પ્રિય મિત્રો, નમસ્કાર.
થોડા દહાડાથી ખોવાઈ ગયેલ તે બદલ ક્ષમાપ્રાર્થી છું ! ખોવાઈ જવાનાં ગળે ઊતરે તેવા અને ન ઊતરે તેવા પણ અનેક કારણો ગણાવી શકું છું ! કિંતુ મુખ્ય મુખ્ય કારણો ગણાવું તો પરીક્ષાઓ (બાળકોની સ્તો !), લગ્નગાળો, તાજી તાજી શરૂ થયેલ ગરમી વગેરે વગેરે ગણાય. ન ગણાવી શકાય તેવા કારણો વિષે માત્ર ખુલાસો કરીશ કે સચિન જેવો સચિન પણ દરેક મેચમાં સદી ના કરી શકે તો આપણે પણ, ભલે ૨૦-૨૨ વર્ષના અનુભવી હોઈએ, દરેક વખતે મસ્તકની સીધમાં આવતો પ્રહાર ન ચૂકવી શકીએ (વેલણનો જ સ્તો !!)
પરંતુ માત્ર બહાનાબાજી ન કરવી હોય તો કહીશ કે એક નક્કર, અને વળી આપણે ગુજરાતી ભાષાનાં ચાહકો માટે ગૌરવપ્રદ એવું, કારણ એ છે કે વિકિપીડિયાનાં ઘણાં મિત્રોની નિષ્ઠા અને ત્રણ ત્રણ વર્ષનાં અથાક પ્રયત્નને કારણે તા:૨૭-૩-૨૦૧૨નાં રોજ આપણું અલાયદું ગુજરાતી વિકિસ્રોત મળ્યું. (વિકિસ્રોત વિષયે માહિતી આપતો એક અગાઉનો લેખ વાંચનયાત્રા પર છે. “વિકિસ્રોત (Wikisource) ગુજરાતી” ) હમણાં સુધી સૌ મિત્રોએ વિકિસોર્સનાં બહુભાષી પ્રોજેક્ટનાં એક ભાગરૂપ એવા ગુજરાતી સાહિત્ય સ્રોતનાં વિભાગ પર કામ કરવું પડતું હતું. જે પ્રોજેક્ટ અંતર્ગત, જેમાં બહુ સાહિત્ય ન ચઢાવાયું હોય કે ન ઉપલબ્ધ હોય તેવી, નાની નાની ભાષાઓ પોતાનું સાહિત્ય સહિયારું ચઢાવે છે. સમૃદ્ધ સાહિત્ય વારસો ધરાવતી ગુજરાતી ભાષાનાં પ્રતિનિધિઓ તરીકે આ વાત સૌ મિત્રોને ખૂંચે તે પણ સ્વાભાવિક છે. હવે ગુજરાતીમાં “વિકિસ્રોત” તરીકે અલાયદી ઓળખ મેળવવી હોય તો વિકિનાં જે નિર્ધારિત નિયમો, શરતો છે તેને પૂર્ણ કરવી પડે. વિકિસ્રોત પર કાર્ય કરતાં મિત્રોએ આંખોમાં તેલ આંજી, માથાની ચોટલી બાંધી, આ કાર્ય સુપેરે પાર પાડ્યું. સૌ મિત્રો ખરે જ અભિનંદનનાં અધિકારી છે. આ એ લોકો છે જે કશી બૂમરાણો કર્યા વગર, પોતાની નામના થાય તેવો કોઈ મોહ રાખ્યા વગર, બસ પોતાનાથી બનતું કાર્ય કર્યે જાય છે. તો હવે મિત્રોનાં વખાણ બહુ થયા ! પણ હજુ આપને હું ક્યાં ખોવાયો હતો એ જાણવા તો ન જ મળ્યું ને ?!!! (લાગે છે કે ૨૦૧૪માં અમારે માટે ઊજળી તક રહેલી છે ! ચલો દિલ્હી !
)
મજાક મસ્તી બહુ થઈ, વધારે જાણકારી માટે મિત્ર ધવલભાઈનો આ લેખ વાંચવા ભારપૂર્વક ભલામણ કરું છું. જરૂરી બધી જ માહિતી ત્યાં મળી રહેશે.
તો, આપને પણ આ પરિયોજનામાં રસ પડે તો સાદર આમંત્રિત છો. ખાસ તો આમાં કોઈ આગ્રહ નથી, માત્ર ને માત્ર સ્વૈચ્છીક કાર્ય છે. એક પ્રકરણ, પાંચ પ્રકરણ કે પચાસ પ્રકરણ ! જે પ્રમાણે આપણે અનુકૂળતા હોય તે પ્રમાણે પોતાનું યોગદાન આપી શકાશે. (અને આપણે ગુજરાતીઓ માટે રસપ્રદ ગણાય તેવી વાત કહું તો; સાવ મફત !
અર્થાત આપને ટાઈપિંગ પ્રૅક્ટિસ થશે અને ગાંધીજીની આત્મકથા વાંચવા, વિચારવા મળશે તે લાભનો કશો ચાર્જ લેવામાં નહીં આવે !) છે ને રસપ્રદ વાત ?!
તો ચાલો હવે આટલા દહાડામાં તો અમારા મિતાબહેને, બાપુએ, ગોવિંદભાઈ અને ગોવીંદભાઈએ, કિશોરભાઈ સાહેબે, આતાએ અને હાદ તો ખરું જ ! એમ સૌ મિત્રોએ કેટકેટલી સુંદર રચનાઓ પ્રસિદ્ધ કરી છે તે વાચવા (અને ડહાપણ ડહોળવા !!) પહોંચી જાઉં. આભાર.
તા.ક: હમણાંથી વર્ડપ્રેસનાં લગભગ બધા જ બ્લોગ પર મારા દ્વારા અપાયેલા પ્રતિભાવ “સ્પામ” માં જતા હોવાનું જણાય છે. ’મને એ જ સમજાતું નથી કે આમ શા ને થાય છે ?’ કોઈ સલાહ સૂચન ? અને હા, આગોતરો આભાર !








મારા પ્રતિભાવો – संभवामि युगे युगे|| (via કુરુક્ષેત્ર)
મારો પ્રતિભાવ:
અશોક મોઢવાડીયા:
શ્રી ભુપેન્દ્રસિંહજી, ફક્ત એક પ્રશ્ન !! ગબ્બરસિંઘની ભાષામાં !! ’ બાપુ ! કૌન સી ચક્કી કા આટા ખાતે હો’ ??
संभवामि युगे युगे॥ ની આ વ્યાખ્યા બુદ્ધિગમ્ય લાગી, સચોટ તર્ક.
સત્ય પોતાના પક્ષે જ છે તેની સંપૂર્ણ ખાત્રી હોય તો જ કહી શકાય કે: सर्वधर्मान् परित्यज्य मामेकम् शरणं व्रज। अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः॥१८-६६॥
બાકી તો કહેવું પડે કે : અમે હોમ-હવન કરાવી દઇએ, અમે ગ્રહ-નક્ષત્રોને શાંત કરાવીએ, અમે તમારા વતી પ્રાર્થનાઓ કરાવીએ, તમે આટલા આટલા વિધીવિધાન કરો, જાત્રાઓ કરો, માનતાઓ કરો, (અમારાં ગજવા પણ ભરો !!) બાકી બધું તો ’ઉપરવાળા’ની ઇચ્છા પર નિર્ભર છે !!
’હું તો મહેનત કરી આપું (તમારા જોખમે !!) કામ થવું ન થવું ઇશ્વર ઇચ્છા’ આમ કહેનાર કાંતો ધુતારો છે કાંતો ’સાચો અશ્રદ્ધાળુ’ છે ! એક ’મોહન’ની વાત તો આપે સમજાવી જ, બીજા ’મોહને’ પણ એમ જ કર્યું ને ! ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ દર્શાવતા કંઇ એમ ન કહ્યું કે તમે ’સત્યાગ્રહ, અસહકાર’ જેવા આંદોલન કરો, સ્વતંત્રતા તો ઇશ્વરૈચ્છા હશે તો મળશે !! તેમણે પણ અહંકારયુક્ત ઉદ્ઘોષણા જ કરેલી કે ’કાગડા કુતરાના મોતે મરીશ, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વીના આશ્રમમાં પાછો ફરીશ નહીં’ અને આવતી પેઢીઓ જોશે કે આ ’મોહન’ પણ ઇશ્વરના અવતાર તરીકે પૂજાશે !!! (ફરી એક વખત સંભવામિ યુગે યુગે…) અને આઇન્સ્ટાઇનનાં સુવિખ્યાત અવતરણ મુજબ ’લોકો કોઇ માનશે નહીં કે આવો કોઇ જણ આ પૃથ્વીના પટ પર સદેહે ભમ્યો પણ હશે’ !
બાકી કૃષ્ણે પણ, કોઇ ચમત્કાર વિના પણ, ” सत्यमेव जयते ” એ એક સુત્ર સાબીત કરવા સિવાય કોઇ ચમત્કાર કર્યો નથી. (આ વાક્ય બે વખત વાંચવા વિનંતી)
સ_રસ અને ઉમદા વિચારયુક્ત લેખ બદલ ધન્યવાદ.
શ્રી અશોકભાઈ,
ભાઈ આ મોહન તો ઘણો કાબો નીકળ્યો.કોઈ તો મારવાના આઈડિયા લઇ ને આવે,આતો માર ખાવાના આઈડિયા લઇ ને આવ્યો.એકદમ નવા વિચારો કે મારો અમને ક્યા સુધી મારશો? પણ જાવ અહીંથી.વળી આ મોહન નું સંમોહન એવું હતું કે લોકો માર ખાવા તૈયાર થઇ જતા.કોઈ મારી ને ભગાડે,અહી તો માર ખાઈ ને ભગાડ્યા.ભાઈ દુખ એ વાત નું થયું કે મારી કંપની માં એક ઇન્ડોનેશિયન કામ કરે તેણે એક વખત વાત કાઢી કે મહાત્મા ગાંધી ગુડ મેન,ત્યારે બીજા મિત્રોએ ગાંધીજી ની બેહુદી,ગંદી મજાક કરી.પણ પેલો માને નહિ.એ કહે ના ગાંધી ગુડ મેન.પછી મેં એને સમજાવ્યું કે ગાંધી ગુડ નહિ બેસ્ટ મેન હતા,વિધાઉટ ફાઈટીંગ,નો વોર બ્રીટીશર ગોન.એ કહે નો પિસ્તોલ?મેં કહ્યું નો પિસ્તોલ.એ ખુશ થયો.એને ઈંગ્લીશ ના આવડે એટલે છૂટક શબ્દો માં વાતો કરી લે.પણ આપણાં જ ભાઈઓ ગાંધી ને ગાળો દે ત્યારે ખુબ દુખ થાય.ભાઈ અમેરિકા માં ફક્ત બેજ ભારતીયો ને લોકો ઓળખે છે.એક છે ગાંધી ને બીજા છે સ્વામી વિવેકાનંદ.બાકી કોઈને કોઈ ઓળખાતું નથી.અહી ન્યુઝ ચેનલો પર ડીબેટ ચાલતી હોય ત્યારે સેંકડો વાર મેં ધોળિયા પત્રકારો ના મોઢે સાંભળ્યું છે કે ગાંધી આમ કહેતા હતા કે તેમ કહેતા હતા.ત્યારે ગર્વ થાય.
બીજું કોઈ ટેલીપથી લાગે છે.મને થતું હતું કે અશોક ભાઈ એવું ના પૂછે તો સારું કે શું ખાવ છો?અને આજે પૂછી નાખ્યું.બધા ખાય તેજ ખાઉં છું ભાઈ.અમેરિકન ફૂડ ના ભાવે.ભારતીય ખોરાક જ ભાવે.તીખું ખાવા બહુ જોઈએ.તીખા મરચા કાચા ચાવી જાઉં.ભલે પસીના ના રેલા ઉતરે પણ ખાવા તો તીખું જ જોઈએ.વિટામીન સી મરચા માં બહુ હોય.બે કેપ્સીકમ મરચામાં ત્રણ ઓરેન્જ જેટલું વિટામીન સી હોય.તીખું ખાવા થી બ્લડ સર્ક્યુલેશન વધી જાય,માણસ એક્ટીવ રહે,લોહી પાતળું રહે.હાર્ટ ની ઘણી દવાઓ માં મરચા માંથી મેળવેલ તત્વો વપરાય છે.
શ્રી અશોકભાઈ,
આ ત્રીજા મનમોહન નો એક પ્રોબ્લેમ છે.છે તો બુદ્ધિજીવી અને છે અંતર્મુખી,ખોટો ચડી બેઠો છે ગાદી પર.રાજનેતા બનવા માટે ની સખ્તાઈ નો અભાવ છે.દંડ દેવા માટે ઢીલો પડે ને બીજા નો દોરવ્યો ચાલે છે.સરદારજી આવો ના હોય.ગુરુ ગોવિંદસિંહ તો એવું કહેતા હતા કે લાખ ની સામે એક લડાવું,
ગાંધીજીને ગાળો દેવી એ બહાદુરી ગણાય છે. ગાંધીજીની વાતોમાં ભરોસો વ્યકત કરવો એ કાયરતા ગણાય છે. એમના તમામ વિચારો આજની તારીખે કદાચ અમલમાં મૂકવા જેવા ન પણ હોય. પણ કેટલાક ઝનૂની ધાર્મિક નેતાઓ એમને વગોવીને તાળીઓ પડાવે ત્યારે કહેવાનું મન થાય કે: તમે ભલે માર ખાવા તૈયાર નથી પણ મારવા તો તૈયાર છોને? તો એકાદ ગદ્દારને મારી બતાવો તો સાચા ભડવીર!
એવું નહીં કરી શકે. એ લોકો માત્ર જનતાને ભડકાવી શકે. જેને વિશ્વ માનતું હોય એને આપણે કોડીના કરી નાખીએ છીએ. એમ થવાનું કારણ કદાચ ગાંધીજીના નામે ચરી ખનારાઓ જ છે. આઝાદી પછીના વર્ષોમાં એ લોકોએ ગાંધીજીનું નામ એટલું તો વટાવી ખાધું છે કે લોકોને નફરત થઈ ગઈ.
અને ગાંધીજી માનવ તરીકે પૂજાય એ જ બરાબર છે. ભગવાન તરીકે એમની પૂજા થવા માંડશે તો વળી ભવિષ્યમાં એમના મંદિરો બનશે, એમના ચમત્કારોની ચોપડીઓ વેચાશે. માદળિયા વેચાશે!!!
આ પણ વાંચો : “મારા પ્રતિભાવો – બે શબ્દ”
→ Leave a comment
Posted in પ્રતિભાવો, comments
Tagged ગાંધીજી, અધ્યાત્મ, સમાજ, Reblogging, "મારા પ્રતિભાવો", રાધા-કૃષ્ણ