શૃંગારશતક (૩)- સંભોગવર્ણન


નમસ્કાર, આજે ભર્તૃહરિ કૃત “શૃંગારશતક” માંથી થોડા વધુ મુક્તકો માણીશું. આ પુસ્તકનાં લગભગ ૨૦ (ક્રમાંક ૨૦ થી ૪૦) જેટલા શ્ર્લોકોમાં યુગલની રતિક્રિડાનું રસિક વર્ણન કરાયું છે. જો કે તેમાં લગભગ ક્યાંય, આ પ્રકારના વિષયને વર્ણવતા, અત્યારનાં અમુક સાહિત્ય જેવું છીછરાપણું કે અભદ્ર લાગે તેવું વર્ણન નથી. લેખકશ્રીએ આ મુક્તકોને ભર્તુહરિ દ્વારા દોરાયેલા શબ્દચિત્રો કહ્યા છે. અને વાંચકમાં થોડી પણ કલ્પનાશક્તિ હશે તો તેમને આ શબ્દચિત્રો નજર સમક્ષ જીવંત થતા દેખાશે. હા! યુવાનો માટે આ એક સ__રસ જાતીય શિક્ષણનો પાઠ બની રહે તેમ છે.  કોઇને કદાચ આ થોડું કામુક લાગે ! પરંતુ યાદ એ રાખવાનું છે કે આ લખાણ લગભગ ૬ટ્ઠી સદી આસપાસ લખાયું છે, અને અત્યારે આપણે વધુ સુધરેલા એવા ૨૧મી સદીનાં લોકો છીએ, કે જેઓ હજુ શાળાઓમાં જાતીય શિક્ષણ આપવું કે નહીં, અને આપવું તો કઇ રીતે આપવું, તેની ચર્ચાઓ કરે રાખે છે. અને યુવાનો કુદરતનાં ક્રમ પ્રમાણે જરૂરી સમયે, જરૂર પુરતું શીખી જાય છે, પરંતુ સમજી શકતા નથી !!!

અહીં થોડા વિણેલા મુક્તકો જ આપેલ છે. જેનો ભાવાર્થ મહદઅંશે આગળ ઉલ્લેખેલ પુસ્તકમાંથી જ લીધેલ છે.

मालती शिरसि जृम्भणं मुखे

चन्दनं वपुषि कुडकुमाविलम् ।

वक्षसि प्रियतमा मदालसा

स्वर्ग एष: परिशिष्ट आगम: ॥२३॥ 

“શિર ઉપર માલતીનાં પુષ્પોની માળા, મુખમાં બગાસાં, શરીર ઉપર કેસર મિશ્રિત ચંદનનો લેપ અને ઉર ઉપર પડેલી મદભર પ્રિયતમા – આને જ સ્વર્ગ કહેવાય, બાકી શાસ્ત્રો તો પરિશિષ્ટ (એટલે કે બિનજરૂરી કે વધારાના) છે.”

લો બોલો !!! આ વાત નો વિરોધ કોણ કરી શકશે ??  કાં તો અચેતન હોય તે અથવા તો દંભી હશે તે. (આવું કંઇક સિગ્મંડ ફ્રોઇડે કહેલું છે)

प्राङमामेति मनागनागतरसं जाताभिलाषं तत:

सव्रीडं तदनु श्लथोद्यममथ प्रध्वस्तधैर्य पुन: ।

प्रेमार्द्र स्पृहणीयनिर्भररह:क्रिडाप्रगल्भं ततो

नि:सङगाङगविकर्षणाधिकसुखं रम्यं कुलस्त्रीरतम् ॥२४॥

“પહેલાં તો ’ના ના નહી’ એમ કહીને રસ દર્શાવતી નથી. પછી અભિલાષા જાગે છે. ત્યારબાદ લજ્જાશીલ બને છે અને પછી તો ધીરજ છોડી દઇને, એકાંતમાં મનગમતી પ્રેમભીની ક્રિડામાં તલ્લીન બની જાય છે. અને અંતે અંગનાં આલિંગન અને મર્દનથી અધિક આનંદ આપે છે. કુલીન સ્રીની રતિક્રીડા આવી રમણીય હોય છે !”

उरसि निपतितानां स्त्रस्तधम्मिल्लकानां

मुकुलितनयनानां किंचिदुन्मीलितानाम् ।

उपरिसुरतखेदस्विन्नगण्डस्थलाना-

मधरमधु वधूनां भाग्यवन्त: पिबन्ति ॥२५॥

“ઉર ઉપર પડેલી હોય, વાળની વેણી વિખેરાઇ ગઇ હોય, નેત્રો મીંચાઇ ગયાં હોય અને વળી સહેજ અધખુલાં હોય, વિપરીત રતિક્રીડાના થાકથી ગાલ ઉપર પરસેવાનાં બિંદુઓ બાઝી ગયાં હોય, એવી કુલવધુઓનાં અધરોષ્ઠનું મધુપાન ભાગ્યવંતો જ કરી શકે છે !”

संसार तव पर्यन्तपदवी न दवीयसि ।

अन्तरा दुस्तरा न स्युर्यदि ते मदिरेक्षणा ॥३३॥

“હે સંસાર !, જો તારી વચ્ચે શરાબી આંખોવાળી સુંદરી ન હોત તો તને પાર પામવાનું સ્થાન દૂર નથી.”

વાહ ! નકામો આ સંસાર અઘરો બનાવી નાખ્યો છે ! તેનો પાર પામવાનાં હજારો અઘરા અઘરા ઉપાયો મહાનુભાવો સુચવે રાખે છે ! ભર્તૃહરિ મુજબ તો સંસારનો પાર પામવો સાવ હાથવેંતમાં હોય છે, વચ્ચે નડે છે ફક્ત……???

मात्सर्यमुत्सार्य विचार्य कार्य-

मार्या समर्यादमिदं वदन्तु ।

सेव्या नितम्बा किमु भूधराणा-

मुत स्मरस्मेरविलासिनीनाम् ॥३६॥

“હે આર્યો ! મત્સર (આળસ) તજીને, કાર્યનો વિચાર કરી, મર્યાદાપૂર્વક જરા અમને કહો કે (આ જગતમાં) શું પર્વતનાં નિતમ્બો (ઢોળાવો) સેવવા લાયક છે કે વિલાસથી સ્મિત વેરતી સુંદરીઓનાં નિતમ્બો સેવવા લાયક છે ?”

આ એક જ મુક્તકે અમને ઘણી વખત ગીરનારની તળેટીએથી પાછા વાળ્યા છે !!! અહીં “મર્યાદાપૂર્વક અમને કહો” (समर्यादमिदं वदन्तु) શબ્દ પણ નોંધવા જેવો છે.  આપ સૌને કેમનું છે ? …

संसारे स्वपनसारे परिणतितरले द्वे गती पण्डितानां

तत्त्वज्ञानामृताम्भ: प्लवललितधियां यातु काल: कथंचित् ।

नो चेत्मुग्धाङ्ग्नानां स्तनभरजघनाभोगसंभोगिनीनाम्‌

स्थूलोपस्थस्थलीषु स्थगितकरतलस्पर्शलीलोद्यमानाम् ॥३७॥

“અંતમાં અસ્થિર આ સ્વપ્નના જેવા સંસારમાં પંડિતોની બે જ અવસ્થા હોય છે. કાં તો તત્વજ્ઞાનરૂપી અમૃતજળમાં મજ્જ્ન કરવાના સુંદર વિચારોમાં તેઓનો સમય પસાર થાય છે અથવા તો સ્તન અને વિશાળ જઘનોના ભોગ ભોગવવાની ઇચ્છાવાળી મુગ્ધ સુંદરીઓના સ્થૂલ ગુહ્યસ્થાનોમાં પોતાની હથેળીઓથી સ્પર્શ કરવાની લીલાના ઉદ્ધમમાં તેનો કાળ વીતે છે.”

आवास: क्रियातां गांगे पापहारिणि वारिणि ।

स्तनद्वये तरुण्या वा मनोहारिणि हारिणि ॥३८॥

“કાં તો પાપ હરનારા જળવાળી ગંગાના કિનારે નિવાસ કરવો જોઇએ, અથવા તો તરુણીનાં સુંદર હારવાળાં મનોહર બે સ્તનોમાં વાસ કરવો જોઇએ.”

અહીં સુભાષિતમાં “पापहारिणि वारिणि” અને “मनोहारिणि हारिणि” નું સુંદર સંયોજન કેવું લાગ્યું ?

किमिह बहुभिरुक्तैर्युक्तिशून्यै: प्रलापै-

र्दूयमिह पुरुषाणां सर्वदा सेवनीयम् ।

अभिनवमदलीलालालसं सुन्दरीणां

स्तनभरपरिखिन्नं यौवनं वा वनं वा ॥३९॥

“અહીં યુક્તિ વિનાના અનેક પ્રલાપો કરવાથી શું ? આ લોકમાં પુરુષોને બે જ વસ્તુઓ સેવન કરવા યોગ્ય છે. કાં તો સુંદરીઓનું, નવીન મદભરી લીલાઓથી મલપતું અને સ્તનોના ભારથી ખિન્ન થયેલું યૌવન અથવા તો વન.”

અહીં પણ “યૌવન” અને “વન” નો સુંદર સુમેળ જુઓ. અને મારા વિચાર પ્રમાણે આ શ્ર્લોકથી જ  “વૈરાગ્યશતક”ની રચનાનું બીજ વવાઇ ગયું હોય તેવું લાગે છે.

તો “यौवनं वा वनं वा” તે તો સૌએ પોતપોતાની અનુકુળતા પ્રમાણે નક્કિ કરવાનું રહે છે. અને ભર્તૃહરિ પ્રમાણે આ બે સિવાયનું અન્ય કશું પણ (સત્તા,લાલસા,ઇર્ષા,અહંકાર વગેરે વગેરે !!) સેવનાર ’મહાપુરુષ’ કે અન્ય કશું પણ કહેવાય, ’પુરુષ’ તો ન જ કહેવાય !!!

હવે થોડો સમય શૃંગારશતકને અહીં વિરામ આપીશું, વધુ રચનાઓ માટે આગળ ઉપર ચર્ચા કરીશું.  આપનાં મંતવ્યો (समर्याद) રજુ કરતા અચકાશો નહીં.  હવે પછીનું પુસ્તક ’ખલિલ જિબ્રાન’ કૃત “ધ પ્રોફેટ” હશે. અસ્તુ.

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)

14 responses to “શૃંગારશતક (૩)- સંભોગવર્ણન

  1. વાહ! દોસ્ત વાહ! અશોકભાઈ, જય માતાજી…તમે જે વિષયને પ્રાધાન્ય આપ્યુ છે. તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે. હાલનાં સમયમાં આ પુસ્તક છુટાછેડા લેતા અને રસહીન સંસાર ભોગવતા દંપંતીઓને ખાસ વાંચીને તેનો અમલ કરવાની જરૂર છે… હું એવુ માનુ છુ કે, ભગવાને જ આ સંસારને આગળ વધારવા માટે મુકેલ ક્રિયાને જે દંપંતીઓ કુદરતી રીતે માણે છે. તેઓનાં મન એક જ હોય છે. (કદાચ ક્યાંક અપવાદ પણ હોય!!) અને જો ખરેખર આ આનંદ દરેક દંપંતી લુટે તો છુટાછેડા,નિ:સંતાન અને અને મનમેળ નથી તેવી સમસ્યા જરૂર દુર થઈ જાય….(નિ:સંતાનની એટલા માટે કે, સફ્ળ સંભોગથી સ્ત્રી અને પુરૂષની અંદર રહેલ હોર્મોન મુકત પણે ખીલે છે અને સંતાન થવા માટેનાં ચાન્સ વધારે છે..), કોઈ મિત્ર આ કોમેન્ટને નેગેટીવ ના લેતા..આ તો મારા વિચારો છે…બાકી તો સૌ કોઈ નિજ નિજ રૂચી અનુસાર અર્થ કરે!!…દરેકની દુનિયા જુદી હોય છે..

    Like

  2. દંપતિઓના સુખમય સંસાર માટે શૃંગાર રસ ખુબ જ મહત્વનો છે. અને જેણે શૃગાંર રસ ભરપુર પીધો હોય તે જ સાચો વૈરાગ્ય પણ ધારણ કરી શકે. બાકી સમજ્યાં વગર વૈરાગી થનારનું મન તો મોટા ભાગે છાનુ છપનું શ્રૂંગારના જ વિચાર કરતું હોય છે.

    Like

  3. શ્રી અશોકભાઈ,
    જે મુકતકે આપને ગીરનાર થી પાછા વળ્યા છે,એણે મને હિમાલય જતા રોક્યો છે.શૃંગાર શતક બેનમુન છે.

    Like

    • આભાર !!! (એટલે કે અહીં પધારી આપનો વિચાર જણાવવા બદલ નહીં !! પરંતુ હિમાલય બાજુ ન જવા બદલ !! 🙂 બાકી અમને આપના તમતમતા લેખનો લાભ ન મળત ને ???)

      Like

  4. પિંગબેક: શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ) « વાંચનયાત્રા

  5. અશોકભાઇ,
    ધીમે ધીમે બધા બ્લોગ જોતો જાઉં છું અને અંદર ખોજતો જાઉં છું. આજે તમારે ત્યાં શૃંગાર શતકનો રસાસ્વાદ કર્યો. કદાચ માનવ સમાજનું આ શ્રેષ્ઠ કાવ્ય હશે. ’यौवनं वा वनं व”માં તમે વૈરાગ્ય શતકનાં બીજ જૂઓ છો તે તમારી શોધક વૃત્તિનું સુંદર પરિણામ છે. બ્રહ્મચર્યના ક્ઠોર સિદ્ધાંતો ક્યારે આવ્યા તે અભ્યાસનો મુદ્દો છે.

    Like

  6. અશોક

    તુને તારી વાંચન ધગશે તુને ઘણો આગળ મૂકી દીધો છે .હજુ તું જુવાન છો .બહુજ આગળ સમર્થ વિદ્વાનોની હરોળમાં બેસી શકીશ .મને તારા માટે માન છે ગર્વ છે .
    એક તારી જન ખાતર લખું છું .
    કરીનોત જો વીધીએ કામનીને (योवन वा वन ) જેવું છે .
    ભરી નોતજો રૂપ થી ભમિનીને
    રચી નોત જો ચાંદની જામનીને
    રટી હોત માળા તદા રામની મેં બીજું રૂપાળી નારીઓને જો
    વિધિ એ ના રચી હોત જો
    મુહબ્બત પૈદા થાતજ નઈ
    મુસીબત આવતી પણ નઈ
    મુસીબત આવતી જો નઈ
    hrad હૃદય મજબુત થાતું નઈ
    હૃદય મજબુત ના હોતું
    “હિંમત” ઓસરીજાતી

    Like

  7. પ્રિય અશોક તું તારા બ્લોગ ઉપર અદ્ભુત વાતુ રજુ કરે છે મને ખુબ ગમે છે.
    અધખુલી આંખોની વાત ભર્ત્રું હરીએ બહુ રસાળ રીતે રજુ કરી છે.तेरी नीमबाज़ आँखे दीदनी लगी है मुझको
    दुनियामे तू नहोती नहीं चैन मिलता मुझको
    નીમ્બાઝ આંખો =અધખુલી આંખો [
    દીદની = જોવા લાયક

    Like

  8. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

    મિત્રો, હમણાં થોડા સમય પહેલાં, મે ૨૦૧૬ માં શ્રી મધુ રાય સંપાદિત વાર્તા માસિક “મમતા” નો શૃંગાર અંક પ્રગટ થયો હતો. મમતા ભલે નવોદિત વાર્તાકારોનું માસિક ગણાતું હોય પણ મોટાભાગના (મારા સિવાયના) સિધ્ધ હસ્ત લેખકોની રચના વાંચવા મળે છે. એમાં લેખ અને વાચક પ્રતિભાવને બાદ કરતાં નવ નવલિકામાંથી પાંચ નવલિકાઓ મહિલા લેખિકાઓની છે. જેમણે શૃગાર રસને બિભસ્ત રસમાં પ્રવેશ કરાવ્યા વગર સ-રસ રીતે માત્ર તન નહિ પણ મનની લાગણીને સ્પર્શતી વાતો નિઃસંકોચ રીતે કરી છે. શૃંગાર હવે આભડછેડનો વિષય રહ્યો નથી.

    Like

  9. જ્ઞાન અને વિજ્ઞાનને વલોવીને વિચારીઅે ત્યારે અેક સત્ય જન્મે છે…જે સનાતન છે. કુદરતે જ્યારે જીવ પેદા કર્યો ત્યારે તેને માટે ત્રણ જ કર્મો સર્જ્યા હતાં. પ્રાણિ જગતમાં વિચારીઅે તો …માણસ પણ પ્રાણિ જ છે…..તો પ્રાણિઓ, ખોરાક હાવો, પાણી પીવું અને સંભોગ કરવો..અે ત્રણ કર્મો જ કરવા સરજાયેલો હતો અને છે….વિજ્ઞાને તેને બુઘ્ઘિ વાપરીને પોતાની આસપાસની દુનિયાનું સર્જન કરવાને પ્રેર્યો…જેને આપણે તેની રમત ગમત તરીકે ઓળખીઅે. પરંતુ મૂળ તો ત્રણ જ કરમો કુદરતે તેને શરીરની સાથે જોડીને આપેલાં.
    અેકોહામ બહુસ્યામ…અેકાકી ન રમતે…તે અેકમાંથી અનેક થવાની વાત છે જેને પ્રજનન અને તે પ્રજનન ને પામવાની સંભોગની પ્રક્રિયાને કવિઓઅે શૃગારરસમાં ઝબોળીને પીરસ્યો છે….આ છે જ્ઞાન અને વિજ્ઞાનનો સંભોગ……

    Like

  10. હું એક પુસ્તક લખી રહ્યો છું એમાં મને જે જરૂરી સાહિત્ય મળી ગયું છે. ખરેખર આપની કુશાગ્ર બુદ્ધિ અને વિવેક જ્ઞાન
    તાદૃશ થાય છે. આપનો પ્રયાસ લેખે લાગે છે, ધન્યવાદ.

    Like

Leave a comment