Tag Archives: ભર્તૃહરિ

નીતિશતક (૪) – વિદ્યા

મિત્રો, નમસ્કાર.
’નીતિશતક’ શ્રેણીમાં આગળ આપણે મૂર્ખતાદુર્જનનિંદા અને સજ્જનતા  વિષયો પર શ્રી ભર્તુહરિજીનાં સુંદર મુક્તકો માણ્યા. આજે અહીં વિદ્યા કે જ્ઞાનૌપાર્જન વિષયે તેઓના કેટલાક મુક્તકો માણીશું. આશા છે ભારતવર્ષમાં વિદ્યાનું શું મહત્વ ગણાયું છે તેનો ખ્યાલ આ થોડા પ્રાચિન મુક્તકો દ્વારા પણ આવશે જ.

साहित्यसङ्गीतकलाविहीन: साक्षात्पशु: पुच्छविषाणहीन: ।
तृणं न खादन्नपि जीवमानस्तद्भागधेयं परमं पशूनाम् ।।१२।।

* સાહિત્ય, સંગીત અને કલા વગરનો માણસ પૂછડા અને શિંગડા વગરનું સાક્ષાત પશુ છે. ઘાસ ન ખાતો તે જીવે છે એ (બીજા) પશુઓનું પરમ સૌભાગ્ય છે.

જન્મ વખતે મનુષ્યબાળ અને પશુબાળમાં રૂપ, રંગ અને આકારનો જ ફેર હોય છે. બંન્ને જ્ઞાનહીન પશુ છે. મનુષ્ય વિદ્યાભ્યાસ કરે, સત્સંગત કરે ત્યારે તે હિતાહિત અને કર્તવ્યાકર્તવ્ય સમજી શકે છે. સાહિત્યની ઉપાસના, સંગીતની સાધના અને કલાની લગની તેનામાં સંસ્કાર સીંચે છે. સાહિત્ય જ્ઞાનચક્ષુ ખોલે છે. સંગીત અને અન્ય કલાઓ તેની દૃષ્ટિ સમભાવી અને સૌંદર્યલક્ષી બનાવે છે. વિદ્યા અને કલાઓ તેને વધુ ભવ્ય, સભ્ય, વિવેકી અને નમ્ર બનાવે છે. અહીં વિવિધ કલારૂપી વિદ્યાનું બહુમાન કરાયું છે.

येषां न विद्या न तपो न दानं ज्ञानं न शीलं न गुणो न धर्म: ।
ते मर्त्यलोके भुवि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ।।१३।।

* જેઓની પાસે નથી વિદ્યા કે નથી તપઃ, નથી દાન (આપવાનું) કે નથી જ્ઞાન, નથી ચારિત્ર્ય, નથી સદ્‌ગુણ કે નથી ધર્મ – મૃત્યુલોકમાં ધરતી પર ભારરૂપ બનેલા તેઓ મનુષ્યના રૂપમાં પશુઓ (ની જેમ) ચરી ખાય છે.

અહીં જીવનમાં ઉતારવા જેવી, આચરવા જેવી મહત્વની બાબતો પરત્વે ધ્યાન દોરાયું છે. વિદ્યા, તપ, દાન, જ્ઞાન, ચારિત્ર્ય, ગુણ અને ધર્મ આ મહત્વની બાબતો છે. જેણે આનું ઉપાર્જન નથી કર્યું તેઓ આ ભુમિ પર ભારરૂપ છે, તેમની આકૃતિ તો મનુષ્યની છે પણ વ્યક્તિત્વ પશુનું છે. અહીં સદાચરણ અને સદ્‌ગુણ વિનાના મનુષ્યોની નિંદા કરાઇ છે.

शास्त्रोपस्कृतशब्दसुन्दरगिर: शिष्यप्रदेयागमा
विख्याता: कवयो वसन्ति विषये यस्य प्रभोर्निर्धना: ।
तज्जाड्यं वसुधाधिपस्य कवयोऽप्यर्थं विनापीश्वरा:
कुत्स्या: स्यु: कुपरीक्षका हि मणयो यैरर्घत: पातिता:  ।।१५।।

* શાસ્ત્રો વડે સંસ્કારી બનેલા શબ્દોની સુંદર વાણીવાળા, જેના ગ્રંથો શિષ્યોને ભણવા યોગ્ય છે, તેવા વિખ્યાત કવિઓ જે રાજાના રાજ્યમાં નિર્ધન બનીને વસે છે, તે તો એ ભૂપતિની જ જડતા ગણાય, કારણ કે વિદ્વાનો તો ધન વિના પણ મહાન છે. જે ઝવેરી મણિનું મૂલ્ય ઓછું આંકે તેઓ નિંદ્ય છે, મણિઓ નહીં.

અહીંથી હવે વિદ્વાનોની પ્રશંસા કરાઇ છે. અહીં પોષણવૃતિ અને શોષણવૃતિની વાત કરાઇ છે, રાજા અને કવિ તો દૃષ્ટાંતરૂપ છે મુળ તો વૃતિવિશેષની વાત છે. કવિ એ વિદ્વાનનું પ્રતિક છે અને મણિ તેના મુલ્યને દર્શાવે છે, રાજા અને ઝવેરીને સમાજના દૃષ્ટાંતરૂપે સમજવા. 

हर्त्तुर्याति न गोचरं किमपि शं पुष्णाति यत्सर्वदा
ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् ।
कल्पान्तेष्वऽपि न प्रयाति निधनं विद्याख्यमन्तर्धनं
येषां तान्प्रति मानमुज्झत नृपा: कस्तै: सह स्पर्धते ।।१६।।

* જેને ચોરો જોઇ શકતા નથી, જે હંમેશા અનેરો આનંદ આપે છે, જેને રોજ રોજ યાચકોને આપવામાં આવે છતાં ખૂબ વૃદ્ધિ પામે છે અને યુગો પછી પણ જેનો વિનાશ નથી થતો એવું વિદ્યા નામનું ધન જેના અંતરમાં છે તેવા વિદ્વાનો તરફ હે રાજાઓ ! અભિમાન ન કરો. કારણ કે તેઓની સ્પર્ધા કોણ કરી શકે છે ?

અહીં ભૌતિક ધન કરતાં વિદ્યારૂપી ધનને શ્રેષ્ઠ ગણાવાયું છે, અને સત્તાધિશોને પણ વિદ્વાનોનું બહુમાન કરવા, તેઓને તુચ્છ ન સમજવાની સલાહ આપેલી છે.

अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था-
स्तृणमिव लघु लक्ष्मीर्नैव तान्संरुणद्धि ।
अभिनवमदलेखाश्यामगण्डस्थलानां
भवति न विसतन्तुर्वारणं वारणानाम् ।।१७।।

* જેણે સત્ય પ્રાપ્ત કરી લીધું છે તેવા વિદ્વાનોનું અપમાન ન કરો. કારણ કે તણખલા જેવી તુચ્છ લક્ષ્મી, તેઓને કદી રોકી જ શકતી નથી. તાજો મદ ઝરવાથી શ્યામ બનેલા ગંડસ્થળ વાળા હાથીઓને, કમલનું તંતુ બાંધી શકતું નથી.

આગલા શ્લોકના અનુસંધાને જ, વિદ્યા શાથે વિદ્વાનોની અહીં પ્રશંસા કરાઇ છે. તથા તેઓના મનોભાવનો, સ્વભાવનો આછેરો ખ્યાલ અહીં અપાયો છે. આ માટે સુંદર ઉદાહરણ અપાયું છે કે, જેમ મદમસ્ત હાથીને નજુક કમળતંતુ બાંધી રાખી ન શકે તેમ ધનસંપતિના લોભ લાલચ વિદ્વાનોને ડગાવી શકતા નથી. અહીં બીજા અર્થમાં વિદ્વાનોને પણ પોતાની વિદ્યા ધનિકોના ચરણોમાં વેંચવા સામે અને રાજાઓ (કે સત્તાધિશો)ને વિદ્યાનો આદર કરવાની ચેતવણી આપી છે તેમ કહી શકાય.   

अम्भोजिनीवननिवासविलासमेव
हंसस्य हन्ति नितरां कुपितो विधाता ।
न त्वस्य दुग्धजलभेदविधौ प्रसिद्धां
वैदग्ध्यकीर्तिमपहर्तुमसौ समर्थ:  ।।१८।।

* જો વિધાતા ખૂબ ગુસ્સે થાય, તો હંસને માટે કમલવનમાં વિહાર કરવાનો વૈભવ ઝૂંટવી લે. પરંતુ દુધ અને જળને જુદા કરવાની તેની જે ચતુરાઇ છે તેનો નાશ કરવાની તે (વિધાતા)માં શક્તિ નથી.

આગળ રાજાઓને જ્ઞાનિ પ્રત્યે ઘમંડી ન બનવાનું જણાવ્યું છે, પરંતુ જ્ઞાનિ પોતે ગર્વિષ્ઠ હોય તો ? અહીં કહેવાયું છે કે તો પણ સ્વયં વિધાતા (અથવા તો કોઇપણ સર્વશક્તિમાન) તેમનું કશું જ બગાડી શકતા નથી ! મુળ વાત એ છે કે જ્ઞાનિનું ધન-વૈભવ વગેરે તો હજુ ઝુંટવી લઇ શકાય છે પરંતુ તેમનું જ્ઞાન, વિદ્યા ઝુંટવી લઇ શકાતા નથી. અહીં હંસમાં નિર-ક્ષિર વિવેકરૂપી વિદ્યા હોવાનું મનાતું તે ઉદાહરણરૂપે રજુ કરાયું છે. જો કે અન્ય સંદર્ભ મુજબ જ્ઞાનિ કદી ઘમંડી હોતો નથી, અને ઘમંડી હોવું તે અધૂરા જ્ઞાનની ઓળખ છે. છતાં પણ સુપાત્રને વિદ્યા આપવાનો સંકેત પણ અહીં દેખાય છે.

केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा: ।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।१९।।

* બાજુબંધ મનુષ્યને શોભા નથી આપતા. ચંદ્રના જેવા ઉજળા હાર પણ શોભા નથી આપતા. સ્નાન, ચંદનનો લેપ, પુષ્પો કે શણગારેલા વાળ પણ શોભા નથી આપતા. પરંતુ જે સંસ્કારી વાણી છે તે એક જ મનુષ્યને શોભાવે છે. બીજા ઘરેણાં તો સતત ઘસાયા કરે છે. વાણીનું આભૂષણ એ જ ખરું આભૂષણ છે.

અહીં બાહ્ય સૌંદર્ય કરતાં વિદ્યારૂપી આંતરિક વૈભવની મહત્તા વધુ છે તેમ જણાવાયું છે. શાથે વ્યક્તિનું મુલ્યાંકન બાહ્ય સૌંદર્યને આધારે નહીં પરતું તેમની વાણી અને વર્તનના આધારે કરવાનું પણ સુચવ્યું જણાય છે. શાથે સંસ્કારી વાણી વિદ્યાથી, જ્ઞાનથી જ મળે છે તેમ પણ અર્થ કરી શકાય. 

विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं
विद्या भोगकरी यश:सुखकरी विद्या गुरूणां गुरु: ।
विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं
विद्या राजसु पूजिता न तु धनं विद्या विहीन: पशु:  ।।२०।।

* વિદ્યા, ખરેખર મનુષ્યનું અધિક રૂપ છે. ઢંકાયેલું ગુપ્ત ધન છે. વિદ્યા તો વૈભવ, કીર્તિ અને સુઃખ આપનારી છે. વિદ્યા ગુરુની પણ ગુરુ છે. વિદેશગમન વખતે વિદ્યા સ્વજનના જેવી છે. વિદ્યા પરમ દેવતા છે. રાજાઓમાં વિદ્યા પૂજ્ય છે, ધન નહીં. વિદ્યા વિનાનો (મનુષ્ય) પશુ છે.

અહીં સામાન્ય દુન્યવી બાબતો કરતાં પણ વિદ્યાનું મહત્વ વિશેષ ગણાવાયું છે. વિદ્યા એટલે માત્ર અક્ષરજ્ઞાન લઇએ (હાલના સંદર્ભે ભણતર !) તો પણ તે જ્ઞાનપ્રાપ્તિનું પ્રથમ ચરણ હોવાથી તે વિનાના લોકો પશુતુલ્ય જ ગણાય તેમાં ખોટું શું છે ? મુળમાં તો ભર્તુહરિનો આશય લોકોને વિદ્યાપ્રાપ્તિ તરફ વાળવાનો છે, આ માટે ક્યાંક ચાબખા જેવા વેણ વાપરતા પણ તેઓ અચકાણા નથી.

क्षान्तिश्चेद्वचनेन किं किमरिभि: क्रोधोऽस्ति चेद्देहिनां
ज्ञातिश्चेदनलेन किं यदि सुहृद्दिव्यौषधै: किं फलम् ।
किं सर्पैर्यदि दुर्जना: किमु धनैर्विद्याऽनवद्या यदि व्रीडा
चेत्किमु भूषणै: सुकविता यद्यस्ति राज्येन किम्    ।।२१।।

* જો ક્ષમા હોય તો કવચનું શું કામ છે ? જો મનુષ્યોનો ક્રોધ હોય તો શત્રુઓની શું જરૂર છે ? જો જ્ઞાતિ છે તો અગ્નિનું શું કામ છે ? જો મિત્ર હોય તો દિવ્ય ઔષધથી શું ફળ મળે ? જો દુર્જન હોય તો સર્પની શું જરૂર છે ? જો પવિત્ર વિદ્યા હોય તો ધનથી શું ? જો લજ્જા હોય તો આભૂષણની શું જરૂર ? અને જો સરસ કવિતા હોય તો રાજ્યથી શું ?

અહીં વિદ્યા હોય તો ધનનું શું કામ છે ? કહી અને વિદ્યાને ધનથી શ્રેષ્ઠ ગણાવી છે. શાથે શાથે કવિએ આપેલા અન્ય દાખલાઓ પણ ખાસ સમજવા જેવા છે, અન્ય તો સ્વયં સ્પષ્ટ છે, એક ’જો જ્ઞાતિ છે તો અગ્નિનું શું કામ છે ?’ નો અર્થ ખાસ સમજવા જેવો છે !  આ વાક્ય કહી અને આટલા કાળ પહેલાં પણ કવિએ જ્ઞાતિ, જાતિના ભેદભાવ પર કટાક્ષ કર્યો છે. અગ્નિ બાળે છે, જ્ઞાતિપ્રથા (અત્યારે અને તે સમયે પણ..)ને કારણે પડતી ફાટફૂટો પણ સમાજને બાળે જ છે. જો કે હાલ અહીં વિષયાંતર કરવું નથી, માત્ર વિદ્યાના વિષય પર જ ધ્યાન આપીશું.

આપને શ્રી ભર્તુહરિના વિદ્યા વિશેના વિચારો કેવા લાગ્યા ? એ યાદ રહે કે આ વિચારો અંદાજે ૧૬૦૦ વર્ષ પૂર્વે પ્રસ્તુત કરાયા છે. તેનાથી ભારતિય સંસ્કૃતિમાં વિદ્યાનું મહત્વ સદાકાળથી રહેલું હોવાનું જ્ઞાત થાય છે. આપને પણ આપના વિચારો જણાવવા સહર્ષ નિમંત્રણ છે. આભાર.

ભર્તુહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:

ભરથરી-on wikipedia

* ભરથરી (કવિ)-on wikipedia

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia

* નીતિશતક (સંસ્કૃતમાં) – વિકિસ્ત્રોત પર

શૃંગારશતક (૫) – ઋતુવર્ણન (વર્ષા)

હવે ગુજરાતમાં પણ વર્ષારાણીનો રૂમઝુમ રૂમઝુમ પદરવ સંભળાય છે. તો આવો આપણા જાણીતા શૃંગારશતક માંથી વર્ષાના માદક વર્ણનનો આસ્વાદ માણીએ. અહીં કવિશ્રી ભર્તૃહરિએ છ મુક્તકોમાં વર્ષાઋતુનું અદ્‌ભુત રસિક વર્ણન કરેલું છે. વરસાદમાં ભિંજાવાથી સળેખમ થવાનો ભય જેને સતાવતો હોય તેવા સુકાભઠ્ઠ માણસો પણ આ મુક્તકોથી ભિંજાઇ જશે ! તેની મને ખાત્રી છે. 

तरुणीवेषोद्‌दीपितकामा विकसज्जातीपुष्पसुगन्धिः ।
उन्नतपीनपयोधरभारा प्रावृट्‌ तनुते कस्य न हर्षम्‌ ॥९०॥

 તરુણી જેવા (શ્યામ) વેષથી જેણે કામને ઉદ્‌દીપિત કર્યો છે તેવી, ખીલી ઊઠેલી માલતીનાં પુષ્પોથી મહેકતી, ઊંચા અને ઘટ પયોધર (વાદળાં, સ્તનો) ના ભારથી ઝુકેલી આ વર્ષા કોને આનંદ ન આપે ?

 

वियदुपचितमेघं भूमयः कन्दलिन्यो
नवकुटजकदम्बामोदिनो गन्धवाहाः ।
शिखिकुलकेकारावरम्याः वनान्ताः
सुखिनमसुखिनं वा सर्वमुत्कण्ठयन्ति ॥९१॥

 ઘટાટોપ મેઘથી છાવાયેલું આકાશ (લીલા) તૃણાંકુરોથી આચ્છાદિત ભૂમિ, તાજા ખીલેલા કુટજનાં સમૂહોથી સુગંધી વાયુઓ, મયૂરવૃંદનાં ટહુકાથી રમ્ય બનેલા વનનાં સીમાડાઓ; આ બધું સુખીઓને અને દુઃખીઓને સહુને ઉત્કંઠા જગાડે છે.


(कुटज = કુટજ = ’કડું’ નામે ઓળખાતું એક પ્રકારનું ઔષધીય ગુણો ધરાવતું વૃક્ષ, જેના બીજ  ઈન્દ્રજવ નામે પણ ઓળખાય છે. (En: Holarrhena antidysenterica) વર્ષાઋતુમાં તેમાં માદક ગંધ ધરાવતા ફૂલો આવે છે.)

 

उओअरि घनं घनपटलं तिर्यग्गिरयोऽपि  नर्तितमयूराः ।
क्षितिरपि कन्दलधवला दृष्टिं पथिकः क्व पातयति ॥९२॥

 ઉપર ઘનઘોર મેઘઘટા છે, આડી પડેલી ગિરિમાળા ઉપર મયૂરો નૃત્ય કરે છે, ભૂમિ પણ તૃણાંકુરોથી ધવલ બની છે. પથિક, નજર કરે તો પણ ક્યાં કરે ?

 

इतो विदुद्वल्लीविलसितमितः केतकीतरोः
स्फुरन्गन्धः प्रोद्यज्जलदनिनदस्फूर्जितमितः ।
इतः केकीक्रीडाकलकलरवः पक्ष्मलदृशां
कथं यास्यन्त्येते विरहदिवसाः संभृतरसाः ॥९३॥

આ તરફ વીજળી ચમકારા કરે છે. આ બાજુ કેતકી (કેવડો) વૃક્ષની સુવાસ પ્રસરી રહી છે. આ તરફ ચડી આવતા મેઘની ગર્જના થાય છે અને આ બાજુ ક્રીડા કરતા મયૂરના ટહૂકા થાય છે. સુંદર પાંપણવાળી સુંદરીઓના રસથી ભરેલા આ વિરહના દિવસો કેવી રીતે વીતશે ?

असूचीसंचारे तमसि नभसि प्रौढजलद-
ध्वनिप्राज्ञं मन्ये पतति पृष्तानां च निचये ।
इदं सौदामन्याः कनककमनीयं विलसितं-
मुदं च मलानिं च ग्रथयति पथि स्वैरसुदृशाम्‌ ॥९४॥

જ્યારે સોયની અણીથી પણ ન ભેદી શકાય તેવો (ગાઢ) અંધકાર છે, આકાશમાંથી જ્યારે ઘટાટોપ મેઘની ગર્જનાનો ધ્વનિ પોતાનો છે એમ માનીને જલબિંદુઓ વરસે છે, ત્યારે વીજળીનો આ સોનાના જેવો સુંદર ચમકારો, સ્વૈરવિહાર કરતી સુંદરીઓના માર્ગમાં હર્ષ અને ગ્લાનિ (બંન્ને) પ્રગટાવે છે.


(असूचीसंचारे = સોયની અણી પણ જ્યાં પ્રવેશી ન શકે તેવું / मुदं च मलानिं च = હર્ષ અને શોક = અંધકારમાં વીજળીનો ચમકારો થવાથી, સ્વૈરવિહારિણી અભિસારિકાને માર્ગ દેખાય છે તેથી હર્ષ થાય છે અને પ્રકાશમાં કોઇ જોઇ જશે તેવા ડરને કારણે ગ્લાનિ થાય છે.)

 

आसारेण न हमर्यतः प्रियतमैर्यातुं बहिः शक्यते
शीतोत्कम्पनिमित्तमायतदृशा गाढं समालिङ्गयते ।
जाताः शीकरशीतलाश्‌च मरुतो रत्यन्तखेदच्छिदो
धन्यानां बत दुर्दिनं सुदिनतां याति प्रियासंगमे ॥९५॥

વરસાદની ધારાઓથી પ્રિયતમો મહેલમાંથી ક્યાંય બહાર જઇ શકતા નથી. ઠંડીની ધ્રુજારીથી વિશાળ નયનોવાળી સુંદરીઓને ગાઢ આલિંગન આપી શકાય છે. જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી લોકોને ખરેખર દુર્દિન (માઠા દિવસો) પણ સારા દિવસ બની જાય છે.  

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)  

* ઇન્દ્રજવ (કડું) – વધુ માહીતિ અને ઉપયોગ  

कुटज = કુટજ = કડું

શૃંગારશતક (૪) – ઋતુવર્ણન (ગ્રીષ્મ)

વૈશાખી વાયરા

 આપણે આ પહેલાં પણ શૃંગારશતકમાંથી વિવિધ વિષયો પરની રચનાઓ માણી છે, (પરિચય, સ્ત્રીપ્રશંસા, સંભોગવર્ણન ) 
શૃંગારશતકના ઋતુવર્ણન વિભાગમાં વિવિધ ઋતુઓનું રસિક વર્ણન કરેલ છે. પરંતુ આ વર્ણન સ્વતંત્ર ઋતુવર્ણન નથી. અહીં ૠતુઓ શૃંગારરસને પોષવા માટે તેના ઉદ્દીપનભાવ તરીકે નિરૂપવામાં આવી છે. જેમ કોઇ કુશળ ચિત્રકાર થોડી રેખાઓથી મધુર આકૃતિ દોરી આપે છે તેમ કવિ ભર્તૃહરિ કલમથી ટપકતી શબ્દાવલિથી છ ૠતુઓનું મનહર વર્ણન કરે છે. આમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિરનું અદ્‌ભુત વર્ણન કરેલ છે. સ્વાભાવિક રીતે જ વસંત શૃંગારરસની વાહક હોવાથી તેનું વર્ણન થોડું લાંબુ થયેલ છે. આપણે અત્યારે ગ્રીષ્મઋતુનો અનુભવ કરતા હોવાથી (ભારતીય ઉપખંડમાં) અહીં ફક્ત ગ્રીષ્મઋતુ પર કવિએ લખેલાં શૃંગારરસપ્રચુર મુક્તકોનો આનંદ ઉઠાવીશું. શૃંગારશતકમાં ગ્રીષ્મનું વર્ણન કરતા ત્રણ મુક્તકો મળી આવે છે. આમતો વસંત અને વર્ષા પર ઘણાં રસિક કાવ્યો કે રચનાઓ આપણાં સાહિત્યમાં મળે છે, પરંતુ ગ્રીષ્મ વિશે બહુ બહુતો આપણે શાળામાં “ઉનાળાની બપોર” નામનો નિબંધ લખતા ! તેથી વિશેષ બહુ ભેજું ખપાવ્યું નથી ! અને ગ્રીષ્મ એટલે તો ધોમધખતા તાપની ઋતુ, તેમાં વળી રસિકતા કે શૃંગારરસનાં દર્શન ક્યાંથી થાય ! (હા કેરીના રસના દર્શન વળી બરાબર છે !) પરંતુ અહીં કવિએ આ બળબળતા તાપમાંથી પણ શૃંગારરસ નિતાર્યો છે જે કદાચ સર્વે વાંચકોનાં મનને (અને તનને પણ !) શિતળતાનો આલ્હાદ્‌ક અનુભવ કરાવશે. (યુરોપ, અમેરિકામાં વસતા રસિકજનોએ ગ્રીષ્મનો આ શૃંગારીક લાભ મેળવવા માટે અત્યારે ભારતની મુલાકાત લેવી જોઇશે. જેઓને ભુતકાળમાં અહીંની આ ઉષ્ણતાનો અનુભવ હોય તેઓ ત્યાંની ઠંડકમાં પણ મનની કલ્પનાશીલતાને કામે લગાડી અને પ્રસ્વેદથી સ્નાન કરી શકે છે !)       
   
  

अच्छाच्छचन्दनरसार्द्रतरा मृगाक्ष्यो
धारागृहाणि कुसुमानि च कौमुदी च ।
मन्दो मरुत्सुमनस: शुचि हम्‌र्यपृष्ठं
ग्रीष्मे मदं च मदनं च विवर्धयन्ति ॥८७॥
  

સ્વચ્છ અને આછા ચંદનના લેપથી ભીની ભીની મૃગનયનીઓ, ફુવારા વાળા ભવનો, પુષ્પો તેમજ ચાંદની, મંદ મંદ પવન, માલતીની વેલીઓ અને સ્વચ્છ અગાશી; આ બધું ઉનાળામાં મદને અને મદનને (કામને) ઉદ્‌દીપિત કરે છે.  

અહીં અપાયેલાં વર્ણન એ યુગનાં છે જ્યારે આપણા બાપદાદાઓ આવી સગવડો પામવા જેટલા બડભાગી હતા ! જો કે નિરાશ થયા વગર આપણે પણ હાલનાં સંજોગ મુજબ આપણી સૃષ્ટિની રચના કરી શકીએ છીએ. જેમ કે ચંદનનો લેપ ન મળે તો ચંદનની સુગંધવાળો ટેલ્કમ પાવડર કલ્પવો ! ભવનમાં ફુવારાની રચના શક્ય ન હોય તો એક એરકુલરનો ખર્ચ કરી નાખવો ! બાકી આપ પ્રકૃતિપ્રેમી હશો તો પુષ્પો,ચાંદની, મંદ મંદ પવન અને માલતીની વેલીઓ તો લગભગ વિના ખર્ચે ઉપલબ્ધ થશે. અહીં કવિએ (કદાચ સ્વાનુભવે !) ગ્રીષ્મમાં मदं च मदनं च, મદ અને મદનને ઉદ્‌દિપ્ત કરતા કેટલાક સરળ ઉપચારો બતાવ્યા છે.
  

મારો છાંયડો (૨૫ વર્ષ પહેલાંની મહેનતનું ફળ - ટાઢક !!)

આ શાથે એક અર્થ એ પણ લઇ શકાય કે પ્રકૃતિના દરેક રૂપનો આનંદ લઇ શકાય છે, બસ લેતા આવડવો જોઇએ ! બહુ ગરમી, બહુ ગરમીની રાડો પાડી અને દુબળા થવાથી પ્રકૃતિ કંઇ પોતાની માયાજાળ સંકેલી નહીં લે ! અને આપણે ફળીમાં એકપણ વૃક્ષ રહેવા નથી દીધું, તો ભોગવવું તો પડશેજ ને ? કહે છે કે કુદરતના શબ્દકોષમાં માફી નામનો કોઇ શબ્દ નથી ! આપણે તેને પર્યાવરણમાં ખલેલરૂપી એક નાની કાંકરી મારીશું તો સામેથી કુદરતી કોપરૂપી મોટો ઢેખાળો આવશે જ ! માટે ચાલો, અન્યનાં ભલા માટે નહીં તો આપણા સ્વાર્થ માટે પણ, ઘરની આસપાસ થોડા વૃક્ષવેલાઓ વાવવાનું શરૂ કરીએ. જેથી ભર્તૃહરિ જેવા આપણા વડવાઓ જે આનંદ ગ્રીષ્મમાં માણતા તેની આપણે ફ્ક્ત કોરી કલ્પના જ કરી અને ન બેસી રહેવું પડે !! કંઇ ખોટું કહ્યું ?  

    

स्त्रजो ह्यद्यामोदा: व्यजनपवनश्चन्द्रकिरणा:
पराग: कासारो मलयरज: शीधु विशदम्‌: ।
शुचि: सौधोत्सड्ग: प्रतनु वसनं पंक्जदृशो
निदाधर्तावेतद्‌विलसति लभन्ते सुकृतिन: ॥८८॥
  

મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ, વીંઝણાથી ઢોળાતો પવન, ચંદ્રનાં કિરણો, ફૂલની પરાગ, જલાશયો, નિર્મલ શરાબ, મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો, ઓછાં વસ્ત્રો અને કમલસમાન નેત્રવાળી સુંદરીઓ; ઉનાળાની ઋતુ આવે ત્યારે આ બધું ભાગ્યશાળીઓને મળે છે.  

અહીં ભાગ્યશાળીની કેવી વ્યાખ્યા કરી છે ! અને આવા ભાગ્યશાળી થવું તો કોને નહીં ગમે ? જો કે મારી આદત મુજબ અહીં આપેલ વ્યાખ્યાને સમય પ્રમાણે થોડી ફેરવવાની કોશિશ કરૂં છું;
* મનગમતી સુવાસવાળી પુષ્પમાળાઓ = માળીને ત્યાં મળશે, નહીં તો અત્તરથી કામ ચલાવવું !
* વીંઝણાથી ઢોળાતો પવન = એરકુલર કે પોસાણ હોય તો એ.સી., બાકી અમે પણ ’ઠંડો’ પવન વાય તેવા પંખાઓ વેંચીએ છીએ !!
* ચંદ્રના કિરણો = અંધારીયાપક્ષમાં (કૃષ્ણપક્ષ) ટ્યુબલાઇટ કે CFLથી કામ ચલાવવું !
* ફૂલની પરાગ = એ તો ફળીમાં કે કુંડામાં થોડાં ફૂલઝાડ વાવવા પડે, બાકી ફૂલનાં બે-ચાર ભિંતચિત્રો લગાવવા !
* જલાશયો = આપણા ગુજરાતમાં થોડા સમયથી ’ચેકડેમો’ બાબતે જાગૃતિ આવી છે, તળાવો ઉંડા કરવાની પ્રવૃતિ પણ સારી એવી ચાલે છે એથી હજુ પણ ક્યાંક ક્યાંક જળાશયોમાં પાણી જોવા મળે છે. જો કે આપણે તો બાથરૂમનાં બે ચક્કર વધુ મારી અને કામ રોળવવું (’ત્રણ વાર નહાવું, એક વાર ખાવું’ એ કદાચ આ ગ્રીષ્મઋતુ માટે જ હશે ?)
* નિર્મલ શરાબ = અમારા એક મિત્રનાં જણાવ્યા મુજબ અહીં ’રેડવાઇન’ સૌથી સારૂં કામ આપશે !! પરંતુ આપ જો ગુજરાતમાં વસતા હો તો ખસ કે વરિયાળી શરબતને ઉત્તમ સમજવું !!
* મહેલનો સ્વચ્છ એકાંત ઓરડો = અરે ભાઇ, દુ:ખી ન થવું ! આપણી તુટેલ ફુટેલ ઝુંપડી પણ આપણે માટે મહેલથી ઓછી નથી. હા, સ્વચ્છતા આપણા હાથમાં છે અને એકાંત ઇશ્વરનાં હાથમાં છે :-) (અચાનક મહેમાનો ન ત્રાટકે તેવી શુભેચ્છા !)
** અને હવે છેલ્લી એક બાબતે કોઇ બાંધછોડ શક્ય નથી !!! :-) ભાગ્યશાળી ગણાવા માટે થોડી મહેનત તો આપે પણ કરવી જોઇએને !!!
  

    

सुधाशुभ्रं धाम स्फुरदमलरश्मि: शशधर:
प्रियावक्त्राम्भोजं मलयरजरजश्चाति सुरभि ।
स्त्रजो हृद्यामोदास्तदिदमखिलं रागिणि जने
करोत्यन्त: क्षोभं न तु विषयसंसर्गविमुखे ॥८९॥
  

અમૃતનાં જેવું ધોળું ભવન, નિર્મલ કિરણો રેલાવતો ચંદ્રમા, પ્રિયતમાના મુખરૂપી કમળ, અત્યંત સુવાસિત ચંદનનો લેપ, મનગમતી અને મહેંકતી પુષ્પમાળાઓ; આ બધું પ્રેમી લોકોના અંતરમાં ક્ષોભ જન્માવે છે. પરંતુ વિષયોના મોહથી મુક્ત હોય તેવા ને તેની અસર નથી થતી.   

 
 
 
 
 

ગ્રીષ્મમાં સાગરકાંઠે (વિરાટ પ્રકૃતિ)

અને આ એક શ્લોકને કારણે ભર્તૃહરિ એ ભર્તૃહરિ છે ! શૃંગારરસ આટલો ઉછાળા મારતો હોય ત્યારે તેનાં મનના એક ખુણામાંથી વૈરાગ્યનો તણખો પણ ઝરે. આ ઉપર વર્ણવેલું બધું જ પ્રેમીજનોનાં અંતરમાં વિષય (અહીં ક્ષોભનો અર્થ વિષય, રાગ તેવો કરેલ છે) ઉત્પન્ન કરે છે. પરંતુ જેઓ વિષયોનાં મોહથી મુક્ત બની ગયા હોય તેમને આ ઋતુઓની કશી અસર થતી નથી. આવા લોકો માટે જ નિર્વિકાર શબ્દ વપરાયો હશે. આ પણ મનની એક દશા છે, જીવનના બધા જ ભોગો ભોગવી લીધા પછી કદાચ આ જ્ઞાન પણ લાધતું હશે. કોને ખબર, ત્યારની વાત ત્યારે, અત્યારે તો આપને આ રસિકવર્ણન દ્વારા થોડી શીતળતાનો અનુભવ થયો હોય તો ભર્તૃહરિનો આભાર જરૂર માનશોજી.  

   

ભર્તૃહરિ વિશે વધુ માહિતી માટે અહીં જુઓ:  

ભરથરી-on wikipedia  

* ભરથરી (કવિ)-on wikipedia  

* ભરથરી (વ્યાકરણકાર)-on wikipedia  

* શૃંગારશતક-સંસ્કૃતમાં (pdf)