય કોઇ નહીં માત્ર કંઠનાં આભુષણોનું વર્ણન જ કરે છે. જુઓ:

“લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ”

અહીં કંગન કે વિંટીઓ કે ઝાંઝર કે કાનના કુંડળ એવો કશો ઉલ્લેખ નથી માત્ર હાર અને દોરીઓ (સૌરાષ્ટ્રમાં આજે પણ સ્ત્રી-પુરુષ ગળામાં જે ઘરેણું પહેરે છે તેને “દોરો” કહેવાય છે. સામાન્ય રીતે સૌ ચેઇન કહે છે)  સાધનાપથનું સૌથી મોટું અને ભયાનક વિઘ્ન આ લોભ, લાલચ છે. લગભગ તમામ લોકો જે ભય, કામ અને મોહના આગલા પ્રદેશો પાર કરી ચૂક્યા તે પણ અહીં ફસાઇ ગયા છે ! (આ વાત બહુ સમજાવવી પડે તેમ લાગે છે ? સત્ય સાંઇબાબા કે અન્ય બાબાઓ અને કંઇ કેટલાયે સાધુ સંતોના, મહાનુભાવોના, ભવ્ય ભંડારો હવે કંઇ છાના નથી રહ્યા !!) કુંડલિની યોગની દૃષ્ટિએ પણ આ બહુ કઠીન પડાવ છે. અધ્યાત્મમાં પણ આ સૌથી બાધક એવું ચક્ર છે ત્યાં જનસામાન્ય માટે તો આ લોભ અને લાલચના ચક્કરમાંથી નીકળવું શક્ય જ કેમ બને ? ઘરબાર અને સગાં સ્નેહીઓ છોડનારા, અરે કામને પણ જીતી લેનારાઓ, અહીં માયાના ચક્કરમાં ફસાયા છે.

પણ કૃષ્ણ ત્યાં પણ પકડાતો નથી ! કહે છે;

“શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ”

હે નાગણો, નકામી માથાકુટ મેલો ! તમે મને ઓળખતી નથી !! અને આમે મારે માટે તમારે આટલું કષ્ટ લેવાની શી જરૂર છે ? જરા વિચારો, એકના ડબલની લાલચ, રાતોરાત તમને ધનાઢય બનાવી દેતા મેઇલના સંદર્ભે, આજથી છસો વર્ષ પહેલાં, નરસિંહે કૃષ્ણના મોંએ મુકેલો આ પ્રત્યુત્તર યાદ રાખવા જેવો નથી લાગતો ? અરે કહે છે કે માગ્યા વગર તો મા પણ નથી પીરસતી ત્યાં વગર માગ્યે આપની પર સંપત્તિનો વરસાદ કરવા ઉત્સુક એવા આ મહાનુભાવો કઇ માસીના દીકરા થાય છે કે આટલા બધા વરસી પડે છે ? વિચારો અને હવે આગળ વધીએ.

“ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો”

હવે નાગણોને લાગે છે કે કશો જ ઉપાય બચ્યો નથી, અહીં નાગને જગાડવાની ક્રિયામાં નરસિંહ કુંડલિનીનું ઉધર્વગમન પણ રૂપકમાં દર્શાવી આપે છે ! ચરણથી લઇ અને મૂછ (નાક) સુધી પહોંચ્યાનું સ્મરણ ફરીને કરાવે છે. અને યોગવિદ્યામાં કઠીન એવું ’વિશુદ્ધ ચક્ર’ પાર કર્યા પછી, લોભ અને લાલચના આ પાશમાંથી છૂટ્યા પછી શરૂ થાય છે ખરૂં દ્વંદ્વ ! કુંડલિનીના સંદર્ભે તે કહેવાય છે ’આજ્ઞાચક્ર’ જે બે આંખની વચ્ચે આવેલું છે. આને ત્રીકુટી પણ કહે છે, સાધકો તેને શંકરનું ત્રીજું નેત્ર પણ કહે છે. આ આજ્ઞાચક્રમાં થાય છે આરપારની લડાઇ ! આ કેન્દ્ર છે અહંકારનું. (નાક કપાયું અને નાક બચ્યું જેવા શબ્દો યાદ કરો !)   

“બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો”

નરસિંહે રચેલા આ કાવ્યના કદાચ કેટલાયે અર્થ નીકળતા લાગે પરંતુ અહીં મારા મનમાં એક અર્થ એ પણ નીકળે છે કે આ આખી લડાઇ ક્યાંય બહાર નથી થયેલી ! આ વર્ણન જ આખું માણસના મનોદ્વંદ્વનું છે ! તેના ડર, કામ, મોહ, લોભ, લાલચ, ક્રોધ અને અહંકાર સામેના દ્વંદ્વનું. અહીં માણસના મનમાં પડેલી સત-અસત વૃતિઓનો સંઘર્ષ છે. એક પછી એક વૃતિ પર વિજય પામી અને આજ્ઞાચક્રમાં પહોંચેલો માણસ તેની અંતિમ લડાઇ ’અહંકાર’ સામે લડે છે. ’મેં ડરને જીત્યો, કામને જીત્યો, ક્રોધને જીત્યો, મોહને જીત્યો, લોભ અને લાલચને જીત્યા !!’ આ અહંકાર હવે અહીં માણસને રોકી પાડે છે. સાધનાપથની વાત કરીએ તો સાધકને રોકી પાડે છે. અને ભક્તિમાર્ગમાં પણ આ જ કહેવાય છે. ગંગાસતીના ભજનને જુઓ તો કહે છે; ’માન રે મુકીને તમે, આવો ને મેદાનમાં ને’, આ માન મુકવું બહુ કઠીન કામ છે. આ કામ બુદ્ધિથી થવું સંભવ નથી ! કારણ, બુદ્ધિને પોતાનો અહંકાર હોય છે ! અહીં નરસૈંયાનો ભક્તિમાર્ગ જીતે છે ! અહીં બુદ્ધિ નહીં બુદ્ધની જરૂર પડે છે !! અહીં બળ કે કળ નહીં ચાલે કૃષ્ણ ચાલશે !! આવું પ્રબુદ્ધજનોનું મંતવ્ય છે. અને અંતે આ છેલ્લી લડાઇ જીતાય છે.  (સત્યમેવ જયતે)

હવે એ વાત આવે છે જે વર્ષોથી ઘણાને હેરાન કરે છે ! અમે પણ આ પ્રશ્નનો સામનો કર્યો છે ! જેનો ઉત્તર પણ જ્ઞાનીજનોને સથવારે કંઇક કંઇક સાંપડ્યાનું જણાય છે.

“સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો”  — અહીં અંતિમ સવાલ એ થાય છે કે નાગ નથાયો. કાબૂમાં થયો, પછી તો તે ઢીલોઢફ પડી જવો જોઇએ ! અહીં તો નરસિંહ લખે છે, ’સહસ્ત્ર ફેણાં ફુંફવે..’. આ વર્ણન છે કુંડલિની જાગૃતિનું, આ વર્ણન છે કુંડલિની યોગના અંતિમ ચક્ર, ’સહસ્ત્રાધાર ચક્ર’નું. મસ્તકના સર્વોચ્ચ બિંદુએ આવેલું આ ચક્ર, કહે છે જ્યારે આજ્ઞાચક્ર પર વિજય પ્રાપ્ત થાય છે, જ્યારે અહંકાર પર વિજય પ્રાપ્ત થાય છે, ત્યારે સહસ્ત્રાધાર ચક્ર જાગી ઊઠે છે. જૈન અને બુદ્ધિઝમમાં તેને ’ડાન્સિંગ ઓફ ધ થાઉઝેન્ડ પેટલ લોટસ’ કહે છે. આ જે ગગન ગાજે હાથીયોનો ગડગડાટ થાય છે તે જ છે કુંડલિની શક્તિ. અહીં સાધક જીવમાંથી શિવ સ્વરૂપ બને છે. શંકરાચાર્યનો ’અહમ બ્રહ્માસ્મિ’નો નાદ પણ અહીં જ થતો હશે ! આ યાત્રા કોઇ બાહ્યયાત્રા નથી, આ અંતરયાત્રા છે, સહસ્ત્રદલ કમળ સમાન અમુલ્ય સત્યને પામવાની યાત્રા છે. નરસિંહ આ યાત્રા આપણને કરાવે છે. યાત્રાના માર્ગમાં આવનારા વિઘ્નનો પરિચય પણ આપે છે.  જો કે હજુ થોડું કહેવાનું બાકી રહી જાય છે. નરસિંહના આ અદ્‌ભૂત જ્ઞાનને હજુ પણ ઓળખવાનું બાકી રહ્યું છે. તો ચાલો આગળ વધીએ.

“બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો”

અહીં પહેલું તો એ જણાવાય છે કે, કૃષ્ણ નાગને નાથે છે, તેના પર કબ્જો કરે છે, પણ તેને મારતો નથી ! કાળીનાગને સ્વયં મનોવૃતિઓનું પ્રતિક ગણો તો, વૃતિઓ મારી મરતી નથી. તેના પર માત્ર કાબૂ કરવાનો છે ! નરસિંહ ન તો આ ઇંદ્રિયોની વૃતિઓથી ડરીને ભાગવાના મતનો છે ન તેને કબ્જે થવાના મતનો છે કે ન તો તેને મારવાના મતનો છે ! તે તો આ વૃતિઓ રૂપી કાળીનાગને વશમાં કરી, તેનું ઝેર ચૂસી લઇ, જીવનરૂપી જમનાના જળમાં રમવાના મતનો છે. ઉપર ત્રુટક ત્રુટક આપણે મારી અલ્પ સમજ મુજબનો યોગમાર્ગ પણ જોયો જ આધ્યાત્મનો બહુ જ ગુઢ સંકેત પણ આ કાવ્યમાં સંતાયેલો મળે છે જે લગભગ ભાગ્યે જ કોઇ જ્ઞાનીના ધ્યાને ચઢ્યો હશે ! આ આખા કાવ્યની મુળ મજા તેના બદલાતા સંદર્ભમાં છે. આ કાવ્યની શરૂઆત થી અંત સુધીમાં ’સ્વામી’ બદલાય જાય છે !

“જળકમળ છાંડી જાને બાળા, ’સ્વામી’ અમારો જાગશે”  અને અંતે,
“બેઉ કર જોડી વીનવે, ’સ્વામી’ ! મૂકો અમારા કંથને”

પ્રથમ સ્વામી કાળીનાગ છે અને અંતે સ્વામી કૃષ્ણ છે. આપણી જીવનરૂપી જમનામાં સ્વામી નાગ છે ત્યારે ઝેર છે અને સ્વામી કૃષ્ણ બની જાય છે ત્યારે એ જ જમના અમૃત છે. એમ કહેવાનો નરસિંહનો આશય હોય તેવું અહીં જણાય છે.  (આ રહસ્ય શ્રી જવાહર બક્ષીજીના કહેવા મુજબ તેમને જુનાગઢમાં એક મુસ્લિમ સુફી સંતે સમજાવ્યું હતું !! બોલો ફરી એમ જ કહી શકાય ને કે ’તું રહેતા કહાં કહાં પર હૈ ઔર પતા કહાં કા દેતા હૈ !’)

આ એક કાવ્યને આધારે હજુ પણ ઘણું ઘણું ચિંતન મનમાં ઉદ્‌ભવે છે, બધું જ કંઇ સાચી દીશાનું હશે તેવું નથી માનતો પરંતુ આપણી સંસ્કૃતિમાં અદ્‌ભુત ચિંતન પરંપરા રહેલી છે (અને ઉપરની સુફી સંતની વાત વાંચ્યા પછી આ ’આપણી સંસ્કૃતિ’નો વિશાળ અર્થ પણ ધ્યાને રાખવો !) જેના નિર્વહનનો ગુણ કદાચ આપણને વારસામાં મળે છે, ઊંડા અંધારેથી પણ પરમ ઉજાસ શોધનારા આપણે, પથ્થરમાં પણ પરમેશ્વર શોધનારા આપણે, શબ્દોમાં કશો જ મર્મ ન હોય તેમ તો શી રીતે ધારી લઇએ ? આથી મારી જાતને રોકી નથી શકતો ! (અને એ કારણે આપણે સૌ નિરાંતવા ખાઈ-પી અને નિંદર નથી કરી શકતા !!)  આ રસાસ્વાદના પ્રયત્નને માટે વિવિધ ચિંતન ક્રિયાઓ દ્વારા માર્ગદર્શન કરનારા બધાજ સ્નેહીમિત્રોનો આભાર માનું છું.  નરસિંહની અને આપણા અમુલ્ય વારસા સમાન અન્ય કૃતિઓનો પણ આગળ ઉપર વિવિધ દૃષ્ટિબિંદુએથી રસાસ્વાદ કરવાનો પ્રયત્ન હું તો કરીશ જ, આપ પણ કરશો તો આનંદ થશે. આ પછીના લેખમાં આપણે ’ગીતગોવિંદમ્‌’ને આગળ વધારીશું. આભાર.

* જળકમળ છાંડી જાને.. (વિકિસોર્સ ગુજરાતી પર)

* જળકમળ …સાંભળો  (મીતિક્ષા.કોમ પર)

(આ લેખમાં અને અન્યત્ર પણ જ્યાં જોડણીદોષ ધ્યાને આવે ત્યાં જરૂર ટકોરવો તેવી મૈત્રીભાવે વિનંતી છે.)

48 responses to “ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)

  1. સૌ પ્રથમ તો રસદર્શન કરાવવા બદલ ધન્યવાદ. આપણા બ્લોગજગતમાં રચનાઓના ઢગલા થાય છે પણ એને સમજાવવાના પ્રયત્નો બહુ જૂજ છે. તમે આ કામ કરીને નેટ પર મોટી કામગીરી કરી છે.

    આ બહુ જાણીતા કાવ્યની ભાગ્યે જ જાણીતી ભીતરી વાતની આટલી ગૂઢતા બતાવવા બદલ ધન્યવાદ. કવિનો શબ્દ કોઈ એક અર્થ આપીને બેસી રહે નહીં. કાવ્યની વ્યંજનાશક્તિ કવિની કક્ષા મુજબ હોય છે. કાવ્ય અને કવિ બન્નેનો તમે સરસ પરિચય કરાવ્યો છે. આશા રાખું કે આમ જ આ રસદર્શનનું મહાકાર્ય થતું રહે.

    Like

    • શ્રી જુગલકિશોરભાઇ, આભાર.
      હું તો, આઈન્સ્ટાઈને કહેલું તેમ, વડિલોના, જ્ઞાની પૂર્વજોના, જ્ઞાની મિત્રોના, ખભે બેઠેલો છું તેથી કદ કરતાં થોડો ઊંચો લાગું છું ! ખરૂં કાર્ય તો આપસમ સૌ મિત્રોનું છે. આપનું અનુભવસિદ્ધ જ્ઞાન અમોને આપતા રહેશો. (હમણાં જ મિતાબહેનના પ્રતિભાવના પ્રત્યુત્તરમાં આપને પણ મિત્રદાવે કષ્ટ આપવાની ધૃષ્ટતા કરી ને !) આભાર.

      Like

  2. સરસ રસદર્શન

    Like

  3. અત્યંત સુંદર !!! ખુબજ જાણીતું કાવ્ય પરંતુ આટલી ગૂઢતાથી તો કદી સમજ્યુંજ નહોતું …અને કદાચ આપે જો ના સમજાવ્યું હોત તો ક્યારેય આ વાત ધ્યાન માં આવત પણ નહિ . ખુબજ સરસ સમજૂતીઓ આપો છો અશોકભાઈ, આ સુંદર કાર્ય ચાલુજ રાખશો.

    Like

    • શ્રી પારૂબહેન, આભાર.
      આપને આ કાર્ય ગમ્યું તો અમારો ઉત્સાહ વધ્યો. અહીં કવિઓના પેગડામાં પગ ઘાલવાની અનધિકૃત ચેષ્ટા કરી છે ! કવિના દૃષ્ટિકોણથી કશી ભાવાત્મક ક્ષતિ જણાય તો જરૂર જણાવશોજી. આભાર.

      Like

  4. અશોકભાઇ ખૂબ ખૂબ સરસ કાર્ય. બાળપણમાં એક કાવ્ય-કૃતિ એક ઘટના સમજીને રટ્યા કરતાં. તે રચનાનો આપે એક અલગ દૃષ્ટિકોણથી રસાસ્વાદ કરાવ્યો. તેની ગહનતા વર્ણવી. આપને અને આપના જ્ઞાની મિત્રોને ધન્યવાદ.

    આપની છેલ્લે મૂકેલી નોંધ કે કોઇ જોડણીદોષ વિશે ધ્યાન દોરવા બાબતે એક વાત આપના આ લેખમાં તો નહીં પરંતુ ઘણીવાર આપ એક શબ્દનોપ્રયોગ કરો છો તે વિશે મારી કૂતુહલતા ખાતર પૂછવું છે. કારણ કે આપ જેવા જ્ઞાની કોઇ કારણ વિના( અગાઉ પણ આપે બહેનોની આગળ ‘શ્રી’ ખાસ કારણસર લખવાનો ઉલ્લેખ કરેલ) વારંવાર ભૂલ ના કરે. આપ વાંચક શબ્દ લખો છો તો તેના વિશે સાચી જોડણી વિશે જાણવું હતું. વાચક કે વાંચક?( વાચકો મોટેભાગે વાંચેલું છે અને સાંભળેલું છે) અત્યાર સુધી દરેક વખતે લેખનું હાર્દ આડેપાટે ના ચડી જાય તેથી ઉલ્લેખ નહીં કરેલ.

    Like

    • શ્રી મિતાબહેન, સૌ પ્રથમ તો આ કૃતિ વાંચી અને પ્રોત્સાહન આપવા બદલ ધન્યવાદ.

      સારૂં કર્યું આપે આ જોડણીનો પ્રશ્ન પણ ઉઠાવ્યો, નહીં તો ઘણા ખોટા શબ્દો, આગુ સે ચલી આતીના ધોરણે હું ઠપકાર્યે રાખું છું ! ભ.ગો.મં.ને ફંફોળતા તેમાં “વાંચક” શબ્દ મળતો નથી ! “વાચક” મળે છે. જો કે “વાંચવુ” એ અર્થમાં “વાંચન” શબ્દ મળે છે. તેની થોડી ચોખવટ પણ ત્યાં છે જે અહીં ક્વૉટ કરૂં;
      “વાંચન” = [ સં. વાચન ] = * અભ્યાસ; અધ્યયન; વિદ્યાભ્યાસ; પઠન. * કહેવું તે; ભાખવું તે. * ચિહ્નો અથવા સંજ્ઞાઓ બેસાડી અર્થ સમજવો તે. * જ્ઞાન; માહિતી * વાંચવાની ઢબ; ઉકેલવાની ઢબ. * વાંચવું તે; અક્ષરે લખેલી બાબત મુખથી ઉચ્ચારવી તે; લેખ પ્રમાણે બોલવું તે. (સાથે નીચે પ્રમાણે એક ચોખવટ પણ છે)
      સંસ્કૃત શબ્દ વાચન છે. તેમાં પ્રાકૃતની અસરથી અસલ નહિ તેવું અનુસ્વાર દાખલ થતાં ગુજરાતીમાં વાંચન શબ્દ થયો છે. – ગુ. સા. પરિષદ. (આ અર્થ જાણ્યા પછી જ મેં મારા બ્લોગનું નામ “વાંચનયાત્રા” રાખ્યું છે)

      તેમજ “વાંચનાર” = વાંચન કરનાર. તેવો અર્થ આપેલો છે. હવે જોઇએ “વાચક”

      “વાચક” = [સં. વચ્ ( બોલવું ) + અક ] = * દર્શક; દેખાડનાર; બોધક. * બોલનાર; બોલતું. * વાંચનાર; કહેનાર. * વાચક; વાંચનાર માણસ. વગેરે.

      આમ શબ્દકોષ પ્રમાણે “વાચક” શબ્દ જ ઠીક ગણાય. છતાં મને હજુ ક્યાંક આપણા અહીંના, લેખના, વાંચનારના સંદર્ભે આગળનો “વાંચન” શબ્દ વધુ અર્થપૂર્ણ લાગે છે. અને વાંચન કરનાર તે “વાંચક” એવો, શબ્દકોષ મુજબ તો ખોટો જ, અર્થ મેં ગણ્યો. ખરેખર મારે અહીં “વાચક” શબ્દ જ વાપરવો જોઇએ. (અને હવેથી એ જ વાપરીશ) છતાં મુ.શ્રી જુગલકિશોરભાઇને હું વિનંતી કરીશ કે આ બાબતે જરૂરી માર્ગદર્શન કરે, જેથી હું (અને મારા જેવા ઘણા મિત્રો) “વાચન” અને “વાંચન” વચ્ચે અટવાતો અટકું. આભાર.

      Like

  5. અશોકભાઈ,આ લેખ માટે એક જ શબ્દ વાપરીશ, અને એ અંગ્રેજીમા છે – Great! તદ્દન નવું વાંચવા મળ્યું.
    તમારા લેખને કચ્છના રણના ખારાપાટમાં ન લઈ જવો જોઇએ તે જાણું છું પરંતુ કૃષ્ણ દ્વારા નાગદમનની કથા એક ઐતિહાસિક ઘટના છે. અહીં એની ચર્ચા કરીને તમારા લેખની મઝા નહીં બગાડું. ખરેખર જ શ્રી જુગલભાઈએ દેખાડેલી ખાસિયતોવાળો આ વિશિષ્ટ લેખ છે. આભાર.

    Like

    • શ્રી દીપકભાઇ, આભાર.
      એ ઐતિહાસિક નાગદમનની ઘટનાથી પણ થોડોઘણો જ્ઞાત છું જ. (જો કે આપના જેટલો તો નહીં જ !) માટે જ તો મેં લેખમાં લખ્યું કે ’નરસિંહ કંઇ ઈતિહાસકાર નથી’ ! આમે ઘટેલો ઘટનાક્રમ અને નરસિંહ વચ્ચે હજારો વર્ષનો ગાળો છે તે જોતાં અને નરસિંહ એક ભક્તકવિ છે, સમાજ સુધારક છે, તે ધ્યાને રાખતા આ કાવ્યનો “આ અર્થ” વધુ ઉત્તમ લાગ્યો. છતાં આપને વિનંતી કરીશ કે એ ઐતિહાસિક ઘટનાક્રમની ટુંક વિગત આપ આ સ્થાને પણ આપો તો સૌ વાચકમિત્રોને એ બાબતે પણ જાણકારી મળી રહે. આમે આપણો ઉદ્દેશ ઘટનાને સાંકડા દૃષ્ટિકોણથી જોવાનો નહીં પરંતુ વિશાળ અને વિવિધ દૃષ્ટિકોણથી જોવાનો રહ્યો છે. તો ભલે ઈતિહાસની નજરે પણ આ કાવ્યનો થોડો રસાસ્વાદ થઇ જાય ! અને મજા બગડવાનો તો સવાલ જ નથી ! આપ સમા વિદ્વાન, ઈતિહાસની નજરે પણ થોડું વર્ણન આપશે તો ઊલટું મજા વધી જશે. આટલી વિનંતી સ્વિકારી આભારી કરશોજી.

      Like

  6. ઘણા વખતે કોઈ ભજનનો અર્થ સમજાવવા વાળું મળ્યું. બાપુજી પાસેથી ભજનનો અર્થ સમજતાં – આપને તેમની સુધી પહોંચતા સમય લાગશે પણ દિશા તો આપની તે જ છે.

    આ સ્વામી બદલાવાની વાત પણ ગમી. આમ તો જીવ માત્ર સ્ત્રી (પ્રકૃતિ) છે અને તે પોતાની બુદ્ધિ મીશ્રીત અહંકારરુપી અસ્મિતાને પોતાનો સ્વામી માને છે તેને સ્થાને જ્યારે સ્વામી બદલાઈ જાય અને પરમાત્માને સ્વામી અનુભવે ત્યારે આપોઆપ આ અસ્મિતા કે જે પંચક્લેશમાંની એક છે તેનો સાક્ષાત્કાર થાય છે. તેવે વખતે બુદ્ધિ અને ચૈતન્ય સ્પષ્ટ રીતે જણાય અને ખ્યાલ આવે કે આ બુદ્ધી છે અને આ ચૈતન્ય છે. અને જે ચૈતન્ય છે તે હું છું અને સમષ્ટિ ચૈતન્ય (પરમાત્મા) તે સમગ્ર જીવ અને જગતના સ્વામી છે.

    એટલે તો મીરાબાઈ કહેતાં કે તેવા પતીને વરીને શું કરું કે જે પોતે જ મૃત્યું પામે તેવો હોય – હું તો એવા વરને વરીશ કે જેથી મારી ચૂડી અખંડ રહે. અને આજેય મીરાબાઈની ચૂડી અખંડ છે કારણ કે તે મહાચૈતન્યને વર્યા હતાં કોઈ રાણાને નહિં. સ્થુળ સ્ત્રીઓના સ્વામીઓ તે પણ નથી જાણતાં હોતા કે વાસ્તવમાં તેઓ પણ દાસ જ છે અને સહુનો સ્વામી એક માત્ર પરમાત્મા છે – ભક્તો તેને કૃષ્ણ કહે, શૈવો તેને શિવ કહે, વેદાંતીઓ તેને બ્રહ્મ કહે, ઈસ્લામ ધર્મીઓ અલ્લાહ કહે, ખ્રીસ્ત્રીઓ તેને યહોવાહ કહે અને જેને જે લાગે તે કહે. યોગ માર્ગમાં મનુષ્યનું ધ્યેય આ સ્વામી સુધી પહોંચવાનું છે અને ત્યાર બાદ આ સ્વામી અને પોતે અલગ નથી તે અનુભવવાનું છે.

    સુંદર સમજુતી માટે ધન્યવાદ.અને આભાર.

    Like

    • આભાર, અતુલભાઇ.
      આપના અધ્યાત્મિક જ્ઞાનથી તો કોણ પરિચિત નથી ? સુંદર પૂરકજ્ઞાન રજુ કર્યું. સાચા સંતપુરુષો જેટલો અર્થ તો આપણે ક્યાંથી સમજી શકીએ, આ તો એક નાનકડો પ્રયાસ કર્યો, આપને ગમ્યો અને અમારો ઉત્સાહ વધાર્યો તે બદલ ધન્યવાદ.

      Like

  7. અશોકભાઈ,
    કહેવું પડે.
    તમે પણ જબરી ડૂબકી મારીને આ જ્ઞાનદડો લઇ આવ્યા છો.
    આભાર.

    Like

    • આભાર, યશવંતભાઇ. “જ્ઞાનદડો” !! સ_રસ શબ્દ.
      એ માટે સહસ્ત્રફેણે ફુંફવતા કાળીનાગની સામે બાથ ભીડવા જેટલી મહેનત પડી છે !
      (અમારા આ જેઠાભાઇ અને મુન્શીજી જેવા મિત્રને દશ મીનીટ સહન કરનાર પણ પોતાને ધન્ય સમજે !! હું દરરોજ કલાકો સુધી સહન કરૂં છું 🙂 આ કંઇ જેવીતેવી મહેનત કહેવાય ?!)

      Like

  8. વાંચવું ક્રિયાપદમાં અનુસ્વાર છે. તે પરથી “વાંચનાર”, અને “વાંચન’ બન્ને પર અનુસ્વાર છે પણ “વાચક” પર તો કોઈકાળે અનુસ્વાર ન જ આવે. વાંચનમાં વાંચન અને “વાચન” બન્ને ચાલે છે.

    મજાની વાત શ્રી અંગે છે ! શ્રીના ઘણા અર્થો છે. મોટાભાગના બધા અર્થો નારીજાતીને સૂચવનારા અર્થો છે ને છતાં શ્રીનો ઉપયોગ નર જાતિ માટે જ થાય છે તેનું રહસ્ય જાણવા જેવું છે. શ્રી. એ શ્રીમાનનું ટૂંકું રૂપ છે. અને તેથી જ જોડણીકોશે વ્યક્તિના નામ આગળ લગાડતી વેળા શ્રી. પછી પૂર્ણવિરામ સૂચવ્યું છે. એકલું શ્રી નથી લખાતું !! (છતાં ખુદ જોડણીકોશમાં પણ આ બાબત પળાતી નથી. કોશની છેલ્લી આવૃત્તિમાં જોડણીની પાર વિનાની ભૂલો છે !!)

    સ્ત્રીઓનાં નામ પહેલાં એકલો શ્રી લખવામાં ભૂલ ન ગણવી જોઈએ. સ્ત્રી તો ખુદ શ્રીનું જ રૂપ છે. આવે સમયે શ્રીને પૂર્ણવિરામ ન કરવું.

    Like

    • વાત નીકળી છે તો હું યે થોડું પુછી લઉ :-

      શ્રી. જુગલકિશોરભાઈ,
      લખાય કે
      શ્રી. જુગલકિશોરભાઈ.
      અથવા
      શ્રી. જુગલકીશોરભાઈ,,
      આવું લખી શકાય?
      વળી વિરામ ચિન્હ વગર
      શ્રી. જુગલકિશોરભાઈ
      સંબોધનમાં લખી શકાય?

      જેને જેમ લખવું હોય તેમ જ લખે છે પણ સાચું શું છે?

      નોંધ: આ વાત ગાડી આડે પાટે ચડાવવા બીલકુલ પુછવામાં નથી આવી પણ ઘણાં વખતથી મનમાં પ્રશ્ન છે તેથી પુછ્યો છે. બીજા લોકો તો મહેરબામી કરીને જળગહન સોરી જળજમળ પર જ ચર્ચા કરશો.

      Like

      • ૧) શ્રી કે શ્રી. ગમે તે લખો કોઈ પૂછશે નહીં;
        ૨) વ્યક્તિને સંબોધન કરવા માટે નામ પછી અલ્પવિરામ આવશે; ચાલુ વાક્યમાં નામ આવે તો એની પછી કોઈ ચિહ્ન ન આવે; જો નામની પછી તરત વાક્ય પૂરું થતું હોય તો પૂર્ણવિરામ લાગે;
        ૩) તમે લખો તો જુગલકિશોર લખવાનું પણ હું હ્રસ્વ ઇ વાપરતો નથી તેથી હું કીશોર લખું છું. (એક આડ વાતઃ અન્યનાં નામો કે અવતરણોને મારા બ્લોગ પર હું સાર્થકોશ મુજબ લખું છું ને એ જ રીતે બીજાના બ્લોગ પર ચર્ચા કરતીવેળા મારું પોતાનું આખું લખાણ પણ સાર્થ મુજબ લખું છું, જેથી કોઈને વાંધો ન રહે.)

        Like

        • આભાર સાહેબ, આપે કષ્ટ લઈ સારી સમજણ આપી. જુઓ એકાદ પ્રતિભાવકે તો શ્રી. લખવાનું શરૂ પણ કરી દીધું. હું પણ હવે આપે સમજાવ્યા પ્રમાણે લખવા લાગીશ. ખરી વાત એ છે કે હવે આટલું સૂક્ષ્મતા અને સરળતાપૂર્વક સમજાવે તેવા શિક્ષકો, અને સમજે તેવા વિદ્યાર્થીઓ પણ બહુ રહ્યા નથી. શક્ય તેટલું નિયમાનુસાર લખવા સૌ પ્રયત્ન કરે એ સારું. ફરી ખુબ ખુબ આભાર.

          Like

  9. ભાઈ ઉત્તમ પ્રયાસ છે.પણ યોગ અને ભક્તિ બંને અલગ અલગ વિચારધારાઓ ધરાવતી પદ્ધતિ છે.યોગમાં પોતાને અહમ બ્રહ્માસ્મિ માનવાનું હોયછે.યોગમાં પોતાના સ્વને એટલો બધો ઉંચે લઇ જવાનો હોય છે કે અંતે અહ્મ બ્રહ્માસ્મિ કહી શકે.જયારે ભક્તિમાં સંપૂર્ણ સમર્પણ છે.બધું ‘તુ’ જ છે.’હું’કશું નહિ.ભક્તિ અને યોગ લગભગ સામસામેની ધારાઓ છે.એની ભેળસેળ કદી શક્ય નથી.આપે કુંડલીની યોગ અને ચક્રોનું વર્ણન કર્યું તે બધો યોગ છે.નરસિંહ મહેતા નર્યા ભક્ત હતા.એમણે અખિલ બ્રહ્માંડમાં એક ‘તુ’ શ્રી હરી કહ્યું છે.જ્યારે શંકરાચાર્યએ અહ્મ બ્રહ્માસ્મિ કહ્યું છે.હું બ્રહ્મ છું અને તુ બ્રહ્મ છે એમાં ફેર હોય છે.ટૂંકમાં ભક્ત જરાપણ અહંકારી ના હોય જ્યારે યોગી સર્વોત્તમ અહંકારી હોય.
    આર્યોની નાગ જાતિના લોકો સાથેની સર્વાઈવાલની લડાઈ હતી.કૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવ અને અહોભાવપુર્વક નરસિંહ મહેતા એ આ રચના બનાવી હશે.નરસિંહ મહેતા યોગી નહોતા,મહાન ભક્ત હતા.યોગી અને ભક્ત બંનેની માનસિકતા સાવ અલગ અલગ હોય છે.

    Like

    • આભાર બાપુ, આપે અમારો ઉત્સાહ વધાર્યો. ઈતિહાસના દૃષ્ટિકોણે આપે આપેલ ઉદા. માટે દીપકભાઇને પણ વિનંતી કરેલી જ. સારું થયું આપે પણ તે પક્ષ રાખી આપ્યો, વાચકમિત્રોને એ પક્ષ પણ જાણવા યોગ્ય લાગશે. આપના અન્ય એકાદ બે મુદ્દા પર તો દીપકભાઇએ ચોખવટ કરી જ આપી, એથી વધુ સારી ચોખવટ તો હું પણ ના કરી શકું. મુળ વાત તો એ છે કે સાહિત્યકૃતિને માણવાના એક કરતા વિવિધ રસ્તાઓ સંભવે છે. કોઇ સરળ, સહજ માણસ, સવારના પહોરમાં આ પ્રભાતિયું ગાઈ કે સાંભળી આનંદમગ્ન બની જાય, મારા જેવા વલોપાતીયા વળી એ આનંદ પડતો મુકીને તેનો મર્મ જાણવા ગોથા ખાય તો અન્ય કોઈ તજજ્ઞ વળી તેને પોતાના દૃષ્ટિકોણથી સમજવા પ્રયાસ કરે. આજે ૬૦૦ વર્ષ પછી પણ જેની ચર્ચા કરવી પડે તે કૃતિ દમદાર તો ગણાય જ. આટલું તો આપણે સ્વિકારવું રહ્યું. આભાર.

      Like

  10. ખૂબ ઉંડે ખેંચી ગયા, આભાર નવો નરસૈયો દેખાડવા બદલ…

    Like

  11. આદરણીય શ્રી અશોકભાઈ,
    ભક્ત કવિરાજ નરસિંહ મહેતાના ખુબ જાણીતા ભજનને દરેક
    પંક્તિના ગુઢ રહસ્યનો ભાવાસ્વાદ કરવી આપે આધુનિક નરસિંહનું
    રૂપ ધર્યું છે. ભાઈ જુનાગઢ છે અને તળેટીમાં વસો છો એટલે થોડા
    ભાવ ભક્તિના ગુણ આવે જ. ધન્યવાદ….અભિનંદન.

    “રસાસ્વાદ કરવ્યો અશોકજી મહારાજે
    રસપાન થકી તૃપ્ત થયાં બ્લોગી જન
    ભાવ થકી વાંચન કરે વાંચનયાત્રા કેરું
    ગુઢ રહસ્યને પામી વધે એનું જ જ્ઞાન.”

    Like

    • શ્રી.ગોવિંદભાઇ, ખુબખુબ આભાર. અને વધુ તો શું કહું ? આ શ્રેણીના પ્રથમ લેખમાં આપે જ યાદ કરાવેલી શ્રી.મનોજભાઇની રચના ફરી યાદ કરું !
      ’તળેટી જતાં એવું લાગ્યા કરે છે
      હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’
      જુનાગઢના હવા-પાણી જ એવા છે, એ ગરવા ગીરનારની અઢારભાર વનસ્પતિઓમાંથી ગળાઇને આવતું પાણી અહીંના પથ્થરોને પણ રણકતા કરી મુકે છે !!! (આવું લોકસાહિત્યમાં વર્ણન કરાય છે !) જો કે ખરે જ રણકતા પથ્થરો પણ અહીં છે ! (જે લાવાના પથ્થરોમાં સામાન્યપણે જોવા મળી જ જાય) આભાર.

      Like

  12. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ કહે છેઃ “આર્યોની નાગ જાતિના લોકો સાથેની સર્વાઈવાલની લડાઈ હતી.કૃષ્ણ પ્રત્યેના ભક્તિભાવ અને અહોભાવપુર્વક નરસિંહ મહેતા એ આ રચના બનાવી હશે.”

    મેં પણ એ જ કહેવા ધાર્યું હતું! પરંતુ તમારા અર્થઘટનમાં કાવ્યત્વ અને નવો અર્થ છે એટલે મેં આ કહેવાનું ટાળ્યું હતું પણ ભૂપેન્દ્રસિંહભાઈએ વિષય છેડી જ દીધો એટલે ન કહેવાનો અર્થ નથી.

    યમુના કાંઠે ખાંડવવનમાં નાગ પ્રજાની વસ્તી હતી અને જ્યારે ઇન્દ્રપ્રસ્થ બનાવવાનું હતું ત્યારે કૃષ્ણ અને અર્જુને ખાંડવવન બાળ્યું હતું અને એક પણ પ્ર્રાણી, માણસને બહાર નીકળવા દીધાં નહોતાં. આ કથા પોતે પણ નાગ અને આર્ય પ્રજા વચ્ચેના વૈમનસ્યનું પ્રતીક છે. આ દૃષ્ટિએ જોશો તો આ કાવ્ય માત્ર વરવા ઇતિહાસને સજાવીને રાખવા જેવું જણાશે. પરંતુ નરસિંહ મહેતાએ પોતે એમાં કોઈ ચાલાકી કરી છે એમ હું નથી કહેતો, એમને પણ એક પરંપરા રૂપે જ આ કથા મળી હશે.

    વળી નરસિંહના મનમાં યોગ વિશે પ્રતીકાત્મક કાવ્ય રજૂ કરવાનો વિચાર હશે કે કેમ એ કોઈ જાણતું નથી. એટલે આ અર્થઘટન કરનારા વિદ્વાનો પ્રત્યે પૂરો આદર હોવા છતાં મારૂં વલણ એ જ રહે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી શબ્દનો પહેલો અર્થ લેવો.આમ છતાં આવું અર્થઘટન તાર્કિક રીતે થઈ શકે છે એવું નવું જાણવા મળ્યું એટલે જ મેં Great શબ્દ વાપર્યો. વળી બીજા વાચકો/ભાવકોની રસક્ષતિ પણ ન થવી જોઈએ એ પણ ખ્યાલમાં રહ્યું.

    બીજી બાજુ, “ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોયે” દ્વારા માયાનો અર્થ સમજાવનાર નર્યો ભક્ત હોય એમ નથી લાગતું. ‘અનુસૂચિત જાતિ’ (આજનો શબ્દ!)ના વાડામાં જઈને ભજન કરવા જનારો, પાછો આવીને નાગરી નાતની પરવા ન કરે એ નર્યો ભક્ત ન હોઈ શકે.

    ભૂપેન્દ્રસિંહભાઈએ ભક્ત અને યોગી વચ્ચે તફાવત સ્પષ્ટ કર્યો છે પણ યોગી, કર્મી અને ભક્ત વચ્ચે ગીતા પ્રમાણે ખાસ કશું અંતર નથી. ગીતામાં બે અલગ શ્લોકાર્ધ અહીં રજૂ કરૂં છું તેથી આ વાત સ્પષ્ટ થશેઃ એક જગ્યાએ કહ્યું છે કે तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवाऽर्जुन ( હે અર્જુન, આખો વખત યોગયુક્ત બની રહે). બીજી જગ્યાએ तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युद्ध्य च (એટલે આખો વખત મારું અનુસ્મરણ કર અને લડાઈ પણ કર). આનો અર્થ એ થાય છે કે આખો વખત, સદા સર્વદા યોગયુક્ત (યોગી) રહેવું એટલે ‘મારૂં’ સ્મરણ કરવું (ભક્ત) અને કર્મ કરતા રહેવું (કર્મી). આમ યોગી, ભક્ત અને કર્મરત ત્રણેય એક થયા! ગીતાએ યોગનો અર્થ જ એકનિષ્ઠ કર્મ કર્યો છે.

    વળી ગીતા એ પણ કહે છે કે आत्मवत् सर्वभूतेषु, सर्वभूतानिचाऽत्मनि (પોતાના જેવાં સઘળાં પ્રાણીને જૂઓ અને સઘળાં પ્રાણીમાં પોતાને જૂઓ). વળી ગીતામાં ભક્તને ઈશ્વરનું સામીપ્ય મળે છે, સાયુજ્ય (જોડાઈ જવું) કે સારૂપ્ય (ઈશ્વરના રૂપમાં વિલિન થઈ જવું) નથી મળતું. નરસિંહ મહેતા આ પરંપરામાં છે એટલે એમની નજરે યોગી અને ભક્ત વચ્ચે કઈં ફેર ન હોઈ શકે. અહીં ગીતાનું મૂલ્યાંકન નથી કરતો, એને રેફરન્સ પૉઇંટ માનીને ચર્ચા કરી છે.

    Like

    • આભાર દીપકભાઇ.
      જો કે મારા વતી આપે અમુક મુદ્દાઓ સમજાવી આપ્યા એ બદલ પણ મારે આપના આભારી થવું જોઇએ. સાહિત્ય અને સાહિત્યકારને સૌ પોતાના દૃષ્ટિકોણથી સમજે સમજાવે તે ઘણી ઉત્તમ વાત છે. ક્યાંક એકબીજાથી વૈચારીક ભિન્નત્તા દેખાય પણ તેનીએ આદરસહઃ ચર્ચા તો કરવી જ જોઇએ. આ વાતે મને લાગે છે સૌ મિત્રો સહમત થશે. આપે ઉલ્લેખેલ નાગપ્રજા અને ખાંડવવનની કથાએ ઈતિહાસપ્રસિદ્ધ છે પણ કદાચ ઓછા લોકો વિસ્તારપૂર્વક જાણતા હશે. ક્યારેક સવિસ્તાર આ કથા પણ સમજાવશો તેવી વિનંતી છે. આપનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અભ્યર્થનાસહઃ આભાર.

      Like

      • અશોકભાઈ,
        ધૃતરાષ્ટ્રના આગ્રહથી કૌરવો અને પાંડાવો વચ્ચે સમાધાન થયું ત્યારે કૌરવો પાસે હસ્તિનાપુર રહે અને પાંડવો નવી રાજધાની ઇન્દ્રપ્રસ્થ બનાવે એવું નક્કી થયું. આ નગરી મૂળ નાના ગામ ખાંડવપ્રસ્થની જગ્યાએ બનાવવાની હતી. જગ્યા પન વધારે જોઈતી હતી, એતએલ ખાંડવવન બાળીને જમીન ખાલી કરાવી.
        આર્યો અહીં આવ્યા ત્યારથી ક્યાંક એમણે મૂળ પ્રજાનાં તત્વો સ્વીકાર્યાં, ક્યાંક સંઘર્ષ થયા. માત્ર સમાધાન કે સ્વીકાર, અથવા માત્ર સમ્ઘર્ષ જેવું કઈં નહોતું. નવા પ્રદેશ પર કબજો કરવા માતે સંઘર્ષ તો થાય પણ નવા પ્રદેશની આખી ભૂગોળ સમજવામાતે એ જ મૂળ નિવાસીઓની જરુર પડે. વળી ગોપાલક આર્યભાષીઓ વેપારવણજનો સામાન પણ લાવતા કે લઈ જતા એટલે નર્યા સંઘર્ષની કલ્પના સાચી નથી. પરંતુ, આર્યો અને દાસો વચ્ચે, આર્યો અને દાસોના સંયુક્ત મોરચા અને સામે પક્ષે બીજા એવા જ સંયુક્ત મોરચા વચ્ચે, આર્યો અને આર્યો વચ્ચે યુદ્ધો થયાં છે. આપને ત્યાં ઇતિહાસ લખવાની પરંપરા ન રહી, પરંતુ કથાઓમાંથી ઇતિહાસ તારવવો પડે છે. આમાં ઋગ્વેદ, પુરાણો વગેરે કામ આવે છે.
        ખાંડવવન્નું દહન આવા જ જાતિગત સંઘર્ષની કથા છે. “જળકમળ છાંડી જા ને…”માં પણ કૃષ્ણ અને નાગની જ વાત છે અને અંતે કૃષ્ણ વિજયી થાય છે. આ કાવ્ય યૌગિક ક્રિયાકલાપોનું પ્રતીક છે તે તમે દર્શાવ્યું, એ ઇતિહાસની ઘટનાનું તો પ્રતિક છે જ.

        Like

    • આપે કહ્યું તેમ નરસિંહ મહેતા એવા યોગની પરંપરામાં જરૂર હશે.યોગના અનેક અર્થ થતા હશે,પણ અશોકભાઈએ જે યોગ સમજાવ્યો તે અલગ છે.કુંડલીની યોગ,હઠયોગ રાજયોગ આ બધામાં મેલ બ્રેઈન કામ કરતુ હોય છે,ભક્તિયોગમાં ફીમેલ બ્રેઈન વધુ કામ કરતુ હોય છે.એના માટે થઈને મેં એક લેખમાં અદ્વૈતવાદી તોતાપુરીસ્વામી અને રામકૃષ્ણ પરમહંસની વાત લખેલી છે.અશોકભાઈએ તો ધ્યાનથી વાંચી હશે.રાજયોગ અને ભક્તિયોગ બંને સામસામેની વિચારધારાઓ છે.રાજ્યોગીઓને કોઈ કાલ્પનિક દર્શન કરવાની મનાઈ છે.રામકૃષ્ણ મહાકાળી સાથે વાતો કરતા,બધું કાલ્પનિક જગત હતું.એમાંથી બહાર આવવું જરૂરી છે.તોતાપુરીએ બધું બંધ કરાવેલું.નરસિંહ મહેતાને પણ ૫૦૦૦ વર્ષ પહેલા કોઈ રાસલીલા રમાઈ હશે કે કેમ છતાં દેખાતી હતી.નરસિંહ મહેતા ભક્તિયોગમાં મહાન પણ કુંડલીની યોગમાં આવું ના હોય.
      યોગ એટલે જોડાવું એ અર્થમાં તો બધા યોગીઓ જ કહેવાય.

      Like

      • તમારી વાત સાચી છે. સમસ્યા એ છે કે આપને ત્યાં દરેક બાબતની વ્યાખ્યા અલગ અલગ થઈ છે. સ્ટેન્ડર્ડ તરીકે તો ભક્ત અને યોગી એક ન જ હોય. પરંતુ, ગીતાએ એક કરી દીધા!. અવું ઘણું છે. નિર્ગુણના ઉપાસકો કોઈ ભગવાનના રૂપની કલ્પના ન કરી શકે, પણ સગુણવાળા આવા કોઈ ઈશ્વરની કલ્પના ન કરે તો ન ચાલે!
        આપણે ત્યાં ‘આ જ સાચું’ અને ‘આ ખોટું’ની પરંપરા નબળી રહી. પરિણામે વખત જતાં આપણે બધી પરસ્પર વિરોધી વાતોને એક બાસ્કેટમાં મૂકતા થઈ ગયા.આને સમન્વય નામ આપીએ છીએ! એમાં અંતર્વિરોધ આવી જાય છે. પહેલાં મેં ગીતામાંથી એ દેખાડ્યું કે કર્મી,ભક્ત અને યોગી એક જ છે. પરંતુ, ગીતામાં એ પણ કહ્યું છે કે યોગી તો જ્ઞાની, કર્મી કે તપસ્વી કરતાં પણ ‘અધિક’ છે. બીજી બાજુ કહ્યું છે કે “યોગઃ કર્મસુ કૌશલમ્” યોગ એટલે બીજું કઈં નહીં, કર્મમાં કુશળતા. તો ત્રીજી વાત એ પણ છે કે ” મારામાં મનવાળો બન, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર કર!”
        આપણે આ બધાને કારણે એમ જ માનવું રહ્યું કે ગીતા પ્રમાણે ત્રણેયમાં ફેર નથી.
        નરસિંહ મહેતા ભક્ત હતા, યોગી નહીં. મેં પહેલાં જ લખ્યું છે કે ” નરસિંહના મનમાં યોગ વિશે પ્રતીકાત્મક કાવ્ય રજૂ કરવાનો વિચાર હશે કે કેમ એ કોઈ જાણતું નથી. એટલે આ અર્થઘટન કરનારા વિદ્વાનો પ્રત્યે પૂરો આદર હોવા છતાં મારૂં વલણ એ જ રહે છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી શબ્દનો પહેલો અર્થ લેવો.”

        Like

        • “યોગઃ કર્મસુ કૌશલમ્” યોગ એટલે બીજું કઈં નહીં, કર્મમાં કુશળતા.

          સંસ્કૃતમાં ક્રમનો નીયમ નથી. અહિં મોટા ભાગે વાચકો “યોગ – કર્મસુ કૌશલમ” એટલે કે કર્મમાં કુશળતા એટલે યોગ કહે છે પણ તે અર્થ બરાબર નથી. કોઈ ચોર ચોરી કરવામાં કુશળ હોય તો તે યોગ કરે છે તેમ ન ગણાય. પરંતુ અહીં “યોગ કર્મસુ – કૌશલમ” એટલે કે કર્મમાં યોગ તે કુશળતા છે તેવો અર્થ લેવો જોઈએ.

          પ્રત્યેક કર્મમાં જે પરમાત્માં સાથે જોડાઈને રહે છે તે કુશળ છે.

          કર્મને કુશળતાથી કરવા તે યોગ છે તેમ અર્થઘટન બરાબર નથી.

          ફરી સ્પષ્ટતા – ગાડી આડે પાટે ચડાવવાનો કોઈ ઈરાદો નથી. અન્ય પ્રતિભાવકોને તો મુળ પદ પર જ ચર્ચા કરવા વિનંતી.

          Like

          • અતુલભાઇ,
            “બાત નિકલી હૈ તો દુર તલક જાએગી…!” એટલે ગાડી આડે પાટે તો ચડવાનો ભય હંમેશાં રહે જ છે!

            યોગઃ કર્મસુ કૌશલમ્ ગીતાના બીજા અધ્યાયના ૫૦મા શ્લોકમાં છે. ‘યોગઃ’ પહેલી વિભક્તિમાં ‘કર્મસુ’ સાતમીમાં અને ‘કૌશલમ્’ બીજી વિભક્તિમાં છે એટલે તમે દેખાડો છો એમ ” યોગઃકર્મસુ – કૌશલમ્” ભાગ ન પડી શકે. અહીં એક જ અર્થ છે કે “યોગઃ – કર્મસુ કૌશલમ્”
            સચ્ચિદાનંદજી એનો અર્થ કરે છેઃ “યોગ એટલે કર્મમાં પરિપૂર્ણતા”. (www.yogaclimbing.com/expectations.htm – Cached).
            ડૉ. રાધાકૃષ્ણન કહે છેઃ yoga is skill in action. (Bhagavadgita, page 121, published by Blackie and Son, 6th Indian reprint, January, 1977).
            આપણી ઘણી ચિંતનશાખાઓમાં ‘ઈશ્વર’નો પ્રવેશ મોડેથી થયો છે. ભૂપેન્દ્રસિંહભાઈએ અહં બ્રહ્માસ્મિ ક્વૉટ કર્યું છે તેના તરફ ધ્યાન દોરૂં છું યોગીઓ ઈશ્વરને નહીં, પોતાને જ બ્રહ્મરૂપ માને છે. પોતે જ બ્રહ્મરૂપ હોઇએ તો અલગ ઈશ્વર કેમ હોય? આમ અહીં પરમાત્મામાં યોગ કરવાથી કામમાં કુશળતા વધે છે એવો અર્થ નથી થતો. ગીતાએ યોગનો અર્થ જ કર્મના સંદર્ભમાં બદલી નાખ્યો છે. ‘સમત્વં યોગઃ ઉચ્યતે (૨/૪૮) અહીં પરિણામ પ્રત્યેની સમતાને યોગ કહે છે.

            Like

            • કર્મમાં કુશળતાને યોગનું પગથીયું ગણવું હોય તો ગણી શકાય.

              યુજ ધાતુ પરથી બનેલો શબ્દ યોગ – કશુંક જોડાવાનો નીર્દેશ કરે છે. અને ભગવદગીતામાં આ જોડાણ આત્મા અને પરમાત્માનું છે. જે સમયે સમાધિ દશાનો અનુભવ થાય ત્યારે ત્યાં કશો વિચાર કે ક્રીયા કે કર્મ રહેતું નથી તેથી જ્યાં કર્મ જ ન હોય તેવે વખતે કુશળતા નો તો પ્રશ્ન જ ક્યાં રહે છે?

              તેમ છતાં આપ કહો છો તેવો અર્થ લેવો હોય તો કુશળતા પૂર્વક કર્મ કરીને ચિત્ત માટે એક વાતાવરણ યોગનું ઉભું કરવું તેવા પગથીયાં તરીકે કર્મમાં કુશળતાને યોગ કહેવો હોય તો કહી શકાય. આમેય કર્મયોગ અંત:કરણના ૩ દોષોમાંથી મળદોષની નિવૃત્તિ માટે ઉપયોગી છે.

              સામાન્ય પદાર્થોના જોડાણ દરમ્યાન ક્રીયા હોય છે – તે રીતે વ્યક્તિઓ એકબીજાને મળે તે દરમ્યાન વાતચીત, હાથ મીલાવવા વગેરે ક્રીયાઓ રહે છે પણ જ્યારે આત્મા અને પરમાત્માના જોડાણની વાત હોય તો ત્યાં કશી ક્રીયા રહેતી નથી.

              Like

              • અતુલભાઈ,
                અહીં કર્મમાં જોડાવાની વાત છે. કર્મમાં મન ન પરોવો તો કુશળતા ન આવે. એટલે જ કર્મમાં કુશળતાને ગીતા ‘યોગ’ કહે છે.
                તમે કહો છોઃ”કર્મમાં કુશળતાને યોગનું પગથીયું ગણવું હોય તો ગણી શકાય”. ગીતા એને યોગનું પગથિયું નહીં એને જ યોગ કહે છે. મેં ઉપર બે સંદર્ભો આપ્યા છે તે પણ જોઇ લેશો.
                કર્મના મહ્ત્વ પર ભાર ન મૂક્યો હોત તો ગીતાનું વિશેષ મહત્વ પણ ન રહેત.
                વાત પાટે ચડાવવા માટે કહું કે નરસિંહ મહેતા સ્ટૅન્ડર્ડ અર્થમાં યોગી નહોતા કે રોજ સમાધિ લગાવીને બેસતા હોય.

                Like

                • શ્રી દિપકભાઈ,
                  નરસિંહ મહેતાના જીવનમાં જોઈએ તો તે ભક્ત નાનપણથી હતાં. ભાભીએ મહેંણું માર્યું એટલે રીસાઈને ચાલ્યાં ગયાં. ગોપનાથના દરિયાકીનારે તેમણે શિવજીની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યા – શિવજીએ વરદાન માંગવાનું કહ્યું તો તેમણે કહ્યું કે તમને જે પ્રિય હોય તે મને આપો. શિવજીએ કહ્યું કે મને કૃષ્ણભક્તિ પ્રિય છે અને તેથી તે તમને આપુ છું. ત્યાર બાદ રાસલીલા દર્શન વગેરે વર્ણનો છે. ભક્તિભાવમાં રચેલાં તેમના ઘણાં પદો છે. શ્રીમદ ભગવદ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં વર્ણન કરેલ છે તેવા યોગી તે કદી હોય તેમ જાણવા નથી મળ્યું – પરીણામે તેઓ યોગની સિદ્ધીઓથી વંચિત રહ્યાં અને તેથી તેમના કામ તે બાબાજી, લાહિરી મહાશય વગેરે યોગીઓની જેમ જાતે નહોતા કરી શકતાં પણ ભગવાને તેમને મદદ કર્યાં કરવી પડતી હતી. મહારાષ્ટ્રના કોઈ સંતના મેળાપથી તેમનામાં જ્ઞાનના બીજ વવાયા હોય તેવું ઐતહાસિક કથની પરથી લાગે છે. છેવટે ભક્તિની સાથે સાથે તેઓ જ્ઞાનમાં પણ એટલાં દૃઢ થયાં.

                  જ્યાં લગી આતમ તત્વ ચિન્યો નહિં ત્યાં લગી સાધના સર્વે જુઠી
                  માવઠાની જેમ જુઠી વૃષ્ટિ

                  આ પદ તેમની જ્ઞાન નિષ્ઠા સુચવે છે.

                  જ્ઞાન થાય કે સમાધિ થાય – અનુભુતિ તો સરખી જ થાય.

                  જે અનુભૂતી નિદિધ્યાસનના પરિપાક રુપે મળે તે જ અનુભૂતી સમાધિમાં યે થાય.

                  ભક્તિ માર્ગમાં ભક્ત અને ભગવાન વચ્ચે દ્વૈત રહે. તો યોગમાર્ગમાં પણ સમાધિ દશામાંથી જ્યારે વ્યુત્થાન દશા થાય એટલે કે સમાધિ છુટે ત્યારે ફરી પાછા આત્મા – આત્મા વચ્ચે ભેદ જણાય. વળી યોગમાર્ગે અનેક સિદ્ધિઓ મળે જે સાધકને અંતિમ ધ્યેયથી આસાનીથી ચલાયમાન કરી દે.

                  નરસિંહ ભક્ત હતા તેથી અહંકાર શૂન્ય થઈ શક્યાં અને પરીણામે તેમને જ્ઞાન સહજતાથી લાદ્યું. કોઈ સીધાં જ્ઞાની થવાની કોશીષ કરે તો જ્ઞાન તો ન થાય પણ અહંકાર વધી જાય.

                  અંત:કરણના ૩ દોષો છે: મળ, વિક્ષેપ અને આવરણ.
                  મળ દોષ – ભૈતિક જગતની વસ્તુ અને વ્યક્તિઓ પ્રત્યેનો મોહ – નિષ્કામ કર્મથી દૂર થાય.

                  વિક્ષેપ દોષ – ચિત્તની ચંચળતા – અભ્યાસ અને વૈરાગ્યથી દૂર થાય – તે બાબતે કાં તો યોગ અથવા તો શરણાગતી કે ભક્તિ કામ લાગે.

                  આવરણ દોષ – પંચ ક્લેશ માની અવિદ્યા – કારણ શરીર – જેમાં અજ્ઞાનને કારણે પોતાને બુદ્ધિ અને ચૈતન્યનું મીશ્રણ માની લઈને હું હું કરે છે – ગુરુના ઉપદેશ “તત્વમસિ” – તત ત્વમ અસિ –
                  તત પદ વાચ્યાર્થ – ઈશ્વર – તત પદ લક્ષ્યાર્થ – બ્રહ્મ
                  ત્વમ પદ વાચ્યાર્થ – જીવ – ત્વમ પદ લક્ષ્યાર્થ – કૂટસ્થ

                  એટલે કે કૂટસ્થમાં જે ચૈતન્ય છે તે બ્રહ્મ જ છે તેમ ઉપદેશ થતાં આ આવરણ દોષ દૂર થાય છે (પણ જો પૂર્વે મળ અને વિક્ષેપ દૂર કર્યા હોય તો જ).

                  અને તેથી સાધકમાંથી સિદ્ધ થવા માટે
                  કર્મયોગ
                  ભક્તિયોગ / રાજયોગ / હઠયોગ
                  જ્ઞાનયોગ

                  એમ ત્રણ પગથીયાં છે
                  બીજા પગથીયે વિકલ્પ મળે છે – પ્રથમ અને તૃતિયમાં કોઈ વિકલ્પ નથી.

                  Like

  13. શ્રી.અશોક”જી”, થોડી પૂરકપોળી [પુરણપોળી] , લેખમાં
    ” મનની વિવિધ વૃત્તિઓ, જેવી કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય વગેરે. ” આ વાક્ય પહેલા જે અષ્ટ સિદ્ધિ નો ઉલ્લેખ છે તે અર્થ સાથે ભગવદ્‌ગોમંડલમાં આ પ્રમાણે ગણાવાય છે.
    * તપ, મંત્ર વગેરેથી પ્રાપ્ત થતી ધારણાપૂર્વક અલૌકિક શક્તિ; યોગથી મળતી
    આઠ માંહેની દરેક શક્તિ.
    (૧) અણિમા: પરમાણુના રૂપપર્યંત નાના થઈ જવાની શક્તિ.
    (૨) મહિમા: આકાશ જેવા વિભૂ થઈ જવાની શક્તિ.
    (૩) લઘિમા: રૂના જેવા હલકા થઈ જવું તે.
    (૪) ગરિમા: અત્યંત ભારે થઈ જવું તે.
    (૫) પ્રાપ્તિ: અત્યંત દૂર પદાર્થ ને સ્પર્શ કરવાની શક્તિ.
    (૬) પ્રાકામ્ય: ઇચ્છા થાય તે સિદ્ધ કરવાની શક્તિ.
    (૭) ઈશિત્વ: શરીર ને અંત:કરણ ઉપરનું પૂર્ણ પ્રભુત્વ અને
    (૮) વશિત્વ: સર્વત્ર વશ વર્તાવનાર સામર્થ્ય. એ આઠ શક્તિઓ ગણાય છે.
    બૌદ્ધ મત પ્રમાણે ખડ્ગ, અંજન, પાદલેપ, અંતર્ધાન, રસરસાયણ, ખેચર, ભૂચર,
    પાતાલ એમ આઠ પ્રકારની સિદ્ધિ ગણાય છે.

    Like

  14. અને હા મને લાગે છે કે એક ૯ મી (૯) સિદ્ધિ પણ છે જે ફક્ત તારી કને છે “મને કલાકો સુધી સહન કરવાની “શક્તિ” ,{ટોકટાઈમ મારો બગડે છે હો “ashok marwadi} હા…હા..હા..

    Like

  15. Jalakamal of Narsinh Mehta is better understood by this Post.
    Abhinandan !
    Nice Comments too !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Inviting ALL to my Blog !

    Like

  16. wonderful afticle.

    Thanks for all your effort to write this article. Thanks for sharing it here.

    Like

  17. માન. દીપકભાઇ, અતુલભાઇ તથા સર્વે મિત્રો.
    આપે ખરે જ જ્ઞાનવર્ધક ચર્ચા કરેલી છે. વાત આડે પાટે ચઢવાની તો કોઇ વાત જ નથી, અને વિષયને અનુસંધાને થોડું આસપાસનું ખેડાણ પણ કરવું પડતું હોય તે કશી સંકોચની વાત નથી. માટે સૌને વિનંતી કે કશો સંકોચ ન કરવો. સૌ મિત્રોને આપની ચર્ચાથી સારૂં જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ માટે ખાસ આભાર.

    Like

  18. સર_સ વાંચવા જાણવા મળે છે, , જ્ઞાનવર્ધક ચર્ચા થવીજ જોઈએ સહમત, “વાંચનયાત્રા” આભાર

    Like

  19. aa aakho article kharekhar rusprad samajva jevo lagyo,ghanu janva malyu. Narasinh Mehtajine lakh lakh vandan. Prachin kavima emne shreshdth kavi gani shakaay. Padmaben K. Shah.

    Like

  20. આ દ્રષ્ટિ એ પહેલી વાર વાંચવા મળ્યું.ખૂબ ખૂબ આભાર.

    Like

  21. ગુજરાતી ભાષા — સૂરીલો સાદ !
    “તારો તો ‘સાદ’ સૂણીને, સૌ ડોલે”, રે, બોલતો જાને રે!”

    Like

Leave a reply to Piyuni no pamrat( પિયુનીનો પમરાટ ) જવાબ રદ કરો