Tag Archives: શિક્ષણ

મારા પ્રતિભાવો – કોણ વધુ હોશિયાર: છોકરાઓ કે છોકરીઓ ? (via હિરેન બારભાયાની ડાયરી)

જો તમે હમણા છેલ્લા ચાર-પાંચ વર્ષના (દરેક ધોરણ/શાખાના) પરિણામ ધ્યાનથી જોશો, તો તમને સમજાશે…… વધુ વાંચો

મારો પ્રતિભાવ:

હીરેનભાઇ, સવાલ વિચારવા યોગ્ય છે. મેં થોડું વિચાર્યું તે નમ્રતાપૂર્વક અહીં રજુ કરીશ.
* છોકરીઓમાં સ્વભાવગત રીતે જ ચોક્કસાઇથી કાર્ય કરવાનું વલણ હોય છે. (પછી તે ઘરકામ હોય કે અભ્યાસ)
* કિશોરાવસ્થામાં (ટિનએજમાં) છોકરાઓનું ધ્યાન મોજશોખ કે રમતગમત કે રખડપટ્ટી તરફ વધુ ખેંચાય છે, જ્યારે છોકરીઓ કુદરતી શરમાળપણું કે ઘર-સમાજનાં અમુક બંધનોને કારણે વાંચન-અભ્યાસ તરફ વધુ સમય ફાળવે છે.
* એક એવું પણ અંગત તારણ મળ્યું છે કે, મા-બાપ છોકરાઓને, તેના ભવિષ્યની ચિંતાને કારણે, અભ્યાસમાં અવ્વલ આવવા માટે વધુ દબાણ કરે છે. અને આ દબાણથી ચિંતીત થઇ ઉલ્ટું છોકરાઓ અભ્યાસ બગાડે છે.
* એક કારણ એ પણ જણાયું છે કે હવે છોકરી સારૂં ભણેલ હશે તો સારો વર અને ઘર મળશે, આથી છોકરીઓના અભ્યાસને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે.
* અને અંતે, સમાજ હવે છોકરીઓ પ્રત્યે, તેમના અભ્યાસ અને કારકિર્દિ પ્રત્યે વધુ ધ્યાન આપતો થયો છે, જેનાથી દિકરીઓ માટે અભ્યાસની તકો અને સંસાધનો વધ્યા છે.
હજુ અન્ય કારણો પણ હશે જ. મારા ધ્યાને આટલા છે. આભાર.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

મોંઘેરા મહેમાન – જુગલકીશોરભાઈ (NET-ગુર્જરી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
ગત તા: ૨૫ ડિસેમ્બરના રોજ મને નેટ જગતના આપણ સૌ મિત્રોના વડીલ અને માર્ગદર્શક, જ્યાંથી આપણને ખાસ કરીને ભાષા, લેખન, વ્યાકરણ જેવા વિવિધ વિષયો પર બહુમૂલ્ય માર્ગદર્શન મળે છે એ, NET-ગુર્જરીના શ્રી.જુગલકીશોરભાઈને રૂબરૂ મળવાનો અવસર પ્રાપ્ત થયો.

શનિવારે સવારે મેઇલબોક્ષ ખોલ્યું ત્યાં શ્રી.દીપકભાઈ (મારી બારી)નો સુસમાચાર આપતો મેઇલ મળ્યો કે જુ.ભાઈ જૂનાગઢ પધારે છે, સાથે જુ.ભાઈનો ફોનનંબર મોકલવાની કૃપા પણ તેઓએ કરી. અને અમને તો વળી મહેમાન આવે છે તેટલું સાંભળતા જાણે ગોળનું ગાડું મળ્યું ! તુરંત શ્રી.જુ.ભાઈનો સંપર્ક કર્યો. તેઓશ્રી નજીકના ગામ વાડલા ખાતે તેમના સ્નેહીજનને ત્યાં અંગત મુલાકાત અર્થે આવ્યા હતાં, વ્યસ્તતા છતાં બ્લોગજગતના પ્રેમબંધનને કારણે સહર્ષ ત્યાં જ મળવા આવવા આમંત્રણ પાઠવ્યું. અને અમે રવિવારે સવારે મળવાનું ગોઠવ્યું.

વાડલા એટલે આમ તો જૂનાગઢનું પાદર જ સમજોને. સવારની ફૂલગુલાબી ઠંડીમાં હું અને મારા મિત્ર જેઠાભાઈ હરખભેર ત્યાં પહોંચી ગયા. આ અમારા જેઠાભાઈ પણ વાંચનના શોખીન ખરા, વધારે પડતું તો ધાર્મિક વાંચન જ તેઓને ફાવે ! પરંતુ અમારે ત્યાં ભરાતા રોજીંદા ડાયરામાં આપણ સૌ બ્લોગમિત્રોની ચર્ચા પણ થતી હોય, ઘણી રચનાઓ ત્યાં સૌ સાથે વંચાતી હોય અને તે પર ટિપ્પણીઓ પણ થતી હોય, તેથી લગભગ સૌ મિત્રોને નામથી ઓળખે ખરા. અને તેથી જ રૂબરૂ મળવાનો યોગ સાંપડે તો તેમને પણ મારા જેટલો જ હરખ થાય. તો આમ અમને જુ.ભાઈને મળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું.

ત્યાં સરસ મજાનું ગ્રામ્ય વાતાવરણ, કાઠિયાવાડીમાં કહીએ તો વીઘાએકનું ફળિયું અને પોતાના મહેમાનનાં મહેમાનનું પણ ઉષ્માભેર સ્વાગત કરતાં અમારા યજમાન. એય…ને એ ફૂલગુલાબી ઠંડી, ફળિયામાં આવતા કુણાકુણા તડકાની અને એથીએ વધુ જુ.ભાઈની પ્રેમાળ હૂંફ. હવે હું કંઈ માનસશાસ્ત્રનો મોટો અનુભવી તો નથી જ પરંતુ હ્રદયના ભાવોને આધારે કહું તો શ્રી.જુ.ભાઈનું જેવું માનસચિત્ર મેં દોરેલું તેવા જ મને તો દેખાયા ! (ઠંડીની અસરમાં હું ખોટો ઠર્યો ! મેં તો સ્વેટર, ટોપી ચઢાવેલા !) એક પ્રેમાળ અને હૂંફાળા વડીલ, જેમની સાથે તમને દિલ ખોલીને વાત કરવાનું મન થાય. વિદ્વતા અને સરળતાનો સુમેળ સ્પષ્ટ જણાઈ આવે જે આપોઆપ પોતીકાપણું જગાવે. તેઓએ તેમના કુટુંબનો, સ્વજનોનો પરિચય કરાવ્યો, તેમના સ્વજનોએ પણ  ઉષ્માભેર મારું સ્વાગત કર્યું. અભ્યાસ વિષયે થોડી વાત કરી. સાહિત્ય પ્રત્યેના પ્રેમ અને તે કારણે કૃષિ વિષયક અભ્યાસ બાદ, કંઈક ઠરીઠામ થયા પછી, સાહિત્ય વિષયક અભ્યાસમાં ફરીથી જોડાયાની યાદ તાજી કરી. હું તો તેઓનાં શિક્ષકગણ અને કેટલાક વિદ્યાર્થીઓ સાથેના તેમના સંસ્મરણોની વાત સાંભળીને રહી ન શક્યો તેથી કહી જ નાંખ્યું કે, ’સાહેબ, આપ ખરે જ સદ્‌ભાગી છો કે આજે જેમના નામમાત્ર સાંભળી અમ જેવાંઓ ધન્યતા અનુભવે તેવા વિદ્વાન સજ્જનો સાથે રહેવાનો આપને અવસર પ્રાપ્ત થયો છે.’  તેઓએ પણ રસપૂર્વક અમારા અભ્યાસ (જેમાં ખરેખર કંઈ કહેવા જેવું નથી !) તથા રસના વિષયો વગેરે વિષયે પૃચ્છા કરી અને અમારો ઉત્સાહ પણ વધાર્યો. સહિયારા સ્નેહીજન જેવા બ્લોગમિત્રોને પણ યાદ કર્યા.

ખાસ તો તેઓને અમારાંમાં આ વાંચનશોખ કેમ પ્રગટ્યો તે જાણવામાં રસ પડ્યો ! જો કે તેઓએ અમને એક સારા  વાચક હોવાનું પ્રમાણપત્ર તો આપ્યું જ એમ કહી શકાય ! તો સ્વયં મને પણ જાણ નથી કે હું વાંચનનો શોખીન કેમ છું પરંતુ મેં તેઓને મારા મોટાબાપુ (બાપુજીના મોટાભાઈ) વિશે વાત કરી કે, તેઓ (અત્યારે તો એંશી વર્ષ આસપાસની આયુના છે) એમના જમાનાની ગુજરાતી ત્રણ ચોપડી ભણેલા છે. ગામડે અને તેમાંએ વાડીએ રહે પરંતુ હું સમજણો થયો ત્યારથી જોતો આવું છું કે અનહદ વાંચનશોખ રાખીને બેઠાં છે. એ જમાનામાં તો ગામમાં એક-બે મહાજનના ઘેર અખબાર માંડ આવતું (એ પણ મોટાભાગે તો આગલાં દિવસનું વાસી હોય !) ત્યાં અમારે તો અખબાર પણ ક્યાંથી હોય ? છતાં કરિયાણાની દૂકાનેથી, કે કોઈ પોરબંદરથી હટાણું કરીને આવે તેમાં, જે કંઈ પડીકા બંધાઈને આવે તેના કાગળોને, કરચલી ભાંગી, સમાનમાં કરી અને વ્યવસ્થિત રીતે ઢાળિયાની છતની વળીઓમાં ભરાવી રાખે. ખેતીના કામમાંથી જેવા નવરાં થાય એટલે તુરંત તે બધા કાગળ કાઢી અને વાંચવા બેસી પડે ! ગુજરાતી વાંચતા આવડે, જો કે સમજાય બહુ જ ઓછું ! પણ પોતે વાંચે છે તેવો આત્મસંતોષ અનુભવાતો અમે નજરે જોયો છે. કંઈક મોટો થયા પછી તો હું જાઉં ત્યારે નાની નાની પુસ્તિકાઓ, એકાદ બે  મેગેઝિન્સ, અખબાર વગેરે લઈને જ જાઉં. પાદરની દુકાનોમાં પણ હવે તો રોજેરોજના અખબાર આવે, તે દરરોજ સાંજે ત્યાં પહોંચે અને વાંચી કાઢે ! સાંપ્રત ઘટનાઓથી પણ માહિતગાર રહેવાય, બે નવી વાતો જાણવા મળે, હજુ વધુ જાણવા-સમજવાની ઇચ્છા બળવત્તર રહે અને ગામની પંચાતથી દૂર રહેવાય તેને આ વાંચનશોખનો સૌથી મોટો લાભ ગણે !! હું તો જ્યારે વાડીએ જાઉં ત્યારે અમારો બાપા-દીકરાનો એક દિવસ તો સાંપ્રત ઘટનાઓ પરની ચર્ચામાં જ પસાર થાય, (બાકીના સગાંઓએ એક દિવસ રાહ જોવાની !!) તેમને ગદાફીના પતન કે લોકપાલ ખરડો અને અણ્ણા હજારેથી લઈ ઐશ્વર્યાને ત્યાં દીકરી જન્મી સુધીના બધાંજ સમાચારમાં અને અમારે દરીયાકાંઠે સ્થપાતી પવનચક્કી કઈ રીતે પાવર ઉત્પન્ન કરે છે એ બધું જાણવામાં ગજબનો રસ પડતો હોય છે.

આ વાત સાંભળીને જુ.ભાઈએ આનંદ પ્રગટ કર્યો અને મને પ્રમાણપત્ર આપ્યું કે વાંચન તારામાં વારસાગત આવ્યું તેમ ગણાય ! (અને મને પણ લાગે છે કે મોટાબાપુએ આમ વાળીચોળીને ભેગું કરેલું કે હાથ ચઢ્યું તે વાંચવામાં જ જીંદગી કાઢી હોય, તેમાં પસંદ-નાપસંદ જેવું તો કંઈ હોય નહીં ! તો પછી મારામાંએ મેકલિનથી લઈ મહાભારત સુધીનું અને જેમ્સ હેડલીથી લઈ ઝવેરચંદ સુધીનું, હાથ ચઢ્યું તે બધું જ, વાંચી કાઢવાના જનૂનો ન ઊપડે તો જ નવાઈ !!)

લો આ તો હું માન.જુગલકીશોરભાઈની વાત કરતાં કરતાં મારી કથા કરવા બેસી ગયો !! (હમણાંથી મિત્રોએ મને ’કથાકાર’નો નવો ખિતાબ પકડાવ્યો છે !) મિત્ર મુન્શીજીનો આગ્રહ હતો કે જુ.ભાઈ સાથે વાત કરવાનો તેને પણ અવસર મળવો જોઈએ, આથી તેમને પણ ફોન દ્વારા લાભ આપ્યો. તો આમ જુ.ભાઈ જેવા વિદ્વાનમિત્રને મળવાનો અવસર પ્રાપ્ત થયો અને અમારો તો નાતાલનો સપરમો દિવસ સુધરી ગયો. જો કે સમયના બંધનને કારણે તેઓ મારા ઘેરે ના પધારી શક્યા પરંતુ ફરીના સમયે મારા મહેમાન બનશે તેવું મિત્રતાપૂર્ણ વચન તો મેં લીધું જ.

અને અંતે એ વાત જે કદાચ બીજી વખત આપ સાંભળો છો !!! મિત્રતાના દાખલા દેવાય ત્યારે ભાગ્યે જ કોઈ સમોવડીયાની મિત્રતા યાદ કરાય છે. સૌરાષ્ટ્રમાં તો કૃષ્ણ-સુદામા જ સૌથી પહેલાં હૈયે ચઢે. વાત ધનની ન ગણો ચાલો, પરંતુ આયુ, અભ્યાસ, જ્ઞાન અને અનુભવની ગણો તો પણ અમે જુગલકીશોરભાઈ સમક્ષ સુદામા જ થયા ! અને જેવા ચોક વચ્ચે ઉભા રહી, કયા ઘેરે આપણે જવાનું હશે તે ન જાણતા હોવાથી, તેઓના ફોનમાં અમે આવ્યાનાં સમાચાર આપ્યા, ત્યાં સામેથી ડેલી ખોલી અને ઉઘાડા પગે તેઓ દોડતા આવ્યા અને પ્રેમપૂર્વક હાથ પકડી અમને ઘરમાં લઈ ગયા ! હું આવી ઝીણીઝીણી વાતોને માનવ સંસ્કૃત્તિ કહું છું ! આભાર.

ડાયરો – શિક્ષણ શ્રાદ્ધ

એ રામ રામ ડાયરાને,
ઘણા દહાડે મળ્યા, હમણાં કેમના ખોવાયા હતા ? સરાદીયા ચાલતા હતા તે ખીર-પૂરીની ઝપટુ લેવામાં પડ્યા હશે કે ! ભાદરવાના તપતા દહાડાઓમાં ખીર ખાવાનું ઘણું મહત્વ છે. સૌએ પોતપોતાની મરજી-માન્યતા મુજબ ખાવી, પણ ખાવી જરૂર (અને બને તો અન્યને પણ ખવડાવવી). આ સરાદીયા આવે એટલે અમને લોકડાયરાના કલાકારોની કેટલીક વાર્તાઓ જરૂર યાદ આવે. એક આડવાત; આ કલાકારો ખરે જ ’કલાકાર’ કહેવડાવવાને લાયક ગણાય ! તેઓ એ દાક્તર છે જે વાઢ્યા વિના પરુ ખેંચી કાઢે છે, અને દર્દી ’ઓઈ…..માં’ ને બદલે ’અ..હા..હા..હા..’ એમ હસતો હસતો ઘરે જાય છે !! તો પ્રથમ એકાદ બે વાતુ આ શ્રાદ્ધ વિશે.

છોકરાઓ કલાકેકથી ખીર-પૂરી લઈને અગાશીએ ઊભા હતા, કાગડાઓ આસપાસ તો ઊડાઊડ કરતા હતા પણ આવડા આની અગાશીએ ફરકતા નહોતા ! અંતે કારણ સમજમાં આવતા મોટાભાઈએ નાનાને કહ્યું: ’બકા, ઝાઝીવાર તડકે ઊભી બા ની તબિયત બગડશે, એને હવે નીચે જઈ આરામ કરવા કહે’ :-)

એક અગાશીએ વળી ડોશીમાં, દીકરાઓ બધા બાપાની પાછળ કાગવાસ નાંખવા ચઢેલા, એક કાગડો કા…કા… કરતો અગાશીની પાળીએ બેસે પણ ખીર-પુરી સામે નજર કરી વળી ઊડે અને બાજુની અગાશીએ ધરેલી ખીર-પૂરી ઝાપટે ! બહુ વાર આવું થયું એટલે ડોશીએ દીકરાઓને કહ્યું : ’ મને ખબર જ હતી, આવડા આ મર્યા પછીએ સુધરવાનાં નથી ! જીવતાં કદી ઘરમાં ધ્યાન નહોતું દીધું, આડોશ પાડોશમાં જ નજર રાખતા !’ :-)

મારે પિતૃઓને ઝાઝા કનડવા નથી ! કાગડાઓને ખીર-પૂરી ખવરાવવામાંએ કશો વાંધો નથી, સાથે હાજરાહજૂર પિતૃઓને પણ પ્રેમભાવે ખવડાવવા ! શ્રદ્ધાળુઓ શ્રાદ્ધ તો રોજે રોજ કરી શકે, જીવતા જાગતા પિતૃઓને પ્રેમે ધરવવા એ પણ શ્રાદ્ધ જ છે. અને આ સરાદીયાના પંદર દહાડા એ વાતને વર્ષો વર્ષ યાદ કરાવવા અર્થે જ પ્રયોજવામાં આવ્યા છે એવું મારું નમ્ર મંતવ્ય છે.

આગળ આપણે હસતાં હસતાં રસ્તે ચઢાવવા વિશે જોયું તો ધ્યાને આવ્યું કે હમણાં હમણાંનું ઘણા મિત્રોને આ ઠીક માફક આવ્યું છે ! લોકોને પણ ઉગ્રપણે ધોકો પછાડનાર કરતાં હળવાશથી સમજાવનાર વધુ ગમે છે. અમે ભણતા (તમે પણ ભણતા કે ?) ત્યારે કયા માસ્તરો અમારા ફેવરિટ હતા તે યાદ કરીએ તો સમજાય છે કે જેઓ ગમ્મત સાથે જ્ઞાન આપી જાણતા તે વધુ પૉપ્યુલર હતા, દાંત કાઢનાર (થપ્પડ ઝીંકીને !) કરતાં દાંત કઢાવનારનાં વર્ગમાં હોંશે હોંશે જતા ! કયો વિષય એવો છે જે હળવેથી ના સમજાવી શકાય ? પણ આજકાલનાં જ્ઞાની ગુરુજનો આ વાત સમજતા લાગતા નથી ! અરે જ્ઞાનીજનોએ તો મૃત્યુને પણ બહુ મજાથી સમજાવ્યું છે પણ આજકાલનાં આ જ્ઞાનીજનોએ તો તેને સાવ મજાક બનાવી દીધું છે ! હવે એક ગંભીર વાત પણ ડાયરાને વિચારાધિન કરું.

ભાર વિનાના ભણતરના આ દોરમાં માત્ર પંદર દહાડાના સમયગાળામાં જ રાજકોટમાં સાત સહિત સૌરાષ્ટ્રનાં કુલ અગિયાર વિદ્યાર્થીઓએ આપઘાત કરી લીધો.  એકાદ બેને કોઈ અંગત કારણ હોઈ શકે પણ મહદંશે તો ભણતરનો ભાર જ કારણરૂપ નિવડ્યાનું સમજાય છે. સમાજશાસ્ત્રીઓ, શિક્ષણવિદ્દો (રાજકારણીઓનું તો નામ લેવું પણ નકામું છે ! તેઓને તો પોતાના રોટલા શેકવામાંથી કે પોતાની ભાટાઈઓ કરાવવામાંથી જ ક્યાં નવરાશ મળે છે !!) કેમ કંઈ વિચારતા નથી ? બોલતા નથી ? આ વિદ્યાર્થીઓના, વિકરાળ સમયમાંથી પસાર થઈ રહેલા સૌ સ્નેહીજનોના, દુઃખમાં અમે પણ ભાગીદાર છીએ. પાકી ગયેલા પર્ણનું ખરવું એ તો પ્રકૃતિનો નિયમ છે પણ કૂણી કૂંપળ અકાળે કરમાઈને ડાળીએથી વિખુટી પડી જાય છે તેનું દુઃખ અમે અંગતપણે પણ અનુભવ્યું છે, તેની સાંત્વના કેમ અપાય તે સમજાતું નથી. કોઈ યુવામિત્રને, કોઈ નબળી ક્ષણે, આવો નબળો વિચાર આવે તો એક શેર યાદ કર્યા જેવો છે;

અબ તો ઘબરાકે યે કહતે હૈ કી મર જાયેંગે,
મરકે ભી ચૈન ન પાયા તો કીધર જાયેંગે. — (ઈબ્રાહિમ ઝૌક)

એક અમેરિકન જનરલ હતો જેના નામે પેટન ટૅન્ક બનાવવામાં આવેલી. આ જનરલ પેટન તેના સૈનિકોને યુદ્ધમોરચે મોકલતા કહેતો કે, ’જવાનો, શહીદીનો લાભ દુઃશ્મનોને લેવા દેજો, તમે તો જીવતા જ પરત આવજો !’ આપણે તો ’જય રણછોડ’નો નારો લગાવીએ છીએ પણ તેનું હાર્દ સમજતા નથી. આજે જીવતો રહેનાર કાલે ફરી લડી અને જીત મેળવશે, મૃત્યુ આવે ત્યારે હસતાં હસતાં ગળે વળગાડવું એ વીરતા છે પણ સામેથી દોડીને મૃત્યુને ગળે વળગવું એ કાયરતા છે ! યુવાઓને અન્યાય સામે લડવા માટે સૌ પ્રથમ ટેકો ઘરેથી મળવો જોઈએ, અમુક વાતો સાંભળવામાં સારી લાગે અને સજ્જનતાનાં ધોરણ તરીકે બહુ રૂઢ પણ થઈ ચૂકી છે છતાં જરૂરી સમયે તેને અતિક્રમી જવી એ જીવનવ્યાપન માટે ઘણું જરૂરી છે. શરમ, લોકલાજ, સજ્જનતા, શાંત હોવું, ડાહ્યાં હોવું, વગેરે વગેરેની વ્યાખ્યા કરવામાં સમાજે ચૂક કરી છે. વિદ્વાનો માનશે નહીં પરંતુ આ હકીકત છે. અહીં મૂંગે મોંએ અન્યાય સહન કરનારી દીકરી ડાહી ગણાય છે અને અન્યાય સામે માથું ઊંચકનાર બેશર્મ કે મોંફાટ ગણાય છે. મને યાદ છે, ભણતો ત્યારે મારા બા કહેતા કે ક્યાંય પણ અન્યાય જણાય તો મારીને આવજે, માર ખાઈને આવતો નહીં ! યુવાઓ કે વિદ્યાર્થીઓ પોતાની નાનીમોટી, સારીનરસી, સમસ્યાઓ કાં તો સગાં મા-બાપને જણાવતા ડરશે અથવા તો તેને મા-બાપની સમજદારી, પ્રૉબ્લેમ સોલ્વ કરવાની શક્તિ, પર વિશ્વાસ રહ્યો નથી. કોઈક કોઈક ભાગ્યશાળીઓને વળી સારા સલાહકારની ગરજ સારે તેવા મિત્રો મળી રહે છે અને ખડી પડેલી ગાડી ફરી પાટે ચઢી જાય છે પણ બધા આવા ભાગ્યશાળી નથી હોતા. ક્યાંક ખાટલે જ મોટી ખોટ રહી છે.

મરવું તો કોને ગમતું હોય ? અને છતાં કોઈક એવી સ્થિતિ આવતી હશે ને જ્યાં માણસને મૃત્યુ વધુ વહાલું લાગતું હશે. આત્મહત્યાનાં પક્ષ-પ્રતિપક્ષમાં ઘણી દલીલ આપી શકાશે, પણ અફસોસ કે ટાણે એકે કામ આવતી નથી. અને એ જ દર્શાવે છે કે હજુ આપણે કંઈક ભૂલીએ છીએ, ચૂકી ગયા છીએ. વાંક કોઈ એકનો નથી, બહુ બધાના વાંકે આ સ્થિતિ આવી ઊભી છે. હવે મારે એકલાએ જ વધુ વાંકદેખુ નથી થવું, ડાયરો પણ થોડો સાથ પુરાવશે એવી આશા.

આગળ આમ તો હસતાં હસતાં રસ્તે ચઢાવનારાઓ વિશે લખવું હતું પણ હવે આજે એ શક્ય નથી, પછીના લેખમાં લેશું. આજે તો આટલું જ.