શૃંગારશતક (૧)-પરિચય


Red flower 06નમસ્કાર,

અમારે જુનાગઢની એક કહેવત છે “અડીકડી અને નવઘણકુવો, ન જોયો તે જીવતો મુઓ”

એક નવી કહેવત બનાવવાનું મન થાય છે, “ભર્તુહરિનું શતકત્રય, ન વાંચ્યું તે ખોટમાં ગયો”

(બહુ સારી કહેવત તો નથી બની પણ ભાવ વ્યક્ત થાય એટલે ઘણું ! મિત્રો પણ મહેનત કરી શકે છે). જુનાગઢનાં વિદ્વાન શ્રી મનસુખલાલ સાવલિયા દ્વારા સંપાદિત, શ્રી ભર્તુહરિ વિરચિત, ત્રણે શતક (નીતિ, શૃંગાર અને વૈરાગ્ય), ખાસ તો તેમાં જે અદભુત સમશ્ર્લોકી અનુવાદ આપેલ છે, તેનું માધુર્ય તો એ પુસ્તક વાંચવાથીજ ખબર પડશે. આ પુસ્તકનું સંપાદન કાર્ય ૨૩-૧૧-૧૯૮૮ નાં પૂર્ણ થયેલ. તેનું પ્રકાશન “પ્રવીણ પ્રકાશન-રાજકોટ” દ્વારા થયેલ છે. અહીં સૌ પ્રથમ આપણે સંપાદકશ્રીનાં નિવેદનના અંશો, સાભાર જોઇશું.

મારા પૂજ્ય પિતાશ્રી લવજીભાઇ ભક્ત, સંસ્કૃત ભાષાસાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન હતા. વૃદ્ધાવસ્થામાં આંખમાં મોતિયો આવવાથી ર્દષ્ટિમાં ઝાંખપ આવી ત્યારે પણ આંખ પાસે ’મેગ્નિફાઇંગ ગ્લાસ’  રાખીને તેમણે ભર્તુહરિનાં ત્રણેય શતકોના સમશ્ર્લોકી અને વિષમશ્ર્લોકી ગુજરાતી અનુવાદો કર્યા હતા. આ શૃંગારશતકમાં આપેલો સમાનછંદનો પદ્ય અનુવાદ તેમની રચના છે.

જો કે આપણે અહીં ફક્ત અમુક મુળ સંસ્કૃત શ્ર્લોકો અને તેની સમજુતીનો આસ્વાદજ માણીશું, આ પુસ્તકમાં આપેલ, ઉપર જણાવેલ પદ્ય અનુવાદ તો સૌએ પુસ્તક ખરીદી અને વાંચવાનો રહેશે. (કારણ કે તે તો લેખકશ્રીની પોતાની રચનાઓ છે, અને વિના પરવાનગી તેની પ્રસિધ્ધી યોગ્ય નથીજ.)   આજ પુસ્તકમાં આપેલ સ્વામી સચ્ચિદાનંદના નિવેદનનો અંશ પણ જોઇએ.

 આ ત્રણેય શતકો વિશ્વસાહિત્યનાં ત્રણ અણમોલ રત્નો છે. તેનો એકએક શ્ર્લોક હ્રદયનાં ઊંડાણમાંથી નીકળેલો અને પ્રગાઢ અનુભવથી ભરેલો હોવાથી વાચકને આપોઆપ હ્રદય સોંસરવો ઊતરી જાય છે.

મને લાગે છે કે, પ્રત્યેક વાચકને, યુવાનને, વૃદ્ધને આ શતકો જરૂર વાંચવાની ભલામણ કરવી જોઇએ.     — સ્વામી સચ્ચિદાનંદ

અહીં આપણે, આજ પુસ્તકમાંથી સાક્ષરશ્રી વસંત પરીખનાં ’શૃંગારશતક’ પરનાં બે બોલ ના અંશનો આસ્વાદ પણ માણીજ લઇએ.

સિસૃક્ષા એ તો પ્રાણીમાત્રમાં બીજરૂપે રહેલી સહજ વૃત્તિ છે. મનુષ્યમાં તે કામલતા રૂપે વિકસે છે અને જ્યારે એમાં યૌવનનાં પુષ્પ ખીલે છે ત્યારે એક અનાવિલ સૌંદર્યની અનુભૂતિ થાય છે. એ પુષ્પમાં રહેલ રસને શૃંગાર કહે છે.

યુવાનો સેક્સને કોઇ રહસ્ય સમજી તેને ગમે તે રીતે પાળવા પ્રયત્ન કરે છે. તેમાં વિજ્ઞાન ખોવાઇ જાય છે, કલા કરમાઇ જાય છે અને એક વિકૃત-રોગી મનોદશા ઊપજે છે. એટલે જ હવે જાતીય શિક્ષણની મહત્તા સ્વીકારાવા લાગી છે અને જો એવું શિક્ષણ આપવું હોય તો ભર્તુહરિનું શૃંગારશતક તે માટેના પ્રાથમિક જ્ઞાનનું એક આદર્શ પાઠ્યપુસ્તક બની શકે તેમ છે.

ભર્તુહરિનાં પરિચયમાં થોડું ઉપરછલ્લું જોઇએ તો, આ બાબતે ઘણા મતમતાંતરો છે જે વિવિધ પુસ્તકોમાં વાંચવા મળેલ છે. પરંતુ લગભગ છઠ્ઠી શતાબ્દીમાં આ શતકત્રયનો કર્તા ભર્તુહરિ થયેલ હોય તે પર વધુ સંમતી મળે છે.  ’વાક્યપદીય’ નામક વ્યાકરણ ગ્રંથનો રચેતા અને શતકનો રચેતા ભર્તુહરિ કે લોકકથાઓમાં પ્રસિદ્ધ ’ભરથરી અને પિંગલા’ વાળો ભરથરી, અને આ શતકનો રચનાર ભર્તુહરિ એકજ છે તેમ પણ માનવામાં આવે છે. જો કે આ બધી બાબતોએ કોઇ સ્પષ્ટતાતો નથી જ. અને આ વિદ્વાનોનો વિષય છે. આપણે તો ચાલો આ અદભુત રચનાઓનોજ ગુજરાતીમાં આસ્વાદ માણીએ. (જરા ઘોડા તાણો મિત્રો !  ધીરૂં પાકે તે ફળ મીઠું પણ વધુ હોય 🙂 )

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)

7 responses to “શૃંગારશતક (૧)-પરિચય

  1. મારા ઘરે આમાંનું એક શતક પડેલું છે.ને મેં વાંચેલું પણ છે.જોકે હાલ કશું પ્રત્યક્ષ યાદ નથી.પણ આપ જ્ઞાનપિપાસુ ઓની સારી સેવા કરો છો.જગત જોડાણ જાળ(ઈન્ટરનેટ)નો સારો ઉપયોગ પણ છે.

    Like

  2. As per I- net Writer Criteria Ur is Proud of Junagadh.
    AAGE>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>BADHO
    Hum Tumhare Pachi

    Like

  3. પિંગબેક: શૃંગારશતક (૨)-સ્ત્રીપ્રશંસા « વાંચનયાત્રા

  4. પિંગબેક: નીતિશતક (૧) – મૂર્ખતા « વાંચનયાત્રા

  5. પિંગબેક: શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ) « વાંચનયાત્રા

  6. પિંગબેક: શૃંગારશતક (૨)-સ્ત્રીપ્રશંસા | વાંચનયાત્રા

  7. મારી પાસે સુભાષિત ના ૪૫૩ પુસ્તકો નો સંગહ કર્યો છે..વાચવા જોઈતા હોય ટો કહેજો…૮૩૬૯૧૨૩૯૩૫ . હર્ષદ અશોડીયા

    Like

Leave a comment