ભૂતપિશાચ – ડરના મના હૈ !


નમસ્કાર, આજે આપણે એક એવો વિષય લેવો છે, જેનાથી લગભગ બધાજ ડરે તો છે, પરંતુ બહુ ઓછા ઓળખે છે. હા, આપણે અહીં ભૂતપિશાચ વર્ગમાં આવતા પ્રાણીઓની ઓળખ કરવાની છે. આ લેખ કોઇ અંધશ્રદ્ધા ફેલાવવાના ઉદ્દેશથી નથી લખતો, પરંતુ જેમ ઉપચાર કરવા માટે રોગને ઓળખવો જરૂરી હોય છે તેમ ડર કાઢવા માટે પ્રથમ તો આપણે ડરીએ છીએ શાનાથી તે ઓળખવું જરૂરી છે. ભૂત પ્રેતના હોવા, ન હોવા વગેરે બાબતો પર સૌને પોતપોતાના વિચારો હશે જ. આપણે અહીં માત્ર સાહિત્ય અને સમાજમાં પ્રચલીત એવા આ વર્ગની ઓળખ કરવાની છે. ઉદ્દેશ ફક્ત જ્ઞાનમાં અને શબ્દભંડોળમાં વધારો કરવાનો જ રહેશે. અહીં લખેલું બધું સાચું માનવું જરૂરી નથી, વિવિધ માધ્યમોથી એકત્ર કરેલી આ માહીતિને તેના મુળરૂપે અહીં મુકું છું. કોઇનામાં જરા પણ વિચારશક્તિ હશે તે ઉલ્ટું આ વાંચી અને આ બધી બાબતોની બાલિશતા સમજી જશે. કોઇ પાસે આ વિષય પર હજુ વધુ જાણકારી હોય તો અહીં જણાવવા સાદર આમંત્રીત છે. તો ચાલો મેળવીએ આપણી આસપાસના ભુતપિશાચો વિશે થોડી માહીતિ.
આ લેખ માટે મદદરૂપ થાય તેવી અમુક માહીતિઓ ’ભગવદ્‌ગોમંડલ’ માંથી અને અમુક શ્રી પ્રભાકર દીઘેના પુસ્તક “પિશાચવિદ્યા” માથી લીધેલી છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકશ્રીએ લખેલા તેમના વિચારો જાણવા લાયક છે. પ્રથમ આપણે તે જોઇએ :

“ભૂત પિશાચના આ વિષય પર લખતાં કલમ ઉપાડતાં પહેલાં, કોણ જાણે કેમ પણ વારંવાર મને એમ થાય છે કે પ્રથમ હું પ્રભુસ્મરણ કરી લઉં… કારણ કે આ વિષય જ એવો ભયપ્રેરક છે કે નામ સાંભળતાં જ ભલભલાની છાતી ધડકી ઊઠે…. પણ મનમાં વિચાર આવે છે, છટ્‌ આ યોગ્ય નથી. હું જ જો આ રીતે કરું, તો બિચારા અભણ-અશિક્ષિતોની તો શું દશા થતી હશે !
ખરેખર…આ ડર, આ ભય બિલકુલ નિરર્થક છે. બિન પાયાદાર છે. કારણ કે ભૂતપિશાચનું અસ્તિત્વ આ જગતમાં છે એવો કોઇ સબળ કે સંગીન પુરાવો હજુ ક્યાં પ્રાપ્ત થયો છે ? હું જો આવું કહીશ, તો તમારામાં કેટલાક મને કહેશે, “અરે આ ભૂતપિશાચને કારણે તો ઘણાએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, કારણ વગર; ને તમે કહો છો કે ભૂતપિશાચનું અસ્તિત્વ જ નથી.”
સાચું છે, તમારું કહેવું સોએ સો ટકા સાચું. પણ એ ભૂતપિશાચોને કારણે નહીં, માત્ર એના ભયને કારણે પ્રાણ ખોયા છે. વિચાર કરતા તમને પણ આ હકીકત સમજાશે.
ભય… પછી ભલે એ ગમે તે માનવીના મનમાં પેદા થાય, એનું અહિત જ કરે છે. કવચિત્‌ અકારણ એનો પ્રાણ લે છે.”

આટલી પ્રસ્તાવના પછી હવે અહીં આપણે પ્રથમ ભૂતપિશાચમાંના સ્ત્રીવર્ગના વિવિધ સ્વરૂપો જોઇશું.
* જખીણ = ઘણૂં કરીને વૃદ્ધાના વેશમાં ફરતું અને શ્વેત, રૂપેરી, વિખેરાયેલા વાળ ધરાવતું આ ભૂત છે. કેટલાક લોકો માને છે કે આ પ્રકારનું ભૂત ભલા માણસનું કલ્યાણ પણ કરે છે. ક્યાંક ક્યાંક આ ભૂત ’બળવંત’ નામે પણ ઓળખાય છે. કહે છે કે સગર્ભા કે રજસ્વલા અવસ્થામાં મૃત્યુ પામેલી સૌભાગ્યવતી સ્ત્રી ’જખીણ’ નામનું ભૂત બને છે. મોટાભાગે તો આ જખીણ જેને વળગે છે તેમનો સોનાપુરમાં વાસ નિશ્ચિત મનાય છે.

* લાવ કે લાવસર = રજસ્વલા અવસ્થામાં મૃત્યુ પામેલી વિધવાના ભૂતને ’લાવ’ કે ’લાવસર’ કહે છે. મનાય છે કે આ ભૂત હંમેશા સ્મશાનમાં જ વાસ કરે છે અને પશુપંખીઓને હેરાન કરે છે. મડદાઓનું ભોજન તેની પ્રિય પ્રવૃતિ છે.

* હડળ = ખુબ ખરાબ અને દૃષ્ટ સ્વભાવનું ભૂત મનાય છે. સારા સારા રૂપ ધરી અને લોકોને ફસાવે છે, મુખ્યત્વે બાળકોને શિકાર બનાવે છે. કહેવાય છે કે બાળકનો જન્મ થયા પછી દસ દિવસ પૂરા થાય તે પહેલાં જે સ્ત્રી મૃત્યુ પામે છે તે ’હડળ’ થાય છે. ક્યારેક રજસ્વલા સ્ત્રી પણ મૃત્યુ બાદ હડળ થયાનું કહેવાય છે. આ ભૂત સ્મશાનમાં કે ખીજડાના ઝાડ પર રહે છે. રાત્રી લીલા રંગના વસ્ત્રો ધારણ કરે છે અને તે જે મળે તેને પકડે છે. 

* સટવાઇ = આ ભૂત સગર્ભા સ્ત્રીઓને હેરાન કરે છે, તાજા જન્મેલા, પાંચ છ દિવસના બાળકને પણ હાની પહોંચાડે છે.

* ડાકણ = આ અતિ ભયંકર, નિર્દય અને સ્મશાનમાં મડદા અને બાળકોને ભરખતું ભૂત છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૨. [ સં. ડાકિની ] સ્ત્રી જાતિનું એક ભયંકર અને હઠીલું ભૂત; વિચિત્ર અને ભયંકર છૂટા ચોટલાવાળું સ્ત્રીના આકારનું ભૂત; પિશાચણી. એમ કહેવાય છે કે, ડાકણનો બરડો પોલો હોય છે અને તે બહુ જ ભુખાળવી હોય છે.
# ડાકણ સામે ડાકણ = જેવાની સામે તેવા થવું.
૩. દેખાવે ભયંકર હોય એવી સ્ત્રી.
૪. મેલી વિદ્યા જાણનારી સ્ત્રી; જાદુગર બાઇ; ખાઉધર તરીકે નજર લાગે તેવી સ્ત્રી.

* શાકિની-શાકણ-શાકણી = અવિવાહિત સ્ત્રી મર્યા બાદ શાકિની બને છે તેમ કહેવાય છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. [ સં. શાકિની ] એક જાતની પિશાચ સ્ત્રી; શાકણી; ડાકણ; પિશાચણી; ચૂડેલ; ભૂતડી.
૨. દુર્ગાના ગણમાંની એક પિશાચી કે દેવી; શાકિની; હલકી જોગણી; ઊતરતી પંક્તિની દેવી.

* પેડ = આ ભૂત ઘણાં બાળકો ધરાવે છે, ઘણું કરી અને ગામડાઓમાં ઘરની આસપાસ વસવાટ કરે છે અને પોતાના બાળકોને ખાવાપીવાનું મળી રહે તે માટે એ ઘરનાં કે આડોશ પાડોશનાં બાળકોને માંદા કરી તેમનો શિકાર કરે છે. 

* આસરા = પાણીમાં રહેનારૂં આ ભૂત હંમેશા સ્વરૂપવાન સ્ત્રીના રૂપે જ દેખાય છે. આ ભૂત પાણીની નીચે પાતાળલોક સુધી આવાગમન કરતું હોવાનું મનાય છે.
 

* ચુડેલ = આ પ્રકારના ભૂતના પગ અવળા હોવાનું મનાય છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. પોલા વાંસાની અવળપગી ભૂતડી; એક જાતનું ઘણું જ બિહામણું સ્ત્રી ભૂત; એક પિશાચ જાતિ; પિશાચિની; જીવતી ડાકણ; વંત્રી. કહેવાય છે કે સુવાવડમાં અથવા અડકાયલી હાલતમાં મરી ગયેલી સ્ત્રી ચુડેલ થાય છે.
# ચુડેલ રાસડા લે તેવું = ઉજ્જડ; ખેદાનમેદાન.
# ચુડેલની પીઠ-વાંસો = ભયંકર બાબત.
૨. બદશિકલ બિહામણી સ્ત્રી; કુબજા; કુરૂપિણી; કદરૂપી સ્ત્રી.

* પિશાચીની – પિશાચી =
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૩. પિશાચણી; પિશાચસ્ત્રી; ભૂતડી.
૪. ક્રૂર; ધાતકી; નિર્દય; રાક્ષસી.

 

* જોગણ – જોગણી = ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. ઈશ્વરશક્તિવાળી કલ્પિત સ્ત્રી; દેવી; માતા; શક્તિનાં કલ્પેલાં ચોસઠ માંહેનું દરેક સ્ત્રીરૂપ.
૨. [ સં. યોગિની ] એક જાતની રણદેવી. તે રણમાં મરેલાં મનુષ્યોનાં માથાંની તૂંબલી દેખી રાજી થાય છે અને દડો બનાવી તે વડે રમે છે એમ કલ્પાયેલ છે.
૩. દુર્ગા અને શિવની તહેનાતમાં રહેતી આઠ માંહેની દરેક ઉપદેવી.
૪. પિશાચિની; માયાવી, ચમત્કારી અને ઘણુંખરૂં રાક્ષસ જેવી વૃત્તિવાળી ખરાબી કરનારી સ્ત્રી.
૫. વેરાગણ; સાધુડી; બાવાની સ્ત્રી.
૬. સંસારનો ત્યાગ કરી, ભગવાં પહેરી, બ્રહ્મ અને ઈશ્વરભજન વગેરેમાં જીવન ગાળનારી સ્ત્રી; સાધ્વી સ્ત્રી; તાપસી; યોગિની.

હવે આપણે પુરુષવર્ગના કેટલાક ભૂતોની ઓળખ મેળવીએ.

* ભૂત  = અધિકાર અને સામર્થ્યથી આ વર્ગ પાછળ પડતો ગણાય. કોઇ ક્ષુલ્લક પદાર્થ માટેની પોતાની ઇચ્છાપૂર્તિ કરવા માટે એ માણસને પકડે અને બિમાર પાડે છે. નાની એવી ઇચ્છાપૂર્તિ કરાતાં તે પકડેલ માણસને છોડી મુકે છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>

૪.   ગતાગમ વગરનું માણસ; જડ જેવું માણસ; અક્કલે ઓછું ને શરીરે સારૂં માણસ.
# ભંભેરીને ભૂત કરવું = ગાંડા જેવું બનાવવું; મારમાર કરે તેવું બનાવવું; અતિ ઉશ્કેરવું.  #ભૂતનો ભાઈ = (૧) એક બાબત પાછળ ઘણો લાંબો વખત વળગ્યો જ રહે એવો માણસ. (૨) ભૂતનો સોબતી.
૫.   ( વ્યાકરણ ) ગયેલો કાળ; ભૂતકાળ; વ્યતીત સમય.
૬.   પિશાચ; પ્રેત.
વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રક્ષસ, ગંધર્વ, કિંનર, પિશાચ, ગુહ્યક, સિદ્ધ, ભૂત એ દેવયોનિની સંજ્ઞા છે. – અમરકોષ
૭.   પ્રાણી; જીવ.
૧૧.   રાક્ષસ; દૈત્ય.
૨૦.   ( જૈન ) આઠ માંહેના એક પ્રકારના વ્યંતરનિકાય દેવ, ભૂતોના નવ પ્રકાર છે: સુરૂપ, પ્રતિરૂપ, અતિરૂપ, ભૂત્તોત્તમ, સ્કંદિક, મહાસ્કંદિક, મહાવેગ, પ્રતિછન્ન અને આકાશગ.
૨૨.   કદરૂપું માણસ; વિચિત્ર અને બિહામણું માણસ.
૨૯.   પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચમહાભૂત માંહેનું દરેક.
૩૧.   બહુ દુષ્ટ કે વ્યભિચારી માણસ.
૩૨.   ભયંકર આકૃતિ.
૩૩.   ભૂતની જેમ પાછળ ફરનાર માણસ. જેમકે, બાતમીદાર.
# ભૂત ભમવાં = (૧) ઇચ્છા રાખતા ઘણા ઉમેદવારો પાછળ પાછળ ફરતા હોવા; ઘણા ઉમેદવાર હોવા; ઘણા લોક ગરજાઉ હોવા. (૨) દુ:ખ આવી પડવાનો ભય હોવો. (૩) સ્વાર્થની ખાતર ચૂપકીથી બાતમીદારોનું પાછળ પાછળ ભમ્યા કરવું.
૩૪.   મનુષ્ય.
૩૫.   મરણ પામેલ અને અગ્નિદાહ થઈ ચૂકેલ વ્યક્તિ. સત્યાર્થ પ્રકાશમાં લખે છે કે, શરીરનો દાહ થઈ ચૂક્યો, ત્યારે તેનું નામ ભૂત કહેવાય છે.
૩૬.   વહેમ; ધૂન.
# ભૂત ભરાવું = (૧) ઘેલું લાગવું. (૨) ધૂનમાં ચડવું; ધૂંધવાટ, ધૂન કે વહેમ વળગવાં; એકાદ વાત મનમાં ને મનમાં રાખવાથી વિભ્રમ થવો. (૩) વાંકું પડવું; રિસાવું. # ભૂત ભેરવવું-વળગાડવું = લપ કે ધૂન વળગાડવી. # ભૂતની મીઠાઈ કે પકવાન્ન = (૧) વાસ્તવમાં જેનું અસ્તિત્વ ન હોય પરંતુ ભ્રમથી દેખાતો હોય એવો પદાર્થ. (૨) સહજમાં મળેલું ધન. તે જલદી નાશ પામે છે એમ મનાય છે. (૩) હરામનું આવેલ હરામને રસ્તે જાય. # મનસા-મંછા ભૂત ને શંકા ડાકણ = ખોટો વહેમ.
૪૪.   સંસારમાંના કોઇ ભાવમાં મન રહી જવાથી અવગતિ પામેલો જીવ; શ્મશાન, ઝાડ વગેરેમાં વસતો પ્રેત. આ સ્થિતિમાં તે જીવ હમેશા ભટક્યા કરે છે. ભૂતની ઘણી જાત છે: પિશાચ, જીન, શેતાન, પ્રેત, ઝાંપડી, બ્રહ્મરાક્ષસ, ખવીસ. એ મસાણમાં ઝાડમાં રહે છે અને પ્રાણીને પીડા કરે છે એમ કહેવાય છે.
# ભૂત આવવું-ચડવું = (૧) અતિ આગ્રહાવેશ આવવો. (૨) અતિ ક્રોધિત થવું. (૩) કોઈના ઉપર વિના કારણે અસત્ય આરોપ મનમાં અને મનમાં ચડાવી શંકાની નજરે જોવું. (૪) ભૂત વળગવું. (૫) ભૂત વળગ્યું હોય તેવી ધૂન કે જકવાળું થવું. (૬) વહેમી બનવું. (૭) શંકાને સ્થાન આપવું. # ભૂત ઉતારવું-કાઢવું-જલાવવું = (૧) ભૂતનો વળગાડ દૂર કરવો. (૨) વળગેલાં જક, ધૂન કે વહેમ દૂર કરવાં. # ભૂત ગયું ને પલીત જાગ્યું-ભૂત મરે ત્યાં પલીત જાગે-ભૂત મૂઉં ને પ્રેત જાગ્યું = એક પીડા જાય ત્યાં બીજી આવે; બકરૂં કાઢતાં ઊંટ પેસે; ખરાબ વસ્તુ કાઢવા જતાં વધારે ખરાબ વસ્તુનું દાખલ થઈ જવું; ઓલામાંથી ચૂલામાં પડવા જેવું થવું; અલા ગઈ ને બલા આવી; ઘરના બળ્યા વનમાં ગયા ત્યાં વનમાં લાય લાગી. #  ભૂત થવું = (૧) અવગતિયા થવું. (૨) ગુસ્સાથી ગાંડા જેવું થઈ જવું. # ભૂત પર ચિઠ્ઠો = જૂઠો વાયદો.   # ભૂત બનવું = (૧) કોઇ કામમાં તન્મય થવું. (૨) નશામાં ચકચૂર થવું. (૩) પ્રેત આવવું. (૪) બહુ જ ગુસ્સે થવું. #  ભૂત ભૂસકા મારે ને હનુમાન હડિયું કાઢે એવું હોવું-ભૂત ભૂસકા મારે એવું હોવું = (૧) ખાલી કે સરસામાન વિનાનું હોવું. (૨) ગરીબી હોવી. (૩) સપાટ મેદાન હોવું. # ભૂત વળગવું. = (૧) ભૂતની ઝપટ લાગવી; ભૂતનું શરીરમાં દાખલ થવું; પ્રેતનો વળગાડ લાગવો. (૨) ભ્રમ થવો; ધૂન ભરાવી. # ભૂતનું ઠેકાણું આમલી-ભૂતનો વાસ પીપળો = (૧) જેનું જ્યાં બેસવાનું વધારે થતું હોય ત્યાં તે મળે. માણસ જ્યાં બેસવાનું વારંવાર જતો કે રહેતો હોય ત્યાંથી જ તે ઘણુંખરૂં મળી આવે છે. (૨) જેવો માણસ તેવો વાસ. #  ભૂતને પીપળો મળી રહેવો = જેવાને તેવું મળી રહેવું. # ભૂતનો ભડકો = મસાણમાં અથવા બીજી ભેજવાળી જગ્યાએ રાતે થતો ભડકો. ભૂતના ભડકા શ્મશાનમાં દેખાય છે, તે વાસ્તવિક રીતે ફોસ્ફરસ છે.-પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા.

* પિશાચભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>  
૧. [ સં. ]  ( પુરાણ ) એ નામનો ભારતવર્ષનો એક દેશ. પાંડ્ય, કેક્ય, કુંતલ, સુદેષ્ણ, વાટ, ગાંધાર અને કનોજ એ બધા પિશાચ દેશ મનાય છે.
૨.   એક જાતની દુ;ખ દેતી ભૂતયોનિ; ભૂતપ્રેત જેવી એક હીન યોનિ.
૩.   એક જાતનો પુરુષ. અત્યંત ખાનાર, સ્ત્રીવર્ગમાં અતિ સહવાસ કરવાની લોલુપતાવાળો, એકાંતમાં ગમે તેવા સ્ત્રીસંગની હમેશા કામના કરવાવાળો, અપવિત્ર અને બીજાની પવિત્રતાની પણ નિંદા કરવાવાળો, જાતે બીકણ તેમ જ અન્યને પણ પોતાની ભીરુતાથી ભય પેદા કરાવનાર તથા વિરુદ્ધ આહારવિહાર આદિમાં રુચિવાળો પુરુષ પિશાચ કહેવાય છે. આવી સ્ત્રીને પણ પિશાચ કહેવામાં આવે છે.
૪.   એક પ્રકારનો વિવાહ. તે અધમ ગણાય છે.
૫.   દુષ્ટ માણસ; રાક્ષસ; નઠારો કે ઘણો જ ખરાબ માણસ; દુ:ખદાયક માણસ.
૬.   પ્રેત; અવગતિયો જીવ. …..
૭.   ( જૈન ) વ્યંતરનિકાય દેવનો એ નામનો એક પ્રકાર. …..

* પ્રેતભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. [ સં. ]  અવગતિયો જીવ; ભૂત; પિશાચ. તેના શરીરનો રંગ કાળો, વાળ ઊભા થયેલા અને સ્વરૂપ બહુ વિકરાળ માનવામાં આવે છે.
૨.   નરકમાં રહેનાર પ્રાણી.
૩.   પિશાચ જેવી એક યોનિ.
૪.   બહુ જ ચાલાક અને કંજૂસ આદમી.
૫.   મડદું; શબ.
૬.   સપિંડીકરણ પર્યંત મરનારને મળતું એક કલ્પિત શરીર;……
૭.   મરી ગયેલું; મરણ પામેલું.

* વેતાળ કે વેતાલ = આને ભૂતજગતનો રાજા ગણવામાં આવે છે. માંત્રિકના દેહમાં પ્રવેશી અન્ય દેહમાં પ્રવેશેલા ભૂતોને કાઢવામાં મદદરૂપ થાય છે. સર્વ ભૂતો આ વેતાળની આજ્ઞામાં રહે છે. સામાન્ય રીતે દેશ કે ગામના સીમાડા પર વેતાળનું મંદિર હોય છે. વેતાળ મડદામાં પ્રાણ ફૂંકી શકે તેવી માન્યતા છે. (કથાઓ-વિક્રમ-વેતાળ)
વેતાળના બે પ્રકાર છે. એક રૂદ્ર વેતાળ અને બીજો આગિયા વેતા્ળ (આગ લગાડનાર). દક્ષિણ કોંકણમાં વેતાળની મૂર્તિવાળા મંદિરો ઊભાં કરવામાં આવેલા છે. એ મૂર્તિઓ હંમેશા નગ્ન સ્વરૂપે હોય છે, તેની પૂજા થાય છે અને બહારથી વસ્ત્રો પહેરાવવામાં આવે છે. તામિલનાડુમાં વેતાળને અટનાયર, દુર્ગમાં મલદેવ અને તેલંગણમાં પેંકટસુ કહે છે. તે મધ્યરાત્રીએ ઘોડા પર બેસી અને ફરવા નિકળતો હોવાનું મનાય છે.   
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૪.   એક જાતનો ભૂત; આગિયો વેતાળ.
૭.   ભૂત કે પિશાચનો રાજા.
૮.   ભૂત જેમાં પેઠું હોય તેવું મડદું; મૃત શરીરમાં પેઠેલો ભૂત.

* ખવીસ   ઉચ્ચાર: ( ખ઼વીસ ) = લમાણ, મુસલમાન, મહાર ઇત્યાદિ લોકોના ભૂતને ખવીસ અથવા બાબા કહેવામાં આવે છે. આ એક માળ જેટલો ઊંચો હોય છે. અવિવાહીત પુરુષ મૃત્યુ બાદ ખવીસ થાય છે. કેટલાક મત પ્રમાણે ખવીસ સફેદ-શુભ્ર હોય છે. એના પગના તળીયા અવળા હોય છે અને તે ફાવે તે રૂપ ધારણ કરી શકે છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧.   અવગતિ પામેલો મુસલમાન.
૨. [ અ. ખવીસ ]  અવગતિયો અનાર્ય ભૂત; માથા વગરનો જબરો પિશાચ.
૩.   ભય ઉત્પન્ન થાય એવી આકૃતિનો બિહામણો જબરદસ્ત માણસ.
૪.   માથા વિનાનો રાક્ષસ.

* ઝોડ   ઉચ્ચાર: ( ઝોડ઼ ) = મુસલમાન, ખારવા, કોળી વગેરેના ભોતોને ઝોડ તરીકે ઓળખાવવામાં આવે છે. એ એક વૃક્ષ પર એક પગ અને બીજા વૃક્ષ પર બીજો પગ રાખી અને ઉભો રહે છે. તેને ડોકું હોતું નથી. દુઃખી બાળકો મરણ બાદ ઝોડ થાય છે, તે જે ઝાડ પર વસે છે તેની પાસેથી પસાર થનાર બિમાર પડે છે તેમ મનાય છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૬.   ઝૂડ; પ્રેત; ભૂત; પિશાચ.
૭.   લફરૂં; વળગણ.
૮.   વળગ્યું છૂટે નહિ એવું ચીકણું માણસ; કંટાળો આપે અને કેડો મૂકે નહિ એવું માણસ.
# ઝોડ છૂટવું = (૧) પીડા ટળવી. (૨) વળગણ જવું. # ઝોડ વળગવું = (૧) કંટાળો આપે એવા માણસે બાઝી પડવું; કેડો લેવો. (૨) ઝટ દઈને છોડી જાય નહિ એવું ભૂત કે પ્રેત બાઝવું; કેમે કર્યું અળગું થાય નહિ એવા ભૂતના સપાટામાં સપડાવું.

* મુંજા = બ્રહ્મચારી યુવાન, સ્વરૂપવાન અને લંગોટી પહેરનાર, હંમેશા પીપળા પર રહેનાર. એકાદ બ્રાહ્મણ બ્રહ્મચારી મૃત્યુ પામે કે એ ’મુંજા’ થાય છે. પીપળાના ઝાડ પર બેસી એ સૌને હેરાન કરે છે. એના કમર પર નાની નાની ઘંટડીઓ હોય છે. ઉજ્જડ વિસ્તારમાં ફરે છે.  
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧.   અન્ન પચાવવાનું બળ જેમાં વ્યાપી રહે તેવું શરીર.
મુંજાથી તંતુની પેઠે ત્રણે દેહથી આત્મને, કળે ધીર કરે જુદો તે પામે પરબ્રહ્મને – સંસ્કૃત પુષ્પાંજલિ.

* રાક્ષસ = ભૂતગણમાં આ સર્વ શક્તિમાન છે. એ રૂપે ભયંકર, અતિશય કાળો હોય છે. મોટા મકાન કે મોટા ઝાડ પર તેનું રહેઠાણ હોય છે. ઉજ્જડ વિસ્તાર તેને પસંદ છે. કહે છે કે કોઇ નિઃસંતાનના છેલ્લા સંસ્કાર વિધિપૂર્વક નથી થતા તે, કે કોઇ લોભિયો રાક્ષસ થાય છે. અને પોતાની સંપત્તિનું નાગરૂપે રક્ષણ કરે છે.  
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. [ સં. ]  આઠ માંહેનો વિવાહમાંનો એક પ્રકાર. તેમાં યુદ્ધ કરી બળાત્કારે અથવા છીનવી, ઝૂંટવી કે કપટથી કન્યાનું હરણ કરવામાં આવે છે.
ગંધર્વ, અસુર, પિશાચ અને રાક્ષસ એ છેવટના ચાર ઉત્તરોત્તર વધારે અધમ છે. – સત્યાર્થપ્રકાશ
૨.   આયુધ જીવી અથવા શાસ્ત્રોપજીવી સંઘનું એક નામ.
૫.   કુબેરના ધન ભંડારનો રક્ષક.
૬. [ સં. રક્ષ્ ( રક્ષણ કરવું ) ]  દાનવ; દૈત્ય; રાક્ષસ; અસુર. રાક્ષસો આકળા, વિકરાળ, મોટા દાંત, ભયંકર આંખો અને વગર પ્રમાણના અવયવોવાળા હતા એવી લોકોની સમજ છે તે ભૂલ ભરેલી છે. તેઓ આર્યોની માફક મનુષ્ય દેહધારી હતા. માત્ર રંગે કાળા અને શરીરે મજબૂત હતા. અને નરમાંસ ભક્ષણ કરવાનો ક્રૂર ચાલ તેમનામાં હતો……..
૧૦.   ભયંકર દેખાવ અને વર્તનવાળા આવ્યંતર દેવ.
૧૧.   ભૂત; પિશાચ.
૧૨.   રાક્ષસ જેવા લક્ષણવાળો માણસ. જેઓ આળસુ, ક્રૂર, ખાઉધરા, કદરૂપા અને અતિ ક્રોધી હોય તેને માટે આ શબ્દ વપરાય છે.
૧૭.   ( જૈન ) વ્યંતર નિકાય દેવોના આઠ માંહેનો એક પ્રકાર.
૧૮.   હરકોઇ દુષ્ટ પ્રાણી.
૨૦.   ભયંકર; વિકરાળ
૨૧. [ સં. રક્ષ્ ( રક્ષણ કરવું ) + અસ્ ( ક્રિયા ) + અ ( કર્તા ) ]  રક્ષણ કરનાર.

* બ્રહ્મરાક્ષસ = રાત્રે અથવા દિવસે ક્યારે પણ મોટી વાડના એક બાજુના ભાગમાં, અતિશય વેરાન ભાગમાં, જૂના પીપળાની નીચે, કે ફેલાયેલા વડ પર બેસીને આ સ્નાન સંધ્યા કરે છે. એ કોઇની આડે ખાસ આવતો નથી. કહે છે કે બ્રાહ્મણનું જો ખૂન થાય તો એ બ્રહ્મરાક્ષસ થાય છે.   
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. [ સં. ]  મરણ પછી અવગતિયો થયેલ ભણેલો બ્રાહ્મણ; મરણ પછી પિશાચ થયેલો વિદ્વાન; મરી ગયેલા બ્રાહ્મણનું પ્રેત; ભૂત થયેલો બ્રાહ્મણ.
૨.   મહાદેવનો એક ગણ.
૩.   ( જૈન ) સાત માંહેના એક પ્રકારનો રાક્ષસ; પિશાચ; ભૂત.

* દેવચાર = વિવાહિત શુદ્ર મરણ પામ્યા બાદ, જો તેના અંત્યા સંસ્કાર યોગ્ય રીતે પાર પાડવામાં ન આવે તો ’દેવાચાર’ બને છે. ગામમાની સર્વ ભૂતાવળ તેના હાથમાં રહે છે. ભોગ દ્વારા તેને પ્રસન્ન કરવામાં આવે છે. તે ગામનું રક્ષણ કરે છે.

* પિતૃ = આ ભૂતની જાત નાની ઠીંગણી અને ટોળામાં ફરનાર હોય છે. પોતાના કે પારકાના હીત ખાતર એ થોડો ત્રાસ આપે છે. ક્યારેક ક્યારેક કલ્યાણ પણ કરે છે.  
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૧. [ સં. ]  એક પ્રકારના દેવતા. તેમને બધા જીવના આદિ પૂર્વજ માનવામાં આવે છે.
૪. માબાપ; માતા અને પિતા.
૫. પૂર્વજ; મરી ગયેલા બાપદાદાઓ.
૬.  પિતૃલોકને પામેલું.

* વીર = એ અતિશય શૂરવીર, સૈનિકના વેશમાં ઢાલ-તલવાર હાથમાં લઇને ફરતું રહે છે. ભૂત વર્ગમાંના અધિકારી વર્ગનો આ સેવક છે.  
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
૬.   એક ભૂત.
# વીર મૂકવો = (૧) મંત્રથી વીર પોતાને કબજે કરાવવો. (૨) મેલીવિદ્યાનો પ્રયોગ કરવો.  વીર સાધવા = મંત્રથી વીર પોતાને કબજે કરવો.

* જીન = આ દીર્ઘાયુષી છે. માણસનું રૂપ લઇ શકે છે.
ભગવદ્‌ગોમંડલ મુજબ અર્થ >>
મરીને ભૂત થયેલો મુસલમાન; યવન ભૂત; ખવીસ

* ગિરહા = પાણીમાં ડુબીને મરનાર કે જેનું ખૂન થાય છે તે ’ગિરહા’ કહેવાય છે. એ પાણીમાં જ રહે છે. રાત્રે એકાદ માણસને નામે એને બૂમ પાડીને બોલાવે છે. અજાણ્યા જ માર્ગે એને ચલાવી ફસાવે છે. મધ્યરાત્રીએ હોડી માર્ગે પ્રવાસ કરનારાંઓને એ સતાવે છે કે ઊંડા પાણીમાં લઇ જઇ અને ડુબાડે છે. એ બહુ શક્તિશાળી નથી, કહેવાય છે કે તેના માથાનો એકાદ વાળ જો કોઇના હાથમાં આવી જાય તો તે તેનો ગુલામ બની જાય છે.

* આસેવ = આ નાકથી બોલે છે. આ એક ભયંકર પ્રકારનો પિશાચ છે.

* ગોલ બિયાવાની = હાથમાં મશાલ સાથે સતત જંગલમાં ફરતા રહે છે.

* દર્યા = આકારમાં અતિ પ્રચંડ હોય છે એને માથે શીંગડાં હોય છે. પગલાં પણ મોટાં પડે છે.

* હમજાદ = આ માણસની શાથે જ રહે છે, આને અમુક ક્રિયાઓથી વશમાં કરી શકાય છે.

આ ઉપરાંત પણ અમુક પ્રકારો છે જે વિવિધ નામે ઓળખાય છે પરંતુ તે મોટાભાગે તો ઉપર વર્ણવેલા ભૂતોના જ રૂપ હોય છે.

અહીં આપણે સામાન્ય જ્ઞાન વધારવાના હેતુસર આ બહુ નહીં જાણીતા વિષયને હાથ પર લીધો. હજુ કોઇને મારા ઉદ્દેશ વિશે શંકા હોય તો ફરીથી લેખની શરૂઆતમાં આપેલી પ્રસ્તાવના વાંચી જવી. (અને ડર લાગવા લાગ્યો હોય તો હનુમાન ચાલિસાનો પાઠ કરી જવો !!) એવું નથી કે આ બધું જ સત્ય હોય, તો એવું પણ નથી કે સત્ય ન જ હોય ! સત્યની શોધ માટે તો કંઇ કેટલાએ અગોચર પ્રદેશોમાં ભ્રમણ કરવું પડે, અને એ માટે આ ભૂત પિશાચોને પણ જાણવા પડે. કારણ કે બહુ મોટી શક્યતાતો એ જ છે કે આનો વસવાટ પણ મનના કોઇ અગોચર પ્રદેશમાં જ હોય. આપને આ વિષય પર કે લેખ પર ટીપ્પણી કરવાનો પુરો અધિકાર છે.

44 Responses to ભૂતપિશાચ – ડરના મના હૈ !

  1. પ્રિય અશોકભાઈ, પ્રેમ સભર ધન્યવાદ,
    અતિ ઉત્તમ કાર્ય આપે કર્યુ છે એ બદલ…

    અજાણતા અને અજ્ઞાનતાના કારણે હુ પણ મારા ભારતના અન્ય ભાઈઓની માફક આવી રીતે ભટકેલાઓની વેળાકવેળાએ પુજા કરી બેસ્તો, કેમ કે મુંબઈ, દિલ્હિમાં, ગુજરાત કે ભારતના અન્ય સ્થળોએ જ્યાં જ્યા ફરેલો ત્યા ત્યા દેરીએ, મંદિરોમાં, સમાધિઓ પર, કબરો પર, મઝારો પર, પાળીયાઓ પર, અમારા ગામના શુરધન (અમારી લોકબોલીમાં હુરધન-આગિયા-હાખરીયા-પાંચ હાખરીયા-અઢી હાખરીયા-શીકોતર-માતાજી-જીન્નાત વગેરે, અને દસ વરસથી મુંબઈ અને ગુજરાતીથી વેગળો હોવાથી વધુ નામો યાદ આવતા નથી) અજ્ઞાનતાથી માથા ઝુકાવી ચુક્યો છુ ત્યારે ઘણી પરેશાનીઓ ભોગવવી પડતી. પણ સર્વશક્તિમાન શક્તિ તો પરમાત્મા પરમેશ્વર જ છે. હવે તો એમને ભજુ છુ, અને લોકોને અંધકારથી ચેતવુ છુ, જેથી સીધો જ પરમ પિતાના ખોળામાં જઈને બેસુ.

  2. Pingback: *અગત્યનીજાહેરાત* « Rajeshpadaya's Blog

  3. it’s new subject..new info..what I read in this artilce .. all human being have llittle fear in thier mind..it’s nothing my fear of mind..

    • આભાર, બારડ સાહેબ.
      મારો કહેવાનો અર્થ એ નથી કે ’બધા’ જ (all) લોકો ડરતા હોય, ’લગભગ બધા’ (almost), અર્થાત નિડર લોકો પણ હોય તો છે જ. (આ કથન ભૂતપિશાચ બાબતે જ છે ! પત્નિઓ બાબતે નહીં :-) )
      ભૂત નથી મારતું, ભૂતનો ભય મારે છે. અહીં ’ગબ્બર’નો ડાયલોગ યાદ આવે છે. ’જો ડર ગયા, સમજો મર ગયા !’

  4. સરસ લેખ અશોકભાઇ,
    વાંચવાની મજા આવી.આટલુ સરસ કલેક્શન?

    બાય ધ વે, આવો ટોપિક ગુજબ્લોગ પર પ્રથમવાર વાંચ્યો છે.

    મારા બ્લોગની મુલાકાત લેશોઃ

    http://www.soham.wordpress.com

    • આભાર સોહમભાઇ.
      અત્યાર સુધીના બધા પ્રત્યાઘાતો મારી ધારણાથી ઉલ્ટા છે !! મને તો હતું કે આવો વિષય પસંદ કરવા બદલ ધોલાઇ થશે !!
      બીજા અર્થમાં, કદાચ સૌને લાગે છે કે પ્રજાને કનડતા હાલના આ ધોળા, પીળા, રાતા, લીલા, નીલા ભૂતો કરતા તો આ ભૂતો બીચારા સારા હતા !

  5. અશોકભાઇ આપનો એક નવા જ વિષય પર સરસ માહિતીલેખ. ખૂબ જ રીસર્ચવર્ક છે આપનું.

    ‘ જેમ ઉપચાર કરવા માટે રોગને ઓળખવો જરૂરી હોય છે તેમ ડર કાઢવા માટે પ્રથમ તો આપણે ડરીએ છીએ શાનાથી તે ઓળખવું જરૂરી છે.’

    ‘ભય… પછી ભલે એ ગમે તે માનવીના મનમાં પેદા થાય, એનું અહિત જ કરે છે.’

    સરસ.

    • આભાર મીતાબહેન, એક ખાનગી વાત કહું ? આ લેખ માટે સંપૂર્ણ જવાબદાર આપણા મિત્ર ભુપેન્દ્રસિંહજી છે !! તેમણે તેમના એક લેખ પરના મારા પ્રતિભાવના બદલામાં મને ’મેરાણી’ (મારા ધર્મપત્નિ !) નો ડર દેખાડ્યો ત્યારથી મને ૧૦૪ ડીગ્રી તાવ અને ભૂતોન્માદ જેવું રહેવા લાગ્યું છે !! તો આ બધા ભૂતોની મુલાકાત એ ભૂતોન્માદનું પરિણામ છે :-)
      આપનો આભાર.

      • શ્રી અશોકભાઈ,
        આપણાં બંને નું સરખું જ છે ભાઈ.મને એક દીકરીએ ઈમેલ માં એક ફોટો મોકલ્યો હતો.એક સિંહણ ઘુરકિયાં કરતી હતી અને સિંહ ખૂણા માં લપાઈને ઉભેલો.અમારી સિંહણ ઘુરકીયું કરે તો અમે પણ આપની જેમ ફફડી જઈએ અને મહિના સુધી બોલી ના શકીએ.એના માટે થઇ એક પેન્ટ અલગ જ રાખેલું છે.

  6. અશોક મુની,
    બહુ મજા આવી.ઘણી વાર્તાઓ માં વાચેલું ભૂત થયેલી કે પ્રેત થયેલી સ્ત્રીઓ ના પ્રેમ વિષે ઘણા મુવી પણ એવા બનેલા છે.અમે પણ આખી રાત ખેતરો માં ધારિયું અને બેટરી લઇ ને ફર્યા છીએ એવી વાતો કદાચ હકીકત બની જાય,પણ શક્ય બન્યું નહિ.જ્યાં કોઈ કહે કે આ જગ્યાએ સ્ત્રી ઉભી હોય છે ત્યાં ગયા પણ કોઈ દેખાયું નહિ.કોઈ કહે ત્યાં ઝંડ છે બીડી માંગે છે ત્યાં પણ બીડી લઈને ગયા પણ કોઈ મળ્યું નહિ.કદાચ મને જોઈ ને ભૂત પણ બીતા હશે.મરેલા ભૂતો કરતા જીવતા અને મહાન ગણાતા ભૂતો થી ડરવાનું છે.

    • બાપુ, ખેતરમાં ભલે ભૂત જોવા ન મળ્યું હોય, કોઇ ગભરૂ બાળકને ડરાવો એટલે અહીં બ્લોગજગતમાં તો ભૂતનો પરિચય થયો ને ?
      ગંભીરતાથી મારો અંગત મત રજુ કરૂં તો, ભૂત-પ્રેત વિશે કે તેના હોવા, ન હોવા વિશે મારૂં જ્ઞાન સીમિત છે. હા, એટલું ચોક્કસ માનું છું કે આ ’પંચમહાભૂત’ના બનેલા દેહનું આ બીચારા ભૂતો કંઇ બગાડી શકે નહીં. (બહુ તો ચાલો એકાદ પેન્ટ બાદ રાખીએ !!)
      અને આપ સાચા છો, ડરવાનું તો આ જીવતા ભૂતોથી છે, ખાદ્યાન્ન અને દવાઓમાં ભેળસેળ કરતા ભૂત, અંધશ્રદ્ધા ફેલાવી પોતાનાં ઘર ભરતા ભૂત, ધર્મ અને સંપ્રદાયને નામે લડાવી લોકોના જીવ લેતા ભૂત, કામચોર ભૂત, હરામખોર ભૂત, વચનો આપી અને અદૃશ્ય થઇ જતાં ભૂત….. કેટકેટલા ભૂતો આપણી ચોપાસ ભમે છે ! અને એક આપણે છીએ કે આવા, ઉપર ઓળખાવેલા ક્ષુલ્લક ભૂતોથી ડરીએ છીએ. આભાર.

      • અશોકભાઈ આપના હાસ્ય લેખ વાંચીને પણ આટલું નહોતો હસ્યો તેટલું આ પ્રતિભાવો ના જવાબ વાંચીને હસ્યો છું.પણ આટલા બધા વિવિધ જાતના ભૂત હોય તે તો આજે જ જાણ્યું.

      • શ્રિ અશોક ભાઇ,
        અમારા લખેલ “સદભાવના પર્વ યોજાઇ ગયુ આનન્દો”વાળૉ લેખ આપના વિરહ મા ઝુરી રહ્યો છે,આપના પ્રતીભાવ નો કોળીયો ભર્યા વગર એની ભુખ સતોષાતી નથી.ડરોન્માદ ઉતર્યો કે નહી?

  7. ભાઈઓ, સહુને વિનંતિ છે,ચેલેંજ નથી કરતો, જે કોઈ કહે છે કે ડરતા નથી તો આ જોઈને કહો જૌ….આને શુ માનવુ…..


    http://www.youtube.com/watch?v=nr8oJqpwZz4

    http://www.youtube.com/watch?v=V5C-VZN-lZQ

    http://www.youtube.com/watch?v=sFs9lvgUAQ8

    http://www.youtube.com/watch?v=50Bl94Xby4g

    • શ્રી રાજેશભાઇ, આપનો આભાર. વિવિધ લિંક્સ આપી અને વાંચકોને આ વિષય પર વધુ જાણકારી મળે તેમ કરવા બદલ પણ આભાર. જો કે વિડીયોમાં દર્શાવેલું બધું તો અમે નાનપણથી અમારા ગામડાઓમાં જોઇએ છીએ. કદાચ વસ્ત્રો અને વાતાવરણ સુધરેલું લાગે બાકી આને પણ ’અંધશ્રદ્ધા’ જ કહેવાય ને !! મારા મંતવ્ય મુજબ આ બધા ભૂત-ભૂવાઓમાં માનનારાઓને કશો ફાયદો હશે કે નહીં તે જાણતો નથી પરંતુ ન માનનારાઓને કશું નૂકશાન તો નથી જ. બાકી તો સૌ પોતપોતાની માન્યતા માટે સ્વતંત્ર હોય છે. જો કે આપ પોતે પણ અંધશ્રદ્ધાઓની વિરૂદ્ધ સારી માહીતિઓ પુરી પાડી સેવાનું કાર્ય કરો છો તે સારૂં કાર્ય છે. આભાર.

      • શ્રી અશોકભાઈ, આપના ખુબ ખુબ ધન્યવાદ કેમ કે મને ડર હતો કે લોકો મને અંધશ્રધ્ધાળુ માનતા હશે પણ આપે મારા કાર્યને અંધશ્રધ્ધા વિરુધ્ધ નુ ગણ્યુ, જે મારા અંતરાત્માને ખુશી ભરી ઠંડક અને વિજય આપી રહ્યુ છે.૩-૪ વરસ પહેલા મે અન્ય ભાઈઓ સાથે મળીને સામ સામે બેસીને એક શીખ(સરદારની) જવાન દિકરીમાંથી પ્રભુ યીશુના નામથી જ વાસનાનુ રીતસરના ગંદા ચેનચાળા કરતુ ભુત કાઢેલુ છે જે રીતસર પુરુષના અવાજમાં વાતો કરતુ હતુ.એ આખોએ પ્રસંગ તે દિવસે સાંજે જ મારી ડાયરીમાં લખેલો જ છે, યોગ્ય સમયે લખીશ કદા્ચ……ધન્યવાદ વહાલા અશોકભાઈ

  8. અશોકભાઈ…
    ભૂતમાં માનું નહીં ને ભૂતકથા લખું
    એ જ રીતે કેમ હું મારી વ્યથા લખું?
    .. બહુ જ મજાની માહિતી. અમને તો માંડ પાંચ છ પ્રકારોની ખબર હતી. નાનપણમાં ભાંગતી રાતે મોટાઓના ભૂતાનુભવો સાંભળવાનો રોમાંચ હજી યાદ છે. એક બાજુ ડર લાગે અને એક બાજુ ચટપટી રહે!!!
    નાના ગામડામાં રહેવા છતાં,માતાપિતાના કારણે આ ડર વહેલાસર નીકળી ગયેલો. પણ ભૂતકથાઓ પણ રસપ્રદ હોઈ શકે. ફિલ્મી ભૂતોનો વળી નવો પ્રકાર હોઈ શકે!
    અમે પણ એકાદ બે ભૂતકથાઓ લખી છે!!!! મૂકવાના છીએ. અમને તો એ બાબત બહુ ખતરનાક વિચારો આવે છે કે; બ્લોગર ભૂત થાય તો કેવા કેવા બ્લોગ બનાવે !!! જો કે જીવતે જીવ પણ ભૂતિયા બ્લોગ બનાવી શકવાની સગવડતા છે!!! એ માટે ભૂત થવાની જરૂર નથી!
    તમારો આ પ્રયાસ ગમ્યો. આગળ વધજો.

    • “ માંગ માંગ જે માંગે તે આપું”
      ઈશ્વરે મને કહ્યું
      ને
      મેં માંગ્યું…
      “ હે પ્રભો,
      આપી શકો તો આપો
      વર્ષો પહેલાંનું મારું ગામ
      વત્તા ગામનો નદીકિનારો
      વત્તા કિનારા પરનાં આંબલીનાં ઝાડ
      વત્તા ઝાડ નીચેનો ધોળા દિવસનો અંધકાર
      વત્તા ભૂતની અસ્સલ એવી ને એવ્વી જ બીક
      વત્તા બીકથી ધક ધક થાતું
      મારું અસ્સલ એવું ને એવ્વું જ હૃદય”
      ને ઈશ્વર અંતર્ધ્યાન થઈ ગયા
      ………
      ‘તથાસ્તુ’ કહ્યા વગર!!!

      • શ્રી યશવંતભાઇ, આભાર.
        તો ભૂતાનુભવોથી સભર ભૂતકથા અને ’બ્લોગર ભૂત થાય તો..’ (કયા પ્રકારનો બ્લોગર કયા પ્રકારનો ભૂત થાય ! વગેરે સંશોધન આપ જેવા વડીલ બ્લોગરે જનહિતાર્થે પણ કરવું જ જોઇએ !)વાંચવાની તાલાવેલી વધી ગઇ છે. (ભૂત જગતમાં બ્લોગ માટે કોઇ નવો બંધબેસતો શબ્દ ? એકાદ હું સુચવું; ’ભ્લોગ’ ’ભૂત્લોગ’… આભાર.
        (તા.ક. અને અંતે આપે આપેલા ’આગળ વધજો’ ના આર્શિવાદ બ્લોગ જગતમાં આગળ વધવા માટે છે કે ભૂતજગતમાં :-) જો કે જે હોય તે અમને શિરોધાર્ય છે.)

  9. લોકોના મનમાં ભ્રમણાયુક્ત અને અવાસ્તવીક આત્માની ‘થીયરી’ પરાપુર્વથી લાદી દેવામાં આવી છે. તેના કારણે ખોટી માન્યતા ઉભી થયેલી છે કે માનવીનું મૃત્યું થાય તે વખતે જો તેનો આત્મા અવગતીયો થાય અથવા જો તેની કશામાં વાસના રહી જાય તો તે આત્મા ભુત-પ્રેતની યોની ધારણ કરીને, તેનું નીવરણ ન થાય કે ન કરવામાં આવે ત્યાં સુધી, ભટકતો રહે છે. લોકો આ અંધશ્રદ્ધાના અફીણીયા નશામાં હજીય ગરક થઈ રહ્યા છે… જો આત્માના અસ્તીત્વની ‘થીયરી’ લોકોના મગજમાંથી નીકળી જાય, તો ભુત-પ્રેતની ભ્રમણા પણ્ આપોઆપ જ નીકળી જાય તેમ છે. બાકી તો ‘મંછા ભુત અને શકા ડાકણ’ જેવી પરીસ્થીતી રહેવાની જ !!!!

    • ‘મંછા ભુત અને શંકા ડાકણ’ સાવ સાચી વાત ગોવીંદભાઇ, આભાર.

    • સોરી હો ગોવિંદ સાહેબ, આપના ગ્રુપને પણ લગભગ વિવેક્પંથીનુ અથવા અંધશ્રધ્ધા નિર્મુલનનુ ભુત કે આત્મા વળગ્યો નથીને?? થોડીક મજાક તો કરી શકુને??

  10. શ્રી અશોકભાઈ,

    મને તો ભૂત અને પંચ મહાભૂત બંનેમાં ખુબ જ રસ પડે છે. અને આ નારી જાતીના ભુતો સાથે તો મારે કાયમ પનારો પડે છે. જાતજાતના રંગો વાળા આ માનસીક ભુતો આપણા મનો જગતમાં એવા તો ઘુસી જાય કે પછી વાસ્તવિક જગતમાં પણ આપણી (શોરી મારી) આસપાસ ભુતાવળ ફરતી હોય તેમ લાગે. ભગ્ન હ્રદયના કેટલાયે બ્લોગ-ભુતો અને બ્લોગ-પીશાચીણીઓનો પણ હવે આમાં ધરખમ વધારો થઈ ચુક્યો છે. હનુમાન ચાલિશા કદાચ ઉપાય તરીકે શ્રેષ્ઠ હોય. કારણ કે માનસીક ભય માનસીક હિંમતથી જ જાય. અને તમે આવા નવા નવા વિષયો પર સંશોધન કરતા રહેજો. તમારું વિષય વૈવિધ્ય હંમેશા આકર્ષક હોય છે. મને યાદ છે કે હું એક વખત મરવા પડેલો અથવા તો એમ કહોને કે મરી જ ગયેલો, તેવે વખતે મારા કહેવાતા મિત્રોએ મને જીવાડવા પ્રયત્ન કરેલો. તેમને એમ કે હું તેમને ઉપયોગી થઈશ. પણ બન્યું એવું કે મરીને પુન: જીવીત થયેલા મને શરુઆતમાં તો તેમણે લાડકોડ કર્યા પણ પછી જ્યારે તેમના હિત જોખમાવા લાગ્યા તો ફરી પાછો મને ભુત સાબીત કરવા તનતોડ મહેનત કરવા લાગ્યાં.

    ભાઈ, આખુયે જગત સ્વાર્થ ઉપર ઉભુ છે. એક માત્ર સંત અને બીજા પરમાત્મા નિ:સ્વાર્થ છે.

    • પરમાત્મા આપને નારી જાતીના ભૂતોથી બચાવે :-) ભાઇ વાસ્તવિક (જો કે અધ્યાત્મની દૃષ્ટિએ જોઇએ તો વળી એ પણ વાસ્તવિક કહેવાય કે નહીં તે પ્રશ્ન છે !) જગતમાં હોય તેમ બ્લોગ જગતમાં પણ ભૂતોનો વાસ તો હોવાનો જ ને. જો કે આ ભૂતોની જેમ એ ભૂત પણ આપણા મનમાં જ નિવાસ કરતા હોય તો કહેવાય નહીં ! પરંતુ,,’ડરના મના હૈ !’
      આભાર, અતુલભાઇ.

  11. આમતો વાંચ્યા બાદ આવું લખાવા બદલ ટપારવા હતા પણ છેલ્લી લીટી લખી છટકીગયા!
    ‘આનો(ભૂતનો) વસવાટ પણ મનના કોઇ અગોચર પ્રદેશમાં જ હોય છે.’

    • આભાર, ડો.સાહેબ. આપનું તખલ્લુસ ’મિત્ર’ બહુ ગમ્યું. અને છટકવામાં તો અમે પણ થોડી મહારત હાંસલ કરેલ છે !! (અમારા હોમ એપ્લાયન્સીઝના ધંધામાં ગેરંટીઓ આપવી પડે અને આપીને પાછું છટકતા પણ આવડવું જોઇએ !! ક્યારેક તેની પણ માંડીને વાત કરીશું.)
      આભાર.

  12. (૧) મારા ફુઆ જેઓ અત્યારે હયાત નથી, ભાવનગરના વણકરવાસમાં રહેતા હતા, હવે તો મારી ફઈ અને ભાઈઓસંગ રહે છે, લગભગ ૨૦ વરસ પહેલાની વાત હશે, મારા ફુઆ જેઓ રેલ્વેમાં ક્લાર્ક હતા, એમના શરીરમાં કોને ખબર કોણ હશે, દસ દસ જણા પકડતા, સાંકળોથી બાંધતા, છતાંય એ શક્તિ મોટી-જાડી સાંકળોને પોતાની તાકાતથી તોડી નાખતી, ત્યારે તો હુ ગભરુ જવાન હતો, ચંડીપાઠ ત્યારથી જ મોઢે કરી લિધેલો. તો એ શક્તિ શુ હતુ??

    (૨) મારા મામા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સ્પેકટરની ધમધમતી કમાણી કરાવતી પોસ્ટ પર હતા, છતાંય તેઓ બે-ત્રણ મહિના સુધી લગભગ દરરોજ સાંજે કે સવારે પુજા પાઠ કરતી વખતે ધુણતા (૨૦-૨૫ વરસ પહેલા હો) તો એ બધુ શુ હતુ. એમના સસરા ભુવાનુ કામ કરતા હતા (ત્યાર પછી છુટા થઈ ગયેલા). મારી વિધવા મમ્મીને પણ એમણે પાંચ-સાખરીયો પધરાવી મુકેલો, જે મોટા મોટા ડોળાઓ કાઢીને મને જ વધુ ડરાવતો.

    (૩) અમારા ઘરે એક મુસ્લીમ બાબા આવતા, તેઓ કોઈ જીન્નાત ને પ્રગટ કરતા. એ સિવાય આજની તારીખમાં અમારી ચર્ચની આરાધના વખતે ઘણી સ્ત્રીઓ વિચિત્ર રીતે ચીસ પાડી ઉઠે છે. (જો કે મોટા ભાગે અભણ અથવા ઓછુ ભણેલા લોકોમાં આ પ્રમાણ વધુ હોય છે)

    આ મારી સગ્ગી આંખે જોયેલી પ્રગટ શક્તિઓનુ વર્ણન કર્યુ છે. જે અપ્રગટ દુષ્ટ શક્તિઓ મનુષ્યના શરીરમાં ઘર કરી બેસે એ છે તમાકુ ની આદી બનાવનારી કુશક્તિ, ચર્ચમાં પગ મુકતાની સાથે આજથી પાંચ વરસ પહેલા મારી કોલેજ કાળથી લાગેલી ચેન સ્મોકિંગ એક પળમાં જ છુટી ગઈ તે આજ સુધી પાછુ ફરીને જોતી પણ નથી. જેને છોડવા, એ પહેલા મે ઘણા પણો લીધેલા પણ ફોગટ થયેલા. દારુ પણ મજા ખાતર પીતો એ પણ લેવાનુ મન નથી થતુ. વાસના છુટી ગઈ, જુઠ્ઠાણુ, ચાલાકી, બદમાશી વગેરે વગેરે કરવાનુ મન જ નથી માનતુ. મારો આત્મા કળપાઈ ઉઠે છે જે ચર્ચમાં ગયા પહેલા કે બાઈબલ વાંચ્યા પહેલા શક્ય જ ન હતુ.

    મારુ ગોલ બ્લેડર સ્ટોનના ઓપરેશન માટે ૨૫ હજાર ન હોવાથી હુ ચર્ચમાં જઈ બેઠો અને આજે વગર ઓપરેશને સાજો માજો ફરુ છુ અને પરમેશ્વરના ગુણ ગાઉ છુ. એ પહેલા મે વેદ-ઉપનિશદ-વિ.ચુ.-બ્રહ્મસુત્ર વગેરે વાંચ્યા જ ન હતા પણ બાઈબલે મને જે રસ્તો દેખાડ્યો એ મને પહેલા અંધકારે મારી આંખો પર પટ્ટી બાંધી રાખી હતી તેથી જોઈ જ ન શકતો હતો.

    આ બધુ શુ હતુ?? મારી અંદર બેસીને કુશક્તિ મને નષ્ટ કરવા ચાહતી હતી. જેને પ્રભુ યીશુના વિશ્વાસે એક પળમાં જ તોડી નાંખીને ચુર ચુર કરી નાંખી

  13. Pingback: ભુત-પ્રેતનીવાતો!! « Rajeshpadaya's Blog

  14. શ્રી અશોકભાઈ,કઈક અલગ તરી આવતી પોસ્ટ.વિષય પસંદગીને દાદ આપવી પડે.લોકોમાં સૌથી બધૂ પ્રચલિત ભૂતનો અવાજ ‘શિયાળની લારી’ જેવો હોય છે. ‘ઉઉઉઉઉઉઉઉઉ……….’ ના ઉચ્ચારણ સાથે સૂર નીચેથી ઉપર જાય છે.હું નાનપણમાં ઘણી વખત ગામડે જતો..રાત્રી થતા જ શિયાળની લારી થાઇ.બાળબુદ્ધી તેને ભૂતનો અવાજ સમજતી હતી..સમજણ આવતા ખબર પડી કે આ તો શિયાળનો અવાજ છે…!
    ખેર,આ આર્ટિકલ વાંચવા માટે ખાસ સમય કાઢવો પડ્યો.હું તો ભૂતપિશાચ વિશે વધારે કઈઅ જાણતો ન’હોતો..સોની ટીવી પરા આવતી आहट સિરિયલ ખૂબ જોઈ છે.પણ છેલ્લા ૨ વર્ષથી એક પણ ઍપિસોડ જોયો નથી.

    • આભાર રજનીભાઇ, મને લાગે છે કે આ બ્લોગ જગતમાં આપણે બે જ ’માણસ’ નથી !! (વાઘ અને સર્પ !!!) પ્રથમના વખતમાં ભૂત-પ્રેતનો પ્રચાર મોઢામોઢ બહુ ધીરી ગતીએ થતો હવે તો TVની દયાથી એ લોકોએ પણ સારી એવી ઝડપ પકડી છે !! (તેમાં મારા જેવા બ્લોગરોનો ફાળો પણ હવે નોંધી લો !)

  15. ભૂતપુરાણનો અછડતો પરિચય મજાનો લાગ્યો. ઘણા શબ્દો આજે જાણ્યા. આભાર.

    જે છે એ આપણા મનમાં જ છે, બહાર કશું નથી. અને જે અન્દર છે એ બહાર ના નીકળે એવું જ્ઞાન કેળવવું જરુરી છે :)

  16. hey i have my blog now – http://www.madhav.in

    check it – your comment are welcome.

  17. અહોહો, આટલું બધું ભૂત ઉપર ? સાચ્ચે જ બહુ વિગતો આપી છે. ફરી વાર ડરવાનું મન થઈ આવે એટલાંબધાં ભૂતો તમે લાવી મુક્યાં છે !! નૅટ પર તો કદાચ ‘ન ભૂતો ન ભવિષ્તિ !!’

    મને તો સાહેબ,બીબી ગુલામનો ભૂતનાથ યાદ આવી ગયો – મારી અત્યંત પ્રિય ફિલ્મનો પ્રિય નાયક. ભૂતનાથ એવું નામ રાખીને મનુષ્યમાં રહેલા ભૂતતત્ત્વને મહત્ત્વ અપાતું હશે ?

    ખૂબ સરસ ને માહિતીસભર લેખ. (તમારા લેખો સાથે મુકાતું વાઘનું ચિત્ર પણ બીક લગાડનારું હોય છે હો !)

  18. શ્રી શ્રી ૧૦૦૦૪૨૦ અશોક્મુનીજી સાદર પ્રણામ, લેખનો વિષય,સંકલ,વિચારો,અભિપ્રાયો બધું જ ઉત્તમ, અતિઉત્તમ છે. સમાજ માં આ વિષય ઉપર ખૂબ વાતો થાય છે. ચાર માથાં ભેગા મળે અને કોઇ આ વિષય છેડે એટ્લે પત્યુ, [ભૂતો પર આટ્લુ સંક્લન એક વાઘ જ કરી શકે]
    [અહી થી હ્સવા માટે છે] મૂનીશ્રી આ પ્રકાર ના લેખ ની સરૂઆત માં સુચના લખવી પડે ” નબળા મન ના વ્યકિત યે આવા લેખ વાંચવા નો દુ:સાહસ કરવો નહી ” , લેખ વાંચવાની શરૂઆત કરી વીશ લાઇન વાંચી દ્શ દિવસ તાવ અવ્યો,
    રાત,દિવસ,ઉંધમાં,સપના માં અલગ અલગ પ્રકાર ના ભૂતો જ દેખાવા લાગ્યા,આજે જરા સારૂં છે, અભિપ્રાયો પહેલા વાંચી હિંમત કરી લેખ પુરો કર્યો.

    • ૧૦૦૦૪૨૦ ??? કોઇ નવો ખિતાબ બહાર પડ્યો છે ? (મને તો કોઇ ગંભીરતાથી લેખતું જ નથી. મારા કોઇપણ પ્રકારના લેખને તું હાસ્યલેખ જ સમજે છે :-) )
      અરે ભાઇ આ ’હોરર લેખ’ છે. બાળકોએ વાંચવો નહીં !
      આભાર, ભાઇ શકિલ.

  19. ભાઈશ્રી અશોક મોઢવાડીઆ,

    શ્રી અરવિંદભાઈ અડાલજાના બ્લોગ ઉપરની તમારી કોમેન્ટથી તમારા બ્લોગનું પગેરું મળ્યું. “ભૂતપિશાચ – ડરના મના હૈ !’ના વાંચન વખતે આવો જ મારો એક લેખ અંતિમ તબક્કામાં હતો. તમારા આ શબ્દોના નિમંત્રણ “કોઇ પાસે આ વિષય પર હજુ વધુ જાણકારી હોય તો અહીં જણાવવા સાદર આમંત્રીત છે.” ઉપર નજર પડી. આજે જ પ્રસિદ્ધ થએલા મારા આર્ટિકલ “ભેદભરમની ભીતરમાં – ભૂતપ્રેત (3)”નો લિંક નીચે આપું છું, જે તમારા બ્લોગના વાંચકો ‘ભૂતપ્રેત’ વિષે જાણવામાં રસ ધરાવતા હોય તો વાંચી શકે.
    http://www.musawilliam.com/2010/07/29/215-%e0%aa%ad%e0%ab%87%e0%aa%a6%e0%aa%ad%e0%aa%b0%e0%aa%ae%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ad%e0%ab%80%e0%aa%a4%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e2%80%93-%e0%aa%ad%e0%ab%82%e0%aa%a4%e0%aa%aa%e0%ab%8d/

    તમે ખૂબ જહેમત ઊઠાવીને આર્ટિકલ તૈયાર કર્યો છે તે બદલ અબિનંદન.

    કુશળ હશો.

  20. Ashok bhai,

    I have published some videos on Non-Theism or Aethism on my blog at http://www.madhav.in
    you might like it and enjoy it too.

    Do let me know of your views, awaiting them eagerly.

    Kind Regards,
    MD

  21. ભાઈ તમે તો ભૂત પુરાણ લખી નખ્યુ :)

  22. આપ રાજકીય નેતાઓનો ઉલ્લેખ કરવાનો ભૂલી ગયા લાગો છો. ઍ લોકો તો સૌથી ભયંકર ભૂતો છે.

    • શ્રી સોહમભાઇ,
      ભાઇ, હજુ મારે આ મૃત્યુલોકમાં થોડો સમય વાસ કરવો છે !! :-) આપ સાચા જ છો, પરંતુ હું તો ફક્ત, લેખમાં જણાવેલા, મામુલી ભૂતો શાથે જ બાથ ભિડવાની હામ ધરાવું છું !! આભાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s