Tag Archives: મહાત્મા ગાંધી

ક્યાં ખોવાયા છો ? (વિકિસ્રોત અને ગાંધીજી)

પ્રિય મિત્રો, નમસ્કાર.
થોડા દહાડાથી ખોવાઈ ગયેલ તે બદલ ક્ષમાપ્રાર્થી છું ! ખોવાઈ જવાનાં ગળે ઊતરે તેવા અને ન ઊતરે તેવા પણ અનેક કારણો ગણાવી શકું છું ! કિંતુ મુખ્ય મુખ્ય કારણો ગણાવું તો પરીક્ષાઓ (બાળકોની સ્તો !), લગ્નગાળો, તાજી તાજી શરૂ થયેલ ગરમી વગેરે વગેરે ગણાય. ન ગણાવી શકાય તેવા કારણો વિષે માત્ર ખુલાસો કરીશ કે સચિન જેવો સચિન પણ દરેક મેચમાં સદી ના કરી શકે તો આપણે પણ, ભલે ૨૦-૨૨ વર્ષના અનુભવી હોઈએ, દરેક વખતે મસ્તકની સીધમાં આવતો પ્રહાર ન ચૂકવી શકીએ (વેલણનો જ સ્તો !!) :-)

પરંતુ માત્ર બહાનાબાજી ન કરવી હોય તો કહીશ કે એક નક્કર, અને વળી આપણે ગુજરાતી ભાષાનાં ચાહકો માટે ગૌરવપ્રદ એવું,  કારણ એ છે કે વિકિપીડિયાનાં ઘણાં મિત્રોની નિષ્ઠા અને ત્રણ ત્રણ વર્ષનાં અથાક પ્રયત્નને કારણે તા:૨૭-૩-૨૦૧૨નાં રોજ આપણું અલાયદું ગુજરાતી વિકિસ્રોત મળ્યું. (વિકિસ્રોત વિષયે માહિતી આપતો એક અગાઉનો લેખ વાંચનયાત્રા પર છે. વિકિસ્રોત (Wikisource) ગુજરાતી” ) હમણાં સુધી સૌ મિત્રોએ વિકિસોર્સનાં બહુભાષી પ્રોજેક્ટનાં એક ભાગરૂપ એવા ગુજરાતી સાહિત્ય સ્રોતનાં વિભાગ પર કામ કરવું પડતું હતું. જે પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં બહુ સાહિત્ય ન ચઢાવાયું હોય કે ન ઉપલબ્ધ હોય તેવી, નાની નાની ભાષાઓ પોતાનું સાહિત્ય સહિયારું ચઢાવે છે. સમૃદ્ધ સાહિત્ય વારસો ધરાવતી ગુજરાતી ભાષાનાં પ્રતિનિધિઓ તરીકે આ વાત સૌ મિત્રોને ખૂંચે તે પણ સ્વાભાવિક છે. હવે ગુજરાતીમાં “વિકિસ્રોત” તરીકે અલાયદી ઓળખ મેળવવી હોય તો વિકિનાં જે નિર્ધારિત નિયમો, શરતો છે તેને પૂર્ણ કરવી પડે. વિકિસ્રોત પર કાર્ય કરતાં મિત્રોએ આંખોમાં તેલ આંજી, માથાની ચોટલી બાંધી, આ કાર્ય સુપેરે પાર પાડ્યું. સૌ મિત્રો ખરે જ અભિનંદનનાં અધિકારી છે. આ એ લોકો છે જે કશી બૂમરાણો કર્યા વગર, પોતાની નામના થાય તેવો કોઈ મોહ રાખ્યા વગર, બસ પોતાનાથી બનતું કાર્ય કર્યે જાય છે. તો હવે મિત્રોનાં વખાણ બહુ થયા ! પણ હજુ આપને હું ક્યાં ખોવાયો હતો એ જાણવા તો ન જ મળ્યું ને ?!!! (લાગે છે કે ૨૦૧૪માં અમારે માટે ઊજળી તક રહેલી છે ! ચલો દિલ્હી ! :-) )

મજાક મસ્તી બહુ થઈ, વધારે જાણકારી માટે મિત્ર ધવલભાઈનો આ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું. જરૂરી બધી જ માહિતી ત્યાં મળી રહેશે.

તો, આપને પણ આ પરિયોજનામાં રસ પડે તો સાદર આમંત્રિત છો. ખાસ તો આમાં કોઈ આગ્રહ નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છીક કાર્ય છે. એક પ્રકરણ, પાંચ પ્રકરણ કે પચાસ પ્રકરણ ! જે પ્રમાણે આપણે અનુકૂળતા હોય તે પ્રમાણે પોતાનું યોગદાન આપી શકાશે. (અને આપણે ગુજરાતીઓ માટે રસપ્રદ ગણાય તેવી વાત કહું તો; સાવ મફત ! :-) અર્થાત આપને ટાઈપિંગ પ્રૅક્ટિસ થશે અને ગાંધીજીની આત્મકથા વાંચવા, વિચારવા મળશે તે લાભનો કશો ચાર્જ લેવામાં નહીં આવે !) છે ને રસપ્રદ વાત ?!

તો ચાલો હવે આટલા દહાડામાં તો અમારા મિતાબહેને, બાપુએ, ગોવિંદભાઈ અને ગોવીંદભાઈએ, કિશોરભાઈ સાહેબે, આતાએ અને હાદ તો ખરું જ ! એમ સૌ મિત્રોએ કેટકેટલી સુંદર રચનાઓ પ્રસિદ્ધ કરી છે તે વાચવા (અને ડહાપણ ડહોળવા !!) પહોંચી જાઉં. આભાર.

તા.ક: હમણાંથી વર્ડપ્રેસનાં લગભગ બધા જ બ્લોગ પર મારા દ્વારા અપાયેલા પ્રતિભાવ “સ્પામ” માં જતા હોવાનું જણાય છે. ’મને એ જ સમજાતું નથી કે આમ શા ને થાય છે ?’ કોઈ સલાહ સૂચન ? અને હા, આગોતરો આભાર !

મારા પ્રતિભાવો – Satyavachan (2) (via મારી બારી)

સત્ય અઘરૂં છે અને એને વ્યક્ત કરવા માટે ભાષા પૂરતી નથી. આપણે ગયા અઠવાડિયે આ દૃષ્ટિએ ચર્ચા કરી હતી. સત્યનો આધાર બાહ્ય જગતમાં હોય છે. સત્ય પોતે વાક્યનો ગુણ નથી. શ્રી જુગલકિશોરભાઇએ એના પર પોતાનો પ્રતિભાવ આપતાં એ વાતને સમર્થન આપ્યું કે વાક્ય વ્યાકરણના નિયમ પ્રમાણે બને છે અને અસત્ય પણ વ્યક્ત થઈ શકે. એમાં આગળ જતાં ફરી એ વાત પર ભાર મૂકીએ કે જે અશક્ય હોય તે પણ વાક્યમાં શક્ય જણાય. “પાંચ પગવાળી કાળી ગાય” અને “ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર છે” એ વાક્યો વ્યાકરણ પ્ર … Read More
via- મારી બારી—દીપકભાઈ ધોળકીયા

મારો પ્રતિભાવ:

‘સત્ય એટલે પારદર્શકતા’ — દી.
’સત્ય અઘરું નથી પણ તેને સમજાવવું અઘરું છે !!’ — જુ.
’જે વાક્યનો અર્થ હંમેશા તેવો ને તેવો જ રહે તે વાક્યને સત્ય વચન કહી શકાય.’ — અ.
અને અંતે આપનું ’આપણે કદીયે સંપૂર્ણ મૌલિક નથી હોતા.’

આ વલોણાની છાસ પર તરી આવેલું માખણ છે. ખાસ તો આપના વિચારપ્રેરક લેખ (૧-૨) અને ઉમદા પ્રતિભાવો હજુ ઘૂંટું છું. રાજેશભાઈ માટે ’સત્ય’ એટલે ’માત્ર તેનો ધર્મ જ’ એવી કોઈક વ્યાખ્યા લાગે છે. એ માનવા માટે તેઓ સ્વતંત્ર છે ! અન્ય લોકો માટે પણ એમ હોઈ શકે છે. એક મિત્રએ આ ચર્ચાને જ નકામી ઠેરવી અને ’ચર્ચા કરનાર માં કોઈ એમ નથી કહેતું કે હવે આજથી હું સત્યવાદી’ એવું કહી ઘણોજ ઉમદા વિચાર રજુ કર્યો પરંતુ વ્યવહારીક રીતે જોઈએ તો આ સ્થળ જ ચર્ચા અને વિચારનું હોય, ધારોકે હું જ એમ કહી દઉં કે : ચાલો આજથી હું “સત્યવાદી” !! તો તેનું મહત્વ શું ? અને મારી વાતને માનવાનું કોઈ કારણ ખરૂં ? (એમ તો અસત્ય આચરનાર પણ પોતાનું આચરણ તે જ સત્ય એવો આગ્રહ ક્યાં નથી રાખતા !) તો ભુપેન્દ્રસિંહજીએ ઉલ્લેખ કર્યો તેમ, અને મેં મારા બ્લોગની પ્રસ્તાવનામાં પણ લખેલું તેમ ’સત્ય સાપેક્ષ હોય છે’ તે વાત વધુ વ્યવહારૂ લાગે છે. મારા દ્વારા મનાતું એ જ સત્ય એવું ના હોઈ શકે. હું આજથી સત્યનું આચરણ જ કરીશ એમ કહી દેવું પુરતું બનશે ? હું મને જે સત્ય લાગે છે તેનું આચરણ કરતો હોઉં પણ હું જેને સત્ય માનું છું તે જ અન્યનાં દૃષ્ટિકોણથી કદાચ અસત્ય પણ હોઈ શકે. મારી તો ક્ષમતા નથી તેથી હું પણ આ વિષયે ગાંધીજીએ આપેલું એક પ્રવચન, ૩૧-૧૨-૧૯૩૧નાં યંગ ઇન્ડિયામાં આવેલું, જે ’સત્ય એ જ ઈશ્વર છે’ (નવજીવન પ્રકાશન – નવે.૧૯૭૭)માં પ્રકાશિત થયેલું છે તેના, આપણા વિષયને લાગુ પડતા, થોડા અંશ જોઇએ (વધુ એ પુસ્તકમાં વાંચવા વિનંતી). જે કદાચ આ વિચારવલોણાને ઊર્જા આપશે.

” સત્ય પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમ માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ’લવ’ શબ્દના અનેક અર્થો થાય છે…..પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં આવ્યો નથી. અને ઈશ્વરનો ઇન્કાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઇન્કાર કરતાં પણ અચકાયા નથી. અને મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીયે નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે મારે સત્ય એ જ ઈશ્વર છે એમ કહેવું જોઈએ…..આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ લઈ તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી…..આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી. પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમ તત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી…..

ત્યારે હવે સત્ય શું છે ? એ સવાલ થયો. સવાલ સાચે જ અઘરો છે પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય એવો જવાબ આપી એ સવાલનો મેં ઉકેલ કાઢ્યો છે. તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારાતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક જ પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય હોય તે બીજાને માટે અસત્ય હોય;….વિજ્ઞાનના પ્રયોગો કરવાને માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે તે્વી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને માટે યમનિયમોનું કડક પાલન આવશ્યક છે. એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ…..આ પ્રયોગો કરનાર લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે છે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે…..જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું એમ નથી.”

‘સત્ય એટલે પારદર્શકતા’ એ વિચાર ગમ્યો, પરંતુ આપ એ વિચાર પર હજુ વધુ પ્રકાશ પાડશો તેવી આશા રાખું છું. (એટલે કે ભાગ-૩ ની રાહમાં) આભાર.

Dipak Dholakia
અશોકભાઈ,
તમે ગાંધીજીનું અવતરણ આપ્યું તે પછી કઈં પણ કહેવું મારા માતે અઘરૂં બની ગયું છે. કારણ કે ગાંધીજીની ભાષાની સાદાઈ ક્યામ્થી લાવવી? બીજી વાત. એ માનસ તો સત્ય જીવ્યો, હું તો કદાચ બૌદ્ધિક ખેલ કરૂં છું. તમે પારદર્શકતા એટલે સત્ય એ્નાવા મારા તારણ વિશે પ્રકાશ પાડવા કહ્યું છે, પણ મેં લેખના અંતે કહ્યું છે કે “આપણે એમ માની લઇએ કે ‘સત્ય એટલે પારદર્શકતા’. કોણ જાણે મને તો એમ જ લાગે છે… માત્ર લાગે છે, પાકી ખબર નથી.”
મને ખબર હોત તો હું ગુરુ બની ન ગયો હોત કે આવો, સત્ય મારી પાસે છે. હું તમેન સત્યવદી બનાવીશ, જેમ ભાઈ હરેશ આશા રાખે છે. મને પોતાને એમ લાગે છે કે સત્ય અને સત્યવાદી હોવું એટલે શું, એ જ નક્કી ન કરી શકતા હોઇએ તો શી રીતે સત્યવાદી બની શકીએ? ભાષા તો સત્યને વ્યક્ત કરી શકતી નથી અને આપને હજી ભાષા મારફતે સત્યના અર્થો શોધવા મથીએ છીએ. મને ગાંધીજીના જીવનમાં પારદર્શકતા જણાઈ એટલે આપણા સહવિચાર માટે મેં “એ જ તો સત્ય નથી ને?” એ ફૉર્મમાં માત્ર રજૂઆત કરી છે.. પ્રોસેસ આગળ વધે તો કઈંક ખબર પડે.


(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”

મારા પ્રતિભાવો – “અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની ” (via “કુરુક્ષેત્ર”)

"અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની " “અહિંસા તો ફક્ત ભગવાન મહાવીરની “અહિંસક તો ભગવાન મહાવીર હતા.ના તો ગાંધીજી અહિંસક હતા ના તો અત્યારના કોઈ જૈન અહિંસક છે.મહાવીર અત્યંત સંવેદનશીલ વ્યક્તિ હતા.એ પ્રાણી તો ઠીક જીવ જંતુ માત્ર માં પરમાત્મા ને અનુભવી શકતા હતા.તો પછી હિંસા કોના પ્રત્યે કરી શકાય?જે લોકો દરેક વસ્તુમાં પરમાત્મા ને અનુભવી શકતા નથી એ લોકો જો અહિંસા ના વ્રત લે છે,તો એમની અહિંસા દંભી બની જાય છે.ગાંધીજી આવા દંભી અહિંસક હતા.નાની નાની સુક્ષ્મ હિંસા આ લોકો ભૂલી જાય છે.આ લોકો … Read More

via “કુરુક્ષેત્ર”   — ભુપેન્દ્રસિંહજી રાઓલ

મારો પ્રતિભાવ :

ભુપેન્દ્રસિંહજી,નમસ્કાર.
હંમેશની માફક, ઝટકો આપતો લેખ. પ્રથમ એક આડવાત, આપના જ બ્લોગનાં એક પ્રતિભાવમાં વિનયભાઇએ લખ્યું છે કે આપનો હોળી વિષયનો લેખ કોઇ અખબારમાં પ્રસિધ્ધ થયો, અભિનંદન. અહીં તેની કડી આપશોજી.
આપના આ લેખ પર પ્રતિભાવ આપવા માટે પહેલાં મારે ઘણું વાંચવું પડશે !!!
હાલ તો આદત મુજબ થોડા તારવેલા વિચારો:
* “ક્ષમા વિરસ્ય ભૂષણમ્‌” (અહીં ’વિરતા’નું મહત્વ ન હોત તો ફક્ત “ક્ષમા ભૂષણમ્‌” ચાલત !)
* પહેલાનાં સમયમાં કદાચ ક્ષત્રિય એ જન્મે નહીં પરંતુ કર્મે કરી અને મળતું બિરૂદ હતું (સંદર્ભ:વિકિપીડિયા “ક્ષત્રિય” http://ow.ly/1cSHo) (અર્થાત ભારતિય સંસ્કૃતિ હંમેશાથી વિરતાની પૂજારી રહી છે)
* અકારણ હિંસાને વિશ્વનાં કોઇ પણ સમાજે સન્માન આપ્યું નથી. (અહીં જો કે ઈતિહાસનો અલગ દૃષ્ટિથી અભ્યાસ કરીએ તો જણાશે કે વિજેતાઓ પાસેનાં કારણો હંમેશા ન્યાયી ઠરાવાય છે. જેમ કે હિટલર દ્વારા થયેલો જનસંહાર અન્યાયી, અકારણ ગણાશે જ્યારે જાપાન પરનો અણુપ્રયોગ ન્યાયી,સકારણ ગણાશે.)
* ટુંકમાં હિંસા અને અહિંસા બંન્ને સાપેક્ષ છે, દાક્તર દ્વારા દર્દીનાં પેટ પર કરાતો ઘાવ અને ખુની દ્વારા કરાતો ઘાવ ભૌતિક દૃષ્ટિએ સમાન હોવા છતાં બંન્નેના ઉદ્દેશનાં ફર્કને કારણે અલગ પડે છે. તેવું જ એક સૈનિક અને એક ત્રાસવાદીનાં મામલે હોય છે.
* ટુંકમાં સંપૂર્ણ અહિંસા એ કોઇ પણ જીવંત પ્રાણી માટે શક્ય નથી, પરંતુ ઉદ્દેશ મહત્વનો છે, અને તે ન્યાયપૂર્ણ હોવો જોઇએ. આભાર.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
વિનયભાઈ ની કોઈ ગેરસમજ થઇ હશે.મેં હોળી વિષયક કોઈ લેખ લખ્યો નથી.સંપૂર્ણ અહિંસા શક્ય નથી.આપની વાત સાચી છે.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
પ્રથમ વિશ્વયુદ્ધ પછી હારેલા જર્મનીને મિત્ર દેશોએ એટલો બધો દંડ ફટકારેલો કે એને ભરતા જર્મની ખલાસ થઇ ગયું હતું.મિત્ર દેશોએ જર્મનીને એટલું બધું સતાવ્યું કે એના વિરોધ માં હિટલર ઉભો થયો,ને લોકપ્રિય બન્યો.હિટલરે ૬૦ લાખ યહુદીઓને મારી નાખ્યા એ વાતે એ મોટો ગુનેગાર છે.બાકી મિત્ર દેશો ઉપર ચડાઈ કરી એ વાતે મારા મતે ગુનેગાર નથી.

 Bhupendrasinh Raol
શ્રી અશોકભાઈ,
ઝટકા આપવાતો બ્લોગ બનાવ્યો છે.જે સામો લડી શકે તેમ ના હોય કમજોર હોય તે કહે જા ક્ષમા આપું છું એનો શું મતલબ?હિટલર પોતાને અને જર્મનોને શુદ્ધ આર્યન સમજતો હતો.એટલે તો એનું સિમ્બોલ સાથીયો હતો.જરા ત્રાંસો પણ સાથીયો એની પાર્ટી નું પ્રતિક હતું.યહુદીઓ નો કોઈ વાંક ના હતો પણ યહુદીઓ અશુદ્ધ પ્રજા છે એમ કહી ૬૦ લાખ ને જીવતા શેકી નાખ્યા.મુલે એ ક્રિશ્ચિયન અને જીસસ ના મોત નું કારણ યહુદીઓ બનેલા એ વાત એના અનકોન્શીયાશ માં ક્યાંક હશે.

 અશોક મોઢવાડીયા
ભુપેન્દ્રસિંહજી, સાવ સાચું કહ્યું, જો કે હિટલરનાં કર્મોનો હીસાબ કરવો તે આપણું કામ પણ નથી, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિજેતા દેશોએ જર્મની પ્રત્યે થોડો દયા ભાવ રાખ્યો હોત તો હિટલર પેદા થયો ન હોત. યહુદીઓ પ્રત્યે હિટલરને આપે જણાવ્યું તે કારણે પણ અભાવ હોઇ શકે, અન્ય એક કારણ એ પણ હતું કે, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે યહુદી પ્રજા (જે ખાસ તો વ્યાપાર અને વ્યાજવટાવ નો ધંધો કરતી) ધન માટે દુશ્મન સૈન્યને પણ રાશન-પાણી વહેંચતી, અને હાર્યા પછી કંગાળ થયેલા જર્મનીની પ્રજાને ઉંચા વ્યાજ અને બેફામ નફાખોરી દ્વારા વધુ કંગાળ બનાવતા. આમ આર્થિક શોષણખોરી પણ યહુદી પ્રજાના વિરોધનું કારણ બનેલ. (શેક્સપીયરનાં નાટકો અને ’મેઇન કામ્ફ’ માં થોડો ચિતાર મળે છે)

આવા જ થોડા કારણો આપણે ત્યાં પણ હતા, પરંતુ કદાચ થોડા સંસ્કૃતિભેદને કારણે આપણને હિટલરને બદલે ગાંધીજી મળ્યા ! જેમણે શક્ય તેટલી ઓછામાં ઓછી હિંસા વડે જુલ્મકર્તાઓનો સામનો કરવાનું શસ્ત્ર પ્રજાને બતાવ્યું. આટલા માટે પણ આપણે તેમનાં આભારી થવું જરૂરી તો ગણાય જ !
આપની પાસે આપનાં આગવા, વિચારયોગ્ય વિચારો હોય છે જે, કોઇને ગમવા ન ગમવા અલગ વાત છે, વિચારતા તો જરૂર કરી દે છે. બસ આમ જ છાસ વલોવડાવતા રહેશો તો માખણ સ્વયં પ્રગટ થશે જ !! આભાર.
****************************

(મિત્રોને વિનંતી કે વધુ ચર્ચા કે પ્રતિભાવ આપવા માટે “અહીં ક્લિક કરો”.)

આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”