હાસ્યલેખ!! અંધશ્રદ્ધા


મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે !  મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે !  (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??

આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)
હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

 

અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે !  અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !!  🙂

અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.

આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)

મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !!  હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો,  જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.

આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !! 

તો અંતે મુમુક્ષુઓના લાભાર્થે વર્તમાનપત્રનાં સમજદાર વ્યવસ્થાપકશ્રી દ્વારા મુકાયેલી ચેતવણી પણ જુઓ. બધા પોતપોતાનો ધર્મ તો બજાવે જ છે, છતાં કોઇ ધરાર ફસાઇ તો તેને શું કહેશું ?? આપ સૌને વિનંતી કે આસપાસ કોઇ આમ ધરાર ફસાતું હોય તો, સંબંધ બગડવાનું જોખમ લઇને પણ, તેને ફસાતા રોકવાનું પુણ્યકાર્ય જરૂર કરશો. આભાર.

22 responses to “હાસ્યલેખ!! અંધશ્રદ્ધા

  1. અશોક મુનિ આપની ક્લગી મા એક ઓર છોગુ

    Like

    • બારડ સાહેબ, ટુંકમાં ઘણું કહી દીધું ! અંધશ્રદ્ધા ક્યારેક સમગ્ર જીવનને જ ખોટો વળાંક આપી દે છે. અમારા જેવાઓને તો આવા ઉદાહરણો રોજ મળતા રહે છે. કંઇકને આ બધા ધુતારાવેડામાં બરબાદ (આર્થિક, સામાજીક અને માનસીક રીતે પણ) થતા જોઉં છું, અમુક વાર્યા વળે છે અમુક હાર્યા પણ વળે અને અમુકને તો વળવાનું જ ભુલી ગયા છે.

      Like

  2. હાસ્યશ્રદ્ધાનો જય હો!!!!
    મજા પડી.

    Like

  3. શ્રી અશોકભાઈ,
    આ લોકો જાતે જ લોટરી ના સટ્ટા ના કે વરલી ના નંબર રમી રૂપિયા વાળા કેમ નહિ થઈ જતા હોય?લોકો એટલું સામાન્ય પણ વિચારતા નથી ને દોડી જતા હોય છે.લાપસી હોય કે ભૈડ્કું ગોળ,ઘી ને ઘઉં ભેગા થાય એટલે ભયો ભયો!!!

    Like

    • બાપુ, જેને એકના બમણા કરતા આવડતા હોય તે તો ફક્ત એક રુપિયો લઇને બેસી જાય તો થોડા જ દીવસોમાં બિલ ગેટ્સ કરતા પણ વધુ સમૃધ્ધ બની જાય. (આ જાણીતો હીસાબ છે !!) તો પછી તેઓને આપણા જેવા સામાન્ય લોકોની દાઢીમાં હાથ શા માટે નાખવો પડતો હશે ભલા ?? આપે સાવ સાચું અવલોકન કર્યું. આભાર.

      Like

  4. ૧૦૦ ટકા (૧૦૦૧ ટકા) સાચી વાત.
    ‘ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.’

    ખૂબ જ સરસ હાસ્ય લેખ. લાપસીને બદલે ઝટપટ ગળે ઉતરે તેવો જ્ઞાનનો શીરો

    Like

    • મીતા બહેન આપ અહીં પધાર્યા એ બદલ આપનો ૧૦૦૧ % આભાર ! ભુવા-ભરાડા અને ઠગભગતોની ઝપટે મહિલાઓ વધુ સહેલાયથી ચઢી જાય છે. કદાચ તેમનામાં વિશ્વાસ નામનો ગુણ વધુ હોય છે. અને પુરૂષોને લાલચ નામનો ગુણ !! પરંતુ જાતમહેનત અને આત્મશ્રદ્ધા નામના ગુણ આ બધાથી જરૂર બચાવી શકે. આભાર.

      Like

  5. અંધશ્રધ્ધા એટલી પ્રબળ હોય છે કે તે કોઈનું કંઈ સાંભળવા તૈયાર નથી. આ કહેવાતા જ્યોતિષિઓ ચાલાક અને મનોવૈજ્ઞાનિક પણ હોવા જોઈએ કારણ તે મુમુક્ષુને ભય અને લાલચ બંનેથી ઘેરી તેના અત્મવિશ્વાસનું સીફતથી હનન કરી બાદમાં જ બકરો વધેરે છે અને પેલો બકરો ખુશી ખુશી વધેરાઇ જવા તૈયાર જ હોય છે. આપ કહો છો તેમ તેને રોકવાથી સંબંધ ઉપર છીણી મુકાય જતી હોવા છતાં તે અટકતો નથી. સંબંધની કુરબાની તેને મંજુર હોય છે !

    Like

    • શ્રી અરવિંદભાઇ, સાવ સાચું, મારે એક વખત એવું પણ બનેલું કે આવી રીતે એક સંબંધીની ભલાઇ કરવા જતાં ભુવાએ ઉલ્ટું પઢાવી દીધું કે આજ તમને નડે છે !!! જો કે પછી રાતી આંખ અને એક આડા હાથની ભેળું બધું કામ સીધું થઇ ગયું અને ભુવા ભેગી નડતરો પણ બધી ભાગી ગઇ :-), જો કે આવું તો સાવ માથે પડેલું હોય તો કરાય બાકી તો આપણે આવી સમજણો આપી શકીએ ! વધુમાં તો દરેકે મારા, આપના કે અન્ય કોઇના પણ, કહેવા પર આંધળુકિયા કરવા કરતા, સૌને સમજી તેમાંથી પોતપોતાની સમજણ કેળવી અને એ પ્રમાણે ચાલવું જોઇએ. બરાબર ને ? આભાર.

      Like

  6. જીતેન્દ્રસિંહ ચૌહાણ

    અશોકભાઈ, જય માતાજી, હાલનાં સમયમાં તમારી વાત ૧૦૦%, ૧૦૧%, ૧૫૧% 🙂 ૧૦૦૧% સાચી હોય તેવુ લાગે છે. અત્યારે માણસને સસ્તુ જોયે છે. જો કોઈ વગર મહેનતે કાંઈક આપી દે તો કોઈએ મહેનત કરવી જ નથી. અંધશ્રધ્ધાનો વ્યાપ એટલો બધો છે કે, આપણી સરકાર તેને અટકાવવા કોઈ કાયદો ઘડે તો પણ કદાચ! તેમાં સહી કરનાર જ ફસાય તો ના નહી!. માનો કે કોઈ અપરણીત યુવાન કે યુવતી પ્રધાન બને અને તે જ નિ:સંતાન હોય તો પછી મારા જેવાનાં કહેવાથી આ ભુવા ભારાડીનો સંપર્ક કરે કે નહી ?… કયારેક કોઈ ડાહ્યો માણસ પણ આવા ચક્કરમાં આવી જતો હોય છે… આ બધી સમયની બલીહારી છે… આવી બધી બબાલમાં પડવા કરતા છાનુમાનુ ધંધામાં ધ્યાન દેવાય, તેનાથી કયારેક ફાયદો થાય.. આખીર આ બધી જાહેરાતો આપવા વાળા કરે છે તો પોતાનો જ ધંધો ને! તમે લેખનું નામ ભલે હાસ્યલેખ!! અંધશ્રદ્ધા રાખ્યુ હોય પણ માણસને વિચારતા જરૂર કરી મુકે તેવુ છે… અમારા જેવાને સમાજની કળતરોથી બચાવતા રહેજો… 🙂

    Like

  7. વહેમ-અંધશ્રદ્ધા-ફળજ્યોતીષ-સંમોહન સામાન્ય જનતામાં એટલી હદ સુધી ઘર કરી ગયા છે કે કહેવાતા જ્યોતીષીઓ, મહારાજશ્રીઓ તેમજ વાસ્તુશાસ્ત્ર નીષ્ણાતોનો પરોપજીવી વર્ગ અનેકવીધ તરકટો થકી લોકોને છેતરીને એશોઆરામ કરે છે…

    ખુબ જ સરસ હાસ્ય લેખ માણવા મળ્યો…. આભાર.

    Like

  8. shree ashok bhai` saras`hasyalekh…ek vat…jeya lobhiya.,lalchu.andhsrdalu hoy tiya dhutara…ansranto…amahanubhavo bhuke marta nathi..marta marta geeveche…“jivo ane viva do“riyaz“ na adaab kabul karso

    Like

  9. શ્રી જીતુબાપુ, શ્રી ગોવીંદભાઇ, શ્રી રિયાઝભાઇ.
    આપ સૌ મિત્રોનો આભાર. મારૂં બ્રોડબેન્ડ કનેક્શન બે દિવસ માટે ક્યાંક ઝપટમાં !! આવી ગયું હોવાથી કોમેન્ટ ફોલો કરવામાં વાર થઇ. ક્ષમાપ્રાર્થના. જો કે હવે BSNL ના નિષ્ણાંત ભુવાઓ ધુણાવ્યા પછી વળગાડ દુર થતા ફરી કામ કરવા લાગ્યું છે. 🙂 આભાર.

    Like

  10. વાહ વાહ અશોકભાઈ,

    તમેય હાસ્યલેખના રવાડે ચડી ગયા એમ ને. અરે ભાઈ આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બધા વીશે જાણવું જોઈએ. અને પછી જ નીર અને ક્ષીરનો વિવેક કરી શકીએ ને?

    Like

    • અતુલભાઇ,
      પ્રત્યુતર મોડો પાઠવવા બદલ ક્ષમાપ્રાર્થના. અરે ભાઇ, આ આપ સમા સૌ મિત્રોને વાંચીને મને પણ હસવા !! ઉપડ્યો. જો કે આમાં પણ હાસ્ય કરતા (ટેવ મુજબ) ઉપદેશ જાજો લખાઇ ગયો ! આપે સાચું જ લખ્યું, નીર-ક્ષીર વિવેક ત્યારે જ આવે જ્યારે જાણકારી આવે. અને જાણકારીને આધારે જો વિવેક આવે તો શ્રદ્ધા-અંધશ્રદ્ધા વચ્ચેનાં અંતરનું જ્ઞાન ઉત્પન્ન થાય. આભાર.

      Like

  11. આ શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને ધર્મ સાથે સીધો સબંધ છે.

    ધર્મ આવે એટલે પુજા, પાઠ, નમાજ, પ્રાર્થના, આત્મા, પરમાત્મા, નરક, મોક્ષ, જન્મ, પુર્વ કે પુનઃ જનમ આવે.

    ભારતમાં વર્ણ વ્યવસ્થા એ ધર્મનો એક ભાગ છે.

    આવું હીન્દુ, જૈન, બૌદ્ધ, ખ્રીસ્તી, ઈસ્લામ બધામાં છે અને ઠેક ઠેકાણે અંધશ્રદ્ધા ફેલાયેલી છે.

    Like

  12. વહાલા અશોકભાઈ,

    અંધશ્રદ્ધા પરનો આ હળવો લેખ ‘વાંચનયાત્રા’ના સૌજન્યથી ‘અભીવ્યક્તી’ ઉપર ઉંઝા જોડણીમાં મુકવા માટે મંજુરી આપવા વીનંતી છે.

    -ગોવીન્દ મારુ

    Like

  13. Dear Friend,
    Really very good articles jokes with knowledges of superstition in jyotish
    Thank for good jokes
    KANTI (D0ha Qatar)

    Like

Leave a comment