Tag Archives: સંસ્કૃત

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૪)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે ગીતગોવિંદમ્‌ના પાંચ સર્ગ (પ્રકરણ) વાંચી ગયા. આજે છઠ્ઠા સર્ગથી શરૂઆત કરીએ. જેમાં બારમા ગીતનો સમાવેશ છે.
अथ ताम् गन्तुमशक्ताम् चिरमनुरक्ताम् लतागृहे दृष्ट्वा ।
तच्चरितम् गोविन्दे मनसिजमन्दे सखी प्राह॥ ६-१
ચિરકાળથી કૃષ્ણમાં અનુરક્ત, અનુરાગ ધરાવતી હોવા છતાં, કૃષ્ણ સુધી જવા અસમર્થ (કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે) રાધાજીને લતાગૃહમાં જોઈ અને સખી કૃષ્ણને કહે છે;

અને અહીં બારમું ગીત પ્રારંભ થાય છે. આ છઠ્ઠા સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ છે.
पश्यति दिशि दिशि रहसि भवन्तम्। तदधरमधुरमधूनि पिबन्तम्।
नाथ हरे हरे जगन्नाथ हरे। सीदति राधा वासगृहे ॥ अ प १२-१
કહે છે, હે નાથ, જગન્નાથ, હે હરે, રાધા પોતાના આવાસગૃહે, આપની પ્રતિક્ષામાં, અત્યંત દુઃખી અવસ્થામાં છે. સ્વઅધરનું જ મધૂર પાન કરતી, સકલ દિશાઓમાં જોતી, આપની રાહ જોઇ રહી છે. બાલબોધિનીમાં ટીકાકારે तदधरमधुरमधूनि पिबन्तम्નો એક અર્થ, આપના ચરિત્રની મધૂર વાતોનું સપ્રેમ શ્રવણ-પાન કરી રહી છે તેમ પણ કર્યો છે.

मुहुरवलोकितमण्डनलीला ।
मधुरिपुरहमिति भावनशीला॥ अ प १२- ४
ગીતમાં આગળ પણ, આપના માટે શૃંગાર સજે છે, કમલપુષ્પોનાં આભૂષણો સજ્યા છે, હું જ સ્વયં મધુરિપુ કૃષ્ણ છું તેવા ભાવમાં રાચતી આપના આભૂષણો અલંકારોને જોતી રહે છે. પોતાના સ્ત્રીસહજ અલંકારો ત્યજી આપના આભૂષણો અલંકારો ધારણ કરે છે. આમ વિરહગ્રસ્ત શ્રીરાધાના મનોભાવનું સુંદર વર્ણન છે. અહીં પ્રેમમય રાધા-કૃષ્ણ એક બની જતા હોવાનો ભાવ છે.

श्लिष्यति चुम्बति जलधरकल्पम् ।
हरिरुपगत इति तिमिरमनल्पम्॥ अ प १२-६
મેઘવાદળ સદ્દશ ઘનઘોર અંધકારને ’હરિ આવ્યા’ એમ સમજી આલિંગન ચુંબન કરવા લાગે છે. કૃષ્ણ ઘનશ્યામ છે એ વાત અહીં દર્શાવાઈ છે.

भवति विलम्बिनि विगलितलज्जा ।
विलपति रोदिति वासकसज्जा॥ अ प १२-७
અને જ્યારે રાધાને બાહ્યજ્ઞાન થાય છે કે તે આપ નથી ત્યારે પોતાના આ કૃત્યથી લજ્જિત થઈને મોટે મોટેથી રુદન કરવા લાગે છે.

અહીં આ ગીતમાં વર્ણન છે તે ’વાસકસજ્જા’ નાયિકાનું વર્ણન ગણાય. ‘વાસકસજ્જા’ નાયિકા એ છે જે મિલનસ્થાનમાં (સંકેતસ્થાનમાં) ઉત્સાહપૂર્વક, કુંજને (સ્થાનને) અને તેમાં શય્યા (અહીં પુષ્પ-શય્યા) અને પોતાને પણ શણગારી આતુરનયને નાયકની પ્રતીક્ષા કરે છે, તથા જરા જેટલો પણ વિલંબ થતાં વારંવાર કોઈ દૂત (કે દૂતી)ને નાયક પાસે મોકલે છે.

ગીત પછીના શ્લોકમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને આ સર્ગનું નામ ધૃષ્ટ વૈકુંઠ કેમ રખાયું તેનો પણ નિર્દેશ છે. અહીં નાયકને ધૃષ્ટ, શઠ તરીકે સંબોધાયો છે ! કદાચ તે હજુપણ સંકેતસ્થાને જવામાં વિલંબ કરે છે તે કારણે જ ! જુઓ આ શ્લોક;

विपुलपुलकपालिः स्फीतसीत्कारमन्तः
जनितजडिमाकाकुव्याकुलम् व्याहरन्ती।
तव कितव विधत्तेऽमन्दकन्दर्पचिन्ताम्
रसजलधिनिमग्ना ध्यानलग्ना मृगाक्षी॥ ६-२
સખી કહે છે: હે શઠ, અતિરોમાંચયુક્ત, પ્રેમોન્માદ, કન્દર્પોન્માદથી પિડીત મૃગનયની રાધિકા તમારા સ્પર્શ-આલિંગનના રસસાગરમાં ડુબેલી તમારા ધ્યાનમાં મગ્ન થયેલી છે. અતિશય આનંદને કારણે રોમાંચિત અને સિસકારતી, અસ્ફુટ શબ્દોચ્ચાર કરતી, આકુળવ્યાકુળપણે કોઇ પણ રીતે પોતાના પ્રાણ ટકાવી રહી છે. અહીં मृगाक्षी કહેતાં એક અર્થ મૃગલી એટલે કે હરણી જેવા સરળ, ઋજુ ચિત્તવાળી, ગભરુ એવો પણ થાય છે જે રાધાજીના સ્વભાવને દર્શાવે છે. નાયક માટે શઠ, ધૃષ્ટ, ધૂર્ત્ત સંબોધન कितव શબ્દથી મળે છે.  

એક આડવાત, આમે કૃષ્ણ એકમાત્ર એવું વ્યક્તિત્વ છે જેને કદાચ જગતભરનાં સારાં-નઠારાં બધાં જ સંબોધનો થયા હશે ! કદાચ આ દ્વારા એમ સુચવાતું હોય કે પરમાત્માપદ પામનારને પણ આ લોકનિંદાથી મુક્તિ નથી ! અને છતાં એની પરવા ન કરતાં પોતાના ધર્મમાં (ફરજમાં) મગ્ન રહેવું અને સમતા ધારણ કરવી એ મહાપુરુષોનું લક્ષણ છે. કૃષ્ણએ કેટકેટલી ટીકાઓ, ઉપાલંભ, પદવીઓ લોકમુખે મેળવ્યા એ વિષયે ક્યાંક સ્વતંત્ર સંશોધન થઈ શકે છે. આગળ વધીએ.

किम् विश्राम्यसि कृष्णभोगिभवने भाण्डीरभूमिरुहि
भ्रात र्याहि नदृष्टिगोचरमितस्सानन्दनन्दास्पदम्।
रधायावचनम् तदध्वगमुखान्नंदान्तिकेगोपतो
गोविन्दस्यजयन्ति सायमतिथिप्राशस्त्यगर्भागिरः॥ ६-४
ષષ્ટમ્‌સર્ગનો આ અંતિમ શ્લોક છે. કૃષ્ણ પાસે ગયેલી સખી આવવામાં વિલંબ કરે છે તેથી વ્યાકુળ રાધા એક દૂતીને વટેમાર્ગુના વેશમાં કૃષ્ણના ભવન પર મોકલે છે. સાંજ સમયે વટેમાર્ગુના વેશમાં દૂતી કૃષ્ણભવનમાં આવી અને રાધાજીનાં શિખવ્યા શબ્દોમાં કહે છે કે; રાધાએ મને કહ્યું કે હે ભાઈ, અહીં આ વટવૃક્ષ તળે શા માટે વિશ્રામ લેવા બેઠા છો ? અહીંયા તો કૃષ્ણ રહે છે ! (અહીં મજા જુઓ ! કૃષ્ણ કહેતાં રાધાજીએ અહીં કાળોતરો નાગ એવું સુચન કર્યું છે ! સુચવે છે કે અહીં એક કાળોતરો નાગ રહે છે ! એક વધુ પદવી !!) એ કરતાં સામે આવેલા આનંદદાયક નંદભવનમાં ચાલ્યા જાઓ, ત્યાં તમારો આતિથ્યસત્કાર થશે.  પથિકના મોંએ આવા સંકેતાત્મક શબ્દો સાંભળી અને કૃષ્ણ તો વાત સમજી જાય છે (કે હવે રાધાજી બરાબરનાં ગુસ્સે ભરાયા છે !) પણ પિતા નંદરાજ ક્યાંક વાત જાણી ન જાય તે માટે પથિકને પ્રસંશાયુક્ત વાક્યો કહી, ધન્યવાદ કહે છે. (એટલે કે વાતને આગળ વધતી અટકાવે છે !)

મિત્રો, આ સર્ગ વાંચી મને અદ્‌ભુત વિચારો આવવા લાગ્યા છે. આડેપાટે ચઢતો લાગીશ પણ ધ્યેયચૂક તો નથી જ થતો એટલી ખાત્રી સાથે થોડા વિચારો રજુ કરૂં. અહીં સમયસર સંકેતસ્થાને ન પહોંચેલા નાયક પ્રત્યે નાયિકા, અને તેની સખી પણ, પ્રેમભર્યા છણકાઓ કરે છે તે  દૃષ્ટિગોચર થાય છે. વિચારવંત, બુદ્ધિશાળી, નરપુંગવો! આવા પ્રેમભર્યા છણકાઓમાં, ઉપાલંભમાં, રહેલો પ્રેમ જાણી શકે છે. (અને બાકીનાઓ ’તારાથી મને આમ કહેવાય જ કેમ ?’ એવો હુંકાર કરી દાંપત્યની કે પ્રેમપ્રકરણની પથારીઓ ફેરવે છે :-) ) ખરેખર તો અહીં પુરુષોત્તમ પણ આ ઉપાલંભનથી ન બચી શક્યા તો આપણે કઈ વાડીના મુળા ! એવું જ્ઞાન આ કથામાંથી લાધવું ન જોઈએ ?

સ્ત્રીઓનો સ્વભાવ હોય છે જરા જેટલી વિપરીત સ્થિતિમાં છણકાટ કરવાનો ! કોઈ કોઈ પુરુષોનો પણ હોય છે !! (એથી તેને સ્ત્રૈણ પુરુષ કહેવાતો હશે ?) આ છણકાઓમાં સદા દુર્ભાવ જ નથી હોતો, મહદ્‌અંશે તો પ્રેમ જ હોય છે. અમારે ગામડાની સ્ત્રીઓ વાત વાતમાં ’મારા રોયા’, ’નખ્ખોદિયા’, ’મરી ગ્યા’, ’મારા પીટ્યા’ જેવા સરપાવોથી, માત્ર પતિદેવને જ નહીં, ક્યારેક સંતાનોને પણ, વધાવતી હોય છે. સદા તેનો અર્થ શબ્દશઃ જ નથી હોતો એ લોકવાર્તાકારો કે લોકજીવનના અભ્યાસુઓ (અને માંહે પડેલા, ભોગવનારા બધા તો ખરા જ !!) સુપેરે જાણતા હોય છે. ટુંકમાં આ ભાષાશાસ્ત્રનો ન રહેતાં સમાજશાસ્ત્રનો વિષય બને છે. સુશિક્ષિત બહેનો સાવ આવા ખરબચડા ઉપાલંભો ન આપતા જરા સહ્ય અને અલંકૃત ઉપાલંભો કરતી હશે ! જેની મિઠાશ પણ અનેરી તો હોય જ છે ! આથી હવે, મારી મતિ અનુસાર (એટલે કે માન્ય રાખવું, ન રાખવું એ આપના વિવેકની વાત છે !), આપણી લાયકાત પર વિશ્વાસ કરી અને ગૃહિણીએ ઓફિસથી વળતા શાકભાજી લાવવાનું સોંપ્યું હોઈ, આપણે સદાની ટેવ અનૂસાર ભુલી ગયા હોઈએ અને જમવા ટાણે કઢીનાં દર્શન થતાં ફરી ટેવવશ ’શાક ના બનાવ્યું ?’ એમ પૃચ્છા થઈ જાય તો… ’શાક શેનું બનાવું, તમારા બાપાના કપાળનું ?’ (સન્નારીઓ કદાચ શિષ્ટ ભાષામાં જણાવે કે; શાક શાનું બનાવું, આપના પરમપૂજ્ય પિતાશ્રીના ભાલપ્રદેશનું ? :-) ) તો બાપાના કપાળ પર જોખમ થયાનું ન સમજતાં માત્ર ’પ્રિયે, હવે પછી તારૂં સોંપેલું કામ ભૂલું તો કહેજે ! આ વખતે માફ કરી દે !!’ (જો કે પાછું યાદ રાખવાની ભૂલ ના કરવી :-) ) એટલું કહેતાં બીજા જમણમાં શિરો મળવાનાં ચાન્સ રહેશે ;-) . અન્યથા પડોશીઓનું મફત મનોરંજન તો થશે જ ! સાથે પિતાશ્રીનાં તો નહીં પણ આપણાં ભાલપ્રદેશ પર પુરૂં જોખમ રહેશે !! આ પ.પૂ.ધ.ધૂ. અનંત શ્રીવિભૂષિત અશોકાચાર્યજી મહારાજનું અનૂભવસિદ્ધ કથન છે :-) (પ્રેમવશ ચિંતાતૂર મિત્રોએ અનૂભવસિદ્ધનો ખોટો અર્થ કરી ભાલપ્રદેશ પર મજાનાં ઢિંમણા વાળું અમારૂં ચિત્ર શોધવા વ્યર્થ પ્રયાસ ન કરતાં ’ભલે પરણ્યા ન હોઈએ પરંતુ જાનમાં તો ગયા હોઈએ ને !’ એ ઉક્તિ યાદ રાખવી !) મજા આવી ? મને ખબર છે, પારકા ઝઘડામાં કોને મજા ન આવે ?! પણ, અમ વિત્યુ તમ વિતશે, ધીરી બાપુડીયા !!!!!

આ પછીનો સપ્તમ સર્ગ, સુંદર મજાના ચાર ગીત ધરાવતો, જરા લાંબો છે તેથી તેને હવે પછીના લેખમાં જ ન્યાય આપીશું.
આભાર.

શું ગુરુ વિના મુક્તિ નથી ?

નમસ્કાર મિત્રો, આમતો પ્રસંગોચિત લેખ લખવાનું ભાગ્યે જ બને છે, આ ગુરુપૂર્ણિમા આવી અને ગઇ. ગુરુ વિષયક ઢગલો એક સાહિત્ય વાંચવા સાંભળવા મળ્યું. સારૂં છે. મેં પણ ઘણું વાંચ્યું, મહદાંશે, શ્રી.યશવંતભાઇના શબ્દોમાં કહું તો; એક બાજુનો પવન જ વાતો રહે !! ગુરુના ચાહકો ગુરુના વખાણના ઢગલે ઢગલા કરશે અને વિરોધીઓ વિરોધના બ્યુગલો ફૂંકશે ! જો કે આપણને એમાં પણ કશો છોછ ન હોવો જોઇએ, સૌ પોતાની માન્યતા પ્રમાણે વર્તવા માટે છૂટમાં હોય છે. આજે મારે વાત કરવી છે મને જરા વધુ ગમી ગયેલા એક પુસ્તકની. જેનો ઉલ્લેખ અગાઉના “મારા પ્રતિભાવો” શ્રેણીના લેખમાં આપે વાંચ્યો હતો.

ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત, સ્વામી રામસુખદાસજીએ લખેલી, ૬૦ પાનાની, આ નાનકડી પુસ્તિકા છે “શું ગુરુ વિના મુક્તિ નથી ?”  આ પુસ્તિકાનું મુલ્ય માત્ર ૫|- રૂ. છે. પણ ખરે જ વાંચવા જેવું છે. ખાસ તો એ માટે કે તેમાં પરંપરાગત ઢબે ન તો વખાણ છે, ન વખોડવાનું. મારે અને સૌએ સહમત હોવું કે બધું માન્ય જ કરવું તેવો કોઇ આગ્રહ પણ નથી, પરંતુ જ્યારે લેખકશ્રી આધ્યાત્મજગતના એક સન્માનપાત્ર વિદ્વાન હોય ત્યારે થોડું વિચારવા યોગ્ય તો જરૂર લાગે. તો અહીં રજુ કરીશ આ પુસ્તિકાના માત્ર કેટલાક સમયોચિત્ત ફકરાઓ જે સૌને કદાચ વિચારવા માટે ઉપયોગી જણાશે. (મૂળ હિન્દી પુસ્તકનું ગુજરાતી ભાષાંતર શ્રી રજનીભાઇ (હરિ ૐ આશ્રમવાળા)એ કરેલું છે.)

સૌ પ્રથમ વાંચીએ ’નમ્ર નિવેદન’ના કેટલાક અંશ, જે મૂળ વિષયને સમજવાની ભૂમિકારૂપ બનશે.
“ગુરુના વિષે મારા વિચારોને ઊંડાણથી ન સમજવાને કારણે કેટલાક લોકો કહી દે છે કે હું ગુરુની નિંદા યા ખંડન કરું છું. એ બિલકુલ ખોટી વાત છે. હું ગુરુની નિંદા નથી કરતો, બલકે પાખંડની નિંદા કરું છું……..ગુરુજનો પ્રત્યે મારા મનમાં ઘણો આદરભાવ છે…પરંતુ જે લોકો ગુરુ બનીને લોકોને ઠગે છે, તેમની પ્રશંસા કેવી રીતે થશે? તેમની તો નિંદા જ થશે.

હાલના સમયમાં સાચા ગુરુ મળવા ઘણું દુર્લભ બની રહ્યું છે. દંભ-પાખંડ દિવસે દિવસે વધતા જ રહ્યા છે. એટલા માટે શાસ્ત્રોએ અગાઉથી જ કળિયુગમાં દંભી-પાખંડી ગુરુઓના અસ્તિત્વની વાત કહી દીધી છે જેથી લોકો ચેતી જાય.

આ પુસ્તકમાં અમે ’ગુરુગીતા’ના કેટલાક શ્લોક પણ પ્રમાણ સ્વરૂપે લીધા છે. પરંતુ ઘણી શોધ કરવા છતાં પણ અમને એ ખબર નથી પડી શકી કે ’ગુરુગીતા’નો આધાર શું છે ? એની રચના કોણે કરી છે ? ગુરુગીતાના અંતમાં તેને ’સ્કંદપુરાણ’માંથી લેવામાં આવી છે એવું બતાવવામાં આવ્યું છે. પણ સ્કંદપુરાણની કોઇ પ્રતમાં અમને ગુરુગીતા મળી નથી. અનેક સ્થાનોથી પ્રકાશિત ગુરુગીતામાં પણ એકબીજા વચ્ચે ફેર માલૂમ પડે છે. જો કોઇ વિદ્વાન આ વિષયમાં જાણતા હોય તો સૂચિત કરવાની કૃપા કરવી”

આમ આપણે જોઇ શકીશું કે હાલમાં જે ગુરુમહાત્મયની વાતો કહેવાય છે તે મોટાભાગે તો ’ગુરુગીતા’ આધારીત છે. અને સ્વયં ગુરુગીતા પ્રશ્નના વર્તુળમાં છે ! ટુંકમાં અસાંદર્ભિક છે તેથી તેને સાવ લોઢામાં લીટો ના જ ગણી શકાય. આગળ સ્વામીજી “ગુરુ” વિષયે જે શાસ્ત્રોક્ત વિશ્લેષણ આપે છે તેનો ટુંકસાર આપણે જાણીશું.

“કોઇ વિષયમાં આપણને જેનાથી જ્ઞાનરૂપી પ્રકાશ મળે, આપણો અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય, તે વિષયમાં તે આપણો ગુરુ છે.”  —  આ એક ગુરુપદની સર્વસામાન્ય વ્યાખ્યા થઇ ગણાય. અહીં ’કોઇ વિષય’ કહેતાં આપણે બધાજ ક્ષેત્ર, જે શિક્ષણનું હોય, વ્યાપાર વિષયક હોય, કલાનું હોય કે અન્ય કોઇપણ, નો સમાવેશ થાય છે. અત્યારના સંદર્ભે આપણે અધ્યાત્મ વિષયના ગુરુ બાબતે પરસ્પર વિવાદી ચર્ચાઓ વધુ ચાલે છે તે જોતા એ ગુરુ વિષયક ચર્ચા જ કરીશું. (પુસ્તક પણ એ વિષયને જ સ્પર્શે છે) “ગુરુ આપણો સંબંધ ભગવાનની સાથે જોડી દે છે, તો ગુરુનું કામ થઈ ગયું. આશય એ છે કે ગુરુનું કામ મનુષ્યને ભગવાન સન્મુખ કરવાનું છે. મનુષ્યને પોતાની સન્મુખ કરવા, પોતાની સાથે સંબંધ જોડવો ગુરુનું કામ નથી. એવી જ રીતે આપણું કામ પણ ભગવાન સાથે સંબંધ જોડવાનું છે. ગુરુની સાથે નહીં. ….ભગવાનની સાથે તો આપણો સંબંધ સદાથી અને સ્વતઃસ્વાભાવિક છે; કેમ કે આપણે ભગવાનના સનાતન અંશ છીએ_ ’મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ’ (ગીતા ૧૫/૭), ’ઈશ્વર અંશ જીવ અબિનાસી’ (માનસ ઉત્તર, ૧૧૭/૧). ગુરુ માત્ર તે ભુલાયેલા સંબંધની યાદ કરાવે છે, કોઇ નવો સંબંધ નથી જોડતા.”

“જેને કોઇની પણ ગરજ નથી હોતી, તે જ ખરેખર ગુરુ હોય છે. ….જે સાચા સંત-મહાત્મા હોય છે, તેમને ગુરુ બનવાનો શોખ નથી હોતો, પરંતુ દુનિયાના ઉદ્ધારનો શોખ હોય છે….જેને ગુરુ બનવાનો શોખ છે, તે જ એવો પ્રચાર કરે છે કે ગુરુ બનાવવા ઘણા જરૂરી છે, ગુરુ વિના મુક્તિ નથી થતી વગેરે વગેરે.”

“ભગવાનને બદલે પોતાની પૂજા કરાવવી પાખંડીઓનું કામ છે. …. આ સિદ્ધાંત છે કે બીજાઓને કમજોર બનાવે છે, તે જાતે કમજોર હોય છે. જે બીજાઓને સમર્થ બનાવે છે તે પોતે સમર્થ હોય છે. જે બીજાઓને ચેલા બનાવે છે, તે સમર્થ નથી હોતો. જે ગુરુ હોય છે તે બીજાને પણ ગુરુ બનાવે છે. ….અર્જુન તો પોતાને ભગવાનનો શિષ્ય માને છે__’શિષ્યસ્તેઙ્હં શાધિ માં ત્વાં પ્રપન્નમ્‌’ (ગીતા ૨/૭), પણ ભગવાન પોતાને ગુરુ ન માનીને મિત્ર જ માને છે__’ભક્તોઙસિ મે સખા ચેતિ’ (ગીતા ૪/૩), ’ઇષ્ટોઙસિ’ (ગીતા ૧૮/૬૪). ઊપનિષદોમાં પણ ભગવાને જીવને મિત્ર ગણાવ્યો છે__’દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનં વૃક્ષં પરિષસ્વજાતે |’ (મુંડક ૩/૧/૧, શ્વેતાશ્વર ૪/૬). અર્થાત, સદા સાથે રહેવાવાળા તથા પરસ્પર મિત્રભાવ રાખવાવાળા બે પક્ષી-જીવાત્મા અને પરમાત્મા એક જ વૃક્ષ – શરીરનો આશ્રય લઈને રહે છે.”

“શાસ્ત્રોમાં ગુરુનો ઘણો મહિમા ગવાયો છે. પરંતુ તે મહિમા સચ્ચાઈનો છે, દંભ-પાખંડનો નથી. આજકાલ દંભ-પાખંડ ખુબ થઈ ગયો છે અને વધતો જઈ રહ્યો છે. કોણ સારો છે અને કોણ ખરાબ__એની જલદી ખબર પડતી નથી. જે બૂરાઈના રૂપમાં આવે છે, તેને દૂર કરવી સહેલી છે. પરંતુ બૂરાઈ ભલાઈના રૂપમાં આવે છે. તેને દૂર કરવી ઘણું કઠણ છે. સીતાજીની સામે રાવણ, રાજા પ્રતાપભાનુની સામે કપટમુનિ અને હનુમાનજીની સામે કાલનેમિ આવ્યો, તો તેઓ તેમને ઓળખી શક્યા નહીં. તેમના ચક્કરમાં આવી ગયા; કેમ કે તેમનો વેશ સાધુઓનો હતો.

શાસ્ત્રોમાં આવેલો ગુરુ-મહિમા યોગ્ય હોવા છતાં પણ હાલમાં પ્રચારને યોગ્ય નથી. કારણ કે આજકાલ દંભી-પાખંડી લોકો ગુરુ-મહિમાના સહારે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે. ….કોઈ ગુરુ જાતે જ ગુરુ-મહિમાની વાતો કહે છે, ગુરુ-મહિમાનાં પુસ્તકોનો પ્રચાર કરે છે, તો એનાથી સિદ્ધ થાય છે કે તેના મનમાં ગુરુ બનવાની ઇચ્છા છે. જેની અંદર ગુરુ બનવાની ઇચ્છા હોય છે, તેનાથી બીજાઓનું ભલું નથી થઈ શકતું. એટલા માટે હું ગુરુનો નિષેધ નથી કરતો, પરંતુ પાખંડનો વિરોધ કરું છું.”

“ગુરુ બનાવવાથી કલ્યાણ નથી થતું, પરંતુ ગુરુની વાત માનવાથી કલ્યાણ થાય છે; કેમ કે ગુરુ શબ્દ હોય છે, શરીર નહીં__
’જો તૂ ચેલા દેહ કો, દેહ ખેહ કી ખાન |
જો તૂ ચેલા સબદ કો, સબદ બ્રહ્મ કર માન ||’
ગુરુ શરીર નથી હોતા અને શરીર ગુરુ નથી હોતું__’ન મર્ત્યબુદ્ધયાસૂયેત’ (શ્રીમદ ભા. ૧૧/૧૭/૨૭). વ્યક્તિમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાને બદલે ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ કરવાથી વધારે લાભ થશે. ….એટલા માટે જે ગુરુ પોતાનામાં વિશ્વાસ કરાવે છે, પોતાની સેવા કરાવે છે, પોતાના નામનો જપ કરાવડાવે છે, પોતાના રૂપનું (ફોટા વગેરે) ધ્યાન કરાવે છે, પોતાની પૂજા કરાવે છે, પોતાનું એંઠું આપે છે, પોતાના ચરણ ધોવડાવે છે, તે પતનની તરફ લઈ જવાવાળું છે. તેનાથી સાવધાન રહેવું જોઈએ.”

“તમે વિચારો, જે લોકોએ ગુરુ બનાવ્યા છે, શું તેમનું બધાનું કલ્યાણ થઈ ગયું ? તેમને તત્વજ્ઞાન થઈ ગયું ? ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ ? જીવન્મુક્તિ થઈ ગઈ ? કોઇને થઈ હોય તો ઘણા આનંદની વાત છે, પણ અમને વિશ્વાસ નથી થતો. ….વિચારો કે ગુરુ બનાવવા માત્રથી વધારે લાભ થાય છે કે સત્સંગ કરવાથી ? ગુરુજી આપણું કલ્યાણ કરી દેશે__એવો ભાવ હોવાથી પોતાના સાધનમાં ઢીલાશ આવી જાય છે. (તાત્પર્ય, કર્તવ્યવિમૂખ થઈ અને ગુરુના સહારે બેસી રહે છે, આ પેલું ગંગામાં સ્નાન કરવાથી પાપ ધોવાઈ જશેની માન્યતાએ પાપ કરવાનું સાહસ વધી જાય તેના જેવું થયું ! વાં.). ….ગુરુ બનાવવાવાળાઓમાં કોઈ ખાસ પરિવર્તન નથી દેખાતું. માત્ર એક વહેમ થઈ જાય છે કે અમે ગુરુ બનાવી લીધા, એના સિવાય બીજું કાંઈ નથી થતું. એટલા માટે ગુરુ બનાવવાથી મુક્તિ થઈ જાય છે__એ નિયમ છે જ નહીં.”

“ગીતાએ પ્રાણીમાત્રના હિતમાં પ્રીતિની વાત કહી છે__’સર્વભૂતહિતે રતાઃ’ (ગીતા ૫/૨૫, ૧૨/૪). સાચા સંતોની દૃષ્ટિ પ્રાણીઓના હિતની તરફ રહે છે, તેમને પોતાના તરફ ખેંચવાની નહીં. તેઓ ન તો કોઈને પોતાનો ચેલો બનાવે છે, ન પોતાની ટોળી બનાવે છે અને ન કોઈ પાસેથી કંઈ લે છે. બલકે બીજાઓનું કલ્યાણ કેવી રીતે થાય__એ તરફ દૃષ્ટિ રાખે છે અને ફક્ત શિષ્યોને માટે જ નહીં, બલકે પ્રાણીમાત્રના કલ્યાણને માટે ભગવાનને પ્રાર્થના કરે છે__
’સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયાઃ |
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્વિદ્‌ દુઃખભાગ્ભવેત્‌ ||’….
સાધુ થવા માત્રથી કલ્યાણ નથી થતું. મેં ખુદ સાધુ થઈને જોયું છે. એટલા માટે પોતાનું કલ્યાણ ચાહવાવાળાઓએ કોઈ મનુષ્યના ચક્કરમાં નહીં આવવું જોઇએ, કોઈને ગુરુ નહિ બનાવવા જોઈએ.” (હાલના અર્થમાં. વાં.)

“વાસ્તવમાં કલ્યાણ, મુક્તિ, તત્વજ્ઞાન, પરમાત્મપ્રાપ્તિ ગુરુને આધીન નથી. જો ગુરુ બનાવ્યા વિના તત્વજ્ઞાન નથી થતું તો સૃષ્ટિમાં જે સૌથી પહેલો ગુરુ થયો હશે તેને તત્વજ્ઞાન કેવી રીતે થયું ? જો કોઈ મનુષ્યને ગુરુ બનાવ્યા વિના તેને તત્વજ્ઞાન થઈ ગયું તો એનાથી સિદ્ધ થયું કે કોઈ મનુષ્યને ગુરુ વિના પણ જગદ્‌ગુરુ ભગવાનની કૃપાથી તત્વજ્ઞાન થઈ શકે છે. પણ આજકાલ તો એવી પ્રથા ચાલી છે કે પહેલાં ચેલા બનો, ગુરુમંત્ર લો, પછી ઉપદેશ દઈશું. ….સૌથી શ્રેષ્ઠ સંત તેઓ હોય છે, જેમનામાં મતભેદ નથી હોતો એટલે કે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત વગેરે કોઇ એક મતનો આગ્રહ નથી હોતો. એટલા માટે સાધકને માટે સૌથી ઉત્તમ વાત એ જ છે કે તે સાચા દિલથી ભગવાનમાં લાગી જાય. કોઈ વ્યક્તિને ન પકડીને પરમાત્માને પકડો. વ્યક્તિમાં પૂર્ણતા નથી હોતી. પૂર્ણતા પરમાત્મામાં હોય છે.
’તેષાં સતતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકમ્‌ |
દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે ||
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |
નાશ્યામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||’ (ગીતા ૧૦/૧૦,૧૧)”

અને અહીં હવે સ્વામીજી એક ગુરુની ઓળખ આપે છે જે આપણે ગત લેખમાં (મારા પ્રતિભાવો પર) ટુંકમાં જોઈ ગયા છીએ. પ્રશ્ન એ છે કે મનુષ્યનો જન્મજાત ગુરુ કોણ ? જવાબ છે; “વિવેક”. આ સંદર્ભમાં વાંચો થોડું વધુ.
“એક માર્મિક વાત છે કે જગદ્‌ગુરુ ભગવાન પોતાની પ્રાપ્તિને માટે મનુષ્ય-શરીર આપે છે તો સાથે વિવેકરૂપી ગુરુ પણ આપે છે. ભગવાન અધૂરું કામ નથી કરતા. ….તેઓ મનુષ્યને વિવેક-રૂપી ગુરુ આપે છે, જેનાથી તે સત્‌ અને અસત્‌, કર્તવ્ય અને અકર્તવ્ય, યોગ્ય અને અયોગ્ય વગેરેને જાણી શકે છે. આ વિવેકથી ચડિયાતો કોઈ ગુરુ નથી. જે પોતાના વિવેકનો આદર કરે છે, તેને પોતાના કલ્યાણ માટે બહારના ગુરુની જરૂરત નથી પડતી. જે પોતાના વિવેકનો આદર નથી કરતો, તે બહારના ગુરુ બનાવીને પણ પોતાનું કલ્યાણ નથી કરી શકતો.

મનુષ્ય વિવેકને જેટલું-જેટલું મહત્વ આપે છે, તેને કામમાં લાવે છે, તેટલો-તેટલો તેનો વિવેક વધતો જાય છે અને વધતાં-વધતાં એ જ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. વિવેકનો આદર ગુરુ બનાવવાથી નથી થતો, બલકે સત્સંગથી થાય છે__’બિનુ સતસંગ બિબેક ન હોઈ’ (માનસ, બાલ ૩/૪). ….તેથી જ્યાં સારો સત્સંગ મળે, પોતાના ઉદ્ધારની વાત મળે, ત્યાં સત્સંગ કરવો જોઈએ, પણ બને ત્યાં સુધી, ગુરુ-શિષ્યનો સંબંધ નહિ જોડવો જોઈએ. ….ગુરુ એવા બનાવવા જોઈએ કે ગુરુને ખબર જ ન પડે કે કોઈ મારો ચેલો છે !”

અહીં આપણે આગળ પણ જોઈ ગયા તે “વિવેક”ની ભ.ગો.મં.ના આધારે લીધેલી વ્યાખ્યા પૂનઃ જોઈ જઈએ;
* વિવેક : ખરું ખોટું જાણવાની શક્તિ; સારાસાર સમજવાની બુદ્ધિ; સદસદ્ વિચાર; સમજશક્તિ; બુદ્ધિતારતમ્ય. ચાતુર્ય; ડહાપણ. બોધ; જ્ઞાન. (ભ.ગો.મં.)

સંપૂર્ણ પુસ્તકના ભાવાર્થરૂપે કહીએ તો, મનુષ્યના કલ્યાણની પ્રાપ્તિનું કારણ તેની પોતાની “લગની” જ છે. સ્વામીજી અહીં આ વિષયે જે સમજાવવા માંગે છે તેને ટુંકમાં જોઈ જઈએ તો;
“ગીતામાં સ્પષ્ટ કહ્યું છે__
ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનમવસાદયેત્‌ |
આત્મૈવ હ્યાત્મનો બન્ધુરાત્મૈવ રિપુરાત્મનઃ || (ગીતા ૬/૫)
’પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો, પોતાનું પતન ન કરવું; કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે.’
તાત્પર્ય છે કે પોતાના ઉદ્ધાર અને પતનમાં મનુષ્ય પોતે જ કારણ છે, બીજું કોઈ નથી. ….એટલા માટે પોતાના કલ્યાણને માટે બીજાની જરૂરત નથી. ….ખરેખર તો મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે__’આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ’ (શ્રીમદ્‌ભા ૧૧/૭/૨૦). એટલા માટે ઉપદેશ પોતાને જ દેવો. બીજામાં કમી ન જોઈને પોતાનામાં જ કમી જોવી અને તેને દૂર કરવા ચેષ્ટા કરવી. તે પોતે જ પોતાનો ગુરુ બને, પોતે જ પોતાનો નેતા બને અને પોતે જ પોતાનો શાસક બને. તાત્પર્ય થયું કે વાસ્તવમાં કલ્યાણ ન ગુરુથી થાય છે અને ન ઈશ્વરથી થાય છે, બલકે આપણી સાચી લગનીથી થાય છે. પોતાની લગનીના વિના ભગવાન પણ કલ્યાણ નથી કરી શકતા. જો કરી દેતા તો આપણે આજ સુધી કલ્યાણથી વંચિત કેમ રહેત ? ….આમ કલ્યાણની પ્રાપ્તિ ન ગુરુને આધીન છે, ન સંત-મહાત્માઓને આધીન છે અને ન ભગવાનને આધીન છે. એ તો પોતાને જ આધીન છે. ….મા ગમે તેટલી દયાળુ કેમ ન હોય, પણ તમારી ભૂખ નહિ હોય તો તે ભોજન કેવી રીતે કરાવશે ? એવી જ રીતે તમારામાં તમારા કલ્યાણની ઉત્કંઠા ન હોય તો ભગવાન પરમ દયાળુ હોવા છતાં પણ શું કરશે ?”

આ ઉપરાંત પુસ્તકના અંતે થોડી વિષયોચિત પ્રશ્નોત્તરી છે જેમાં પણ સરવાળે ઉપર પ્રમાણેનો ભાવાર્થ મળે છે. સમગ્ર વિચાર સાથે સહમત થવું, ન થવું એ આપના વિવેક પર આધારિત છે પરંતુ “ગુરુ” વિષયે મનોમંથનમાં આ એક વિચાર પણ ઉપયોગી જરૂર લાગશે એ આશયે અહીં થોડું લખ્યું છે. વધુ જીજ્ઞાસા જાગે તો પુસ્તક મેળવી અને વાંચવા જેવું છે. આભાર.

** ઓનલાઈન પુસ્તક મંગાવવા માટેની કડી 

** અહીં આ સંપૂર્ણ પુસ્તક વાંચી શકો છો

પ્રેમનો રંગ, રાધાને સંગ – ગીતગોવિંદમ્‌ (૩)

Image from giirvaani.net

મિત્રો, નમસ્કાર.
આગળ આપણે બે ભાગમાં (૧) (૨), ગીતગોવિંદનાં ચાર સર્ગનો ટુંક અભ્યાસ કર્યો અને માહિતી મેળવી. અહીં પંચમ સર્ગથી શરૂઆત કરીશું. આ પંચમ સર્ગમાં શ્રી રાધાજી અને તેમની સખી વચ્ચેનો સંવાદ છે.

अहमिह निवसामि याहि राधाम् अनुनय मद्वचनेन चानयेथाः।
इति मधुरिपुणा सखी नियुक्‌ता स्वयमिदमेत्य पुनर्जगाद राधाम्॥ ५-१

સખી પાસેથી રાધાજીનાં વિરહનું વર્ણન સાંભળી કૃષ્ણ સખીને કહે છે કે, હું અહીં રહું છું, તમે રાધા પાસે જઇ મારા વતી અનુનય વિનય કરી રાધાને મનાવી અહીં લાવો. રાધાજી નહીં આવે ત્યાં સુધી હું અહીં જ રહીશ. આ પ્રકારે મધુરિપુ કૃષ્ણ દ્વારા નિયુક્ત સખી રાધાજી પાસે આવી અને આ પ્રકારે કહેવા લાગી.
અહીં, આ સર્ગમાં શ્રી કૃષ્ણના હૃદયમાં રાધાજીને મળવાની આકાંક્ષા ઉત્પન્ન થઇ છે તેથી આ સર્ગને ’સકાંક્ષ-પુન્ડરીકાક્ષ નામ અપાયું છે. પુન્ડરીકાક્ષનો અર્થ લાલ કમલ સમાન નેત્રો વાળા કૃષ્ણ તેવો થાય છે. અહીંથી હવે દશમું ગીત પ્રારંભ થશે.

वहति मलयसमीरे मदनमुपनिधाय ।
स्फुटति कुसुमनिकरे विरहिहृदयदलनाय।
तव विरहे वनमाली सखि सीदति॥ अ प १०-१

હે સખી, રાધા, જુઓ આ વિરહીજનોને મર્મપીડક કે મદનરસમાં તરબોળ કરતો એવો મલયાનિલ (મલય પર્વત પરથી વાતો પવન) વાઇ રહ્યો છે,પુષ્પસમુહો ખીલી રહ્યા છે. આવા (વસંત) સમયમાં કૃષ્ણ (વનમાળી:વનફૂલોની માળા ધારણ કરેલા) તારા વિરહમાં અવસાદગ્રસ્ત, સંતપ્ત, દુઃખી થઇ રહ્યા છે. આગળના શ્લોકોમાં પણ કૃષ્ણના વિરહનું સખી દ્વારા તાદ્દશ વર્ણન કરાયું છે. હું અહીં બધા જ કવિઓ (અને કવિયત્રીઓ પણ !)ની ખરેખર ઈર્ષા કરીશ ! કારણ આ સુંદર શ્લોકોનું, તેના સુંદર શબ્દાલંકારોનું, ઉત્તમ ગુજરાતી ભાષાંતર કરવા માટેના સમભાવી શબ્દો કોઇ કવિને જ સુઝે. હું તો માત્ર ઉપરછલ્લો ભાવ, ગદ્યમાં, આપને આપવાનો પ્રયત્ન કરૂં છું. તેમાં આ શ્લોકનું માધુર્ય અનૂભવાવું મુશ્કેલ છે. હા, અર્થ સમજાશે ખરો. આગળ ચાલીએ.

दहति शिशिरमयूखे मरणमनुकरोति।
पतति मदनविशिखे विलपति विकलतरोऽति॥ अ प १०-२

શિશિરનાં ચંદ્રમાંના શીતળકિરણોથી બળતાં જાણે મરણાસન્ન કે મૂર્છીત થઇ રહ્યા છે અને વૃક્ષો પરથી ખરતા પુષ્પો જાણે કામબાણ હોય તેમ તેના હૃદયને વિંધી રહ્યા છે. આમ અતિ વિકલ, આકુળવ્યાકુળ, થઇ અને વિલાપ કરી રહ્યા છે. વિરહીનું કેવું અદ્‌ભુત ચિત્રણ કરાયું છે. ચંદ્રની શીતળ ચાંદની એને બાળી શકે છે અને પુષ્પો પણ તેને વિંધી શકે છે.

આગળ પણ સખી દ્વારા કૃષ્ણનાં વિરહનું (યાદ રહે આ વર્ણન રાધાસખી રાધા પાસે કરે છે) વર્ણન છે. જેમાં તે ભમરાઓનો ગુંજારવ સાંભળી પોતાના કાનોને હાથથી ઢાંકી લે છે, મનોહર શયનગૃહ ત્યાગી વનમાં નિવાસ અને ભૂમિશયન કરે છે, કોયલના મધુરા ટહુકા સાંભળી વિહવળ થઇ ઉઠે છે, વગેરે (આપણે અગાઉ રાધાની પણ વિરહમાં આ સ્થિતિ જોઇ છે). અમુકના કહેવા મુજબ આ દશમ ગીત માત્ર પાંચ પદોનું જ છે. ટીકાકારો કહે છે કે સખીને મુખે કૃષ્ણના વિરહનું આટલું વર્ણનમાત્ર સાંભળતા જ રાધાજીને મૂર્છા આવવા લાગી, આથી સખી અહીં રોકાઇ જાય છે. વિરહનું વર્ણન પડતું મુકી અને રાધાને રાજી કરવાના પ્રયત્નો કરવા લાગે છે.

पूर्वम् यत्र समम् त्वया रतिपतेरासादितः सिद्धयः
तस्मिन्नेव निकुङ्जमन्मथमहातीर्थे पुनर्माधवः।
ध्यायंस्त्वामनिशम् जपन्नपि तवैवालापमंत्रावलीम्
भूयस्त्वत्कुचकुंभनिर्भरपरीरंभामृतम् वाङ्छति॥ ५-२

સખી કહે છે, હે રાધે ! માધવે પ્રથમ નિકુંજરૂપી મહાતીર્થમાં તારી સાથે આલિંગન, રતિક્રિડા આદી સુખ પ્રાપ્ત કર્યું હતું. (જે આગળ રાધાએ જ સખીને વર્ણવ્યું હતું તે આપણે વાંચી ગયા છીએ) એ જ મહાતીર્થમાં તે સદૈવ તારું ધ્યાન કરે છે, તારી સાથે થયેલા વાર્તાલાપરૂપી મંત્રોનો જાપ કરે છે, અને તારા કુચકુંભોના ગાઢ આલિંગનરૂપી અમૃતમોક્ષની પુનઃ-પુનઃ અભિલાષા કરે છે.

અને અહીં ૧૧મું ગીત પ્રસ્તુત થાય છે, જેમાં સખી રાધાને કૃષ્ણ પાસે અભિસરણ કરવા, હવે વિલંબ ન કરવા સમજાવે છે.

रतिसुखसारे गतमभिसारे मदनमनोहरवेशम् ।
न कुरु नितम्बिनि गमनविलंबनमनुसर तम् हृदयेशम् ।
गोपी पीनपयोधरमर्दनचंचलकरयुगशाली ।
धीर समीरे यमुना तीरे वसति वने वनमाली – धृवम्॥ अ प ११-१

જ્યાં ધીરો ધીરો મલય સમીર (પવન) વહે છે તેવા યમુના તીરે નિકુંજવનમાં વિરાજમાન, ગોપીઓના પયોધરમંડલને નિપીડિત (મર્દન) કરવા માટે સદા ચંચલ એવા કર યુગલ (હસ્ત)થી સુશોભિત વનમાલી (કૃષ્ણ) તારી રાહ જુએ છે. હે પ્રશસ્ત નિતંબોવાળી, રતિસુખના સારભૂત સંકેતસ્થાનમાં, કામદેવ સમાન મનોહર વેશ ધારણ કરેલા તારા હૃદયવલ્લભ પાસે અભિસરણ કરવામાં હવે વિલંબ ન કર.

नामसमेतम्कृतसंकेतम्वादयतेमृदुवेणुम् ।
बहुमनुतेननुतेतनुसंगतपवनचलितमपिरेणुम्॥ अ प ११-२

આગળ કહે છે કે, હે સખી ! તને મારો વિશ્વાસ ન આવતો હોય તો તેમના દ્વારા થતા આ વેણુનાદ (બંસરીવાદન)ને ધ્યાન દઇ સાંભળ, તેમાં પણ રાધા-રાધા નામનો જ નાદ સંભળાશે. તે તને સ્પર્શ કરી અને આ વાયુ સાથે વહેતા સુક્ષ્મ રજકણોના પોતાને થતા સ્પર્શથી સ્વયંને ભાગ્યશાળી માની, તેને બહુમુલ્યવાન રત્નકણો સમજી તેનો પણ આદર કરે છે.

અહીં આ ગીતના અન્ય શ્લોકોમાં કહે છે કે, પક્ષીઓના બેસવાથી થતા પર્ણના ખડખડાટને પણ જાણે તારા આગમનનો સંકેત સમજી તારા આવવાના માર્ગની દિશામાં જોવા લાગે છે. વગેરે વગેરે. પછી સખી કહે છે,

मुखरमधीरम् त्यज मन्जीरम् रिपुमिव केलिषुलोलम् ।
चल सखि कुन्जम् सतिमिरपुंजम् शीलय नीलनिचोलम्॥ अ प ११-४

તારા આ શત્રુસમાન નૂપુર (ઝાંઝર) કાઢી નાખ, કારણ, એ ચાલતી વખતે અને રતિસુખમાં પણ અતિ ચંચલ બની રણકાર કરશે. કુંજના અંધકારમાં ભળી જાય તેવા નીલવસ્ત્ર ધારણ કરી લે જેથી તારો ગૌરવર્ણ એ તિમિર સાથે ભળી જાય અને ચાલ સખી કુંજ તરફ જઇએ!

જો આપે નરસિંહ મહેતાની ’ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’ માં

’પહેર શણગાર ને હાર ગજગામિની, ક્યારની કહું છું જે ચાલી ઊઠી,
રસિક મુખ ચુંબિએ, વળગિયે ઝુંબીએ, આજ તો લાજની દુહાઇ છુટી.
  ચાલ રમીયે સહી, મેલ મથવું મહિ’  (વિકિસ્ત્રોત:અહીં ચાલ રમીયે સખી હોવું જોઇએ ?)

કે ’ચાલને સખી જોવા જઈએ રે’ રચના સાંભળી હોય તો અહીંના चल सखि નો ભાવ અને એ પદના ભાવની સમાનતા ધ્યાને ચઢશે. ’મોંહે શ્યામ રંગ દઇ દે, મોરા ગોરા રંગ લઇ લે’ કે ’ચલ રી સજની અબ ક્યા સોચે’ જેવા ગીતનો ભાવ પણ અહીંથી નિકળતો લાગશે. અહીં જેટલું ઘુંટશો તેટલો ગાઢ અર્થ પ્રાપ્ત થશે. કેટલાયે જ્ઞાનીઓએ આના અદ્‌ભૂત આધ્યાત્મિક અર્થ કરેલા છે. આ બધું એકસાથે સમજાવવું તે મારી અને આ લેખની ક્ષમતા બહારનું હોય, ક્ષમાયાચના.    

ઘડીક થોડા આડા ફંટાયે ! તો, વિદ્વાનોને લાગે છે કે દરેક પ્રસંગે નાયક-નાયિકા કરતાં સખી (અને મિત્રો)ને વધુ ઉતાવળ હોય છે, પાટે ચઢાવવાની !! જુઓ, જાનપ્રયાણ ટાણે વરરાજા કરતાં જાનૈયાઓ (અને જાનડીઓ) વધુ ઉતાવળા થતા જણાશે ! જો કે આ બધાને પોતપોતાના, અલગ અલગ, સ્વાર્થ હોવા સંભવ છે. જાનડીઓને તાલાવેલી જલ્દી કન્યાનું દર્શન કરવાની હોય શકે, અને દર્શન થયા પછી, કન્યા તો શું કન્યાની માતા પણ ન જાણતી હોય તેવા ખોંચાઓ કન્યામાં શોધવાની ખણસ સંતોષવાની પણ હોય શકે ! જાનૈયાઓ (ખાસ તો પરણેલા !) વરરાજામાં બુદ્ધિનો પાદુર્ભાવ થાય તે પહેલાં તેને નંદવી નાંખી પોતાની જમાતમાં ભેળવી દેવા થનગનતા હોય તેમ બને ! અને મારા જેવા કેટલાક ભોજનવીરોને વળી મોડા પડીશું તો માલ માલ માનૈયાઓ જમી જશે અને જાનૈયાઓના ભાગે વધશે શું ? એવી ચિંતા !! પણ હોઇ શકે. જે હોય તે, આપણે ફરી આપણો માર્ગ પકડીએ !

ત્યાર પછીના શ્લોકોમાં પણ સખી, રાધાજી કૃષ્ણ પાસેથી કેવું કેવું સુખ પામશે તેનું શૃંગારીક, મનોરમ્ય ચિત્રણ કરે છે. એક જગ્યાએ ઘણી જ કામની (ઉપયોગી ભ‘ઇ !!) વાત કહી છે. શબ્દ વાપરે છે, हरिरभिमानी,

हरिरभिमानीरजनिरिदानीमियमपियातिविरामम् ।
कुरुममवचनम्सत्वररचनम्पूरयमधुरिपुकामम्॥ अ प ११-७

અહીં સખી કહે છે, હરિ (કૃષ્ણ) અભિમાની થઇ રહ્યા છે અને રાત્રી વિતવા પર છે. માટે મારી વાતનો સ્વિકાર કરી, વધુ વિલંબ ન કરતા, જલ્દી ચાલ અને મધુરિપુ (કૃષ્ણ)ની કામના પૂર્ણ કર. અહીં કદાચ હવે તો રતિશાસ્ત્રીઓ પણ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે એ વાત, પુરુષને પહેલ કરવી ગમતી નથી, નું જ્ઞાન છે. પુરુષને કદાચ તેનો સ્વભાવગત અહંકાર આડો આવે છે. જ્ઞાનીઓ પણ કહે છે કે સ્ત્રી પહેલ કરે તે પુરુષ માટે અત્યંત આનંદની ક્ષણ હોય છે. કાશ ! અમુક નાસમજ સ્ત્રીઓ આ વાત સમજી શકે તો ઘણા સંસાર સાવ સામાન્ય વાતે વિખરાતા જ બચી જાય !! (આ સેક્‌સ ઍજ્યુકેશનની કથા તો હજુ ચાલે છે, આપને નથી લાગતું આઠસો વર્ષ પહેલાં આ અદ્‌ભૂત જ્ઞાન આપવાની કેવી સુંદર યોજના હતી ! પણ આપણે જ બધું વિસારી ચૂક્યા તેમાં દોષ કોને આપવો ?) અને પુરુષોનો આ સ્વભાવગત અહંકાર પાછો કંઇ પોલાદી નથી, સાવ માખણ જેવો હોય છે ! જરા અમથી જ્યોતની ગરમી પામ્યો નથી કે ઓગળ્યો નથી. પછી તો શમા-પરવાનાના ન્યાયે તેમાં પડીને સમજો પોતાનું અસ્તિત્વ પણ નષ્ટ કરી દેવા તૈયાર હોય છે. ગની દહીંવાલા નામક શાયરે બહુ સરસ વર્ણન કર્યું છે આ અભિમાનના ઓગળવાનું;
“પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ, કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકી ગયો છું”
પણ પાંપણ તો ઢળે !! અહીં તો સામા લીંબુની ફાડ્ય જેવા ડોળા કાઢે છે :-)

આમ આ ગીત અને તે પછીના કેટલાક શ્લોકમાં સખી રાધાને સમજાવવાનો જે પ્રયાસ કરે છે તેનું વર્ણન છે. અંતે પણ રાધાજી, કદાચ વિરહવેદનાજનિત ક્ષીણતાને કારણે, અભિસાર કરવામાં અસમર્થતા દર્શાવે છે અને સખી ફરી કૃષ્ણ પાસે જાય છે. અહીં આ પંચમસર્ગ સમાપ્ત થાય છે.

અહીં સૌથી વધુ મહેનત તો આ “સખી”ની દેખાય આવે છે, સખીની જેમજ કેટલાક મિત્રો પણ “ચાલ સખી…ચાલ સખી” (એટલે કે આ લેખમાળા આગળ વધારો !)નાં અધિર પોકારો કરે છે !! અરે ભાઇ ! આ જ તો કવિની કલાનું પ્રદર્શન છે ! મેં પ્રથમ વખત ગીતગોવિંદ વાંચેલું ત્યારે આ પંચમસર્ગથી લઇ અને બારમાં સર્ગ સુધી એક જ બેઠકે વાંચી ગયેલો ! હવે શું થશે ? રાધા-કૃષ્ણનું મિલન થશે કે નહીં થાય ? આ ઉત્કંઠાએ મારું એક ટંકનું ભોજન પણ છંડાવી દીધેલું !! એક ટીકાકારે લખ્યું છે કે આ “સખી” એ જીવ અને શિવનાં મિલનને માટે નિઃસ્વાર્થભાવે મથતા ગુરુનું પ્રતિક છે. શૈવત્વ સ્વાભિમાની છે અને જીવત્વ મિલનને આતુર હોવા છતાં અજ્ઞાનરૂપી ક્ષીણતાવશ અભિસરણ કરવા અસમર્થ હોય ’સખી’એ આ કષ્ટ ઉઠાવવું સ્વિકાર્યું છે. મારે પણ મિત્રો ’ચાલ સખી…ચાલ સખી’ કરી ધક્કાવે છે અને મને આવું બધું વિચારવા પ્રેરે છે તે ગુરુસમાન જ થયા ને !! આભાર.